કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલકાતામાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. આરોપ છે કે સેકન્ડ યરની એક યુવતી સાથે બોય્ઝ હોસ્ટેલમાં બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને એક સંદિગ્ધની ધરપકડ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ જ્યારે પીડિતા બોય્ઝ હોસ્ટેલમાં પહોંચી, ત્યારે તેને પહેલાં પિત્ઝા અને સોફ્ટ ડ્રિન્ક આપવામાં આવ્યાં હતાં. થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે પોતાને હોસ્ટેલમાં જોઈ અને તેને સમજાયું કે તેની સાથે બળાત્કાર થયો છે.
પીડિતાએ એ પણ આરોપ મૂક્યો છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છતાં તેણે ડરી ગયા વિના નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ એક યુવકને ડિટેન કરી ચૂકી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે પીડિતા અને આરોપી વચ્ચે સૌપ્રથમ સોશિયલ મિડિયામાં મુલાકાત થઈ હતી. યુવતીને એક અન્ય વ્યક્તિ સાથેના વિવાદને લઈને ટેન્શન હતું, જેથી તેણે આરોપીની મદદ માગી. ત્યાર બાદ આરોપીએ તેને કેમ્પસમાં બોલાવ્યો. એ સમયે એક કોમન મિત્ર પણ બંને સાથે હોસ્ટેલ ગયો હતો, પરંતુ થોડા સમય પછી આરોપીએ યુવતી સાથે એકાંતમાં વાત કરવાની વાત કરી.
હમણાં પોલીસ CCTV ફુટેજ ચેક કરી રહી છે અને કેમ્પસના વિદ્યાર્થીઓની પૂછપરછ પણ ચાલી રહી છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે યુવતી પાસેથી વિઝિટિંગ રજિસ્ટરમાં સાઇન પણ લેવાયા નહોતા. કેમ્પસના નિયમો અનુસાર કોઈ બોય્ઝ હોસ્ટેલમાં આવે તો તેને પહેલાં રજિસ્ટરમાં સહી કરાવવાનું રહે છે, પણ અહીં એ થયું નહોતું.
આ ઘટના કોલેજ કેમ્પસની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. આ પહેલાં પણ કોલકાતા લો કોલેજમાંથી એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો, જેમાં પીડિતાની સાથે ગેંગરેપ થયો હતો. તે કેસમાં પણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા હતા.
અમદાવાદઃ ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન ઓફ ગુજરાત (IJFA)એ પાંચ દાયકાથી વધુ સમયથી અનન્ય ઓળખ અને સદ્ભાવનાનો આનંદ માણ્યો છે, જે ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ ધપાવવામાં અગ્રેસર છે. ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિયેશન ગુજરાત દ્વારા ગર્વભેર તેની સુવર્ણ જયંતી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ૧૯૭૫માં તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનાં ૫૦ યાદગાર વર્ષોનું પ્રતીક અને ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ છે.
આ મહત્વપૂર્ણ અવસરે સુપ્રતિષ્ઠિત મુખ્ય અતિથિ- ભારતમાં જાપાનના રાજદૂત મહામહિમ કેઇચીઓનો, ભારતમાં ગુજરાતના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ, AMAના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા અને ભારતમાં જાપાન એમ્બેસીના ઈકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર ક્યોકો હોકુગો ઉજવણીમાં જોડાયાં હતાં તેમણે “જાપાન આર્ટોપીડિયા”નું વિમોચન કર્યું હતું કે જે “ટાઈમલેસ આર્ટ્સ વુવન ટુગેધર… અનફોલ્ડિંગ ધ જાપાનીઝ સ્પિરિટ.” પર પ્રકાશ પાડે છે અને સાહિત્યિક કલા, લલિત કલા, પર્ફોર્મિંગ આર્ટ્સ અને માર્શલ આર્ટ્સ સહિત વિવિધ જાપાનીઝ કલા સ્વરૂપો પ્રદર્શિત કરે છે.
— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) July 11, 2025
“કેમ છે – કોનિચિવા” થીમ હેઠળની આ ઉજવણીમાં “ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન”ના અનોખા સાંસ્કૃતિક અને રસોઈ બનાવવાના અનુભવો આપવામાં આવ્યા હતા.
સુવર્ણ જયંતી ઉજવણીના ઔપચારિક લોન્ચમાં “કમ્પાઈ” ટોસ્ટ અને રસોઈ બનાવવાનો અનુભવ “ઓઈશી: નિપ્પોનનો સ્વાદ… ગુજરાતી અંદાજમાં.”નો સમાવેશ થતો હતો, જેમાં સાત પ્રકારના ગુજરાતી-જાપાનીઝ ફ્યુઝન ડિનર હતું. આ અનોખી પહેલ અમદાવાદ, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ દ્રારા પ્રેરિત અને હયાત રિજન્સી અમદાવાદ દ્રારા સમર્થિત હતી.
બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20I મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ હાર્યા બાદ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા માટે મેદાનમાં આવી અને આ સાથે એક મોટો ઇતિહાસ રચાયો.
ખરેખર, ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ આ મેચમાં ભાગ લઈને એક રેકોર્ડ બનાવ્યો છે. મંધાના 150 T20I મેચ રમનારી બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. એટલું જ નહીં તે 150 T20I મેચ રમનારી કુલ ત્રીજી ભારતીય ક્રિકેટર છે. આ પહેલા ફક્ત રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.
સ્મૃતિ મંધાના સહિત વિશ્વની ફક્ત 9 ખેલાડીઓએ અત્યાર સુધીમાં 150 કે તેથી વધુ T20I મેચ રમી છે. મંધાના તેમાંથી એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ખેલાડીની આ સિદ્ધિ કેટલી મોટી છે. મંધાનાએ અત્યાર સુધીની કારકિર્દીમાં ભારતીય મહિલા ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ મેચોમાં મેચવિનિંગ ઇનિંગ્સ રમી છે અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, પરંતુ તેનો આ રેકોર્ડ પોતાનામાં ખૂબ જ ખાસ છે.
સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ભારતીય ઇનિંગ્સની શરૂઆત જ્વલંત શૈલીમાં કરી. પહેલી જ ઓવરમાં બંનેએ મળીને 11 રન બનાવ્યા. ત્યારબાદ, તેમણે બીજી ઓવરના પહેલા બોલ પર સિંગલ ચોરીને વિશ્વ રેકોર્ડ તોડ્યો. તમને જણાવી દઈએ કે, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મળીને મહિલા T20Iમાં સૌથી વધુ રનની ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે કુલ 2724 રનની ભાગીદારી થઈ છે. અગાઉ આ રેકોર્ડ એલિસા હીલી અને બેથ મૂનીના નામે હતો.
મહિલા T20I માં સૌથી વધુ રનની ભાગીદારી (કોઈપણ વિકેટ)
ભુવનેશ્વરઃ સામાજિક પરંપરાઓની સામે જઈને એક મહિલાએ પોતાના ફોઈના પુત્ર સાથે લગ્ન કર્યાં જેના બદલામાં તેને એવી સજા આપવામાં આવી કે જે માનવતાને શરમાવે એવી છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનો દ્વારા નવવિવાહિત દંપતીને જબરદસ્તી ખેતરમાં લઈ જઈને હળમાં બળદોની જગ્યાએ જોડાઈને જમીન જોતરાવવામાં આવી. આ શરમજનક ઘટના ઓડિશાના રાયગઢ જિલ્લામાં બની છે અને તેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોને લઈ ઈન્ટરનેટ પર મતમતાંતર છે – ઘણા લોકો ગ્રામજનોની નિંદા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સામાજિક પરંપરા તોડવા બદલ આપવામાં આવેલી ‘તાલિબાની સજા’ને યોગ્ય ઠેરવી રહ્યા છે.
ગામમાંથી ભાગીને કર્યા હતાં લગ્ન અહેવાલ અનુસાર રાયગઢ જિલ્લાના આદિવાસી સમુદાયના કાંજમજોડી ગામના રહેવાસી લાકા સારકા (ઉંમર 28) ને કોદિયા સારકા (ઉંમર 31) સાથે પ્રેમ સંબંધ હતો. લાકા સંબંધે કોદિયાના પિતાની બહેન એટલે કે તેની ફોઈનો પુત્ર છે. બંનેના એક જ ગોત્રના હોવાથી અને નિકટન સંબંધ હોવાથી સ્થાનિક આદિવાસી પરંપરાઓ અનુસાર તેમનાં લગ્ન શક્ય ન હતાં. એ કારણે બંને ઘરે છોડીને ભાગી ગયાં અને લગ્ન કરી લીધાં.
ગામ તમાશો જોતો રહ્યો
લોકો તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ પણ આ ક્રૂરતાને અટકાવવાનો પ્રયત્ન કર્યો નહીં. આ અપમાનજનક અને અમાનવીય સજા પછી બંનેને ગામના મંદિર લઈ જવામાં આવ્યાં, જ્યાં ‘શુદ્ધીકરણ અનુષ્ઠાન’ કરાવવામાં આવ્યું, જેથી સમુદાય અનુસાર આ ‘અપવિત્ર લગ્ન’થી તેમને ‘પવિત્ર’ બનાવી શકાય.
પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે. આવા સમયે CM નીતીશકુમારે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પછી રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પહેલાં નીતીશ સરકારે જનતાને મોટી ભેટ આપી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ દાવ ચાલ્યો છે.
બિહાર સરકાર રાજ્યના દરેક પરિવારને 100 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના બનાવી રહી છે. ઊર્જા વિભાગના પ્રસ્તાવને નાણાં વિભાગે મંજૂરી આપી દીધી છે અને હવે કેબિનેટમાં બહુ જલદી એ સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
ચૂંટણીના વર્ષમાં સીધી રાહત
આ યોજના અમલમાં આવ્યા પછી લાખો વીજળીના વપરાશકર્તાઓને સીધો લાભ મળશે. 100 યુનિટ મફત વીજળીથી દરેક પરિવારને દર મહિને વીજ બિલમાં મોટો હળવો અનુભવાશે અને તેમનાં ખિસ્સાં પરનો ભાર ઘટશે. તે માસિક થોડા રૂપિયાની બચત કરી શકશે. હવે તમામની નજર કેબિનેટની બેઠક પર છે જ્યાં આ યોજનાને અંતિમ મંજૂરી મળવાની શક્યતા છે. જો બધું આયોજન મુજબ રહેશે, તો બિહારના લાખો પરિવારોને વીજળીના બિલમાં મોટી રાહત મળશે.
બિહારમાં 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની મતબેંકને મજબૂત બનાવવા માટે લાગી ગઈ છે. આવી સ્થિતિમાં નીતીશ સરકારનો આ દાવ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તે સીધા પરિવારો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો પણ આ યોજના પર પોતાની પ્રતિક્રિયા આપવાની તૈયારીમાં છે.
કેન્દ્ર સરકાર પણ વીજ બિલમાં રાહત આપવા માટે ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત ફાયદો મેળવવા માટે અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે જગ્યા હોવી જોઈએ અને વીજ કનેક્શન હોવું જોઈએ. આ સાથે પેનલ માટે અગાઉ કોઈ સબસિડી ન મળી હોય તે પણ જરૂરી છે.
મ્યાનમારના સાગાઈંગ ક્ષેત્રમાં, આતંકવાદી સંગઠન ઉલ્ફા (I) એ દાવો કર્યો છે કે ભારતીય સેનાએ મ્યાનમાર સરહદ પર તેમના કેમ્પ પર ડ્રોન હુમલો કર્યો છે. ઉલ્ફા (I) ના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક વરિષ્ઠ નેતા માર્યો ગયો છે અને લગભગ 19 લોકો ઘાયલ થયા છે. જોકે, સંરક્ષણ પ્રવક્તાએ આ ઘટનાની જાણકારીનો ઇનકાર કર્યો છે. સેનાએ આવી કોઈ કાર્યવાહીની જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. ઉલ્ફાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેમના વરિષ્ઠ નેતા માર્યા ગયા છે.
ઉલ્ફા (I) એ એક નિવેદનમાં કહ્યું છે કે વહેલી સવારે અનેક મોબાઇલ કેમ્પ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ સંગઠનનો દાવો છે કે આ હુમલામાં પ્રતિબંધિત સંગઠનનો એક વરિષ્ઠ નેતા માર્યો ગયો છે, જ્યારે લગભગ 19 અન્ય ઘાયલ થયા છે. ઉલ્ફાના આ દાવા પર, લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યું, “ભારતીય સેના પાસે આવી કોઈ કાર્યવાહી વિશે કોઈ માહિતી નથી.”
જો સૂત્રોનું માનીએ તો, આ ડ્રોન હુમલામાં ઉલ્ફા-I ઉપરાંત, NSCN-K ના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ સંગઠનના ઘણા કાર્યકરો પણ માર્યા ગયા છે. જોકે, સેનાનું સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર આવ્યું નથી.
ધર્મ મનમાં હોય છે કે આચરણમાં? સામાન્ય રીતે લોકો ધર્મ અને અધર્મને આચરણ સાથે સરખાવતા હોય છે. દા.ત. કોઈ વડીલ રોજ મંદિરે જાય, પૂજાપાઠ કરે, પવિત્ર દિવસોએ ઉપવાસ કરે અને અનુષ્ઠાનો માટે મોટી રકમ દાનમાં આપે તો એને ધાર્મિક વ્યક્તિ કહેવાય છે અને કોઈ યુવાન પબમાં જાય, ક્યારેક દારૂ પીએ, મંદિરે ન જાય અને ઉપવાસ ન કરે તો એને અધાર્મિક વ્યક્તિ કહેવાય છે.
આપણે આ બન્ને વ્યક્તિઓની માનસિકતા વિશે ઉંડા ઊતરીએ. મંદિરે જનાર વૃદ્ધ વ્યક્તિ રસ્તામાં હંમેશાં યુવતીઓને કુદૃષ્ટિએ જોયા કરતાં હોય છે અને જ્યારે પણ કોઈ દાન કરે ત્યારે પોતાનું નામ મોટા અક્ષરે લખાય કે છપાય એવો આગ્રહ રાખે છે. તેઓ દાનમાં મોટી રકમ ખર્ચી નાખે છે, પણ ફેરિયાઓ, દૂધવાળા, શાકવાળા, વગેરે સાથે નાની-નાની રકમ માટે ભાવતાલ કરતા હોય છે.
બીજી બાજુ, યુવાન જ્યારે પણ કોઈ યુવતીની સામે લાગણી પ્રદર્શિત કરવા માટે તેને ભેટે ત્યારે ઘણો સંયમ રાખે છે, ક્યારેક કોઈ સ્ત્રીમિત્ર નશામાં આવી જાય તો એને ઘરે મૂકીને આવે છે; ક્યારેય એ સ્થિતિનો ગેરલાભ ઉઠાવતો નથી, દર શનિવારે-રવિવારે સામાજિક સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા બજાવે છે અને ક્યારેય એ સંસ્થાઓ પાસેથી કોઈ લાભ મેળવવાની અપેક્ષા રાખતો નથી.
હવે તમે જ કહો, આમાં ધાર્મિક કોણ અને અધાર્મિક કોણ?
હાલમાં અમારા એક પરિચિતને મળવાનું થયું. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે છે. તેમણે કહ્યું કે હવે તેઓ વધુ ધાર્મિક બની ગયાં છે. હું ગૂંચવાઈ ગયો. મને પ્રશ્ન થયો કે ધાર્મિક બનવું એટલે શું? શું તેઓ અત્યાર સુધી ધાર્મિક ન હતાં કે ઓછાં ધાર્મિક હતાં? આ સવાલોના જવાબ મળે એ માટે મેં એમને ખુલાસો કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો, “હવેથી હું ધર્મગ્રંથો વાંચવા લાગી છું, ઉપવાસ પણ કરું છું અને રોજ મંદિરે જાઉં છું.” તેઓ જે પ્રવૃત્તિઓ કરે છે એ બધી જ સારી છે, પરંતુ શું એ એકમાત્ર કારણસર તેઓ ધાર્મિક બની જાય છે?
તમે અમુક પ્રકારનું ખાવાનું ખાઓ કે ન ખાઓ તેને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. અમુક ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે હંમેશાં સારો હોય છે અને એનો ખોરાક લેવો જ જોઈએ, પરંતુ તેને બીજી કોઈ બાબત સાથે સાંકળી શકાય નહીં.
મારી દીકરીની મિત્રના પિતા દરરોજ અલગ અલગ મંદિરે જઈને પૂજા-અર્ચના કરે છે. એમના ઘરની પ્રથા મુજબ એમની દીકરી પણ સાત્ત્વિક ખોરાક ખાય છે અને વારે-તહેવારે ઉપવાસ કરે છે. એ ભાઈ એક દિવસ નાણાકીય આયોજન માટે મારી પાસે આવ્યા હતા. તેઓ ઘણા ખિન્ન હતા. એમની સાથે વાત કરવાથી ખબર પડી કે એમણે ભૂતકાળમાં ઘણી મોટી આવક સરકારથી છુપાવી હતી અને હવે એ બાબતે મુશ્કેલી વધી રહી છે. મેં કહ્યું, “તમે તો રોજ મંદિરે જાઓ છો, ઉપવાસ કરો છો અને સાત્ત્વિક ખોરાક લો છો, તમે આટલા બધા ધાર્મિક હોવા છતાં આવક કેમ છુપાવી?” તેમણે સામું પૂછ્યું, “આવક છુપાવવાની વાતનો ધાર્મિકતા સાથે શું સંબંધ?”
આના પરથી કહી શકાય કે ધર્મ મનની વાત છે, એને આચરણ સાથે કોઈ સંબંધ નથી.
યોગિક સંપત્તિ પણ મનની વાત છે, એને આચરણ સાથે કોઈ સંબંધ નથી. તમને શાંતિ અને પ્રસન્નતા મળે એવી સંપત્તિનું સર્જન કરો. આવક કરીને સરકારથી છુપાવવાનો કોઈ અર્થ નથી. ભગવાન સંપત્તિનું સર્જન કરવા માટે આવક આપે છે, પણ તમારે તેને સન્માર્ગે, મુખ્ય માર્ગે ઘરમાં આવવા દેવી, છુપાવીને નહીં. તમને તમારી આવકથી સંતોષ અને શાંતિ મળવાં જોઈએ તથા ગૌરવ અનુભવાવું જોઈએ. ડર અને માનસિક તાણ જેવી લાગણીઓ સર્જે એવી આવક અને સંપત્તિ કોઈ કામની નથી.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
અમિતાભ બચ્ચનનો ફિલ્મ ‘નમક હલાલ’ (1982) નો અંગ્રેજી સંવાદ જેટલો જાણીતો છે એટલો એના પછીની ‘આખરી રાસ્તા’ (1986) નો ભલે ના હોય પણ એ વાર્તામાં મહત્વનો બની રહે છે. ‘નમક હલાલ’ નો ‘આઈ કેન ટોક ઈંગ્લીશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન રન ઈંગ્લીશ, બીકોઝ ઈંગ્લીશ ઈઝ અ વેરી ફની લેન્ગ્વેજ’ સંવાદ સાંભળીને હાસ્ય, સમય અને ભાષા સાથે રમવાની અમિતાભ બચ્ચનની ક્ષમતા દર્શાવે છે. જ્યારે ‘આખરી રાસ્તા’નો અંગ્રેજી સંવાદ ડેવિડના પાત્રને એક આધુનિક અને શિક્ષિત માણસ તરીકે સ્થાપિત કરે છે. તેમનું એ દ્રશ્ય ફિલ્મના એકંદર સ્વર અને સંદેશને પણ મજબૂત બનાવે છે.
આ ફિલ્મમાં ન્યાય માટે લડતા પિતા અને પુત્રની વાર્તા છે. અમિતાભ ડબલ રોલમાં દેખાય છે. અમિતાભ બચ્ચનનો આ અંગ્રેજી સંવાદ એક મહત્વપૂર્ણ દ્રશ્યમાં આવે છે જ્યાં તેમનું પાત્ર ડેવિડ ડિસોઝા (જે એક શ્રીમંત ઉદ્યોગપતિ છે) તેમના પુત્ર વિજય (જે એક વકીલ છે) તેની સાથે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે છે. આ દ્રશ્યમાં ડેવિડ તેમના પુત્રને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેણે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ. આ સંવાદ ફિલ્મના પ્લોટ અને પાત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જાય છે. નિર્દેશક કે. ભાગ્યરાજ એવું ઇચ્છતા હતા કે પિતા અને પુત્ર વચ્ચેની ચર્ચા અંગ્રેજીમાં થાય. અમિતાભ આ માટે તૈયાર થઈ રહ્યા ન હતા. અમિતાભે કહ્યું કે અમારા દર્શકો અંગ્રેજીમાં આટલા બધા સંવાદો સમજી શકશે નહીં અને કંટાળી જશે. કે. ભાગ્યરાજે સંવાદો ફક્ત અંગ્રેજીમાં રાખવાનો આગ્રહ રાખ્યો. આ બાબતે બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ.
અમિતાભને ત્યારે આશ્ચર્ય થયું કે નિર્દેશક તેમની વાત સાથે સહમત થઈ રહ્યા નથી. ફિલ્મના નિર્માતા એ. પૂર્ણચંદ્રરાવ પણ ત્યાં હાજર હતા. નિર્દેશક કે. ભાગ્યરાજે અમિતાભને આખું દ્રશ્ય વિગતવાર સમજાવ્યું કે ડેવિડ અભણ માણસ છે. તેની પત્ની (જયાપ્રદા) શિક્ષિત હતી. તેણીએ તેને વાંચતા અને લખતા શીખવ્યું હતું. એક દ્રશ્યમાં તે તેના અજન્મા બાળક વિશે કહે છે કે એ દિવસ આવવા દો જ્યારે તે પણ અંગ્રેજીમાં બોલશે અને તમે પણ અંગ્રેજીમાં બોલશો. પછી જોઈશું કોણ જીતે છે. પિતાને આ યાદ છે. તેથી જ આ દ્રશ્યમાં તે તેના પુત્ર સાથે અંગ્રેજીમાં દલીલો કરે છે.
અમિતાભે પોતાની દલીલ રાખી કે મોટાભાગના લોકો અંગ્રેજી સંવાદો સમજી શકશે નહીં. કે. ભાગ્યરાજે કહ્યું કે જ્યારે તમે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરશો ત્યારે લોકો તાળીઓ પાડશે. કેમકે આ દ્રશ્યમાં શું કહેવામાં આવી રહ્યું છે તે મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે બંને અંગ્રેજીમાં બોલી રહ્યા છે. નિર્દેશકે કહ્યું કે જો તમને આ બાબતે અનુકૂળતા ના હોય તો આખું દ્રશ્ય એકવાર હિન્દીમાં પણ કરીશું. અમિતાભે કહ્યું કે હવે દ્રશ્ય ફક્ત અંગ્રેજીમાં જ કરીશું. કે. ભાગ્યરાજની સમજાવટ પછી અમિતાભ સંમત થઈ ગયા હતા. નિર્દેશકનો નિર્ણય એકદમ સાચો હતો. સિનેમા હોલમાં આ દ્રશ્ય શરૂ થતાં જ લોકોએ સિનિયર કહેવાનું શરૂ કર્યું હતું. અને પડદા પર અંગ્રેજીમાં અમિતાભને વાત કરતા જોઈને ખુશીથી તાળીઓ પાડતા હતા.
નવી દિલ્હીઃ સીલમપુર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના કાટમાળમાં ઓછામાં ઓછા 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ પહેલાં દિલ્હીના મુસ્તફાબાદમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. હાલ તો ઈમારત કયા કારણસર ધરાશાયી થઈ, એ સ્પષ્ટ થયું નથી, અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવાયા છે અને રાહત કાર્ય હજુ ચાલુ છે.
રાજધાનીના વેલકમ વિસ્તારમાં ઘટના બની છે જ્યાં ઘણી સાંકડી ગલીઓ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત અગ્નિશામક દળની સાત ગાડીઓ હાજર છે. આ ઘટના સવારે સાત વાગ્યે આસપાસ બની હતી, ત્યાર બાદ તરત જ રેસ્ક્યુ ટીમને મોકલવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સત્તાવાળાઓ શક્ય તેટલી ઝડપે બચાવ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલાં જૂની દિલ્હીના સદર બજારના મીઠાઈ પુલ વિસ્તારમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે લગભગ બે વાગ્યે ત્રણ ઈમારતો ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના જનકપુરી પશ્ચિમથી આર.કે. આશ્રમ માર્ગ સુધી બની રહેલી મેટ્રોની નવી ટનલના નજીકમાં બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRCએ) ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય રકમ આપવાનું જાહેર કર્યું હતું.
મુસ્તફાબાદ સ્થિત દયાલપુર વિસ્તારમાં પણ એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તે દુર્ઘટનામાં પણ ચાર લોકોનાં મોત થયાં હતાં.