
Chitralekha Gujarati – 05 May, 2025
ભૂલથી સરહદ પાર કરનાર BSF જવાનની પાકિસ્તાને કરી ધરપકડ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ ચરમસીમા પર છે અને બંને દેશોએ એકબીજા વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે. આવા સંવેદનશીલ માહોલ વચ્ચે પંજાબ સરહદેથી BSFનો એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો, જેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ ઘટના બુધવારે (૨૩ એપ્રિલ, ૨૦૨૫) ફિરોઝપુર સરહદ નજીક બની હતી. ૧૮૨મી બટાલિયનના કોન્સ્ટેબલ પી.કે. સિંહ પેટ્રોલિંગ દરમિયાન આકસ્મિક રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પ્રવેશી ગયો હતો, જ્યાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરી લીધી હતી.
એક અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જવાન યુનિફોર્મમાં હતો અને તેની પાસે તેની સર્વિસ રાઈફલ પણ હતી. તેમણે કહ્યું હતું કે BSF જવાન ખેડૂતોની સાથે ફરજ પર હતો અને થોડો આગળ છાંયડામાં આરામ કરવા માટે ગયો, ત્યારે તે દરમિયાન તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ BSF દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એ જવાનને પરત લાવવા માટે બંને દેશોની સેના વચ્ચે ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે જવાનને ટૂંક સમયમાં મુક્ત કરી દેવામાં આવશે.
અધિકારીએ એ પણ સ્વીકાર્યું કે સરહદ પર આ પ્રકારની ઘટનાઓ અસામાન્ય નથી અને ભૂતકાળમાં પણ બંને પક્ષોના સૈનિકો આકસ્મિક રીતે સરહદ પાર કરી ગયા હોય અને પરત સોંપવામાં આવ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. આશા છે કે બંને દેશોના સૈન્ય વચ્ચે ચાલી રહેલી વાતચીત સફળ થશે અને ભારતીય જવાન સુરક્ષિત રીતે પોતાના દેશમાં પરત ફરી શકશે.
આતંકવાદી હુમલા બાદ નવા જુની થવાના એંધાણ, બેઠકોના દોર શરૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ગ્રૂપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી, જેને પાકિસ્તાનની ISIનું સમર્થન હોવાનું મનાય છે. આ ઘટના બાદ ભારત સરકારે તાત્કાલિક કડક પગલાં લેવાનું શરૂ કર્યું. 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવાયા, જેમાં સિંધુ જળ સંધિનું સ્થગન, અટારી-વાઘા સરહદ બંધ, રાજદ્વારી સંબંધોમાં ઘટાડો, SAARC વિઝા રદ, અને વિઝા સેવાઓનું સ્થગન સામેલ છે. આ નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) બેઠકમાં લેવાયા, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

24 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે બેઠક યોજી. આ બેઠકમાં શાહે હુમલાની વિગતો અને સરકારની પ્રતિક્રિયા અંગે રાષ્ટ્રપતિને માહિતી આપી. રાષ્ટ્રપતિ મુર્મૂએ હુમલાની નિંદા કરી, તેને “નિર્દોષ નાગરિકો, ખાસ કરીને પર્યટકો, પરનો અમાનવીય હુમલો” ગણાવ્યો. આ ઉચ્ચસ્તરીય ચર્ચા સુરક્ષા પરિસ્થિતિની ગંભીરતા અને આગળની રણનીતિના આયોજનના સંદર્ભમાં નિર્ણાયક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ સાથેની આ બેઠક ભારતની એકતા અને આતંકવાદ સામે નિશ્ચયને દર્શાવે છે.
આ સાથે, વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતની સુરક્ષા ચિંતાઓથી વાકેફ કરવા રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા. 24 એપ્રિલે સાઉથ બ્લોક ખાતે G20 અને અન્ય મૈત્રીપૂર્ણ દેશોના રાજદૂતો માટે બ્રીફિંગ યોજાયું, જેમાં જર્મની, જાપાન, બ્રિટન, રશિયા, અને પોલેન્ડના રાજદૂતો સામેલ થયા. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ હુમલાના પાછળના આતંકવાદી સંગઠનો, પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા, અને ભારતની સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી અંગે વિગતો આપી. આ બ્રીફિંગમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. તે જ દિવસે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે તૈયારીઓ શરૂ કરી, અને 25 એપ્રિલે તેઓ બૈસરન ખાતે હુમલાના સ્થળની મુલાકાત લઈ, સૈન્ય અધિકારીઓ સાથે આગળની રણનીતિ નક્કી કરશે.
ગુજરાત કોંગ્રેસમાં પત્રિકા દ્વારા નેતાઓ પર ગંભીર આરોપ
અમદાવાદઃ ભાજપમાં પત્રિકા વિતરણનો મામલો ચર્ચામાં રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક લોકો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસ કાર્યાલયમાં વેચાયેલી આ પત્રિકાઓમાં ભાજપ સાથે ‘સેટિંગ’ કરતા નેતાઓનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ પત્રિકામાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ, હિંમતસિંહ પટેલ અને શૈલેશ પરમારનાં નામ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આ પત્રિકાઓમાં આ નેતાઓ પર કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટનામાં ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યું હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદમાં પણ ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યાનો આરોપ આ બંને નેતાઓ પર લગાવવામાં આવ્યો હોવાનું પત્રિકામાં જણાવવામાં આવ્યું છે. આ ગંભીર આરોપો બાદ પત્રિકામાં હિંમતસિંહ પટેલ અને શૈલેશ પરમારને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.
જોકે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે આ ઘટનાને કેટલાક ‘બની બેઠેલા નેતાઓ’નું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ખોટી પત્રિકા વાયરલ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું એક મોટું ષડયંત્ર છે.
હનુમાનજી એન્ડ માયા:પૌરાણિક કથા અને આધુનિક કલ્પનાનું અનોખું પ્રદર્શન
અમદાવાદમાં પ્રથમ સોલો એક્ઝિબિશન ‘હનુમાનજી એન્ડ માયા’ યોજવામાં આવ્યું છે, જ્યાં આધ્યાત્મિકતા સાથે કલાત્મકતાનો ગહન અનુભવ જોવા મળશે. અમદાવાદની ગુફા ખાતે તારીખ 22થી 27 એપ્રિલ 2025 દરમિયાન પ્રદર્શન આયોજિત છે. જેમાં ભારતીય પૌરાણિક કથાઓને સમકાલીન દૃષ્ટિકોણ સાથે રજૂ કરતા શિલ્પો અને ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

પ્રદર્શનમાં હનુમાનજી વીથ રિંગ, રામ સેતુ, એક્વા ક્રિએચર વિરુદ્ધ હનુમાનજી અને થ્રોન ઓફ ટેઈલ, સહિતની આકર્ષક કલાકૃતિ રજૂ કરવામાં આવી છે. દરેક કલાકૃતિ મુલાકાતીઓને પ્રાચીન, કાલાતીત વાર્તાઓને જોવા માટે આમંત્રિત કરે છે. મુંબઈની સર જેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી સ્નાતક નિધિ શાહ ભારતીય દંતકથાઓની આધ્યાત્મિક અને પ્રતીકાત્મક સમૃદ્ધિ તરફ આકર્ષાયા છે. આધુનિક સૌંદર્ય શાસ્ત્ર સાથે શાસ્ત્રીય પ્રતિમાઓનું મિશ્રણ દર્શાવતુ પ્રાચીન મંદિરની કોતરણી, પૌરાણિક વાર્તાઓ અને માયાના દાર્શનિક ખ્યાલમાંથી પ્રેરણા લે છે, જે માનવ અનુભવને જોડે છે.

પોતાના પ્રથમ સોલો શો વિશે જણાવતા નિધિ શાહે કહે છે કે, “આ કલેક્શન દ્વારા, મેં વિસરાઇ ગયેલી વાર્તાઓને પાછી જીવંત કરવો પ્રયાસ કર્યો છે જેણે એક સમયે આપણી સાંસ્કૃતિક માન્યતાઓને આકાર આપ્યો હતો. મેં તેમને ભારતીય સાથે આધુનિક ટચ આપ્યો છે. ‘હનુમાનજી એન્ડ માયા’ પૌરાણિક કથાઓ અંગે તો છે જ, આ સાથે આપણે આપણા જીવનમાં વસ્તુઓને કેવી રીતે ઝકડી રાખીએ છીએ તે વિશે પણ છે. હું ઇચ્છું છું કે દરેક કલાકૃતિ અરીસાની જેમ કાર્ય કરે, દર્શકોને તેમના મૂળને પ્રતિબિંબિત કરવા, યાદ રાખવા અને ફરીથી જોડવા માટે પ્રોત્સાહિત કરે.”
છત્તીસગઢમાં 1000 નક્સલવાદીઓ ઘેરાયાઃ પાંચનાં મોત
બિજાપુરઃ છત્તીસગઢના બિજાપુર સુરક્ષા કર્મચારીઓએ 1000થી વધુ નક્સલીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું છે. આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે. બિજાપુર જિલ્લામાં આંતરરાજ્ય સરહદ પર કરેગુટ્ટા પહાડોનાં જંગલોમાં સવારે-સવારે સુરક્ષા કર્મચારીઓએ નક્સલવાદીવિરોધી અભિયાન હાથ ધર્યું હતું, હજી આગામી કેટલાક દિવસો સુધી અથડામણ જારી રહેશે.
છત્તીસગઢ અને તેલંગાણાની સરહદે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ કેટલાક નક્સવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે.બિજાપુરમાં સુરક્ષા કર્મચારીની 10,000ની ટીમે અત્યાર સુધીમાં હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 1000થી વધુ નક્સલવાદીઓને ઘેર્યા છે. આ ઓપરેશનમાં છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રના 10,000 જવાનો સામેલ છે. સુરક્ષા કર્મચારીઓએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં બિજાપુરના પહાડ પર કોંક્રીટ સ્લેબથી બનેલા બંકરને ઘેર્યું હતું, જેમાં 12 નક્સલવાદીઓ હોવાની બાતમી મળી હતી. આ બંકરને ઉડાવી દેવામાં આવ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ અભિયાન બસ્તર ક્ષેત્રમાંથી શરૂ થયેલી સૌથી મોટી નક્સલવિરોધી કાર્યવાહીમાંથી એક છે. આ ઓપરેશન CRPFના સ્પેશિયલ યુનિટ કોબરા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ની 208મી બટાલિયન જીદપલ્લી શિબિર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એક ઠેકાણે 160 વર્ગ ફૂટનું બંકર હતું, જેના પર કોંક્રીટનો સ્લેબ હતો. ત્યાંથી છ સોલાર પ્લેટ, બે નક્સલીઓની વર્દી, બે પંખા અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
પહેલગામ હુમલા બાદ ભારતની કડક કાર્યવાહી, INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ પરીક્ષણ
22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ગ્રૂપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી. આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં છે.

સિંધુ જળ સંધિ સ્થગિત: 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી, જે પાકિસ્તાનની કૃષિ અને પીવાના પાણીની જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ છે. આ સંધિ હેઠળ પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચેનાબ નદીઓના પાણીનો 80% હિસ્સો મળે છે.
અટારી સરહદ બંધ: અટારી-વાઘા ઈન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ તાત્કાલિક બંધ કરવામાં આવી, જે વેપાર અને લોકોની અવરજવર માટે મહત્વનું કેન્દ્ર છે.
રાજદ્વારી સંબંધોમાં ઘટાડો: પાકિસ્તાની હાઈ કમિશનના સૈન્ય સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી એક સપ્તાહમાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો. બંને દેશોના હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા 55થી ઘટાડી 30 કરવાનો નિર્ણય લેવાયો.
SAARC વિઝા રદ: પાકિસ્તાની નાગરિકો માટે SAARC વિઝા રદ કરવામાં આવ્યા, અને હાલ ભારતમાં હાજર પાકિસ્તાનીઓને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો.
લશ્કરી તૈયારીઓ: ભારતીય સેનાએ ઉચ્ચ સ્તરની સતર્કતા જાહેર કરી, અને હુમલાના ગુનેગારોને શોધવા માટે વ્યાપક ઓપરેશન શરૂ કર્યું. ગૃહ મંત્રાલયમાં RAW અને IBના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) બેઠકમાં આ નિર્ણયો લેવાયા, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ હાજર હતા.
#IndianNavy‘s latest indigenous guided missile destroyer #INSSurat successfully carried out a precision cooperative engagement of a sea skimming target marking another milestone in strengthening our defence capabilities.
Proud moment for #AatmaNirbharBharat!@SpokespersonMoD… pic.twitter.com/hhgJbWMw98
— SpokespersonNavy (@indiannavy) April 24, 2025
ભારતીય નૌકાદળની સિદ્ધિ
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં સ્વદેશી યુદ્ધ જહાજ INS સુરત દ્વારા ઝડપથી ઉડતા લક્ષ્ય પર સચોટ હુમલો કરી મોટી સફળતા હાંસલ કરી. આ પરીક્ષણ સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા અને નૌકાદળની વધતી શક્તિને દર્શાવે છે. INS સુરત, જે ગુજરાતના શહેરના નામે નામાંકિત છે, તે ભારતના અદ્યતન મિસાઈલ ડેસ્ટ્રોયર્સમાંનું એક છે. આ પરીક્ષણ અરબી સમુદ્રમાં થયું, જ્યાં પાકિસ્તાન પણ 24-25 એપ્રિલે કરાચી નજીક સપાટી-થી-સપાટી મિસાઈલનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ સિદ્ધિ પાકિસ્તાનના આ નિર્ણયના સંદર્ભમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. INS સુરતની ડિઝાઈન અને નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની વધતી ક્ષમતા દર્શાવે છે. આ સફળતા નૌકાદળની ચોકસાઈ અને ઝડપી પ્રતિક્રિયાની ક્ષમતાને રેખાંકિત કરે છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવમાં મહત્વપૂર્ણ છે.
પાકિસ્તાનનું મિસાઈલ પરીક્ષણ
સૂત્રોની જાણકારી પ્રમાણે પહેલગામ હુમલા બાદ ભારતના કડક નિર્ણયોના જવાબમાં, પાકિસ્તાને અરબી સમુદ્રમાં સપાટી-થી-સપાટી મિસાઈલ પરીક્ષણની જાહેરાત કરી છે. આ પરીક્ષણ કરાચી નજીક 24-25 એપ્રિલે થવાનું છે. ભારતની તપાસ એજન્સીઓ, જેમાં RAW અને IBનો સમાવેશ થાય છે, આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે. ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં આ મિસાઈલ પરીક્ષણના સંભવિત પરિણામો પર ચર્ચા થઈ.
ભારતે પહેલગામ હુમલાને “આતંકવાદનો રાજ્ય-પ્રાયોજિત” કૃત્ય ગણાવી, પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે. આના જવાબમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી, જેમાં સિંધુ જળ સંધિના સ્થગનને “યુદ્ધનું કૃત્ય” ગણાવી તેનો સંપૂર્ણ બળથી જવાબ આપવાની ધમકી આપી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે સંધિનું સ્થગન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે.
આ ઘટનાક્રમે ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ વધાર્યો છે. ભારતીય નૌકાદળની તાજેતરની સફળતા અને સૈન્યની ઉચ્ચ સતર્કતા દેશની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે. ભારતની આક્રમક રાજદ્વારી અને લશ્કરી નીતિ આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાનું સ્પષ્ટ સંકેત આપે છે.



