ભારતમાં પેટ્રોલ-ડીઝલના સ્થિર ભાવ પાછળ રોજનું 1700 કરોડનું નુકસાન

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રી રસ્તો) બંધ થવાને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરૂ બન્યું છે. આ યુદ્ધની સૌથી મોટી અને સીધી અસર ભારતની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને હોવા છતાં, ભારતમાં જૂના ભાવે ઈંધણ વેચવાના કારણે કંપનીઓને દરરોજ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓ છેલ્લા ૧૦ સપ્તાહથી જૂના ભાવે જ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે. વૈશ્વિક બજારમાં કિંમતો વધવા છતાં ઘરેલું ભાવ સ્થિર રાખવાને કારણે આ કંપનીઓને દરરોજ ૧૬૦૦ થી ૧૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન (અન્ડર-રિકવરી) થઈ રહ્યું છે. છેલ્લા અઢી મહિનામાં આ કુલ નુકસાનનો આંકડો ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

સરકારે આ સંકટને પહોંચી વળવા માટે ઘરેલું એલપીજી ઉત્પાદન ૩૬,૦૦૦ ટનથી વધારીને ૫૪,૦૦૦ ટન પ્રતિ દિવસ કરી દીધું છે. ભારતની આયાત નિર્ભરતાની વાત કરીએ તો, આપણી જરૂરિયાતનું ૪૦% ક્રૂડ ઓઈલ, ૯૦% એલપીજી અને ૬૫% એલએનજી આયાત આ યુદ્ધને કારણે પ્રભાવિત થઈ છે. તેમ છતાં, સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને અને આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને સામાન્ય જનતા પરનો બોજ ઓછો રાખવાનો પ્રયાસ કર્યો છે.