Home Blog Page 706

લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા પાંચ બાંગ્લાદેશીની ધરપકડ

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસે લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતા પાંચ બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ તમામ 20થી 25 વર્ષના મજૂરો છે અને NCR વિસ્તારમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાએ સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાપર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

ગુરુગ્રામમાં પણ 10 બાંગ્લાદેશી પકડાયા

આ પહેલાં ગુરુગ્રામ પોલીસે પણ શહેરમાં અનધિકૃત રીતે રહેલા દસ બાંગ્લાદેશી નાગરિકોને પકડી લીધા હતા. તેમની પાસેથી પણ બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા હતા. ગુરુગ્રામ પોલીસના PRO સંદીપકુમારે જણાવ્યું હતું કે તમામને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી આ ધરપકડો એ વાતનો પુરાવો છે કે દિલ્હી-NCR વિસ્તારમાં અનધિકૃત ઘૂસણખોરી એક ગંભીર સુરક્ષા ચિંતાનું કારણ બની છે.

સાત પોલીસ કર્મચારી સસ્પેન્ડ

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આવી જ એક સુરક્ષા ડ્રિલમાં નકલી બોમ્બ શોધી ન શકવાને કારણે દિલ્હી પોલીસના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કોન્સ્ટેબલ અને હેડ કૉન્સ્ટેબલ સામેલ છે. પોલીસે જણાવ્યું કે સ્પેશિયલ સેલની એક ટીમે શનિવારે નાગરિક વેશમાં લાલ કિલ્લા પર નકલી બોમ્બ સાથે ઘૂસવાની ડ્રિલ કરી હતી. ત્યારે સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓ બોમ્બ શોધી શક્યા ન હતા, જેને કારણે બેદરકારીના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

જમ્મુ-કાશ્મીરના ભુતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું બિમારીને કારણે નિધન

જમ્મુ-કાશ્મીરના ભુતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન (Satyapal Malik Passes Away) થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે આજે એટલે કે 5 ઓગસ્ટના રોજ આરએમએલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

 

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે 78 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં. સત્યપાલ મલિકને દિલ્હીની ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક રહી હતી. તેમના મૃત્યુને કારણે દેશમાં શોકનું મોજું છે. પહેલા તેઓ ભાજપના મજબૂત નેતા હતા, બાદમાં તેઓ તેના ટીકાકાર બન્યા.

એવું કહેવામાં આવ્યું હતું કે સત્યપાલ મલિકને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની નિષ્ફળતાની જટિલતાઓને કારણે ICU માં રાખવામાં આવ્યા હતા. આજે બપોરે હોસ્પિટલે સત્યપાલ મલિકના નિધનની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું પણ દિલ્હીમાં અવસાન થયું હતું. શિબુ સોરેને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

પંકજ ત્રિપાઠીના મોટા ફેન છે આ મહિલા સાંસદ, ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

પંકજ ત્રિપાઠીની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. પંકજ ત્રિપાઠીએ થિયેટરથી લઈને ઓટીટી સુધી પોતાને સાબિત કર્યા છે અને આ જ કારણ છે કે તેઓ સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેકના પ્રિય બન્યા છે, અને તેમની પાસે જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ ખુલાસો કર્યો છે કે તેઓ પંકજ ત્રિપાઠીની મોટી ચાહક છે. રાજકીય દુનિયામાં પોતાની શાર્પ સ્ટાઇલ માટે પ્રખ્યાત મહુઆ મોઇત્રા પંકજ ત્રિપાઠીને એટલા પસંદ કરે છે કે તેમણે તેમને પોતાનો ક્રશ પણ ગણાવ્યો છે.

મહુઆ મોઇત્રા પંકજ ત્રિપાઠીની ચાહક છે

મહુઆ મોઇત્રાએ તાજેતરમાં ઇન્ડિયા ટુડે/આજ તક સાથે પોડકાસ્ટમાં વાત કરી હતી. આ દરમિયાન તેણે બોલિવૂડ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે તે બોલિવૂડને ખૂબ જ પસંદ કરે છે અને ખાસ કરીને પંકજ ત્રિપાઠીને ખૂબ પસંદ કરે છે. તેણે ખુલાસો કર્યો હતો કે તેણે ઘણી વખત પંકજ ત્રિપાઠીને મળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેને મળી શકી નથી. આ સાથે, મહુઆએ પંકજ ત્રિપાઠીની પ્રશંસા પણ કરી છે અને કહ્યું કે તે તેણીનો ક્રશ છે.

બોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મો વિશે વાત કરતા, મહુઆ મોઇત્રાએ કહ્યું, ‘મેં મુન્ના ભાઈ MBBS ફિલ્મ જોઈ છે અને હું તેને વારંવાર જોઈ શકું છું. મને ફિલ્મ વિકી ડોનર પણ ખૂબ ગમી અને જો આપણે કલાકારોની વાત કરીએ તો મને પંકજ ત્રિપાઠી ખૂબ ગમે છે. મેં આખી મિર્ઝાપુર વેબ સીરિઝ જોઈ છે. તેને જોઈને લાગે છે કે તે બોલિવૂડના સૌથી શાનદાર કલાકારોમાંનો એક છે. મને મિર્ઝાપુર વેબ સીરિઝમાં તે ખૂબ ગમ્યો અને ગેંગ્સ ઓફ વાસેપુરમાં પણ તે ખૂબ ગમ્યો. મને તેની બધી ભૂમિકાઓ ગમે છે, પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક, પણ મને તેના ખરાબ પાત્રો સૌથી વધુ ગમે છે.

મહુઆ મોઇત્રા પંકજ ત્રિપાઠીને મળવા માંગે છે

મહુઆ મોઇત્રાએ વધુમાં જણાવ્યું કે તેણીએ પંકજ ત્રિપાઠીને મળવા માટે ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી તેમને યોગ્ય રીતે મળી શકી નથી. મેં તેમને મળવા માટે તમામ પ્રયાસ કર્યા છે. મહુઆ અભિનેતા અને રાજકારણી રવિ કિશનને પણ મળી છે અને તેમને પંકજ ત્રિપાઠી સાથે મુલાકાત ગોઠવવાનું કહ્યું છે. રવિ કિશનએ પંકજ ત્રિપાઠીને તેમની સામે ફોન કર્યો હતો, પરંતુ તેમનો અવાજ સાંભળીને મહુઆ એટલી શરમાઈ ગઈ કે તે યોગ્ય રીતે વાત કરી શકી નહીં.

તેણીએ પંકજ ત્રિપાઠીને પત્ર લખ્યો છે

મહુઆ મોઇત્રાએ ખુલાસો કર્યો કે તેણીએ પંકજ ત્રિપાઠીને પત્ર પણ લખ્યો છે. તેણીએ હસતાં હસતાં કહ્યું, ‘મેં પંકજ ત્રિપાઠીને પણ એક પત્ર લખ્યો હતો, જેમાં મેં તેમને કોફી પર મળવા કહ્યું હતું અને તેમને કહ્યું હતું કે હું તેમની કેટલી મોટી ચાહક છું. મેં નોટમાં લખ્યું હતું કે હું તમારી મોટી ચાહક છું અને તમારી સાથે કોફી માટે જવા માંગુ છું, પરંતુ તે અલીબાગમાં રહે છે અને કોઈને મળતા નથી.’

ક્રેડિફિન લિનું ગુજરાતમાં કામગીરી શરૂ કરવાનું એલાન

નવી દિલ્હીઃ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) ક્રેડિફિન લિમિટેડે (ભૂતપૂર્વ નામ PHF લીઝિંગ લિમિટેડs) ઓગસ્ટ 2025થી ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. કંપનીની કામગીરી હવે દેશનાં 14 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્યરત છે.  કંપની  મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લિસ્ટેડ છે અને કંપની મુખ્ય મથક જલંધરમાં અને કોર્પોરેટ ઓફિસ દિલ્હી-NCRમાં છે. કંપની 1998થી RBIમાં NBFC હેઠળ રજિસ્ટર્ડ છે.

કંપની ગુજરાતમાં સૌથી ઝડપી વિકસતી વર્ટિકલ – ઈલેક્ટ્રિક વાહન લોન (EV લોન) – જેમાં ઈ-રિક્શા, ઈ-લોડર્સ અને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ સામેલ છે, તેનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઉપલબ્ધ કરાવશે. શરૂઆતમાં કંપની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા આ પાંચ શહેરોમાં કામગીરી શરૂ કરશે.

કંપની ગ્રાહકોને મિલકતના સામે હોમ લોન (LAP) અને મુખ્યત્વે ઈ-રિક્શા, ઈ-લોડર અને ઈવી-ટૂ-વ્હીલર્સ જેવાં ઈલેક્ટ્રિક વાહનોનું ફાઇનાન્સિંગ કરશે  કંપની લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં માલસામાનની ડિલિવરી પહોંચાડવા અને ગ્રામ્ય તેમ જ શહેરી પરિવહન માં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવા માટે ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છે.

કંપનીના CEO શાલ્ય ગુપ્તા એ કહ્યું હતું કે કંપની ભારતમાં ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને ઈ-વાહન ક્ષેત્રમાં, ખાસ કરીને ઈ-રિક્શા અને ઈ-લોડર્સ માટે OEMs નો સ્થાપિત ભાગીદાર છે. ગુજરાત અમારા માટે વ્યૂહાત્મક તક આપે છે, જ્યાં અમે સ્થાનિક EV ડીલરશિપ્સ, OEM અને ફિનટેક ભાગીદારોના સહકારની સાથે નાણાકીય સંસાધનો પૂરા પાડીશું.  અમે FY 2026-27ના અંત સુધીમાં ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં હાજરી નોંધાવાની યોજના ધરાવીએ છીએ અને અન્ય ઉત્પાદનો પણ ગુજરાતનાં બજારોમાં રજૂ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.

કંપની ગુજરાતમાં શરૂઆતમાં 30થી 40 કર્મચારીઓની નિમણૂક કરશે અને આગામી વર્ષના અંત સુધીમાં આ કર્મચારીઓની સંખ્યા 100 સુધી પહોંચાડાશે  ગુજરાતમાં કંપનીની હાજરી સ્થાનિક ડીલર નેટવર્કને પ્રોત્સાહિત કરશે અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઝડપથી વધારાની સંભાવના છે.

‘એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ…’ રેખા ગુપ્તાએ જયા બચ્ચન પર કેમ કર્યો કટાક્ષ?

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોમવારે ‘ઓપરેશન સિંદૂર’ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને આરોપ લગાવ્યો કે વિપક્ષી પક્ષો દેશ વિરોધી શક્તિઓને પ્રેમ કરે છે પણ ભારતને નહીં. ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અને ‘ઓપરેશન મહાદેવ’ પર ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી.

રેખા ગુપ્તાએ કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને યોગ્ય જવાબ હતો. તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન મોદીએ “આપણી બહેનો” ની ગરિમાનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. તે જ સમયે CM રેખા ગુપ્તાએ પણ ઓપરેશન સિંદૂર પર સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે જયા બચ્ચને સંસદમાં જે કહ્યું તે અપમાનજનક છે. તેઓ કહે છે કે તેનું નામ સિંદૂર કેમ રાખવામાં આવ્યું. હું તેમને ફિલ્મની લાઇનમાં જ જવાબ આપું છું કે ‘એક ચુટકી સિંદૂર કી કિમત તુમ ક્યા જાનો…’

જયા બચ્ચને શું કહ્યું?

તમને જણાવી દઈએ કે રાજ્યસભામાં, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ગયા અઠવાડિયે સરકારને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલામાં મહિલાઓના સિંદૂરનો નાશ થયો ત્યારે ઓપરેશનનું નામ સિંદૂર કેમ રાખવામાં આવ્યું. જયા બચ્ચન રાજ્યસભામાં “પહલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા” માં ભાગ લઈ રહ્યા હતા. તેમણે પહેલગામ હુમલામાં પોતાના લોકોને ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ત્યાં જે કંઈ થયું તે અવાસ્તવિક લાગે છે, લોકો આવ્યા, ઘણા લોકો માર્યા ગયા અને કંઈ થયું નહીં. તેમણે સરકારને પ્રશ્ન કર્યો, “…તમે તેનું નામ સિંદૂર કેમ રાખ્યું? મહિલાઓનું સિંદૂર નાશ પામ્યું છે.”

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ કહ્યું, “આ લોકો (વિપક્ષી) ભારતને પ્રેમ કરતા નથી, પરંતુ તેઓ રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રેમ કરે છે કારણ કે તેઓ તેમનામાં તેમનું પ્રતિબિંબ જુએ છે.” તેમણે કહ્યું, “વિપક્ષી પક્ષો ‘ઈન્ડિયા’ ગઠબંધન બનાવવા માટે એક થયા હતા. નામ ‘ઈન્ડિયા’ છે, પરંતુ જો તમે તેમની વાત સાંભળો તો એવું લાગશે કે તેઓ પાકિસ્તાનના પ્રવક્તા છે… લોકસભામાં પણ ઘણા સાંસદોએ ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેઓ તેમની સેના અને તેમના વડા પ્રધાન પર વિશ્વાસ કરતા નથી, પરંતુ તેઓ અન્ય દેશો પર વિશ્વાસ કરે છે.”

મુખ્યમંત્રીએ ભાગલાના મુદ્દા પર કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “તમારી પાર્ટી (કોંગ્રેસ) 1947માં સત્તામાં હતી. તમે ભારતની સ્વતંત્રતાનો શ્રેય લીધો હતો, પણ ભાગલાનો નહીં. તમે 1962ના ભારત-ચીન યુદ્ધની જવાબદારી કેમ ન લીધી?”

ચીનની રશિયા પાસેથી સૌથી વધુ તેલની ખરીદી, છતાં ટ્રમ્પ ચૂપ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલની આયાત અંગે ભારત પર અન્યાયપૂર્ણ રીતે નિશાન સાધી રહ્યા છે, જ્યારે ચીન પર ચૂપ છે. આવું પસંદગીભર્યું વર્તન ભૌગોલિક-રાજકીય (જિયોપોલિટિકલ) સમીકરણોથી પ્રેરિત હોવાની શકે છે, એમ એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ની તાજેતરનો એક રિપોર્ટ કહે છે.

ડેટા મુજબ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. 2024માં ચીને 62.6 અબજ અમેરિકી ડોલરનું રશિયન તેલ આયાત કર્યું હતું, જ્યારે ભારતમાં આ આંકડો 52.7 અબજ ડોલર રહ્યો. તેમ છતાં ટ્રમ્પે ચીનની ભૂમિકા નજરઅંદાજ કરતાં પોતાનું નિશાન ભારત પર કેન્દ્રિત કર્યું છે.

ટ્રમ્પની ચીન પર ખામોશીનો અર્થ શો?

ટ્રમ્પ ચીનની ટીકા કરવા માટે અસહજ છે અને ભારતને લક્ષ્ય બનાવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે ભારત મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદી અને તેને ખુલ્લા બજારમાં વેચી રહ્યું છે. આ નિવેદન તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રમ ફેલાવનારું છે. થિંક ટેંકે સ્પષ્ટ કર્યું કે ભારત કાચા તેલનો નિકાસ કરતું નથી. જો ભારતીય રિફાઈનરીઝને લાગે કે રશિયન કાચા તેલ આયાતમાં જોખમ છે, જેમ કે સેકન્ડરી પ્રતિબંધો કે વૈશ્વિક બજારમાં પ્રવેશની અછત — તો તેઓ સ્વયંસ્ફુરણાથી આવી આયાત ઓછી અથવા બંધ કરી શકે છે.

ભારતે 2025ના નાણાકીય વર્ષમાં EUને ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) નિકાસ કરી હતી, પરંતુ EUના પ્રતિબંધને કારણે હવે આ નિકાસ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં રિફાઈનરીઝ સરકારના આદેશ વિના જ રશિયન તેલથી દૂર થશે. મે 2025માં, ભારતની રશિયા પાસેથી આયાત મે, 2024ની સરખામણીએ 9.8 ટકા ઘટીને 9.2 અબજ અમેરિકી ડોલર રહી છે, એમ અહેવાલ કહે છે.

‘જલવા’ એ પંકજ પરાશરને ‘ચાલબાઝ’ અપાવી

નિર્દેશક પંકજ પરાશરે એક મુલાકાતમાં ‘ચાલબાઝ’ કેવી રીતે બની એની અનેક રસપ્રદ અને અજાણી વાતો કરી હતી. પિતાએ નિર્માતા એ. પૂર્ણચંદ્ર રાવને મળવા જવા માટે કહ્યું ત્યારે પંકજે કહ્યું કે મારી પાસે અત્યારે ફિલ્મ માટે કોઈ વિષય જ નથી. પિતાએ કહ્યું કે જતી વખતે રસ્તામાં વિચારી લેજે. પંકજ જાણતો હતો કે અમિતાભ બચ્ચન સાથે એમણે ફિલ્મ કરી છે. એ. પૂર્ણચંદ્ર રાવના ઘરે પહોંચ્યા અને દરવાજો ખુલ્યો ત્યારે સામે શ્રીદેવીનું મોટું ચિત્ર જોયું. પંકજે એ. પૂર્ણચંદ્ર રાવને મુલાકાતમાં પૂછ્યું કે તમે શ્રીદેવીને જાણો છો? એમણે કહ્યું કે ઘર જેવા સંબંધ છે.

પંકજે કહ્યું કે હું એમની સાથે ‘સીતા ઔર ગીતા’ (1972) જેવી ફિલ્મ બનાવવા માંગુ છું. એમણે માત્ર એટલું જ પૂછ્યું કે ડબલ રોલની? પંકજે હા કહ્યું અને એમણે ૧૧ હજાર રૂપિયાનું કવર આપી સાઇન કરી લીધો. એ સાથે કહ્યું કે મારી શરત છે. ફિલ્મમાં જીતેન્દ્ર અને રજનીકાંત હીરો હશે. પંકજે સંગીતકાર તરીકે આનંદ – મિલિન્દનું નામ આપ્યું પણ એમણે ના પાડી અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલને લેવા કહ્યું. પંકજે ગીતકાર તરીકે સમીરનું નામ સૂચવ્યું પણ એમણે આનંદ બક્ષી કહ્યું. પિતાની સલાહ હતી એટલે પંકજે કોઈ સામી દલીલ કરી નહીં અને બધી વાત સ્વીકારી લીધી. એ પછી પંકજે ‘સીતા ઔર ગીતા’ માં થોડો ફેરફાર કરી વાર્તા તૈયાર કરીને જીતેન્દ્રને સંભળાવી.

જીતેન્દ્રએ કહ્યું કે આ તો ‘સીતા ઔર ગીતા’ જ છે. લોકો જૂતાં મારશે. પંકજ ડરી ગયા અને આ વાત એ. પૂર્ણચંદ્ર રાવને કરી. એમણે કહ્યું કે તું તારી મૌલિક સ્ક્રિપ્ટ લખ. જીતેન્દ્રએ ના પાડી હતી એટલે સની દેઓલનો સંપર્ક કર્યો. એણે કહ્યું કે હીરોઈનનો ડબલ રોલ છે તો હું કામ કરીને શું કરીશ? પંકજે કહ્યું કે ‘સીતા ઔર ગીતા’ માં તારા પિતા ધર્મેન્દ્રએ કામ કર્યું જ હતું. સની તૈયાર થઈ ગયો. પંકજ જ્યારે મદ્રાસમાં એ. પૂર્ણચંદ્ર રાવને ત્યાં ફિલ્મની નવી સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા ત્યારે અભિનેતા કમલ હસનની સાથે મુલાકાત થઈ.

કમલે પૂછ્યું કે શું કરે છે? ત્યારે પંકજે ‘ચાલબાઝ’ ની સ્ક્રિપ્ટની વાત કરી. વાર્તા સાંભળી કમલે નારાજગી વ્યક્ત કરી કે તું રમેશ સિપ્પી નથી. મૂળ ફિલ્મને બગાડીશ નહીં અને શ્રીદેવી એ હેમામાલિની નથી. તેથી પંકજે ફરી સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો અને ‘સીતા ઔર ગીતા’ ને આધાર બનાવીને લખી. એટલું જ નહીં ફિલ્મ બન્યા પછી રમેશ સિપ્પી માટે ટ્રાયલ શો પણ રાખ્યો હતો. ફિલ્મને બહુ પસંદ કરવામાં આવી હતી અને શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

હું કરું તારી આંખમાં આંગળી, તું કર મારા મોંઢામાં આંગળી

 

હું કરું તારી આંખમાં આંગળી, તું કર મારા મોંઢામાં આંગળી

 

હું કરું તારી આંખમાં આંગળી એટલે? આંખમાં આંગળી જાય તો આંખ ફૂટે.

સામેવાળો જો એના બદલામાં મોઢામાં આંગળી કરે તો પેલી વ્યક્તિ બચકું ભરીને આંગળી ખાઈ જાય.

આમ સંપૂર્ણ નુકસાનીનો ધંધો, આંખ પણ ગુમાવવાની અને આંગળી પણ ગુમાવવાની એ પ્રકારની વિપરીત પરિસ્થિતી આ કહેવત થકી વર્ણવાઇ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાય એવી શક્યતા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આજે પાંચ ઓગસ્ટ છે. જેથી પાંચ વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરનો ઇતિહાસ હંમેશાં માટે બદલાઈ ગયો હતો, કારણ કે આ જ દિવસે કલમ 370 રદ કરવામાં આવી હતી. હવે આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયાં છે અને ફરી આ જ તારીખે જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે એવી અટકળો શરૂ થઈ ગઈ છે.

હવે એ મોટું શું હોઈ શકે એ અંગે અટકળો જ ચાલી રહી છે. સૌથી મોટી થિયરી એવી છે કે કદાચ સરકાર ફરીથી જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપે એવી શક્યતા છે.

મોદી-શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે. આમ સામાન્ય રીતે થોડા કલાકોના અંતરે દેશમાં બે સૌથી મોટા નેતાઓ રાષ્ટ્રપતિને મળવા જાય એ બહુ ઓછું જોવા મળે છે. આ મુલાકાતો જ એવા સંકેત આપી રહી છે કે જમ્મુ-કાશ્મીર વિશે કંઈ મોટું થવાનું છે.

CM ઉમર અબદુલ્લા, મહેબૂબા મુફ્તી અને કોંગ્રેસ સતત કરતા રાજ્યના દરજ્જા માટે માગ કર્યા કરે છે ગૃહ મંત્રી અમિત શાહ પણ આ મુદ્દે ઘણા વખતથી આશ્વાસન આપી ચૂક્યા છે. વડા પ્રધાન મોદીએ પણ ઘણી ચૂંટણી સભાઓમાં વાયદો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ફરીથી મળશે.

મહેબૂબા મુફ્તીની દીકરી ઇલ્તિજાએ ટ્વીટ કર્યું છે કે આજથી ઠીક છ વર્ષ પહેલાં, એટલે કે 4 ઓગસ્ટ 2019ના દિવસે તમામ લોકોના મનમાં અનિશ્ચિતતા છવાઈ ગઈ હતી. હવે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગણગણાટ ચાલી રહ્યો છે, જે બતાવે છે કે કંઈ મોટું થવાનું છે.

૦૫ ઓગસ્ટ ૨૦૨૫