Home Blog Page 725

‘ડોન 3’ થી અલગ થયા બાદ વિક્રાંતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું

બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી હાલમાં શ્રી શ્રી રવિશંકરના જીવન પર આધારિત બાયોપિક ‘વ્હાઇટ’ ના શૂટિંગ માટે કોલંબોમાં છે. ’12મી ફેઇલ’ જેવી ફિલ્મથી ઊંડી છાપ છોડનાર વિક્રાંત હવે એક એવી ભૂમિકામાં જોવા મળવાના છે જેના માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ અભિનેતા એક મહિના માટે કોલંબોમાં શૂટિંગ કરશે. ફિલ્મ ‘વ્હાઇટ’નું દિગ્દર્શન મોન્ટુ બાસી કરી રહ્યા છે અને આ ફિલ્મ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના જીવનની પ્રેરણાદાયી યાત્રાને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રાંત કોલંબોમાં રહી ફિલ્મના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરશે, જેમાં કોલંબિયામાં શાંતિ સ્થાપિત કરવામાં ગુરુજીની ભૂમિકા ખાસ દર્શાવવામાં આવશે.

થોડા સમય પહેલા શ્રી શ્રી રવિશંકર સાથેની મુલાકાતની તસવીરો શેર કરતી વખતે વિક્રાંતે એક ભાવનાત્મક નોંધ લખી હતી જેમાં તેણે ગુરુદેવના વિશાળ વ્યક્તિત્વને પડદા પર દર્શાવવાની જવાબદારી અંગેના પોતાના ડરનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે આ ભૂમિકા ભજવવી સરળ નહીં હોય, પરંતુ તે આ પાત્રમાં પ્રવેશવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

આ ફિલ્મમાં કોલંબિયાના 52 વર્ષ લાંબા ગૃહયુદ્ધના અંતમાં શ્રી શ્રી રવિશંકર દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાનું વર્ણન કરવામાં આવશે. આ એ જ ઐતિહાસિક સમય હતો જ્યારે તેમની મધ્યસ્થી દ્વારા બે કટ્ટર વિરોધી જૂથો વચ્ચે શાંતિ કરાર થયો હતો. આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારોની ભાગીદારી પણ દર્શાવવામાં આવશે, જે તેને વૈશ્વિક સ્તરે એક શક્તિશાળી બાયોપિક બનાવશે. મીડિયાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે વિક્રાંત મેસીએ આ પ્રોજેક્ટ પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે અને તે પાત્રને સંપૂર્ણ સમર્પણ સાથે આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તેમની કારકિર્દીનો ખૂબ જ પડકારજનક પરંતુ આદરણીય તબક્કો છે.

‘વ્હાઇટ’ ની રિલીઝ તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટર અને કેટલીક ઝલક ટૂંક સમયમાં દર્શકો સમક્ષ આવી શકે છે. તે જ સમયે, વિક્રાંત છેલ્લે ‘આંખો કી ગુસ્તાખિયાં’માં જોવા મળ્યો હતો અને તેણે તાજેતરમાં સર્જનાત્મક મતભેદોને કારણે ‘ડોન 3’ થી પોતાને દૂર કરી દીધા છે.

ગુજરાત ATSએ આતંકી મોડ્યુલના માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના મુખ્ય ષડ્યંત્રકર્તાની ધરપકડ કરી છે. શમા પરવીન નામની આ મહિલા શખસની ધરપકડ બેંગલુરુથી કરવામાં આવી છે. આ પહેલાં ATSએ પકડી પાડેલા ચાર અલકાયદા આતંકીઓ પાસેથી મળેલાં સૂત્રોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ATS અલકાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટના ચાર આતંકીઓને પકડી પાડ્યા છે. મંગળવારે એક વધુ મોટી સફળતા મળી છે. બેંગલુરુની રહેવાસી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જે અત્યંત રેડિકલાઈઝ્ડ છે. આ મહિલા ખાસ કરીને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરતી હતી. તેના પાસેથી અનેક ડિવાઈસ મળ્યાં છે અને તે પાકિસ્તાન સાથેના મહત્વપૂર્ણ કનેકશન્સ ધરાવે છે.

ATSએ વધુ જણાવ્યું હતું કે પોલિસિંગને આધારે અત્યાર સુધીમાં ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કાર્યરત પાંચ મહત્વપૂર્ણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના આતંકીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.

એટીએસે અગાઉ પકડ્યા હતા 4 આતંકી

ગુજરાત ATSએ આ પહેલાં અલકાયદાના AQIS (Al-Qaeda in Indian Subcontinent) મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ચાર શંકાસ્પદ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી બે, દિલ્હી અને નોઈડામાંથી એક-એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ આતંકીઓની ઉંમર 20થી 25 વર્ષ વચ્ચેની છે.

આ આતંકીઓને ભારતમાં મોટા ટાર્ગેટ અને મહત્વપૂર્ણ સ્થળોએ હુમલો કરવાની જવાબદારી આપવામાં આવતી હતી. તપાસમાં ખૂલ્યું છે કે આ ચારેય આતંકીઓ સોશિયલ મિડિયા એપ્લિકેશનોના માધ્યમથી એકબીજાથી જોડાયેલા હતા અને તેમનાં સીમાપાર કનેક્શન્સ પણ પૃષ્ઠભૂમિમાં જોવા મળ્યાં છે.

ATSનું નિવેદન

વર્ષ 2023માં પણ આ આતંકી સંગઠન સાથે જોડાયેલા આરોપોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષો પછી સેટ પર સ્મૃતિ ઈરાનીનું વર્તન કેવું છે, ‘ક્યુંકી…2’ ના હિતેને શેર કર્યો અનુભવ

એકતા કપૂરના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ મંગળવારે નાના પડદા પર પાછો ફર્યો. સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીની ભૂમિકા ફરી ભજવી રહી છે. અભિનેતા હિતેન તેજવાનીએ કરણ વિરાણી તરીકેના તેમના પુનરાગમન વિશે ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે આટલા વર્ષો પછી સ્મૃતિ ઈરાની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

હિતેન આ શોનો ભાગ બનીને ખુશ છે

હિતેન તેજવાનીએ જણાવ્યુ કે,’ક્યુંકી’ જેવા શોનો ભાગ બનવું અને લગભગ 25 વર્ષ પછી પાછા ફરવું એ એક સન્માનની વાત છે. એવું લાગે છે કે આપણે ક્યારેય અટક્યા નથી. એવું લાગે છે કે આપણે જ્યાંથી છોડી હતી ત્યાંથી જ શરૂઆત કરી છે. હું ખરેખર ખુશ હતો. છેવટે,’ક્યુંકી’ જેવો પ્રખ્યાત શો કેટલી વાર પાછો આવે છે? હું ફરીથી તેનો ભાગ બનવા બદલ આભારી છું.’

હિતેન સ્મૃતિના વખાણ કરે છે

હિતેન સ્મૃતિ વિશે કહે છે,’તે સેટ પર હજુ પણ એવી જ છે. તેણે જે કંઈ મેળવ્યું છે તે છતાં તેની પાસે એ જ ઉર્જા છે.’

રાજકારણમાં સ્મૃતિ ઈરાની

હિતેન સેટ પર સ્મૃતિ સાથે કામ કરવા વિશે પણ ખુલીને વાત કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મૃતિએ રાજકીય કારકિર્દી શરૂ કરી. તે ભારતીય જનતા પાર્ટીની સભ્ય બની. તે 2011 થી 2024 સુધી સંસદ સભ્ય રહી. તે 2011 થી 2019 સુધી ગુજરાતથી રાજ્યસભા સભ્ય અને 2019 થી 2024 સુધી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી લોકસભા સભ્ય રહી.

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ વિશે

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી અને સફળ ભારતીય ધારાવાહિકોમાંની એક બની. બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ શો ૩ જુલાઈ 2000 થી 6 નવેમ્બર 2008 દરમિયાન સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો. એકતા કપૂર દ્વારા નિર્મિત, આ શો 1800 થી વધુ એપિસોડ પ્રસારિત થયો.

ચીની કંપનીના ભગવાન જગન્નાથના ડોરમેટથી વિવાદઃ લોકોમાં ભારે રોષ

નવી દિલ્હીઃ ચીનની ઈ-કોમર્સ કંપની અલી એક્સપ્રેસે (AliExpress)એ બેશરમીની હદ પાર કરતાં હિંદૂ ધર્મ અને કરોડો ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી છે. કંપનીએ તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથની તસવીરવાળું ડોરમેટ વેચવાનું શરૂ કર્યું છે, જેને લઈને ભારત, ખાસ કરીને ઓડિશાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડિયા પર પણ લોકો કંપનીનો ભારે વિરોધ કરી રહ્યા છે.

આ આશ્ચર્યજનક ઘટના ત્યારે સામે આવી જ્યારે લોકોએ કંપનીની વેબસાઈટ પર ભગવાન જગન્નાથનો ચહેરો ડોરમેટ (પગ લુછણિયા) પર છપાયેલો જોયો. આ પ્રોડક્ટની જાહેરાતમાં એક વ્યક્તિને તેના પર પગ લૂછતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ડોરમેટના વર્ણન (ડિસ્ક્રિપ્શન)માં તેને “ભેજ શોષી લેતો” અને “લપસતા અટકાવતો” તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે ભક્તોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે આ જાણબૂજીને લાગણીઓને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે.

 

શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના પૂર્વ સભ્ય માધવ પૂજાપાંડાએ આ ઘટનાની તીવ્ર નિંદા કરતાં કહ્યું છે કે આ અમારી શ્રદ્ધા પર સીધો હુમલો છે. તેમણે માગ કરી છે કે મંદિર વહીવટી તંત્ર ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર તરત જ આ મામલે કડક પગલાં લે. તેમનું કહેવું છે કે આ માત્ર એક પ્રોડક્ટની વાત નથી. મહાપ્રસાદ અને પતિતપાવન બાણા જેવા પવિત્ર શબ્દોનો પણ વારંવાર ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની પવિત્ર ઓળખની રક્ષા માટે કોપિરાઇટ કાયદાઓને કડક રીતે લાગુ કરવું જરૂરી છે.

#BoycottAliExpressની માગ

આ ઘટનાને પગલે સોશિયલ મિડિયા પર #RespectJagannath અને #BoycottAliExpress જેવા હેશટેગ સાથે લોકોએ વિરોધ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. લોકો ભારે ગુસ્સામાં છે અને કંપનીને માફી માગવાની તેમ જ આ પ્રોડક્ટને તરત જ હટાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભગવાન જગન્નાથ માત્ર દેવતા નથી, પણ ઓડિયા સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક છે, જેમનું આ પ્રકારનું અપમાન સહન નહીં કરાય.

રશિયાના કામચાટકા પ્રદેશમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હીઃ રશિયાના કામચાટકા દ્વિપમાં બુધવારે સવારે 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. થોડા જ સમય પછી રશિયાના કુરિલ દ્વીપસમૂહ અને જાપાનના મોટાં ઉત્તર દ્વીપ હોક્કાઇડોના તટીય વિસ્તારોમાં સુનામી આવી હતી. જાપાન મીટિરિયોલોજિકલ એજન્સીએ જણાવ્યું છે કે લગભગ 30 સેન્ટિમીટર (અંદાજે એક ફૂટ) ઊંચી પહેલી સુનામી લહેર હોક્કાઇડોના પૂર્વ તટ પર આવેલા નેમુરો શહેર સુધી પહોંચી ગઈ હતી. અનેક દેશોમાં સુનામીની સાયરન વગાડવામાં આવી હતી.

રશિયા ઉપરાંત જાપાન અને અમેરિકાના કેલિફોર્નિયા તટે પણ સુનામીનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંદાજ છે કે સમુદ્રમાં ત્રણ ફૂટ જેટલી ઊંચી લહેરો ઊઠે એવી શક્યતા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં વિનાશ વેરાય એવી ધારણા છે.

સ્થાનિક ગવર્નર વાલેરી લિમારેનકોના જણાવ્યા મુજબ પહેલી સુનામી લહેર પ્રશાંત મહાસાગરમાં રશિયાના કુરિલ દ્વીપોના મુખ્ય ગામ સેવેરો-કુરિલ્સ્કના તટીય વિસ્તારમાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકો સલામત છે અને જોખમ ટળી ન જાય ત્યાં સુધી ઊંચા વિસ્તારોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડોનેશિયા અને ફિલિપિન્સે પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે.

કામચટકાના ગવર્નર વ્લાદિમિર સોલોદોવે જણાવ્યું હતું કે આજનો ભૂકંપ ખૂબ જ મોટો હતો અને છેલ્લા ઘણા દાયકાઓમાં અનુભવાયેલા સૌથી શક્તિશાળી આંચકાઓ પૈકીનો એક હતો.

યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા મુજબ, ઇક્વાડોરમાં ત્રણ મીટરથી ઊંચી સમુદ્રી લહેરો ઊભી થઈ શકે છે. રશિયામાં ભુકંપ બાદ હોનોલુલુ અને હવાઈમાં લોકો દરિયાકાંઠેથી દૂર જવા લાગ્યા છે. લોકોને દરિયાકાંઠે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

સુનામીની ચેતવણી બાદ જાપાનમાં લોકોને ટેરેસ ઉપર ચડી જતા જોવા મળ્યા છે. ઘણી જગ્યાએ લોકો બિલ્ડિંગ્સની છત પર જઈને સલામત જગ્યા શોધી રહ્યા છે. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે હવાઈ, ચીલી, જાપાન અને સોલોમન આઇલેન્ડ્સ સહિત આસપાસના વિસ્તારોમાં એક થી ત્રણ મીટર ઊંચી લહેરો ઊઠી શકે છે.

વાહ ભાઈ વાહ! – ૩૦ જુલાઈ ૨૦૨૫

પાલક ચીઝી બટેટા પરોઠા

આ પરોઠા સ્વાદિષ્ટ તો બને જ છે. પાલકના લીલા રંગને લીધે અલગ દેખાતા આ પરોઠા બાળકો પણ હોંશે હોંશે ખાવા માંગશે!

સામગ્રીઃ

  • બટેટા બાફેલા 4
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • શેકેલા જીરા પાઉડર 2 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • અજમો ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
  • લીલા મરચાં 3-4
  • ચીઝ ક્યુબ 2
  • કાળું મીઠું 2 ચપટી
  • વરિયાળીનો અધકચરો ભૂકો 2 ટી.સ્પૂન

પાલક પ્યુરીઃ

  • પાલકના પાન ધોયેલા 1½ કપ
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 3

રીતઃ ધોયેલા પાલકના પાન એક મિક્સીમાં લો. તેમાં આદુ તેમજ મરચાંના ટુકડા ઉમેરીને પાલકની પ્યુરી બનાવી લો.

એક મોટા વાસણમાં લોટ લઈ તેમાં સહેજ મીઠું ઉમેરી પાલકની પ્યુરી વડે લોટ બાંધી લો. તેલનું મોણ દઈ ઢાંકીને લોટ 15 મિનિટ માટે રાખી મૂકો.

બાફેલા બટેટાને ખમણી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું,  2 ચપટી કાળું મીઠું, કાળા મરી પાઉડર, શેકેલા જીરા પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, કસૂરી મેથી, અજમો, ચાટ મસાલો, સમારેલી કોથમીર, વરિયાળીનો ભૂકો, ખમણેલું આદુ, લીલા મરચાં સમારીને તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે તેમાં ચીઝ ક્યુબ ખમણીને મેળવી દો.

હવે પરોઠા બનાવવા માટે લૂવો લઈ તેને થોડો વણી લીધા બાદ બટેટાનું પૂરણ ભરીને કિનારીઓ વાળીને લૂવો પેક કરી લો. લૂવો હાથેથી થોડો થાપી લીધા બાદ વેલણથી હળવે હળવે વણી લો.

પરોઠા માટે રોટલી ગોળ વણી લઈ તેમાં પૂરણ મધ્યમાં મૂકીને રોટલીની સામસામી બંને બાજુ વાળી લઈને તમે ચોરસ પરોઠું પણ વણી શકો છો. તે જ રીતે ત્રિકોણાકાર પણ આપી શકો છો.

ગેસની આંચ તેજ કરીને તવો ગરમ કરી લીધા બાદ આંચ મધ્યમ કરીને પરોઠું તવા ઉપર શેકવા મૂકો. 1-2 મિનિટ બાદ તેના ઉપર ઘી અથવા તેલ લગાડીને ઉથલાવી દો. એ જ રીતે બીજી બાજુ પણ શેકી લો.

આ પરોઠા અથાણાં અથવા દહીં સાથે સારાં લાગે છે.

૩૦ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 30/07/2025

ટ્રમ્પના દાવા પર કોંગ્રેસને PM મોદીનો સણસણતો જવાબ

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) માં ઓપરેશન સિંદૂર પર ભારે હોબાળો થયો. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી.

 

વડાપ્રધાન મોદીએ વિપક્ષ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈ પણ દેશના કોઈ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી. અમે પહેલા દિવસથી જ કહ્યું હતું કે અમારી કાર્યવાહી આક્રમક કાર્યવાહી નથી. દુનિયાના કોઈ પણ નેતાએ અમને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું નથી.

પીએમ મોદીએ કહ્યું કે 9 મેની રાત્રે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે એક કલાક સુધી પ્રયાસ કર્યો, પરંતુ હું સુરક્ષા દળો સાથેની બેઠકમાં વ્યસ્ત હતો. બાદમાં તેમણે મને કહ્યું કે પાકિસ્તાન મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. મારો જવાબ હતો કે જો આ પાકિસ્તાનનો ઈરાદો છે, તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

ભારતે ત્રણ મુદ્દાઓ પર નિર્ણય લીધો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર સ્પષ્ટ કરે છે કે ભારતે ત્રણ મુદ્દાઓ પર નિર્ણય લીધો છે.

પહેલો- જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો અમે અમારી રીતે, અમારી શરતો પર અને અમારા સમયે જવાબ આપીશું.

બીજું- હવે કોઈ પરમાણુ બ્લેકમેલ કામ કરશે નહીં.

ત્રીજું- અમે આતંકવાદને ટેકો આપતી સરકારો અને આતંકવાદના માસ્ટરમાઇન્ડ્સને અલગથી નહીં જોઈએ.

પાકિસ્તાનના ઘણા એરબેઝ ICUમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સાબિત કરી દીધું છે કે પરમાણુ બ્લેકમેલિંગ હવે કામ કરશે નહીં અને ન તો ભારત આ પરમાણુ બ્લેકમેલિંગ સામે ઝૂકશે. પાકિસ્તાનના એરબેઝ અને સંપત્તિઓને ભારે નુકસાન થયું છે અને આજ સુધી તેમના ઘણા એરબેઝ ICUમાં છે.

સેનાએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે કોઈ ત્યાં પહોંચી શકે છે. બહાવલપુર, મુરીદકેને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. અમારી સેનાએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.

પાકિસ્તાનની છાતી પર સચોટ હુમલો

વડાપ્રધાનએ કહ્યું કે અમે પાકિસ્તાનના પરમાણુ ધમકીને ખોટો સાબિત કરી દીધો છે. ભારતે સાબિત કરી દીધું છે કે પરમાણુ બ્લેકમેલિંગ હવે કામ કરશે નહીં અને ન તો ભારત આ પરમાણુ બ્લેકમેલિંગ સામે ઝૂકશે. ભારતે તેની તકનીકી ક્ષમતા દર્શાવી છે. તેણે પાકિસ્તાનની છાતી પર સચોટ હુમલો કર્યો છે. પાકિસ્તાનના એરબેઝ અને સંપત્તિઓને ભારે નુકસાન થયું છે અને આજે તેમના ઘણા એરબેઝ ICUમાં છે. આ ટેકનોલોજી આધારિત યુદ્ધનો યુગ છે.

ભારતે પાકિસ્તાનની શસ્ત્ર પ્રણાલીનો પર્દાફાશ કર્યો

વડાપ્રધાનએ કહ્યું કે જો આપણે છેલ્લા 10 વર્ષમાં કરેલી તૈયારીઓ પૂર્ણ ન કરી હોત, તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે ટેકનોલોજીના આ યુગમાં આપણને કેટલું નુકસાન થઈ શક્યું હોત. ઓપરેશન સિંદૂર દ્વારા પહેલીવાર દુનિયાએ આત્મનિર્ભર ભારતની શક્તિને ઓળખી. ભારતમાં બનેલા ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાનની શસ્ત્ર પ્રણાલીનો પર્દાફાશ કર્યો.