Home Blog Page 90

AIADMKમાં બળવોઃ મોટા ભાગના ધારાસભ્યોનો TVK ને ટેકો

ચેન્નઈ: તામિલનાડુના રાજકારણમાં AIADMK કેમ્પમાં મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે. આજે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક મુલતવી રાખવામાં આવી છે. 47 ધારાસભ્યોમાંના મોટા ભાગના TVK ને સમર્થન આપવાની માગ કરી રહ્યા છે. અપ્રત્યક્ષ રીતે એડાપડ્ડી પલાનીસ્વામીને ચેતવણી આપવામાં આવી છે કે જો તેમણે જલદી નિર્ણય નહીં લીધો તો 30થી વધુ ધારાસભ્યો પાર્ટી તોડી વિજયની પાર્ટી TVKને સમર્થન આપે એવી શક્યતા છે.આ બળવાનું નેતૃત્વ સીવી ષણમુન્ગમ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમયમાં AIADMKના ધારાસભ્યો તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે.

 તામિલનાડુમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી?

તામિલનાડુમાં 23 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં. આ ચૂંટણીમાં નવી પાર્ટી TVKએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ સીટો મેળવી હતી.

* TVK – 108 સીટ

* DMK – 59 સીટ

* AIADMK – 47 સીટ

* કોંગ્રેસ  – પાંચ સીટ

* PMK – ચાર સીટ

 હાલ તામિલનાડુના રાજકારણમાં શું ચાલી રહ્યું છે?

TVK પાસે 108 સીટો હોવા છતાં તેને સંપૂર્ણ બહુમત મળ્યું નથી. સરકાર બનાવવા માટે 118 સીટોની જરૂર છે, એટલે કે તેને હજુ 10 ધારાસભ્યોની જરૂર છે.

હવે જોવાનું એ છે કે TVK કોની સાથે મળીને સરકાર બનાવે છે. એક તરફ કોંગ્રેસ પોતાની પાંચ સીટ સાથે સમર્થન આપવા તૈયાર છે, જ્યારે બીજી તરફ AIADMKના મોટા ભાગના ધારાસભ્યો પણ TVKને સમર્થન આપવા માગે છે. આ ઉપરાંત, AIADMKના નેતાઓએ અપ્રત્યક્ષ રીતે એડાપડ્ડીને ચેતવણી આપી છે કે જો જલદી નિર્ણય નહીં લેવાય તો 30થી વધુ ધારાસભ્યો પાર્ટી તોડી વિજયને સમર્થન આપશે.

એકંદરે જોવામાં આવે તો હાલની પરિસ્થિતિમાં વિજય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે.

PM મોદીની પોસ્ટ પર એલોન મસ્કની કમેન્ટ, સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી મોદીની પોસ્ટનો જવાબ આપતા એલોન મસ્કે ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈને તેના મિશન દ્રષ્ટિ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ આ મિશનને ભારતની અવકાશ યાત્રામાં એક મોટી સિદ્ધિ અને યુવાનોની નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ ભાવનાનું પ્રતીક ગણાવ્યું હતું.

ભારતની અવકાશ યાત્રા વધુ એક મોટા સીમાચિહ્ન પર પહોંચી છે. એલોન મસ્કે બેંગલુરુ સ્થિત અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈને તેના મિશન દ્રષ્ટિ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા છે.

મસ્કે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટનો જવાબ આપતા મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર “અભિનંદન” લખ્યું, જેમાં તેમણે મિશન દ્રષ્ટિની સફળતાને ભારતના અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી.

પીએમ મોદીએ તેને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું

વડાપ્રધાન મોદીએ રવિવારે X પર એક પોસ્ટમાં કહ્યું કે મિશન દ્રષ્ટિ ભારતની અવકાશ યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે વિશ્વના પ્રથમ ઓપ્ટોએસએઆર ઉપગ્રહ અને ભારતના સૌથી મોટા ખાનગી રીતે નિર્મિત ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ દેશના યુવાનોની નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મોદીએ લખ્યું કે મિશન દ્રષ્ટિ, ગેલેક્સીઆઈનું પ્રક્ષેપણ, આપણી અવકાશ યાત્રામાં એક મોટી સિદ્ધિ છે. વિશ્વના પ્રથમ ઓપ્ટોએસએઆર ઉપગ્રહ અને ભારતના સૌથી મોટા ખાનગી રીતે નિર્મિત ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ યુવાનોના નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે.

મિશન દ્રષ્ટિ ઉપગ્રહ રવિવારે કેલિફોર્નિયાથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રક્ષેપણને ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

મિશન દ્રષ્ટિ ઉપગ્રહની ખાસ વિશેષતાઓ શું છે?

મિશન દ્રષ્ટિ ઉપગ્રહ અત્યાધુનિક ઇમેજિંગ ટેકનોલોજીથી સજ્જ છે. તેના હાઇ-ટેક કેમેરા અને અદ્યતન સેન્સર પૃથ્વીની અત્યંત સ્પષ્ટ અને ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લેવામાં સક્ષમ છે. તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં કાર્ય કરી શકે છે. ગાઢ વાદળો, વરસાદ, ખરાબ હવામાન અથવા રાત્રે અંધારા પણ તેની દેખરેખ ક્ષમતાઓને અસર કરશે નહીં.

સંરક્ષણ ક્ષેત્ર માટે તે શા માટે મહત્વપૂર્ણ છે?

આ ઉપગ્રહ ભારતની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેની રીઅલ-ટાઇમ મોનિટરિંગ ક્ષમતાઓ સરહદી પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખવા સક્ષમ બનાવશે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ, ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં, ઝડપથી શોધી શકાય છે.

તામિલનાડુમાં શરૂ થયું રિસોર્ટ પોલિટિક્સઃ કોંગ્રેસ સાથે ગઠબંધનની શક્યતા

ચેન્નઈઃ તામિલનાડુમાં ચૂંટણી પરિણામ જાહેર થતાં જ રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીથી પાછળ રહી જતાં સી. જોસેફ વિજયની તમિળગા વેટ્રી કળગમ (TVK)એ બહુમતી મેળવવાના પ્રયાસો વચ્ચે પોતાના 108 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહાબલિપુરમના ચેંગલપટ્ટુ સ્થિત એક હોટેલમાં રાખ્યા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો હેતુ બધાને એકજૂટ રાખવાનો છે, કારણ કે TVK પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા નથી.

‘ખરીદ-વેચાણ’ અટકાવવા માટે સાવચેતીનું પગલું

ધારાસભ્યોને કડક સુરક્ષાવાળા રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ અન્ય રાજકીય પક્ષોના સંપર્કમાં આવી શકશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર રચનાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંભવિત ‘ખરીદ-વેચાણ’ અટકાવવા માટે આ સાવચેતીરૂપ પગલું લેવામાં આવ્યું છે.

તામિલનાડુમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા પરથી નેતા બનેલા વિજયની પાર્ટીએ અણધારી સફળતા મેળવી છે. 108 બેઠકો જીતીને TVK સૌથી મોટી પાર્ટી બની છે. મંગળવારે વિજયે પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેમાં તેમને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તામિલનાડુમાં 234 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થયું હતું અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં.

 

બહુમતી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન

અહેવાલ મુજબ TVK કોંગ્રેસ અને અન્ય કેટલીક પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી શકે છે. કોંગ્રેસ પાસે પાંચ બેઠકો છે, VCK પાસે 2, CPI અને CPI(M) પાસે 2-2 બેઠકો છે. જો આ તમામ પક્ષો સાથે આવે તો કુલ 11 ધારાસભ્યોનું મજબૂત સમર્થન મળશે. TVKને IUML, DMDK અથવા PMKના કેટલાક સભ્યો પાસેથી વધારાનું સમર્થન પણ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગઠબંધન બન્યા બાદ કોંગ્રેસને બે મંત્રાલય મળવાની શક્યતા છે, જ્યારે અન્ય નાના પક્ષોને એક-એક પોર્ટફોલિયો આપવામાં આવશે. TVK પોતાના સહયોગીઓને ચારથી છ મંત્રીપદ આપી શકે છે.

કવિવર ટાગોરની અમદાવાદમાં સ્મૃતિ…

ભારત અને બાંગ્લાદેશ બંને રાષ્ટ્રને રાષ્ટ્રીય ગીત આપનાર કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સાત મેના રોજ જન્મ જયંતિ છે. જનોઈ ધારણ કર્યા પછી ભારત ભ્રમણે નિકળેલા રવિન્દ્રનાથ ટાગોરે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને નિબંધો લખ્યાં.

આ મહાન સાંસ્કૃતિક સુધારાવાદી વ્યક્તિત્વનું અમદાવાદ શહેરમાં સુંદર સ્મૃતિ છે. 1960ના દાયકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી.વી. દોશીને રવિન્દ્રનાથ ટાગોરને સમર્પિત એક હોલની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. અમદાવાદના સંસ્કાર કેન્દ્ર સંકુલમાં આ વિશ્વવિભૂતિનું એક મેમોરિયલ તૈયાર થયું. 2013ના ગાળામાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું. આ સાથે રવિન્દ્રનાથ ટાગોરનું 12×24 ( બાર બાય ચોવીસ ફૂટ ) નું સ્ટેનલેસ સ્ટીલનું અનોખું વિશાળ ચિત્ર પ્રવેશ દ્વાર પર મુકવામાં આવ્યું. એમાં રવિન્દ્રનાથ ટાગોર ના હસ્તાક્ષર પણ મુકવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાગોર હોલમાં રંગમંચની સાથે સરકારી અને ખાનગી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

પંચાંગ 05/06/2026

પનીર પરાઠા

સવારના ટિફિન માટે પનીર તેમજ ચીઝના પૂરણવાળા પરાઠા હેલ્ધી તેમજ સ્વાદિષ્ટ પર્યાય છે.

સામગ્રીઃ પનીર 200 ગ્રામ, ચીઝ ક્યુબ 3, લીલા મરચાં 2-3, જીરૂ 1 ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, બાફેલાં બટેટા 2, ગરમ મસાલો ¼ ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, કાંદા 2, તેલ 2 ટી.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ,  સિમલા મરચું અડધું, ઘઉંનો લોટ 2 કપ, ઘી અથવા તેલ પરાઠા શેકવા માટે, અજમો ½ ટી.સ્પૂન, વરિયાળી ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન

રીતઃ લોટમાં અજમો તેમજ ઘી 2 ચમચી મેળવી દઈને,  નરમ લોટ બાંધી લો અને તેને ઢાંકીને 10-15 મિનિટ માટે રહેવા દો.

કાંદાને ઝીણો સમારી લો. સિમલા મરચું પણ નાના ચોરસ ટુકડામાં સમારી લેવું.

એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરા તેમજ વરિયાળીનો વઘાર કરી, લીલા મરચાં ઝીણાં સમારીને ઉમેરી દીધા બાદ સમારેલી ડુંગળી મેળવીને 2 મિનિટ સાંતળો. ડુંગળીનો રંગ બદલાય અને તે નરમ થાય એટલે તેમાં સમારેલું સિમલા મરચું 2 મિનિટ સાંતળી લીધા બાદ ગેસ બંધ કરીને સમારેલી કોથમીર મેળવો અને બાફેલાં બટેટા, પનીર તેમજ ચીઝને છીણીને ઉમેરો.

આ મિશ્રણમાં લાલ મરચાં પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાઉડર મેળવો. ચાટ મસાલામાં મીઠું હોવાથી મીઠું તે પ્રમાણે સ્વાદ મુજબ ઉમેરવું. બધું મિશ્રણ એકવાર હાથેથી સરખું મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી મધ્યમ આકારના ગોળા તૈયાર કરી લો. અથવા મિશ્રણ છૂટું જ રહેવા દો.

ગેસ ઉપર તવો ગરમ કરવા મૂકી દો.

લોટમાંથી પરાઠા માટેનો લૂવો લઈ તેને પુરી જેટલો વણી લઈને પનીરના મિશ્રણનો ગોળો લઈ, આ પુરીની વચ્ચે ગોઠવી દીધા બાદ પુરીની કિનારી ચારેકોરથી કાંગરી વાળીને લૂવો બંધ કરી દો. વધેલો લોટ કાઢીને લૂવાને હળવેથી પ્રેશ કરી લોટનું અટામણ દઈને મધ્યમ આકારનું પરોઠું વણી લો.

અથવા લૂવાની મોટી ગોળ રોટલી વણીને વચ્ચે પનીરનું મિશ્રણ ત્રિકોણાકાર ગોઠવી, તેની સામસામી બંને બાજુ વાળી દીધા બાદ નીચેની ત્રીજી બાજુ ઉપર તરફ વાળીને પેક કરી દો. બંને બાજુએ લોટ છાંટીને પરોઠું હળવેથી તેની ત્રિકોણ બાજુ વણીને ત્રિકોણાકાર પરોઠું તૈયાર થાય એટલે તવામાં ગેસની મધ્યમ આંચે શેકી લો. બંને બાજુએથી શેકાયા બાદ બંને બાજુએ ઘી લગાડીને ઉતારી લો. મિશ્રણ પરોઠામાં ચોરસ આકારમાં ગોઠવીને સામસામી બંને બાજુએથી વાળીને ચોરસ આકાર તૈયાર કરી શકાય છે.

આ પરોઠા દહીં, ચટણી કે અથાણાં અથવા દહીં-બુંદીના રાયતાં સાથે પીરસી શકાય.

૦૬ મે ૨૦૨૬

મમતાની જડતા V/S ભાજપની જીદ…

દેશભરમાં હાલ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામોની કારણ-મિમાંસા થઇ રહી છે. થવી પણ જોઇએ. ફક્ત એટલા માટે કે નહીં કે ભાજપે મમતાદીદીના ગઢમાં ભગવો લહેરાવ્યો છે, પણ એટલા માટે કે આ પરિણામો પછી દેશનો રાજકીય નકશો બદલાઇ રહ્યો છે. બદલાઇ રહેલા રાજકીય સમીકરણો આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અને 2029ની સામાન્ય ચૂંટણીની તાસીર નક્કી કરી શકે એમ છે.

કઇ રીતે? મુદ્દાસર સમજીએઃ

એકઃ આ પરિણામો પછી હવે દેશના 28માંથી 20 રાજયમાં ભાજપની એકલાની કે સહયોગી દળો સાથેની સરકાર છે. 2014માં ભાજપ દેશના 34 ટકા વિસ્તારમાં, 25 ટકા વસતિ પર શાસન કરતો હતો. આજે 2026માં એ 74 ટકા વિસ્તારમાં 78 ટકા વસતિ પર શાસન કરે છે. આઝાદી પછી દેશમાં જે સ્થાન કોંગ્રેસ ભોગવતી હતી એ સ્થાન આજે ભાજપ ભોગવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજકીય રીતે એટલા પાવરફૂલ સ્થિતિમાં છે કે આજે દેશની રાજકીય દશા-દિશા એ નક્કી કરી શકવાની સ્થિતિમાં છે.

બેઃ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પહેલીવાર કેન્દ્રમાં એકલાહાથે સત્તા પર આવ્યો ત્યારે એની જીતમાં સૌથી મોટો ફાળો ઉત્તરપ્રદેશ સહિત હિન્દીબેલ્ટના રાજ્યોનો હતો. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ સહિત સેવન સિસ્ટર ગણાતા રાજ્યોમાં ભાજપ ક્યાંય ચિત્રમાં નહોતો. 12 વર્ષમાં રાજકીય બાવો બદલાઇ ચૂક્યો છે. નકશા પર નજર કરો તો સમજાશે કે બંગાળને અડીને આવેલા ઝારખંડ સિવાય આખે આખા પૂર્વ ભારતમાં હવે ભાજપની સત્તા છે. પૂર્વમાં જે એકમાત્ર બંગાળ બાકી હતું એ પણ હવે ભાજપની ઝોળીમાં છે. જે ભાજપ એક સમયે ફક્ત હિન્દી બેલ્ટનો પક્ષ કહેવાતો એ આજે નોન-હિન્દી બેલ્ટમાં મજબૂતીથી મૂળીયાં નાખી રહ્યો છે.

ત્રણઃ કેરળમમાં કોંગ્રેસ યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટના નેજા તળે દસ વર્ષ પછી સત્તામાં વાપસી કરે છે એ ઘટના આ રાજકીય વાવાઝોડામાં અવગણવા જેવી નથી. દક્ષિણના રાજ્યોમાં નજર કરો તો, કર્ણાટક, તેલંગણા અને હવે કેરળમમાં કોંગ્રેસ સત્તામાં છે. તામિલનાડુમાં કોંગ્રેસ ડીએમકેનો સાથ છોડીને વિજેતા બનેલા એક્ટર વિજયની પાર્ટી સાથે હાથ મેળવે એવી કાનાફૂસી ઓલરેડી શરૂ થઇ ચૂકી છે. અલબત્ત, વિજયને કોંગ્રેસની જરૂર છે એના કરતાં કોંગ્રેસને સત્તામાં વિજયની સાથે રહેવાની વધારે જરૂર છે એટલે જો આ સમીકરણો આકાર લે તો દક્ષિણના રાજકીય નકશામાં કોંગ્રેસ ફરીથી કેન્દ્રમાં રહેશે. ઉત્તરમાં હિમાચલ પ્રદેશને બાદ કરતાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી. પંજાબ ત્રિશંકુ છે અને મધ્યભારતના હિન્દી બેલ્ટ પર ભાજપ ડેરાતંબુ તાણીને બેઠું છે એ સંજોગોમાં દક્ષિણના રાજ્યો કોંગ્રેસના અસ્તિત્વ માટે ઓક્સિજન સમાન છે.

આ વાતને ધ્યાનમાં રાખો તો અત્યારે 2029ની સામાન્ય ચૂંટણીના જે સમીકરણો રચાતા દેખાઇ રહ્યા છે એમાં દક્ષિણમાં કોંગ્રેસ અને ઉત્તરમાં ભાજપ એમ લડાઇ લડાતી જોવા મળે છે. અને જો એમ થાય તો, પશ્ચિમ બંગાળ સહિત નોર્થ ભારત નિર્ણાયક ભૂમિકામાં આવી શકે. ઉત્તર પ્રદેશ પછી પશ્ચિમ બંગાળ દેશની રાજનીતિનું બીજું કેન્દ્ર બની શકે છે.

ચારઃ 1984માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે છેલ્લી વખત કેન્દ્રમાં એકલાહાથે બહુમતી મેળવી એ પછી 1989-90 પછીના સમયગાળામાં દેશમાં પ્રાદેશિક પક્ષો રાજકીય સમીકરણ રચવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા. છેક 2014 સુધી દેશનું રાજકીય ચિત્ર આ પ્રાદેશિક પક્ષો નક્કી કરતા આવ્યા. કોંગ્રેસનું પતન અને ભાજપનો ઉદય- આ સમયગાળામાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા રહી, પરંતુ ઉત્તર પ્રદેશમાં માયાવતી, બિહારમાં પહેલાં લાલુ અને હવે નીતિશ, દિલ્હીમાં કેજરીવાલ, મહારાષ્ટ્રમાં ઠાકરે, તામિલનાડુમાં સ્ટાલિન અને બંગાળમાં મમતાદીદી સહિત પ્રાદેશિક નેતાઓ હાર ખમી રહ્યા છે કે સાઇડલાઇન થઇ રહ્યા છે એ એમના રાજકીય અસ્તિત્વ સામે પડકાર છે. કેન્દ્રમાં નીતિશ-નાયડુના ટેકાથી સરકાર ચાલે છે, પણ નાયડુ કે નીતિશ બેમાંથી એકપણ મોદી-શાહને કંટ્રોલ કરવાની સ્થિતિમાં નથી. પ્રાદેશિક ચોકાઓમાં હવે ભાજપને સીધો પડકાર આપી શકે એવા એકમાત્ર નેતા અખિલેશ યાદવ બચ્યા છે. બાકીના તમામ પ્રાદેશિક નેતાઓના પોતાના જ ગઢ એટલા તૂટી ચૂક્યા છે કે એ ગઢ જાળવી રાખવો જ એમના માટે હવે પડકાર છે. ઇન શોર્ટ, નજીકના રાજકીય ભવિષ્યમાં આ પ્રાદેશિક પક્ષો દેશની રાજનીતિ નક્કી કરી શકવાની સ્થિતિમાં નથી.

પાંચઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રાજકીય રણનીતિ આક્રમક તો છે જ, સાથે એ રાજકીય જીદ પણ છે. એકવાર લક્ષ્ય નક્કી કર્યા પછી એ યેનકેન પ્રકારેણ હાંસલ કરવાની જીદ. સમય સાથે ન બદલાવાના મમતાદીદીના જક્કી વલણ સામે ભાજપની આ જીદે જ બંગાળમાં જીત અપાવી છે. આ જીદના કારણે જ ભાજપ એકવાર સત્તા મેળવ્યા પછી સત્તા છોડતો નથી. આસામ એનું છેલ્લું ઉદાહરણ છે. રાજકીય જીદથી સતત સત્તા હાંસલ કરવી અને હાંસલ કર્યા પછી સત્તા જાળવી રાખવી એ ભાજપનો ટ્રેક રેકોર્ડ જોતાં, અસાધારણ સંજોગો આકાર લે એ સિવાય આગામી સમયમાં ભાજપ એટલી ઝડપથી દેશ ઉપર પોતાની રાજકીય પકડ ગુમાવે એવું લાગતું નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અભિનંદન આપતા આ વિજયને નિર્ણાયક ગણાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈના જણાવ્યા મુજબ, ટ્રમ્પે ભારતને નસીબદાર ગણાવ્યું છે કે તેની પાસે પીએમ મોદી જેવા નેતા છે. મમતા બેનર્જીના દોઢ દાયકાના શાસનનો અંત આવતા ભાજપ હવે પ્રથમવાર બંગાળમાં સત્તા સંભાળશે. પીએમ મોદીએ આ જીતને બંગાળના ભાગ્યમાં નવો અધ્યાય અને સુશાસનની જીત ગણાવી છે.

વૈશ્વિક સ્તરે જીતનો સ્વીકાર

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક જીત માટે પીએમ મોદીની પ્રશંસા કરી છે. અગાઉ થયેલી ટેલિફોનિક વાતચીતમાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત ભાગ્યશાળી છે કે તેની પાસે આવા મજબૂત નેતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બંગાળની આ જીતને પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની સૌથી મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે.

મમતા બેનર્જીના શાસનનો અંત

છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. જોકે, ભાજપે આ વખતે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જોરદાર દેખાવ કરીને 207 બેઠકો હાંસલ કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ કોઈ અચાનક આવેલું પરિવર્તન નથી પરંતુ ભાજપ દ્વારા વર્ષોથી કરવામાં આવેલી સંગઠનાત્મક મહેનતનું પરિણામ છે.

પીએમ મોદીનું સંબોધન

દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “બંગાળના નસીબમાં આજે નવો અધ્યાય જોડાયો છે. આ જનતાની શક્તિ અને સુશાસનની જીત છે.” તેમણે પશ્ચિમ બંગાળની જનતાનો આભાર માનતા જણાવ્યું કે આ જનાદેશ ભવિષ્યના સમૃદ્ધ બંગાળનો પાયો નાખશે.

ભૌગોલિક અને રાજકીય મહત્વ

પશ્ચિમ બંગાળ એ 10 કરોડથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, જેનો મતદાતા આધાર વિશ્વના અનેક દેશો કરતા પણ મોટો છે. અત્યાર સુધી ભાજપ માટે બંગાળ એક અભેદ્ય કિલ્લો ગણાતું હતું, પરંતુ આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે ભાજપે હવે પૂર્વોત્તર ભારતમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ જીતથી આગામી 2029ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું મનોબળ અનેકગણું વધી ગયું છે.

બંગાળના આ પરિણામો માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ મતદારોના વર્તનમાં આવેલા મોટા ફેરફારનો સંકેત છે. ભયમુક્ત વાતાવરણ અને વિકાસની આશાએ બંગાળમાં ભાજપના ‘કમળ’ને ખીલવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ બહુમતી માટે હજુ 11 બેઠકો ખૂટે છે. વિજયે રાજ્યપાલને પત્ર લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને બહુમતી સાબિત કરવા 15 દિવસનો સમય માંગ્યો છે. બીજી તરફ, વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ખુલ્લી અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે વિજય અપક્ષો અથવા અન્ય નાના પક્ષોના ટેકાથી મુખ્યમંત્રીની ખુરશી સુધી કેવી રીતે પહોંચે છે.

તમિલનાડુની 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં સત્તા સ્થાપવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને 118 બેઠકોની જરૂર હોય છે. વિજયની પાર્ટીએ 108 બેઠકો પર જીત મેળવી છે, પરંતુ ટેકનિકલ રીતે તેમની પાસે 107 બેઠકો જ ગણાશે કારણ કે વિજય પોતે બે બેઠકો (પેરમ્બુર અને ત્રિચી ઈસ્ટ) પરથી જીત્યા છે અને નિયમ મુજબ તેમણે એક બેઠક છોડવી પડશે. આ ઉપરાંત, એક ધારાસભ્ય સ્પીકર બનશે, જે સામાન્ય સંજોગોમાં મતદાન કરી શકતા નથી. આ ગણિત મુજબ, વિજયને સ્થિર સરકાર ચલાવવા માટે અન્ય 11 થી 12 ધારાસભ્યોના સમર્થનની તાતી જરૂરિયાત છે.

આ રાજકીય ગડમથલ વચ્ચે વિજયના પિતા અને જાણીતા ફિલ્મમેકર એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસને સાથ આપવા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ જેવી જૂની અને પરંપરાગત પાર્ટી સત્તા વિના નબળી પડી રહી છે, અને વિજય તેમને નવી તાકાત આપવા માટે તૈયાર છે. જો કોંગ્રેસ (5 બેઠકો) અને અન્ય નાના પક્ષો જેવા કે VCK, CPI, અને PMK (4 બેઠકો) માંથી સમર્થન મળે, તો વિજય સરળતાથી બહુમતીનો આંકડો પાર કરી શકે છે. ડીએમકે ગઠબંધનમાં ગાબડું પાડીને પોતાના પક્ષે ધારાસભ્યો લાવવા એ વિજય માટે મોટો પડકાર છે.

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને લખેલા પત્રમાં વિજયે 15 દિવસનો સમય માંગ્યો છે જેથી તેઓ જરૂરી સમર્થન એકઠું કરી શકે. રાજ્યપાલના નિર્ણય પર હવે બધો આધાર છે કે તેઓ સૌથી મોટા પક્ષ તરીકે TVK ને ક્યારે આમંત્રણ આપે છે. બીજી તરફ, પરિણામો બાદ રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વિજયના નિવાસસ્થાન નીલંકરઈ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની જેમ તમિલનાડુમાં પણ આ વખતે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ તે સત્તાવાર બને તે પહેલા રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.