Home Blog Page 975

આતંકવાદી હુમલાના પીડિતો સાથે NSEની સંવેદના

મુંબઈઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે નેશનલ સ્ટોક એક્સચેંજ ઓફ ઇન્ડિયા (NSE) સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારોને સહાયરૂપ થવા માટે કુલ રૂ. એક કરોડ (અંદાજે દરેક પરિવારને રૂ. 4 લાખ) સહાયની જાહેરાત કરી છે. દેશ માટે આ દુ:ખદ અને સંકટના સમયે NSE સહાનુભૂતિ અને સહયોગ સાથે ઊભું છે.

NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ સમય આપણા દેશ માટે સામૂહિક શોકનો સમય છે. અમારી પ્રાર્થનાઓ અને સંવેદના પીડિતોના પરિવારજનો સાથે છે અને અમે તેમને શક્ય તેટલી મદદ પહોંચાડવા પ્રયત્નશીલ છીએ, એમ તેમણે કહ્યું હતું.

Opinion: ઓનલાઈન એપ્સ નફાનું સાધન કે જોખમી જુગાર?

અત્યારના સમયમાં બાળકોને રઝીવવા કે શાંત રાખવા માટે મોબાઈલ ફોન એક મહત્વનું સાઘન બની ગયું છે. બાળકો પણ ટીવી, ઓનલાઈન જાહેરતો જોઈને નવી નવી ગેમ્સ રમવાનું શરૂ કરે છે. ઘણી વખત તો એવી ગેમ્સ રમવાનું શરૂ કરતા હોય છે, જ્યાં શરૂઆતમાં કંપની રીવર્ડ અને જોઈનીગ બોનસના નામે બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. લોભામણી ઓફર જોઈ બાળકો પણ તેમાં જોડાતા હોય છે. આવી એપ્સ રૂપિયા રોકીને ઝડપથી નફો કમાવવાના સપના બતાવે છે, જેના કારણે ઘણા લોકો તેમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આની પાછળનું જોખમ અનેક ચિંતાઓ ઉભી કરે છે. ઘણી વખત હારના કારણે લોકો નાણાકીય નુકસાન ઉપરાંત માનસિક તણાવનો પણ સામનો કરે છે, જેના પરિણામે ખોટાં પગલા ભરી લે છે.

આવી એપ્સની લાલચ અને તેની સામાજિક અસરો પર ચર્ચા જરૂરી છે. શું આ એપ્સ ખરેખર આર્થિક લાભ આપે છે, કે તે ફક્ત જોખમી જુગારનું સ્વરૂપ છે?

ડૉ. રામાશંકર, M.D. મનોચિકિત્સક, માનસિક આરોગ્યની હોસ્પિટલ, અમદાવાદ

“મનુષ્યના મગજમાં પ્લેઝર સર્કિટ રહેલું છે, જે ઓનલાઈન બેટિંગ એપ્સ કે વેબસાઈટ્સ દ્વારા નફો મળવાથી જે સક્રિય થાય છે. આનાથી જીતની આશામાં વ્યક્તિ વારંવાર આ પ્રવૃત્તિ તરફ ખેંચાય છે. રિવોર્ડ કે નફાની લાલચમાં જ આવીને યુવક-યુવતીઓ ઘણું ગુમાવે છે. આવી વસ્તુની આદત કોઈ આપણા સર્કરમાં રમતા હોય ત્યાંથી પડી શકે અથવા તો લુભામણી જાહેરાતોથી થાય છે. ઘણી વખત એવું બનતુ હોય કે, હારેલી રકમ પાછી મેળવવાની લાલસામાં વ્યક્તિ રમત ચાલુ રાખે છે. જ્યારે નુકસાન વધી જાય, ત્યારે ફિયર સર્કિટ સક્રિય થઈ, વ્યક્તિ આઘાત કે ગિલ્ટમાં સરી પડે છે. નાનું નુકસાન હોય તો તેની ભરપાઈ શક્ય છે, પરંતુ મોટું નુકસાન ખોટાં પગલાં તરફ દોરી જાય છે. આવી ઘટનાઓ બાળકોમાં પણ જોવા મળે છે. તેઓ વાલી પાસેથી રૂપિયા લઈને રોકાણ કરે છે, હાર્યા છતાં લાલચમાં ફરી રમે છે અને નાની ઉંમરે ખોટાં પગલાં ભરી લે છે. પહેલી ભૂલ બાદ પણ બાળકો રોકાતા નથી. મોટા લોકોમાં સોશિયલ પ્રેશરના કારણે પણ એક સમય પર આવી પ્રવૃતી વારંવાર કરવાથી રોકાય જતા હોય છે. તો ઘણી વખત નશીલા પદાર્થોનો ઉપયોગ કરનારાઓમાં આવી ભૂલોનું પુનરાવર્તન વધુ થાય છે, કારણ કે તેમનું મન નિયંત્રણ ગુમાવે છે.”

જ્ય શુક્લા, ઈન્ફલુએન્સર 

“એક ઇન્ફ્લુએન્સર તરીકે હું કોઈ પણ એપનું પ્રમોશન કરતા પહેલા તેનો સંદેશ કેવો છે તે ચકાસું છું. જો એપ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડે તેવો સંદેશ આપતી હોય, તો હું તેનું પ્રમોશન કરવાનું ટાળું છું. કેટલીક એપ્સ માત્ર ગેમિંગના દૃષ્ટિકોણથી પ્રમોટ થાય છે અને તેમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ નથી હોતો. આવી એપ્સ પ્રમોશન માટે યોગ્ય ગણી શકાય. પ્રમોશન ઇન્ફ્લુએન્સર માટે આજીવિકાનું સાધન છે, પરંતુ વ્યક્તિગત લાભ માટે સમાજમાં ખોટો સંદેશ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત સેલિબ્રિટીઝ પણ ટીવી પર આવી એપ્સનું પ્રમોશન કરે છે, જેનાથી ક્રિએટર્સને લાગે છે કે, જો તેઓ કરી શકે, તો અમારું શું ખોટું? જો સરકારને આવા સંદેશાઓથી સમસ્યા હોય, તો આવી એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવવી જોઈએ. એપ ન હોય તો આવા પ્રશ્નો ઊભા ન થાય. આ એપ્સની અલગ-અલગ કેટેગરી હોય છે, તેથી સરકારે આવી એપ્સનું લિસ્ટ અધિકૃત પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું જોઈએ, જેથી લોકો જાગૃત થાય અને ક્રિએટર પ્રમોશન પણ ન કરે. નિયમો બનાવવામાં આવે તો તે સૌ પર સમાન રીતે લાગુ થવા જોઈએ, પછી ભલે તે સેલિબ્રિટી હોય કે ઇન્ફ્લુએન્સર.”

સચિન બારોટ, બિઝનેસમેન, કલોલ

“જો દુનિયામાં બધી વસ્તુથી આપણે બાળકોને બચાવી શકતા નથી અથવા તો તેના પર રોક લગાવી શકતા નથી. ઘરેમાંથી નહીં બહારથી, બહારથી નહીં ટીવી મોબાઈની દુનિયામાંથી બાળકને જે સમજવું હશે તે સમજી જશે. ઉમરને ધ્યાને રાખી બાળક સાથે વર્તન કરવું જોઈએ. હા તે ગેમ રમવાથી રોકી ન શકીયે તો શાંત મગજ સાથે તેને ગેમના નુકસાન વિષે સમજાવવું જોઈએ. આ તો વાત થઈ ગેમ્સની પણ બીજી બાજું બાળકને આપણે નાણાકીય જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ. ઝડપી કમાણીની જાહેરાતો પાછળ જોખમ હોવાની સમજણ આપણે જ આપી શકીએ. બીજું, ઓનલાઈન ગેમ્સ અને એપ્સનો ઉપયોગ મર્યાદિત કરી દેવો જોઈએ. તેમની પ્રવૃત્તિ પર નજર રાખીએ જોઈએ. સંતાન સાથે ખુલ્લીને વાત કરીએ, જેથી તેઓ આવી એપ્સની લાલચમાં ન આવે. સ્માર્ટફોનનો ઉપયોગ માટે પેરેન્ટલ કંટ્રોલ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય. સૌથી મહત્વનું, આપણે સ્વયં જવાબદારીભર્યું વર્તન કરી દાખલો બેસાડીએ, જેથી સંતાન સાચી દિશામાં ચાલે.”

આયુષ ધીનોજા, GEM Z  યુવાન, અમદાવાદ

“એવું નથી કે, આવી એપ્સ માત્ર મેચ દરમિયાન ચાલે છે. ઘણી એવી એપ્સ પણ છે જે બીજી ગેમ્સ આપીને પણ લોકોને લુટવાના ધંધા કરે જ છે. ગેમ્સ વસ્તુ એક ખાય જેવું છે, જેનું તળીયું દેખાતું નથી. હા, જાહેરાતો જોઈ લોકો તેની તરફ આકર્ષાય છે. પણ તેમાં છેલ્લે એવું બોલે છે, વ્યક્તિનું જોખમ આ ગેમ છે. પોતાની સાવધાની રમો. આ ટીવ પર આવેલી વાત સાચી ગણાય છે પણ સામે બેઠેલા વ્યક્તિની વાત નકારવામાં આવે છે. તેમા પણ બોસર, રિવર્ડ મળતા હોય એટલે એવું લાગે કે હા આતો મફતના રૂપિયા મળે છે. તેમાં પણ રીલ્સના જમાનામાં રીલ્સથી પણ ગેમ્સની જાહેરાત થાય છે. એટલે બધાને વાત 100 ટકા સાચી લાગે. જ્યારે સરકારને ખબર જ છે કે આવી વસ્તુથી લોકોને જોખમ થશે એ વસ્તુ ચાલુ જ શુ કામ રાખવી જોઈએ બંધ કરી દેવી જોઈએ. આપણે ત્યાં ટીકટોક બંધ થયું તેમ આવી એપ્સ પર પણ પ્રતિબંધ લગાડવો જોઈએ. ઘણા યુવાનો મેચના જોશમાં રૂપિયા રોકે છે, પણ હારવાથી નિરાશા અને કેટલાક કિસ્સામાં ખોટાં પગલાં ભરાય છે. આ એપ્સની લત લાગે તો બચત, કારકિર્દી અને પરિવાર પર અસર પડે છે. આપણે રમતનો આનંદ માણીએ, પણ જવાબદારીપૂર્વક. બેટિંગને બદલે સ્વપ્નને હકીકત બનાવવા મહેનત કરીએ!”

(તેજસ રાજપરા)

ગુજરાતમાં સેમિકન્ડક્ટર વિકાસ માટે US-India રાઉન્ડટેબલ સંવાદ

યુનાઇટેડ સ્ટેટ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ગુજરાત સરકાર અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના પ્રતિનિધિઓ સાથે મળીને સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, વિચારક આગેવાનો અને અકેડેમિશિયનો માટે અમદાવાદમાં રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમનું સહઆયોજન ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑફ કોમર્સ (IACC) અને જ્ઞાન ભાગીદાર તરીકે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલ TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology) પહેલના એક ભાગરૂપે યોજાઈ હતી, જે અમેરિકા અને ભારત વચ્ચેની ટેકનોલોજી સહયોગને આગળ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. TRUST પહેલને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ ફરીથી મજબૂત બનાવવામાં આવી હતી.

ટેકનોલોજીના કેન્દ્ર તરીકે અમદાવાદ

અમદાવાદ, જેની ઓળખ મેન્યુફેક્ચરિંગ, નવીનતા અને શિક્ષણના હબ તરીકે થાય છે, એ TRUST પહેલ માટે યોગ્ય માહોલ પૂરું પાડે છે. અહીંની ઉદ્યોગ ક્ષમતા, કટિંગ-એજ રિસર્ચ, કુશળ એન્જિનિયરો અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી યુ.એસ.-ભારત વચ્ચેના સહયોગમાં નવી દિશા મળી શકે છે. આ બેઠકમાં ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સ, પડકારો, નીતિ સંકેતો અને ટેક્નોલોજીકલ નવતરતાને કેવી રીતે વધારવી તે અંગે ચર્ચાઓ થઈ. ઉદ્યોગ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવાનો પણ આગ્રહ થયો.

મુંબઈ, નાગપુર, પુણે બાદ હવે અમદાવાદ

આ રાઉન્ડટેબલ ચર્ચા ચાર ભાગોની શ્રેણીનો અંતિમ ભાગ હતો. પહેલા ત્રણ કાર્યક્રમ મુંબઈ (15 જાન્યુઆરી), નાગપુર (28 ફેબ્રુઆરી) અને પુણે (27 માર્ચ) માં સફળતાપૂર્વક યોજાયા હતા. દરેક સ્થળે ઉદ્યોગ અને રાજ્ય સરકારના પ્રતિસાદ ખૂબ હકારાત્મક રહ્યા હતા. ચોથી બેઠક અમદાવાદમાં યોજાઈ અને તેમાં ખાસ કરીને સરકાર, એકેડેમિયા અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના વધુ ઘનિષ્ઠ સહયોગની જરૂરિયાતને રેખાંકિત કરવામાં આવી. આ શ્રેણીનો ગ્રાન્ડ ફિનાલે આવી રહેલ જૂનમાં મુંબઈમાં યોજાશે જ્યાં આગામી પગલાં અને નવી ટેક્નોલોજી વિકાસ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા થશે.

ગુજરાત બનતું જાય છે સેમિકન્ડક્ટર હબ

મુંબઈના યુ.એસ. કાઉન્સલ જનરલ માઈક હેંકીએ જણાવ્યું કે, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક ટેક્નોલોજીનો મૂળ આધાર છે અને અમદાવાદ એ શહેર છે જ્યાં ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને નીતિનિર્માતાઓ ઘણા વર્ષોથી સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.”

તેમણે કહ્યું કે, “અમે ખૂબ ઉત્સાહિત છીએ કે અમેરિકાના ખાનગી ક્ષેત્રે પહેલાથી જ ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણ શરૂ કર્યું છે. તેના ઉદાહરણ તરીકે માઇક્રોનનું ગુજરાતમાં પ્રારંભિક રોકાણ અને લેટિસ સેમિકન્ડક્ટરનું પુણેમાં આર એન્ડ ડી ઓફિસનું ઉદઘાટન આપી શકાય.”

આ નવી પહેલો પશ્ચિમ ભારતને ટેક્નોલોજી અને રોજગારીની દૃષ્ટિએ વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ધોળેરામાં ઉભી થતી ‘સેમિકન્ડક્ટર સિટી’ ગુજરાતને આ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ હબ બનાવશે.

રાજ્યમાં પહલગામ આતંકવાદી હુમલાનો ભારે વિરોધ

અમદાવાદઃ કાશ્મીરના પ્રવાસે ગયેલા 28 પ્રવાસીઓને આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ આતંકવાદી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતાપૂર્ણ હુમલાને વખોડી આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલિ આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. આ માટે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસામાં વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું હતું.

આ સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યાં હતાં. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વીરપુર તાલુકાના હિન્દુ તેમ જ મુસ્લિમ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં  વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં “ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે” જેવાં પોસ્ટરો લાગ્યાં હતાં.

આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી.

Protests across Gujarat against Pahalgam terror attack

 

કુણાલ કામરાને બોમ્બે હાઈકોર્ટે રાહત આપી, ધરપકડ પર રોક, પણ તપાસ ચાલુ રહેશે

પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે, કોર્ટે કુણાલને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ ‘રાજદ્રોહી’ ટિપ્પણી સંબંધિત કેસમાં ધરપકડથી રક્ષણ આપ્યું હતું. જોકે, કોર્ટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે તેમની ‘રાજદ્રોહી’ ટિપ્પણીના સંદર્ભમાં નોંધાયેલી FIRના સંદર્ભમાં તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

શું મામલો છે?
કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પગલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ રદ કરવા અને ધરપકડ ટાળવા માટે કુણાલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કોર્ટે આ કહ્યું
કુણાલની ​​અરજી સ્વીકારતા ન્યાયાધીશ સારંગ કોટવાલ અને એસએમ મોડકની બેન્ચે કહ્યું,”અરજીની સુનાવણી બાકી હોય ત્યાં સુધી અરજદાર (કુણાલ)ની ધરપકડ કરવામાં આવશે નહીં. તપાસ ચાલુ રાખી શકાય છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે જો પોલીસે કુણાલનું નિવેદન નોંધવું હોય તો તે ચેન્નાઈમાં કરવામાં આવશે, જ્યાં તે રહે છે. આ માટે પોલીસે પહેલા કુણાલને જાણ કરવી પડશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે જો આ સમયગાળા દરમિયાન પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરે છે, તો સંબંધિત કોર્ટ તેના પર આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં. કુણાલે પોલીસ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવાની પણ સંમતિ આપી હતી. ગયા અઠવાડિયે, કોર્ટે અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખતા કુણાલને વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

કુણાલ કામરાનો પક્ષ
કુણાલ કામરા તેમના કટાક્ષપૂર્ણ રમૂજ અને સ્પષ્ટવક્તા ટિપ્પણીઓ માટે જાણીતા છે. આ કિસ્સામાં તેમણે દાવો કર્યો હતો કે તેમની ટિપ્પણીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં છે અને તેને રમૂજ તરીકે લેવી જોઈએ. જોકે કોર્ટે તપાસ રદ કરવાની તેમની માંગણીને નકારી કાઢી હતી, પરંતુ ધરપકડથી રક્ષણ આપીને તેમને તાત્કાલિક રાહત આપી હતી.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે સ્વતંત્રતા સેનાનીઓ સામે કોઈને પણ બકવાસ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે તેમણે આપણને સ્વતંત્રતા આપી અને આપણે તેમની સાથે કેવું વર્તન કરી રહ્યા છીએ.

જસ્ટિસ દીપાંકર દત્તાએ રાહુલ ગાંધીને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તમે ભવિષ્યમાં આવું કોઈ નિવેદન આપશો તો અમે સુઓ મોટો કરીને કાર્યવાહી કરીશું. આ સાથે સુપ્રીમ કોર્ટે સાવરકર પરની ટિપ્પણીના કેસમાં રાહુલને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતાં અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

આ માનહાનિનો કેસ 17 નવેમ્બર, 2022નો છે. જ્યારે રાહુલે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીમાં સાવરકર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી 2023માં એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

2023માં ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલ ગાંધીએ સાવરકર પર નિશાન સાધ્યું હતું. તેમણે અકોલામાં મીડિયાને એક પત્ર બતાવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે આ પત્ર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો. આમાં તેમણે કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના નોકર રહેશે. સાથે જ તેમણે ડરીને માફી પણ માગી હતી. ગાંધી-નેહરુએ આવું ન કર્યું, તેથી તેઓ વર્ષો સુધી જેલમાં રહ્યા હતા.

ગાંધી, નેહરુ અને પટેલ વર્ષો સુધી જેલમાં રહ્યા અને કોઈ પત્ર પર સહી કરી નહીં. સાવરકરજીએ આ કાગળ પર સહી કરવાનું કારણ ડર હતો. જો ડર્યા ન હોત તો ક્યારેય સહી ન કરત. જ્યારે સાવરકરે સહી કરી ત્યારે તેમણે ભારતના ગાંધી અને પટેલ સાથે દગો કર્યો હતો. તેમણે ગાંધી અને પટેલ પાસેથી પણ સહી કરાવવા કહ્યું. રાહુલે ફરી કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે પત્ર લખ્યો હતો કે તેઓ સેવક બની રહેશે, ગાંધી-નેહરુએ આવું ન કર્યું હતું.

‘મુસ્લિમ હોવાને કારણે હું હિન્દુઓ અને ભારતીયોની માફી માંગુ છું’: હિના ખાન

આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. આમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. આ ઘટનાથી આખો દેશ ગુસ્સે છે. ફિલ્મ સ્ટાર્સ પણ એક થઈને આતંકવાદી હુમલાની આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અભિનેત્રી હિના ખાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે આ ઘટનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે.

હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘સંવેદના. કાળો દિવસ. ભીની આંખો. ટીકા, કરુણા માટેનું આહ્વાન. જો આપણે વાસ્તવિકતા સ્વીકારવામાં નિષ્ફળ જઈએ તો કંઈ વાંધો નથી. જો આપણે ખરેખર શું બન્યું તે સ્વીકારતા નથી, ખાસ કરીને મુસ્લિમો તરીકે, તો બાકીનું બધું ફક્ત વાતો છે. સરળ વાતો.. થોડા ટ્વીટ્સ અને બસ..! મુસ્લિમ હોવાનો દાવો કરતા અમાનવીય, મગજ ધોવાઈ ગયેલા આતંકવાદીઓ દ્વારા જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે ભયાનક છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ મુસ્લિમને બંદૂકની અણીએ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવે અને પછી તેની હત્યા કરવામાં આવે. મારું હૃદય ખૂબ જ તૂટી ગયું છે.

હિના ખાને તેના હિન્દુ મિત્રોની માફી માંગી
હિના ખાને આગળ લખ્યું,’મુસ્લિમ હોવાને કારણે, હું મારા બધા સાથી હિન્દુઓ અને મારા સાથી ભારતીયોની માફી માંગુ છું. એક ભારતીય તરીકે, આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોથી હું ખૂબ જ દુખી છું. એક મુસ્લિમ તરીકે મારું દિલ તૂટી ગયું છે. પહેલગામમાં જે બન્યું તે હું ભૂલી શકતી નથી. આ ઘટનાની મારા પર અને મારી માનસિક સ્થિતિ પર અસર પડી છે. આ તે બધા લોકોનું દુઃખ છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ પીડા દરેક ભારતીય અનુભવી રહ્યો છે. હું તેમના માટે પ્રાર્થના કરું છું કે તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. આપણે ગુમાવેલા આત્માઓ માટે હું પ્રાર્થના કરું છું.’

હિના ખાને લખ્યું છે કે,’હું આ ઘટનાની નિંદા કરું છું. હું તેનો અસ્વીકાર કરું છું અને જેમણે આ કર્યું તેમને હું ધિક્કારું છું. પૂરા દિલથી, બિલકુલ, કોઈપણ શરતો વિના, જેમણે આ કર્યું છે તેઓ કોઈપણ ધર્મનું પાલન કરી શકે છે, તેઓ મારા માટે માણસ નથી. મને કેટલાક મુસ્લિમોના કાર્યોથી શરમ આવે છે. હું મારા સાથી ભારતીયોને પ્રાર્થના કરું છું કે આપણે બધાને અલગ ન કરીએ. આપણે બધા જે ભારતને આપણું ઘર અને માતૃભૂમિ કહીએ છીએ. આપણે એકબીજા સાથે લડીએ છીએ. આપણે એ જ કરીશું જે તેઓ આપણને કરાવવા માંગે છે, આપણને વિભાજીત કરશે, આપણને લડતા રાખશે અને ભારતીયો તરીકે આપણે આવું થવા દેવું જોઈએ નહીં.’

હિના ખાને લખ્યું છે કે,’એક ભારતીય તરીકે, હું મારા રાષ્ટ્ર, મારા સુરક્ષા દળો સાથે ઉભી છું. હું મારા દેશને ટેકો આપું છું. એક ભારતીય તરીકે હું માનું છું કે મારા સુંદર દેશમાં બધા ધર્મો સુરક્ષિત અને સમાન છે. આનો બદલો લેવાના મારા દેશના સંકલ્પને હું બિનશરતી સમર્થન આપીશ. આમાં કોઈ પ્રશ્ન નથી. હિના ખાને કાશ્મીર વિશે આગળ કહ્યું, ‘હું પરિવર્તન જોઈ રહી છું. મને સામાન્યતા જાળવવાની ઇચ્છા દેખાય છે. હું સામાન્ય કાશ્મીરીઓની આંખોમાં પીડા જોઈ રહી છું. હું યુવાન કાશ્મીરીઓના હૃદયમાં ભારત પ્રત્યે શ્રદ્ધા અને વફાદારી જોઉં છું. મને સામાન્ય કાશ્મીરી લોકો માટે દુ:ખ થાય છે જે આ નફરતથી પીડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ખીણમાં આટલા બધા ત્રિરંગા જોવાથી રાહત થઈ છે. હું ભારત પ્રેમના નારાઓની પ્રશંસા કરું છું. મને આશા છે કે આ ટ્રેન્ડ હંમેશા ચાલુ રહેશે.’

‘કાશ્મીરીઓ નફરતના આ દુષ્ટ ચક્રમાંથી બહાર નીકળીને જીવનમાં આગળ વધવા માંગે છે. હું મારા સાથી કાશ્મીરીઓને આ ભાવનાને આગળ વધારવા અને કાશ્મીરી પંડિત સમુદાયના આપણા ભાઈ-બહેનોને પાછા લાવવા વિનંતી કરું છું. શું તમે તેને સ્વીકારશો? હું તેને મારા દિલથી સ્વીકારું છું. કાશ્મીરી પરિવારોની આજીવિકાનો સ્ત્રોત પર્યટન છે…, હવે સમય આવી ગયો છે કે આપણે કાશ્મીરીઓ આપણું કાશ્મીર પાછું મેળવીએ, જ્યાં એક કાશ્મીરી પંડિત પોતાના સાથી કાશ્મીરી મુસ્લિમો સાથે પરિવારની જેમ રહેતા હતા. હું સહઅસ્તિત્વમાં માનું છું. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે એક ભારતીય, મુસ્લિમ અને એક માનવી તરીકે, હું ન્યાય ઇચ્છું છું. આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ સાથે મળીને ભારતને ટેકો આપવો જોઈએ. તેમને જે જોઈએ છે તે ન આપો…આપણે એક લોકો તરીકે સાથે આવવાની જરૂર છે. કોઈ રાજકારણ નહીં. કોઈ વિભાજન નથી. કોઈ દ્વેષ નહીં. કોઇ વાંધો નહી. આપણે પહેલા ભારતીય છીએ. જય હિન્દ’.

મેધા પાટકરની 24 વર્ષ જૂના કેસમાં ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ કરી છે. દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા 23 એપ્રિલે તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. પાટકરને આજે સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવશે. એડિશનલ સેશન જજ (ASJ) વિશાલ સિંહે 23 એપ્રિલે મેધા પાટકર વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે બુધવારે કહ્યું હતું કે પોલીસ કમિશનરની કચેરીના માધ્યમથી દોષિત મેધા પાટકર વિરુદ્ધ આગામી તારીખ સુધી બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરો. કોર્ટે આ વોરંટની રિપોર્ટ અને આગળની કાર્યવાહી માટે કેસને ત્રીજી મે માટે યાદીબદ્ધ કર્યો છે.

વી.કે. સક્સેનાની તરફથી એડવોકેટ ગજિંદર કુમાર અને કિરણ જય હાજર રહ્યા હતા. જુલાઈ 2024માં પાટકરને તત્કાલીન દિલ્હીના લેફ્ટેનેન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ 2000માં દાખલ કરાયેલા માનહાનિ કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા.

પાટકરને સજા સંભળાવવામાં આવી હતી અને તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ તેમને વળતર રકમ ભરવાની અને પરોલ બોન્ડ ભરવાની સૂચના આપવામાં આવી હતી. શુક્રવારે તેમને વી.કે. સક્સેનાની તરફથી દાખલ કરાયેલા માનહાનિ કેસમાં પેરોલ બોન્ડ ન ભરવાને કારણે ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવાને બદલે અને 8 એપ્રિલ, 2025ની સજા આદેશનું પાલન કરવાને બદલે દોષિત ગેરહાજર છે અને તે જાણબૂજીને સજા આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને વળતર રકમ નહીં ભરવી એથી પેરોલનો લાભ પણ ન લીધો છે. કોર્ટએ મેધા પાટકરની ગેરહાજરીને ગંભીરતાથી લીધી હતી અને તેને ઉદ્દેશપૂર્વકનું કૃત્ય ગણાવ્યું હતું.

પહેલગામ હુમલાના આતંકવાદી આદિલની વિરુદ્ધ બુલડોઝર એક્શન

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટકોની મદદથી ઉડાવી દેવામાં આવ્યું છે. આ હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના મોગામામાં ઘરની તપાસમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવતાં ભારતીય સેના અને સુરક્ષા દળોને સતર્ક રહેવું પડ્યું હતું. આ બોક્સમાંથી વાયરો નીકળ્યા હતા.

ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ની એન્જિનિયરિંગ ટીમે ઘટનાસ્થળેથી મળેલા શંકાસ્પદ બોક્સમાં તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી. સુરક્ષાની દ્રષ્ટિએ બોક્સ સ્થળ પર જ નાશ પામ્યું હતું, જેને પરિણામે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરનો એક ભાગ ચોક્કસપણે ઊડીને ખાખ થયો હતો.

જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રે પહલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર પણ તોડી પાડ્યું છે. એથી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. સુરક્ષા દળોને આશંકા છે કે ઘટનાસ્થળે વધુ વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે, તેથી આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર છે, જેમાં 28 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. TRF દ્વારા જવાબદારી સ્વીકાર્યા પછી, સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે.

નો ઑપ્શન ઈઝ ધ બેસ્ટ ઑપ્શન!

અ મારી ટેકનોલોજી ટીમ તરફથી મેસેજ આવ્યો, `આપણે આગામી મહિનાની એક તારીખે પ્લેટફોર્મ બદલી રહ્યાં છીએ,’ `વર્ક ચૅટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થઈ રહ્યાં છીએ.  બધા ટેસ્ટ્સ પાર પડ્યા છે, ટેસ્ટિંગ થઈ ગયું છે. આ નવું પ્લેટફોર્મ તમને વધુ ફાયદાકારક છે. તે તમારી કાર્યક્ષમતા વધારશે, નિર્ણય વહેલા લેવાશે અને એકંદરે ઓર્ગેનાઈઝેશનને તેનો લાભ થશે.’ બે વર્ષ પૂર્વેની આ વાત છે. વીણા વર્લ્ડ તે સમયે યુવાન, એકદમ યંગ ઓર્ગેનાઈઝેશન હતી એમ કહી શકાય. એટલે કે, હું અને સુધીર બે જ ઓલ્ડ સ્કૂલવાળા સિનિયર સિટીઝન્સ. તેમાં મારો ટેકનોલોજી પ્રત્યે પ્રેમ લગભગ નહિવત હતો. મારો આ સંબંધ જોઈને ઓર્ગેનાઈઝેશને મને `કોસ્ટ કંટ્રોલ’ને નામે લેપટોપ પણઆપ્યું નહીં. ટીમ મને ચીડાવતી, `આજકાલ દુનિયાનાં એકમાત્ર CEO લેપટોપ વાપરતાં નથી.’ વારુ, અમુક વીક પોઈન્ટ્સ હોય છે. મારું કામ પેપર, પેન, આઈપેડ, ફોન પર ચાલતું હોય તો મારે બોજ શા માટે લેવો જોઈએ. ગેજેટ્સની જંજાળ અમસ્તા જ વધારવી નહીં જોઈએ એવો મારો મત છે. `કામો અટકતા નથી ને? ‘આ મારો પ્રશ્ન છે. અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે કહે છે, `યે ફોન હી કાફી હૈ.’

છેલ્લાં બાર વર્ષમાં આવી એક-બે વાર ટેકનોલોજી બદલવાની બાબત બની હતી અને સિસ્ટમ્સ અથવા પ્રોસેસીસ બદલવી તે કાયમ ચાલુ જ હોય છે, તેનાથી હવે અમે બધાં ટેવાઈ ગયાં છીએ. `ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ થિંગ’ એ ક્યારેય નહીં તેટલી તત્પરતાથી આત્મસાત કરવાનો આ જ સમય છે. આથી એવરીબડી ઈઝ યુઝ્ડ ટુ ઈટ. છતાં `હે ભગવાન, હજુ માંડ `વર્ક ચેટ’ પર હાથ અને માથું જામ્યું ત્યાં નવું ચેન્જ? એવું લાગ્યું. `હવે ફરી બધું અથથી ઈતિ સુધી શીખવું પડશે.’ઉપરથી બતાવતી નહીં હોવા છતાં કોઈ પણ ચેન્જ સામે મનથી થોડો વિરોધ અથવા તે બાબતમાં ઉદાસીનતા હોય જ છે. `બધું બરાબર ચાલી રહ્યું છે ને, અન્ય કામો ઓછાં છે કે?’ ઓફિસના વાતાવરણમાંવિચાર દબાયેલા સ્વરૂપમાં પ્રસરતો હોય છે. જો કે એક-એક કરીને ટીમ મેમ્બર્સ આવનારા નવા પરિવર્તનને અપનાવે છે, તેમાં હથોટી મેળવે છે અને આગળ આવનારાં પરિવર્તન સુધી બધું હેમખેમ ચાલતું રહે છે. જો કે હું ટેકનોલોજીઝનાં પરિવર્તનથી મૂંઝાઈ જાઉં છું. પેટમાં ફાળ પડે છે.

બે વર્ષ પૂર્વે પણ `વર્ક ચેટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થતી હતી ત્યારે એવું જ થયું. જો કે તે સમયે મેં `બર્ન ધ બોટ્સ’ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઉંમર પ્રમાણે થોડું શાણપણ આવ્યું હતું એવું લાગે છે. જે દિવસે આ પ્લેટફોર્મ ચેન્જ થવાનું હતું તે દિવસે સવારે મેં મારા આઈપેડ પરથી `વર્ક ચેટ’નો આભાર માનતાં કહ્યું, સારી રીતે સાથ આપવા માટે, અમારાં કામો આસાન બનાવવા માટે મનમાંને મનમાં નમસ્કાર કર્યા. આ પ્રવાસ અટકાવવો પડ્યો તે માટે `સૉરી’ પણ કહ્યું અને ભારે મન સાથે `વર્ક ચેટ’ ડિલીટ કર્યું. આ પછી મારી લડત `ટીમ્સ` શીખવા માટે શરૂ થઈ અને આશ્ચર્યની વાત એ છે કે બે દિવસમાં મેં `ટીમ્સ’ શીખી લીધું. જેટલું મેં વિચાર્યું હતું તેટલું મુશ્કેલ નહોતું. `વર્ક ચેટ’ની કુશન રાખી નહીં, `ટીમ્સ’ શીખ્યા વિના કોઈ વિકલ્પ બચ્યો નહીં ત્યારે સામે આવેલા તે સંકટનો સામનો હું સારી રીતે કરી શકી અને જીત મેળવી. `ટીમ્સ’ વિશે મનમાં જે ડર હતો તે નહિવત થયો અને હું સંપૂર્ણ તણાવમુક્ત બની ગઈ. `બર્ન ધ બોટ્સ’ ટેક્નિક અથવાઆ એક વ્યવસ્થાપન શાસ્ત્ર બે હજાર વર્ષ પૂર્વે પહેલી વાર રોમન ડિક્ટેટર, રિફોર્મર અને વોર સ્ટ્રેટેજિસ્ટ જુલિયસ સીઝરે વાપર્યું હતું એવું કહેવાય છે.

જુલિયસ સીઝર જે સમયે ઈંગ્લેન્ડ પર સવારી કરવા માટે ગયો હતો તે સમયે તેના બધાં સૈનિકો લાંબું અંતર કાપીને થાક્યા હતા, સર્વત્ર થોડી ઉદાસીનતા ફેલાઈ હતી. ઈંગ્લેન્ડના શક્તિશાળી સૈનિકોનો સામનો કરવાનું અશક્ય છે એવા ભયથી બધા ગ્રસ્ત હતા અને પાછા રોમ જઈએ એવો વિચાર બધાના મનમાં ઘૂમરાતો હતો. જ્યાં સુધી બોટ સામે દેખાતી હતી ત્યાં સુધી પાછા જવાનો અથવા રિટ્રીટનો વિચાર આવતો રહેશે, પરંતુ જો બોટ જ નષ્ટ કરવામાં આવે તો વિકલ્પ બચશે નહીં અને સૈનિકો બહુ હિંમતથી `કરો યા મરો’ કહીને જીવ હથેળીમાં રાખીને લડાઈ કરીને જીત પ્રાપ્ત કરશે એવો વિચાર કરીને તેણે બોટોને આગ ચાંપી. આ સ્ટ્રેટેજીથી તેમને ઝાઝી સફળતા મળી નહીં. અમુક ઈતિહાસકારોના મતે તો આ દંતકથા છે, તેણે બોટોને આગ ચાંપી જ નહોતી. `બર્ન ધ શિપ્સ’ વધુ એક પંદરમા સોળમા દાયકાની ઘટના છે. હેર્નાન કોર્તેસ સ્પેનિશ સામ્રાજ્યનો એક સોલ્જર, એક્સપ્લોરર અને એડવેન્ચરર હતો, જેણે મેક્સિકો દેશના એઝટેક સામ્રાજ્ય પર જીત મેળવીઅને મેક્સિકોને સ્પેનના અમલ હેઠળ લાવી દીધું. જો કે આ જીત તેને આસાનીથી મળી નહોતી. તે માટે બે વર્ષ લડત આપવી પડી હતી. પહેલી વાર 1519માં જ્યારે તે એઝટેક સામ્રાજ્ય ધરાવતા મેક્સિકોની ભૂમિ પર ઊતર્યો ત્યારે તેની પાસે ફક્ત છસ્સો સૈનિક હતા. સ્પેનથી મેક્સિકો સુધી તે બોટથી આવ્યા હતા. આ લગભગ દસ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને તેઓ રીતસર થાકી ગયા હતા. આવી સ્થિતિમાં તેઓ મેક્સિકો સાથે કઈ રીતે લડશે અને પછી તેમના મનમાં પાછા જવાનો વિચાર આવ્યો ત્યારે શિપ્સ જો બાળી નાખવામાં આવે તો પાછા જવાનો માર્ગ બંધ થશે અને લડ્યા વિના વિકલ્પ જ રહેશે નહીં એવો વિચાર કરીને હેર્નાન કોર્તેસે ખરેખર શિપ્સ બાળી નાખી. તેની સ્ટ્રેટેજી કામ આવી. તેમણે બે વર્ષમાં એઝટેક સામ્રાજ્યને શરણે આવવાની ફરજ પાડી. 1521માં સ્પેનનો ઝંડો મેક્સિકો પર ફરકાવ્યો. તે સમયથી આજ સુધી આ `બર્ન ધ શિપ્સ’ વોર સ્ટ્રેટેજી સર્વત્ર વપરાય છે. વિકલ્પ જ રાખવાનો નહીં. પછી તે પરિવર્તન સર્જાય છે.

નાનપણમાં ગામ જતાં ત્યારે પિતાજી કૂવામાં સ્વિમિંગ શીખવવા લઈ જતા. પાણીમાં ભૂસકો કઈ રીતે મારવાનો એ `ટુ બી ઓર નોટ ટુ બી’ની સ્થિતિમાં રહેતાં ત્યારે પિતાજી સીધા કૂવામાં ધકેલી દેતા હતા. આ પછી જીવવા- મરવાની લડત શરૂ થતી, હાથ-પગ હલાવ્યા વિના વિકલ્પ જ બચ્યો નહીં હોય અને પછી તરવાનું શરૂ થયું. આપણાં માતા- પિતા અથવા શિક્ષક આ રીતે જ હેર્નાન કોર્તેસ જેવા આપણને અનેક ઠેકાણે ધકેલી દે છે. તે સમયે તમને ગુસ્સો આવે છે પણ તેમાંથી દૂરદ્રષ્ટિ સમજવા માટે આપણને ઘણાં વર્ષ લાગે છે. `તને લડતાં આવડવું જોઈએ’ આ એક જ એજન્ડા તેમનો હોય છે. `વિકલ્પ નહીં હોય’ એ અત્યંત ઉપયોગી બાબત મને લાગે છે. કોવિડકાળમાં અમારી બાબતમાં આવું જ થયું હતું. જો કે થોડું અલગ રીતે. કોવિડ સિચ્યુએશન અમારા ટુરીઝમ માટે ભયંકર યાતનાદાયક નીવડી. અમને પહેલો ફટકો પડ્યો અને તેમાંથી બહાર આવનાર અમે, ટુરીઝમ ઈન્ડસ્ટ્રી સૌથી છેલ્લી હતી. અઢી વર્ષ બધાએ અમને તેમના જીવનમાંથી બાદબાકી કરી નાખ્યા હતા. કશું જ કરવા માટે નહોતું અને આગળ પણ આપણું કશું થઈ શકશે એવી આશા પણ ખતમ થઈ હતી. તે અઢી વર્ષમાં અનેકોએ આ ઈન્ડસ્ટ્રીને રામ-રામ કર્યા, અલગ-અલગ બિઝનેસ શરૂ કર્યા. અમે જો કે કશું નહીં કર્યું, એટલે કે, એક વિશ્વાસ હતો કે અમારી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી ફરી શરૂ થશે પરંતુ અમે બીજું કશું શરૂ કર્યું નહીં, કારણ કે અમને બીજું કશું કરવાનું આવડતું જ નથી. તેથી હવે અમારા વર્તમાનમાં કે ભવિષ્યમાં અમે ટુરીઝમમાં રહેલા પાસે બીજો વિકલ્પ નથી તે સિદ્ધ થઈ ગયું છે અથવા અમને કોવિડને લીધે તે સમજાઈ ગયું છે. આથી હવે જે કાંઈ કરવાનું છે તે ટુરીઝમમાં કરો, સારું કરો, ફોકસ્ડ રહો એ અમને કોવિડકાળે આપેલો સંદેશ છે. અમે તે આચરણમાં લાવી રહ્યાં છીએ. પેન્ડેમિક પછી ઓફિસીસ શરૂ થઈ, લગભગ બે વર્ષે કોર્પોરેટ ઓફિસ ખોલી, ધીમે-ધીમે પાટે ચઢતાં હતાં, તે સમયે લીધેલી પહેલી `મેનેજર્સ મીટ’ અને `ટુર મેનેજર્સ મીટ’ મને આજે પણ યાદ છે. તે સમયે અમે આજ કહેતાં હતાં, `ભગવાને આપણને જીવિત રાખ્યાં છે તો આ જીવનમાં કશુંક સારું કરીએ, કોવિડકાળમાં ઘરે બેસવાથી આપણને બરોબર સમજાઈ ગયું છે કે આપણે ટુરીઝમ માટે જ જન્મ્યાં છીએ. તે સિવાય આપણને બીજું કશું આવડતું નથી તો પછી ટુરીઝમમાં આપણા અસ્તિત્વનું સોનું શા માટે નહીં કરવું જોઈએ? અને આપણી પાસે ટુરીઝમ સિવાય કોઈવિકલ્પ નથી. આથી આપણે દરેકે પ્રત્યેક ક્ષણનું ચીઝ કરવું જોઈએ.

તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, ટુર મેનેજર હોય કે મેનેજમેન્ટ, લેટ્સ ડુ અવર બેસ્ટેસ્ટ બેસ્ટ.આપણે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં છીએ,પર્યટકોએ મનથી સેવા આપવી એ જ આપણું કામ છે. તેમના પ્રત્યે ક્નસર્ન હોવું મહત્ત્વનું છે. પરિસ્થિતિના આંચકાને આપણે એકત્ર મળીને ઝીલીએ, પરંતુ આપણાથી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખીએ. કોવિડે કરાવેલા ભાનથી અમે ટેવાઈ ગયાં છીએ એવું મને લાગે છે, કારણ કે દરેક ટીમ મેમ્બર દરરોજ કાંઈક સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હજુ પરફેક્ટ સર્વિસની બાબતમાં બહુ લાંબી મજલ મારવાની હોવા છતાં સુધારણા થઈ રહી છે. પરફેકશન એ જર્ની છે, તેને ડેસ્ટિનેશન નથી. આથી ભૂલ થઈ તો તુરંત સુધારવાની, ફરી તે જ ભૂલ નહીં થાય તેથી બોર્ડર્સ સીલ કરવાની એ કામ સતત ચાલુ છે. `વી આર ઓન ધ રાઈટ ટ્રેક’ માં સમાધાન છે. બાકી પ્રયાસોની પરાકાષ્ઠા તો દરેકે કરવી જ પડે છે. એકંદરે `વિકલ્પ નહીં હોવો’ એ જ `વીણા વર્લ્ડ’ ની સફળતાનો (એટલે કે, અમુક નાની-મોટી સફળતાઆજ સુધી મેળવી છે તેનો) મંત્ર છે એવું હું આત્મવિશ્વાસથી કહી શકું છું. નો ઑપ્શન ઈઝ ધ બેસ્ટ ઑપ્શન!

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)