Home Blog Page 71

તામિલનાડુનો ખાલી ખજાનોઃ CM વિજય, એમ.કે. સ્ટાલિન વચ્ચે વાદવિવાદ

નવી દિલ્હી: તામિલનાડુમાં હવે ‘વિજય રાજ’ની શરૂઆત થઈ ગઈ છે. અભિનેતા પરથી નેતા બનેલા વિજયે રવિવારે મુખ્ય મંત્રી પદના શપથ લીધા હતા. તામિલનાડુના ઇતિહાસમાં છેલ્લાં 60 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે રાજ્યમાં AIADMK અને DMK સિવાય કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની છે. પરંતુ નવી સરકાર બનતાં જ ‘ખાલી ખજાના’ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. મુખ્ય મંત્રી વિજય અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે આ મુદ્દે વાદવિવાદ થયો છે.

શપથવિધિ બાદ પોતાના સમર્થકોને સંબોધતાં વિજયે કહ્યું હતું કે મારે તામિલનાડુ સરકારની હાલની સ્થિતિ વિશે તમને જણાવવું છે. રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું કર્જ છે અને સરકારી ખજાનો સંપૂર્ણ ખાલી છે. આ નિવેદન પર સ્ટાલિને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તામિલનાડુનાં દેવાંનો સ્તર મર્યાદાની અંદર છે. હમણાંથી જ એવું કહેવાનું શરૂ ન કરો કે સરકાર પાસે પૈસા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રજૂ થયેલા બજેટમાં અમે રાજ્યની આર્થિક સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી આપી હતી. શું તમને તેની ખબર નહોતી? આ માહિતી બાદ જ તમે જનતાને અનેક વચનો આપ્યાં હતાં. જેમણે તમને મત આપ્યો છે તેમને છેતરશો નહીં અને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ ન કરો.

શું ખરેખર તામિલનાડુ એટલા મોટા દેવાંમાં છે?

GSDPના હિસાબે તામિલનાડુ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. પ્રથમ સ્થાન પર મહારાષ્ટ્ર છે. સૌથી વધુ દેવાં ધરાવતાં રાજ્યોમાં પણ તામિલનાડુ બીજા ક્રમે આવે છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા તામિલનાડુ સરકારના આંતરિક બજેટમાં જણાવાયું હતું કે માર્ચ, 2027 સુધી રાજ્યનાં દેવાં વધીને 10.71 લાખ કરોડ રૂપિયા થઈ જશે. વર્ષ 2025-26 સુધી રાજ્ય પર 9.52 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું.

તામિલનાડુ સરકારનો સબસિડી પરનો ખર્ચ સતત વધી રહ્યો છે. આંતરિક બજેટ મુજબ 2026-27માં રાજ્ય સરકારનો સબસિડી પરનો ખર્ચ 1.56 લાખ કરોડ રૂપિયાથી વધુ રહેશે. 2027-28માં તે વધીને 1.64 લાખ કરોડ રૂપિયા અને 2028-29માં 1.72 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. એટલે કે સબસિડી પરનો ખર્ચ દર વર્ષે અંદાજે પાંચ ટકાના દરે વધતો રહેશે.

પંચાંગ 11/05/2026

સુવિચાર – ૧૧ મે ૨૦૨૬

૧૧ મે ૨૦૨૬

સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનો રોડ-શો અને વિશેષ યજ્ઞ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ સોમનાથ મંદિરના ઈતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર યોજાનારું પ્રથમ ‘કુંભાભિષેક’ છે.

સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર શિખર કુંભાભિષેક

પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતી આ પવિત્ર પરંપરા હવે સોમનાથમાં પણ સાકાર થશે. આ વિધિ માટે દેશના ૧૧ પવિત્ર તીર્થસ્થાનો પરથી પવિત્ર જળ લાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશાળ ક્રેન દ્વારા પવિત્ર કુંભને શિખર સુધી લઈ જવામાં આવશે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિખરનો અભિષેક કરવામાં આવશે.

PM મોદીનો ભવ્ય રોડ શો અને વિશેષ પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે સોમનાથમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન હેલીપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમનું સ્વાગત કરશે. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ પીએમ મોદી વિશેષ યજ્ઞમાં આહુતિ આપશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેમની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૧ તીર્થોના જળથી મહા કુંભાભિષેક સંપન્ન થશે.

 

PM મોદી ગુજરાત પ્રવાસે, જામનગરમાં જનસભાથી કરી શરુઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. આજે ૧૦ મેની મોડી રાત્રે જામનગર ખાતે ઉતરાણ કરતાની સાથે જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આયોજિત વિશાળ જનસભામાં લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોમાં વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ એટલો અજોડ હતો કે, અનેક લોકો ‘દિલ સે મોદી’ લખેલી ખાસ ઘડિયાળો પહેરીને તેમને આવકારવા ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી આજે રાત્રિ રોકાણ જામનગરમાં જ કરશે, જે બાદ આવતીકાલનો તેમનો કાર્યક્રમ આધ્યાત્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્વનો બની રહેશે.

સોમનાથ અમૃત મહોત્સવ: ૭૫ વર્ષની ઐતિહાસિક સફરની ઉજવણી

આવતીકાલે ૧૧ મેના રોજ સવારે ૧૦:૧૫ વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પહોંચશે. આ અવસર ખાસ છે કારણ કે સોમનાથના પુનઃનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ઉજવણી ‘સોમનાથ અમૃત મહોત્સવ’ તરીકે કરવામાં આવી રહી છે. પીએમ મોદી અહીં ભગવાન સોમનાથની વિશેષ મહાપૂજા કરશે અને કુંભાભિષેક તથા ધ્વજારોહણ જેવી પવિત્ર વિધિઓમાં ભાગ લેશે. આ ઐતિહાસિક દિવસની યાદમાં તેઓ ખાસ ટપાલ ટિકિટ અને સ્મરણાત્મક સિક્કો પણ જાહેર જનતા માટે બહાર પાડશે. સોમનાથની આ મુલાકાત ભારતની સાંસ્કૃતિક ચેતનાને વધુ વેગ આપશે.

શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ: વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું લોકાર્પણ

સોમનાથમાં ભક્તિભાવ સાથે સમય વિતાવ્યા બાદ, પ્રધાનમંત્રી સાંજે ૬ વાગ્યે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. અહીં તેઓ પાટીદાર સમાજ અને અન્ય વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી ભવ્ય ‘સરદારધામ હોસ્ટેલ’નું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક શૈક્ષણિક સંકુલમાં ૧,૦૦૦ યુવકો અને ૧,૦૦૦ યુવતીઓ માટે રહેવા-જમવાની વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ છે. પીએમ મોદી અહીં તૈયાર કરાયેલી હાઈટેક ઇ-લાઇબ્રેરી, ઓડિટોરિયમ અને સેન્ટ્રલ ડાઇનિંગ હોલનું નિરીક્ષણ કરી રાજ્યના યુવાધનને પ્રેરિત કરશે.

ગોલ્ડ, પેટ્રોલ અને ડીઝલને લઈને PM મોદીની લોકોને ખાસ અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં આશરે 9400 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વચ્ચે રાજકીય સૌહાર્દ અને હળવી મજાક જોવા મળી હતી. પીએમ મોદીએ રેવંત રેડ્ડીના વિઝન પર પ્રતિભાવ આપતા રમૂજમાં એક મહત્વની ઓફર પણ કરી દીધી હતી.

રેવંત રેડ્ડીનું ‘તેલંગાણા મોડેલ’ અને PMનો પ્રતિભાવ

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, જે રીતે મનમોહન સિંહના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ‘ગુજરાત મોડેલ’ વિકસાવ્યું હતું, તેવી જ આશા હવે તેલંગાણાની જનતાને છે. તેમણે ૨૦૩૪ સુધીમાં તેલંગાણાને ૧ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આના જવાબમાં પીએમ મોદીએ હસતા હસતા કહ્યું કે, “રેવંતજીએ કહ્યું હતું કે આપણે રાજકીય વાત નહીં કરીએ, તો હું પણ નહીં કરું. ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને જેટલું આપ્યું છે તેટલું જ હું તમને આપવા તૈયાર છું, પણ મારી જાણકારી મુજબ જો હું એમ કરીશ તો તમને અત્યારે જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે!” વડાપ્રધાને મજાકના સૂરમાં ઉમેર્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી નહીં શકો, એટલે સારું એ જ છે કે તમે મારી સાથે જોડાઈ જાઓ.”

વૈશ્વિક ઉર્જા સંકટ અને વડાપ્રધાનની અપીલ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા ઉર્જા સંકટ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો જરૂરિયાત મુજબ જ વપરાશ કરવાથી વિદેશી મુદ્રાની બચત થશે અને યુદ્ધની માઠી અસરો ઘટાડી શકાશે. તો બીજી તરફ લોકોને એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદવાની પણ અપીલ કરી હતી.

સૌર ઉર્જા અને સસ્તી ગેસ સપ્લાય પર ભાર

વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને ઇથેનોલ બ્લેન્ડિંગ ક્ષેત્રે કરેલી પ્રગતિની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર હવે ૧૦૦ ટકા એલપીજી કવરેજ બાદ સસ્તી પાઈપ્ડ ગેસ સપ્લાય (PNG) અને સીએનજી આધારિત વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તમામ પ્રયાસોને કારણે જ ભારત વૈશ્વિક ઉર્જા સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. તેમણે તેલંગાણાના પરિવારોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમના સપના સાકાર કરવા માટે વધુ ગતિથી કામ કરશે.

આફત સામે અમિત શાહનો માસ્ટરપ્લાન

દેશમાં બદલાતા હવામાન અને કુદરતી આફતોના વધતા જોખમોને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંભવિત પૂર અને હીટવેવ (લૂ) સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી હતી કે આપત્તિ ગમે તે હોય, આપણો પ્રાથમિક લક્ષ્યાંક ‘ઝીરો કેઝ્યુઆલ્ટી’ એટલે કે એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે હોવો જોઈએ.

રાજ્યોમાં ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ની રચના

ગૃહમંત્રીએ બેઠક દરમિયાન દેશના તમામ રાજ્યોને પૂર જેવી કટોકટીનો સામનો કરવા માટે ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ (FCMT) ની રચના કરવા અને તેને તાત્કાલિક સક્રિય કરવાના નિર્દેશ આપ્યા છે. આ ટીમો રાજ્ય, જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે સંકલન સાધીને ત્વરિત કામગીરી કરશે. શાહે ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાયાના સ્તર સુધી કડક પાલન થવું જોઈએ.

સંવેદનશીલ સરોવરો પર ચાંપતી નજર

હિમાલયના રાજ્યોમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને અમિત શાહે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આવેલા જોખમી સરોવરો માટે પૂર્વ ચેતવણી પ્રણાલી (Early Warning System) ને વધુ મજબૂત કરવા જણાવ્યું છે. અગાઉ માત્ર ૩૦ સરોવરો માટે આ યોજના હતી, જેને વધારીને ઓછામાં ઓછા ૬૦ સંવેદનશીલ સરોવરો સુધી વિસ્તૃત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

એજન્સીઓ વચ્ચે સંકલન પર ભાર

આ હાઈ-લેવલ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મંત્રાલયો, કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીથી બચવા માટેના ઉપાયો અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે અગાઉથી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવા પર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતમાં પેટ્રોલ-ડીઝલના સ્થિર ભાવ પાછળ રોજનું 1700 કરોડનું નુકસાન

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી રસ્તો) બંધ થવાને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે. આ યુદ્ધની સૌથી મોટી અને સીધી અસર ભારતની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને હોવા છતાં, ભારતમાં જૂના ભાવે ઈંધણ વેચવાના કારણે કંપનીઓને દરરોજ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓ છેલ્લા ૧૦ સપ્તાહથી જૂના ભાવે જ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે. વૈશ્વિક બજારમાં કિંમતો વધવા છતાં ઘરેલું ભાવ સ્થિર રાખવાને કારણે આ કંપનીઓને દરરોજ ૧૬૦૦ થી ૧૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન (અન્ડર-રિકવરી) થઈ રહ્યું છે. છેલ્લા અઢી મહિનામાં આ કુલ નુકસાનનો આંકડો ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

સરકારે આ સંકટને પહોંચી વળવા માટે ઘરેલું એલપીજી ઉત્પાદન ૩૬,૦૦૦ ટનથી વધારીને ૫૪,૦૦૦ ટન પ્રતિ દિવસ કરી દીધું છે. ભારતની આયાત નિર્ભરતાની વાત કરીએ તો, આપણી જરૂરિયાતનું ૪૦% ક્રૂડ ઓઈલ, ૯૦% એલપીજી અને ૬૫% એલએનજી આયાત આ યુદ્ધને કારણે પ્રભાવિત થઈ છે. તેમ છતાં, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને અને આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને સામાન્ય જનતા પરનો બોજ ઓછો રાખવાનો પ્રયાસ કર્યો છે.

દરિયાની વચ્ચે હંતા વાયરસનો આતંક

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર દરમિયાન જીવલેણ ‘હંતા વાયરસ’ના પ્રકોપનો સામનો કરનાર ડચ ધ્વજ ધરાવતું જહાજ ‘MV Hondius’ આખરે સ્પેન પહોંચી ગયું છે. આ જહાજમાં કુલ 150 લોકો સવાર હતા, જેમાં બે ભારતીય ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થાય છે. વાયરસના સંક્રમણને જોતા સાવચેતીના ભાગરૂપે જહાજને સ્પેનના કેનેરી ટાપુઓથી થોડે દૂર દરિયામાં લંગર નાખીને રોકી દેવામાં આવ્યું હતું.

બે ભારતીયો સંપૂર્ણ સ્વસ્થ, નેધરલેન્ડ મોકલાયા

મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે જહાજ પર સવાર બંને ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમનામાં બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કોઓર્ડિનેશન (CENEM) ના પ્રોટોકોલ મુજબ, આ બંને ભારતીયોને હવે નેધરલેન્ડ મોકલી દેવામાં આવ્યા છે. ત્યાં તેમને આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. ભારતીય રાજદૂત સતત આ નાગરિકો અને સ્પેનિશ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.

ત્રણ મુસાફરોના કરુણ મોતથી ખળભળાટ

MV Hondius પર મુસાફરી દરમિયાન એક ડચ દંપતી અને એક જર્મન મહિલા સહિત કુલ ત્રણ મુસાફરોના હંતા વાયરસને કારણે મોત થયા હતા. આ ઘટના બાદ વાયરસ વૈશ્વિક સ્તરે ન ફેલાય તે માટે જહાજ પરના તમામ 147 મુસાફરો અને ક્રૂ સભ્યોને કેપ વર્ડે પાસે કડક ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. હંતા વાયરસ એક દુર્લભ અને ઘાતક ચેપ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે ઉંદરો દ્વારા ફેલાય છે.

WHO અને UNની બાજ નજર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્ર (UNO) ના અધિકારીઓ આ સમગ્ર ઘટના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ જનતાને આશ્વાસન આપ્યું છે કે આ વાયરસના એક માણસથી બીજા માણસમાં ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે, તેથી તે કોઈ નવી મહામારીનું સ્વરૂપ લે તેવી શક્યતા નહિવત્ છે. હાલમાં તમામ મુસાફરોને WHO અને સ્પેનિશ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ જહાજમાંથી ઉતારવામાં આવ્યા છે.