Home Blog Page 7

ખેડૂતો આનંદો : 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી ગુરૂવાર, 11 જૂન 2026થી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે.

ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહેલું પાણી છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ સકારાત્મક નિર્ણય લેવાયો હતો.

સરકાર દ્વારા યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નહેરો દ્વારા પાણીના આયોજનબદ્ધ વિતરણ અંગે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહે તે માટે તંત્રને સંપૂર્ણ રીતે સજ્જ રહેવા જણાવાયું છે. પાણીનો યોગ્ય જથ્થો ઉપલબ્ધ હોવાથી આ વખતે નહેરોમાં વહેલું પાણી છોડવું શક્ય બન્યું છે.

વિવાદ અને ટીકા બાદ ‘પેડ્ડી’માંથી હટાવાયા જાહ્નવીના બોલ્ડ દ્રશ્યો

ફિલ્મ “પેડ્ડી” 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં જાહ્નવી કપૂર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, ફિલ્મમાં જાહ્નવીના દ્રશ્યોની વ્યાપક ટીકા થઈ હતી. પરિણામે, તેના બોલ્ડ દ્રશ્યો ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ “પેડ્ડી” બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને પ્રશંસા મળી રહી છે, પરંતુ તેની ટીકા પણ થઈ રહી છે. ફિલ્મમાં જાહ્નવી કપૂરને જે રીતે દર્શાવવામાં આવી છે તેના પર વિવાદ ઉભો થયો છે. “પેડ્ડી” માં કેટલાક બિનજરૂરી અને અત્યંત બોલ્ડ દ્રશ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર દિગ્દર્શક અને નિર્માતાઓ ટ્રોલ થઈ રહ્યા છે.

જાહ્નવીના દ્રશ્યો દૂર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?

દિગ્દર્શક બુચી બાબુ સનાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જાહ્નવી કપૂરની ભૂમિકાની ટીકા બાદ તેમણે આખરે “પેડ્ડી” માંથી વિવાદાસ્પદ દ્રશ્યો દૂર કરી દીધા છે. મહિલાઓ માટે અપમાનજનક ગણાતા શોટ્સ અને રોમેન્ટિક દ્રશ્યો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. દિગ્દર્શકે કહ્યું કે જાહ્નવી કપૂરના વધુ પડતા બોલ્ડ ભાગો અંગે સોશિયલ મીડિયા પર થયેલા હોબાળા બાદ તેમણે “પેડ્ડી” માંથી કેટલાક દ્રશ્યો દૂર કર્યા છે.

દિગ્દર્શક બુચી બાબુએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જાહ્નવી સાથે સંકળાયેલા કેટલાક દ્રશ્યો અંગે ગેરસમજ ઊભી થઈ છે. જાહ્નવીના પાત્ર અચિયમ્માને ઘણા લોકો સમજી શક્યા ન હતા. દર્શકોએ અચિયમ્મા લખવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. ફિલ્મના એક ભાગ તેમજ મહિલા અધિકાર જૂથોએ ફિલ્મના રોમેન્ટિક ટ્રેકની ટીકા કરી હતી. ત્યારબાદ, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે મહિલાઓ માટે અપમાનજનક ગણાતા દ્રશ્યો કાપી નાખવામાં આવશે.

બુચી બાબુએ માફી માંગવી પડી

વિરોધ વધતાં બુચી બાબુ સનાએ દ્રશ્યો માટે માફી માંગી અને કહ્યું કે તેમને ફિલ્મમાંથી દૂર કરવામાં આવશે. રામ ચરણ કે જાહ્નવી કપૂર બંનેમાંથી કોઈએ હજુ સુધી આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી. બુચી બાબુએ કહ્યું, “મારા મતે, ઘણા લોકોએ સારી વાર્તામાં જાહ્નવી કપૂરના ગીતને બિનજરૂરી માન્યું.” તેમણે ઉમેર્યું કે તેમની પાછલી ફિલ્મથી વિપરીત, “પેડ્ડી” માં તેમનો દ્રષ્ટિકોણ જાણી જોઈને અલગ હતો. તેમના મતે, તેનો હેતુ રામ ચરણના પાત્ર “પેડ્ડી” અને તેમના પરિવર્તન વચ્ચેનો તફાવત બતાવવાનો હતો. વાર્તાના પરિવર્તનનો એક ભાગ જાહ્નવીના પાત્ર પર આધારિત હતો.

દિગ્દર્શકે સ્વીકાર્યું કે ભૂલો થઈ હતી

બુચી બાબુએ સ્વીકાર્યું કે ફિલ્મના નિર્માણમાં કેટલીક ભૂલો હતી. તેમણે કહ્યું, “આ પ્રક્રિયા દરમિયાન, કેટલાક શોટ બનાવવામાં આવ્યા હતા જે ખોટો સંદેશ આપી શક્યા હોત. અમે તેમને સુધારવા માટે જરૂરી પગલાં લીધાં અને તેમને દૂર કર્યા.” ટીકા કરાયેલા દ્રશ્યોમાં જાહ્નવીનો પરિચય શોટ પણ શામેલ હતો. વાંધાજનક દ્રશ્યોમાં એક દ્રશ્ય હતું જેમાં રામ ચરણનું પાત્ર, પેડ્ડી, જાહ્નવીને તેની સંમતિ વિના ચુંબન કરે છે અને કહે છે કે તેને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો બીજો કોઈ રસ્તો ખબર નથી.

હેલ્થ સિસ્ટમમાં 650 કરોડ રૂપિયાનું કૌભાંડઃ ACBએ FIR નોંધાવી તપાસ શરૂ કરી

નવી દિલ્હી: દિલ્હી સરકારની કેન્દ્રીય ખરીદી એજન્સી (સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી)માં 650 કરોડ રૂપિયાથી વધુના કથિત કૌભાંડના મામલે ભ્રષ્ટાચાર નિવારણ શાખા (ACB)એ FIR નોંધાવી તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી ઉપરાજ્યપાલ અને મુખ્ય મંત્રીના નિર્દેશ બાદ કરવામાં આવી છે. ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસનું કેન્દ્રબિંદુ સરકારી હોસ્પિટલો માટે દવાઓ, તબીબી સાધનો, ચાદરો, એક્સ-રે મશીનો અને એનેસ્થેશિયા ઉપકરણોની ખરીદીમાં થયેલી કથિત અનિયમિતતાઓ છે.

ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અનેક વસ્તુઓની ખરીદી બજારભાવ કરતાં ઘણી વધુ કિંમતે કરવામાં આવી હતી. જેને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના જણાવ્યાનુસાર કેન્દ્રીકૃત ખરીદી વ્યવસ્થાનો લાભ ઉઠાવી શંકાસ્પદ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં હતાં. કેટલાક અધિકારીઓ પર પોતાની પસંદના લોકોને નિમણૂક કરીને સમગ્ર ખરીદી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પણ આરોપ છે. એ ઉપરાંત, અગાઉ રોકી દેવામાં આવેલા કેટલાંક ટેન્ડરોને બાદમાં ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હોવાના મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.

તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ફાઇલો ગાયબ મળી

સતર્કતા વિભાગની તપાસ દરમિયાન ઘણાં મહત્વપૂર્ણ ટેન્ડરો સાથે જોડાયેલી ફાઇલો ગાયબ મળી આવી હતી. મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તપાસ દરમિયાન લોકર ખોલવામાં આવ્યાં છતાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા નહોતા. તપાસ એજન્સીઓ હવે ગાયબ ફાઇલો, ટેન્ડર પ્રક્રિયા અને ચુકવણીના રેકોર્ડ વચ્ચેના સંબંધોની વિગતવાર તપાસ કરી રહી છે. અધિકારીઓને શંકા છે કે કેટલાક દસ્તાવેજો ઇરાદાપૂર્વક દૂર કરવામાં આવ્યા અથવા છુપાવવામાં આવ્યા હોઈ શકે છે.

મોટા પાયે બદલી અને નોટિસો જારી

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત લગભગ 40 ડોક્ટરો અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. બીજી તરફ ACBની ટીમ સતત અધિકારીઓ, ડોક્ટરો અને કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. તપાસમાં સહકાર આપવા માટે લગભગ 10 ડોક્ટરો, 35 કર્મચારીઓ અને આઉટસોર્સ સ્ટાફને નોટિસો મોકલવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસમાં સહકાર નહીં આપનાર, માહિતી છુપાવનાર અથવા જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવનાર સામે કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

સુરત ડિમોલિશન ફાઇલ : બુલડોઝર પાછળનો અદ્રશ્ય હાથ કોનો ?

સુરત: કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં ગયા અઠવાડિયે બનેલી એક ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. આશરે ૧૦૦થી વધુ મકાનો બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ કાર્યવાહી માટે કોઈ સરકારી વિભાગ કે અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પરિણામે આ ઘટનાને સ્થાનિક સ્તરે ઘોસ્ટ ડિમોલિશન કે ભૂતિયા ડિમોલિશન તરીકે ઓળખવામાં આવી રહી છે.નાસીરનગરમાં એ દિવસ સામાન્ય દિવસ જેવો જ શરૂ થયો હતો. લોકોને કદાચ ખ્યાલ પણ નહોતો કે થોડા કલાકો પછી તેમનું સરનામું માત્ર કાગળ પર રહી જશે. અચાનક બુલડોઝરના ગર્જતા અવાજો સંભળાયા. ધૂળના વાદળો ઊડવા લાગ્યા. લોખંડના જડબાં જેવી મશીનો એક પછી એક ઘરોને ગળી જવા લાગી. લોકો દોડી રહ્યા હતા. કોઈ ઘરવખરી બચાવી રહ્યું હતું, કોઈ દસ્તાવેજો શોધી રહ્યું હતું.. થોડા કલાકો પછી બધું શાંત થઈ ગયું. જ્યાં થોડા સમય પહેલાં એક જીવંત વસાહત હતી, ત્યાં હવે માત્ર કાટમાળ અને હવામાં ધૂળ ઉડી રહી હતી. જ્યારે અસરગ્રસ્ત લોકોએ પૂછ્યું, અમારા ઘરો તોડવાનો આદેશ કોણે આપ્યો? ત્યારે એમને લાગ્યું હશે કે જવાબ સરળ હશે. કોઈ અધિકારીનું નામ આવશે. કોઈ કચેરીનો ઓર્ડર બહાર આવશે કે કોઈ જવાબદાર વ્યક્તિ સામે આવશે. પણ એવું કંઈ થયું નહીં અને એ જ ક્ષણે આ ઘટના એક સામાન્ય ડિમોલિશનમાંથી રહસ્યમાં ફેરવાઈ ગઈ.સમગ્ર ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓ કહે છે, બુલડોઝર અને મશીનરી સાથે મકાનો તોડી પાડવામાં આવ્યા અને સ્થળ પર પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકા (SMC)ના કર્મચારીઓ પણ હાજર હતા. જ્યારે અસરગ્રસ્તોએ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે પાલિકાએ કોઈ ડિમોલિશન ઓર્ડર જારી કર્યો નહોતો. મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે પાલિકાની ટીમ માત્ર જમીનનું ડિમાર્કેશન કરવા માટે સ્થળ પર ગઈ હતી. બીજીબાજુ પાલિકા દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.કતારગામના ભાજપ ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ જાહેરમાં જણાવ્યું કે એમણે કોઈ ડિમોલિશન માટે સૂચના આપી નથી. ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એમણે પણ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી ચૂકી છે ત્યારે સવાલ એ છે કે જો આદેશ નહોતો તો બુલડોઝર કોના કહેવાથી આવ્યા? જો કાર્યવાહી સત્તાવાર નહોતી, તો પોલીસ ત્યાં શું કરી રહી હતી? જો કોઈ જવાબદાર નથી, તો ૧૦૦થી વધુ ઘરોનો કાટમાળ કોની જવાબદારી છે? દરેક જવાબ પાછળ એક નવો સવાલ છેનાસીરનગર આજે એક ક્રાઇમ થ્રિલરની અધૂરી ફાઇલ જેવું લાગે છે. ઘટનાસ્થળ છે, સાક્ષીઓ છે, નુકસાન અને પરિણામ છે.માત્ર એક વસ્તુ ગાયબ છે. આદેશ કોણે આપ્યો ? ઘરો તોડનાર બુલડોઝર તો દેખાઈ ગયા પરંતુ બુલડોઝરની પાછળનો અદૃશ્ય હાથ આખરે કોનો હતો?

ડિમોલિશનની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. જેમાં બાકી બચેલા ઘરોને તોડવા પર સ્ટે મૂકવા અને ઘરવિહોણા પરિવારો માટે વિકલ્પિક વ્યવસ્થાની માગ કરાય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)
(તસવીરો – ધર્મેશ જોશી)

PoKમાં લોહિયાળ સંઘર્ષઃ 150થી વધુ લોકોના મોતનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો સાથે થયેલા હિંસક સંઘર્ષમાં 150થી વધુ લોકોનાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર દોડાવી-દોડાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આંદોલનનું નેતૃત્વ કરતી જોઇન્ટ અવામી એક્શન કમિટીએ આરોપ લગાવ્યો છે કે સેનાએ રાવલકોટમાં એક જનાજામાં સામેલ થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.

પ્રદર્શનની ચેતવણી શા માટે આપવામાં આવી?

અહેવાલો મુજબ શાહઝેબના જનાજામાં હાજર લોકો પાકિસ્તાની સેના અને શહબાઝ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કર્યો હતો. કમિટીના આરોપ મુજબ સુરક્ષા દળો મૃત્યુ પામેલા પ્રદર્શનકારીઓના મૃતદેહો પણ પોતાની સાથે લઈ ગયા હતા.

જોઇન્ટ અવામી એક્શન કમિટીએ આજે મોટા પાયે પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી. તે પહેલાં જ સેનાએ 27 લોકોને ગોળી મારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે કમિટીના નેતા શૌકત નવાઝ મીરને દેખતાં જ ગોળી મારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે તેમણે શહબાઝ સરકાર વિરુદ્ધ મોટા પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મસ્જિદોમાંથી કરવામાં આવી રહી છે જાહેરાતો

જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટીના સમર્થકો રાવલકોટની મસ્જિદોમાંથી સતત જાહેરાતો કરી રહ્યા છે કે કાશ્મીર પર વિદેશી શક્તિઓએ હુમલો કર્યો છે. આ જાહેરાતોમાં લોકોને મોટી સંખ્યામાં બહાર આવીને વિરોધ કરવા અને સામનો કરવા અપીલ કરવામાં આવી રહી છે. લોકો ભેગા ન થાય તે માટે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ (ઇન્ટરનેટ બ્લેકઆઉટ) કરી દેવામાં આવી છે.

પાકિસ્તાનની નીતિઓ પર પ્રશ્નો

પાકિસ્તાને બે અલગ મોરચા ખોલી દીધા છે – એક ગિલગિત-બાલ્ટિસ્તાનમાં અને બીજો આઝાદ કાશ્મીરમાં. બંને વિસ્તારોમાં સરકારની ટીકા કરનાર લોકોને “ભારતીય એજન્ટ” ગણાવી દેવામાં આવે છે.

હિંસા કેમ ભડકી?

પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં જુલાઈ મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં અહીંના લોકો વિસ્તારને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ આપવાની માગ કરી રહ્યા છે. આ વિસ્તાર લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ અને રાજકીય અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે.

ભારતે ઇતિહાસમાં પહેલીવાર 12 પરમાણુ હથિયારો કર્યા ઓપરેશનલ તૈનાત!

વૈશ્વિક સ્તરે હથિયારોના ભંડાર અને સૈન્ય ક્ષમતાઓનું મૂલ્યાંકન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (SIPRI) ના તાજા વાર્ષિક અહેવાલે પાકિસ્તાન અને ચીન સહિત સમગ્ર સંરક્ષણ ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારતે પોતાની સંરક્ષણ વ્યુહરચનામાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. ભારતે પોતાના કુલ પરમાણુ ભંડારમાંથી ઓછામાં ઓછા 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ એટલે કે યુદ્ધના મોરચે હમેશાં વાપરવા માટે તૈયાર હોય તે રીતે સૈન્ય પ્લેટફોર્મ પર તૈનાત કરી દીધા છે.

આ તૈનાતીનો અર્થ એ છે કે ભારતીય યુદ્ધપોતો, પરમાણુ સબમરીન અથવા વાયુસેનાના વિશેષ એરબેઝ પર આ હથિયારોને ડિલિવરી સિસ્ટમ (મિસાઈલ કે લડાયક વિમાન) સાથે કનેક્ટ કરીને રાખવામાં આવ્યા છે. જો કોઈ દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાની નાપાક કોશિશ કરશે, તો ભારત સેકન્ડોના ગણતરીના સમયમાં જ અણુ વળતો પ્રહાર (સેકન્ડ સ્ટ્રાઈક) કરવાની અત્યંત ઘાતક ક્ષમતા ધરાવે છે.

પરમાણુ હથિયારોની જૂની વ્યવસ્થામાં મોટો બદલાવ

SIPRI ના રિપોર્ટ અનુસાર, અગાઉના દાયકાઓમાં એવું માનવામાં આવતું હતું કે શાંતિના સમયમાં ભારત પોતાની પરમાણુ નીતિ હેઠળ વોરહેડ્સ (અણુ બોમ્બ) અને તેને લઈ જનારી મિસાઈલો અથવા લોન્ચર્સને અલગ-અલગ ગુપ્ત સ્ટોરેજમાં રાખે છે. પરંતુ આ વખતે પ્રથમવાર ભારતના હથિયારોને ‘સ્ટોકપાઈલ’ (માત્ર ભંડાર) ના બદલે ‘ઓપરેશનલ તૈનાતી’ ની શ્રેણીમાં દર્શાવવામાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારત દ્વારા મિસાઈલોને કૅનિસ્ટર (Canisterized) માં સુરક્ષિત રાખવાની અને સમુદ્રમાં ઘાતક ગશ્ત વધારવાની ટેકનોલોજી એ સાબિત કરે છે કે ભારત હવે શાંતિના સમયમાં પણ હથિયારોને લોન્ચર સાથે જોડીને રાખવાની દિશામાં ઘણું આગળ વધી ચૂક્યું છે.

ભારત પાસે 190 અણુબોમ્બ: પાકિસ્તાન પાછળ છૂટ્યું

અહેવાલમાં સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ વોરહેડ્સ ઉપલબ્ધ છે. તેમાંથી 12 વોરહેડ્સ સંપૂર્ણ એક્ટિવ મોડમાં છે. બીજી તરફ, પાકિસ્તાન પાસે કુલ 170 પરમાણુ વોરહેડ્સ છે, પરંતુ તેમાંથી એક પણ હથિયાર અત્યારે ઓપરેશનલ તૈનાતીની સ્થિતિમાં નથી. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત હવે પાકિસ્તાનની સરખામણીએ ઘણી વધારે ઝડપથી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોતાના પરમાણુ કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે અને સંરક્ષણ પાછળ મોટો ખર્ચ પણ કરી રહ્યું છે.

સમુદ્રની અંદરથી રક્ષા કવચ: INS અરિઘાત અને INS અરિદમન સક્રિય

SIPRI ના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2024 થી ભારતીય નૌસેનાએ પરમાણુ મિસાઈલોથી સજ્જ પોતાની બે સૌથી આધુનિક સબમરીન INS Arighat અને INS Aridaman ને સંપૂર્ણપણે ઓપરેશનલ કરી દીધી છે. આ બંને સબમરીન સમુદ્રની અંદર મહિનાઓ સુધી છુપાઈને રહી શકે છે અને તેમને ‘ડિટરન્સ પેટ્રોલ’ (સુરક્ષા અને જવાબી ક્ષમતા જાળવી રાખતી ગશ્ત) માટે લીલી ઝંડી મળી ચૂકી છે. ભારતની “નો ફર્સ્ટ યુઝ” (પહેલા હુમલો ન કરવાની) સત્તાવાર નીતિ હોવાથી, આ સબમરીનનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનના કોઈપણ પરમાણુ હુમલા બાદ તેના આખા દેશને નેસ્તનાબૂદ કરવાનો છે.

પરમાણુ હથિયારો પર વૈશ્વિક ખર્ચનો નવો રેકોર્ડ

ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN) ના અહેવાલ મુજબ, વર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારો પર અત્યાર સુધીનો સૌથી રેકોર્ડબ્રેક ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વએ અણુ હથિયારો પાછળ કુલ 119 અબજ ડોલરનો ધુમાડો કર્યો છે.

કયા દેશે કેટલો પરમાણુ ખર્ચ કર્યો? (બજેટ આંકડા):

દેશનું નામ પરમાણુ હથિયારો પર સૈન્ય ખર્ચ (ડોલરમાં)

અમેરિકા (USA) 69.2 અબજ ડોલર
ચીન (China) 13.5 અબજ ડોલર
યુનાઇટેડ કિંગડમ (UK) 12.6 અબજ ડોલર
રશિયા (Russia) 9.5 અબજ ડોલર
ફ્રાન્સ (France) 7.7 અબજ ડોલર
ભારત (India) 2.8 અબજ ડોલર
પાકિસ્તાન (Pakistan) 1.5 અબજ ડોલર
ઈઝરાયેલ (Israel) 1.2 અબજ ડોલર
ઉત્તર કોરિયા (North Korea) 656 મિલિયન ડોલર

સર રતન ટાટા ટ્રસ્ટમાં વિવાદઃ મેહલી મિસ્ત્રીએ દાખલ કરી અરજી

મુંબઈઃ મેહલી મિસ્ત્રીએ (Mehli Mistry) સર રતન ટાટા ટ્રસ્ટ (Sir Ratan Tata Trust)ના ટ્રસ્ટી તરીકે પોતાના કાર્યકાળનું નવીનીકરણ (રિન્યુઅલ) ન કરવાના નિર્ણયને પડકાર્યો છે. આ મુદ્દે તેમણે મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ અરજી દાખલ કરી છે. મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટની ગવર્નન્સ, હિતોના સંઘર્ષ (Conflict of Interest) અને નિર્ણય પ્રક્રિયા (Decision-Making) અંગે પણ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 22 હેઠળ વિગતવાર વાંધો નોંધાવ્યો છે. તેમણે રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને કેટલાક ટ્રસ્ટીઓની નિમણૂકોની તપાસ કરવાની માગ કરી છે.

શું છે  મામલો?

ચોથી જૂને દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 17 ઓક્ટોબર, 2024એ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો હેતુ હાલની ગવર્નન્સ વ્યવસ્થા જાળવવા માટે ટ્રસ્ટીઓની પુનઃનિમણૂક કરવાનો હતો. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે તેમના મામલામાં આ સર્વસંમતિનો અમલ કરવામાં આવ્યો નહોતો અને તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો નહોતો. તેમને મતે આ નિર્ણય મનસ્વી હતો અને રતન ટાટાના નિધન બાદ ટ્રસ્ટોમાં સ્થિરતા અને સતતતા જાળવવાના ઉદ્દેશ સાથે પસાર કરાયેલા ઠરાવની ભાવના વિરુદ્ધ હતો. આ અરજીમાં માત્ર ટ્રસ્ટીઓની નિમણૂકો અંગે જ નહીં પરંતુ ટાટા ટ્રસ્ટ્સની વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મેહલી મિસ્ત્રીનો આરોપ છે કે કેટલાક ટ્રસ્ટીઓને ટ્રસ્ટી અને નોમિની ડિરેક્ટર તરીકે કામ કરતી વખતે ટાટા ગ્રુપની કંપનીઓમાંથી નાણાકીય લાભ મળ્યો હતો.

આ અરજીમાં જણાવાયું છે કે ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસનને ટાટા ગ્રુપની કંપનીઓ — ટાટા સન્સ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, ટાટા લૉકહીડ માર્ટિન એરોસ્ટ્રક્ચર્સ અને ટાટા સિકોર્સ્કી એરોસ્પેસ — પાસેથી અનેક વર્ષોમાં મળીને રૂ. 20 કરોડથી વધુની ચુકવણી અને કમિશન મળ્યાં હતાં. મેહલી મિસ્ત્રીએ આ મામલે ફિડ્યુશિયરી (ન્યાસી) અને વહીવટી દૃષ્ટિકોણથી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

હિંમતનગરમાં કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરના મોત

સાબરકાંઠા: હિંમતનગરના હાથરોલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.માહિતી અનુસાર, ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઇવે પર મુસાફરો ભરીને રિક્ષા જઈ રહી હતી. હાથરોલ ગામ નજીક રિક્ષાચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે જ ટર્ન લેવાનો પ્રયાસ કરતા રિક્ષા, સામેથી આવી રહેલી એક કારની અડફેટે આવી ગઈ હતી. કાર અને રિક્ષા વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત, અકસ્માતમાં કારચાલક સહિત અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાણ થતાં જ ગાંભોઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પરથી સસ્પેન્સ ખતમ

અફઘાનિસ્તાન સામે આગામી 13 જૂનથી શરૂ થનારી વનડે સિરીઝ (ODI Series) પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના વરિષ્ઠ ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઈને ચાલી રહેલું સસ્પેન્સ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના મેડિકલ સ્ટાફ અને ફિઝિયોએ આ બંને દિગ્ગજ ખેલાડીઓને સંપૂર્ણપણે ફિટ જાહેર કરીને સિરીઝ રમવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

હાર્દિક પંડ્યાએ ફેંકી પૂરી ૧૦ ઓવર, ફિટનેસ પેરામીટર્સ પાસ

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2026 (IPL 2026) માં મુંબઈ ઇન્ડિયન્સની સફર સમેટાયા બાદ રજાઓ ગાળવા માટે વિદેશ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ 2 જૂનના રોજ બેંગલુરુ સ્થિત CoE ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘણા દિવસો સુધી હાઈ-ઇન્ટેન્સિટી મેચ સિમ્યુલેશન સેશનમાં ભાગ લીધો હતો. આ સેશન દરમિયાન હાર્દિકે મેચની જેમ જ નેટ્સમાં પૂરેપૂરી 10 ઓવર બોલિંગ કરી હતી અને આ દરમિયાન તેમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા કે દુખાવો થયો નહોતો. BCCI ના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ દ્વારા હાર્દિકની ફિટનેસ સાથે જોડાયેલા તમામ કડક માપદંડોને મંજૂરી આપી દેવામાં આવી છે અને તેઓ હવે ઇન્ટરનેશનલ મેચ રમવા માટે બિલકુલ તૈયાર છે.

હેમસ્ટ્રિંગની ઈજામાંથી ઉભર્યા રોહિત શર્મા: મળ્યું RTP

બીજી તરફ, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ હાર્દિક પંડ્યા બાદ ફિટનેસ ટેસ્ટ આપવા માટે બેંગલુરુ પહોંચ્યા હતા. આઈપીએલ 2026 દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગ (પગના સ્નાયુ) ની ઈજા થઈ હતી, જેના કારણે તેઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કેટલીક મેચો રમી શક્યા નહોતા અને મોટાભાગની મેચોમાં તેઓ માત્ર ઈમ્પેક્ટ પ્લેયર (Impact Player) તરીકે જ મેદાન પર ઉતર્યા હતા. જો કે, વિસ્તૃત મેડિકલ તપાસ અને રિહેબિલિટેશન બાદ રોહિત શર્માને પણ ડૉક્ટરો દ્વારા RTP એટલે કે ‘રિટર્ન ટુ પ્લે’ (ફરીથી મેદાન પર ઉતરવાની મંજૂરી) નું સર્ટિફિકેટ આપી દેવાયું છે. રિપોર્ટ અનુસાર, રોહિત અને હાર્દિક મુલ્લાંપુરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જોડાય, પરંતુ તેઓ સીધા હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે પહોંચશે, જ્યાં 13 જૂને સિરીઝની પ્રથમ વનડે મેચ રમાવાની છે.

વિરાટ કોહલી આઉટ, ટૅલેન્ટેડ યશસ્વી જયસ્વાલની સરપ્રાઈઝ એન્ટ્રી

આ ખુશીના સમાચાર વચ્ચે ભારતીય ટીમને એક મોટો આંચકો પણ લાગ્યો છે. રન-મશીન વિરાટ કોહલી (Virat Kohli) અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયા છે. વિરાટ કોહલીને આઈપીએલ 2026 ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ગંભીર ઈજા થઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે શાનદાર બેટિંગ કરતા અણનમ 75 રનની ઇનિંગ રમી હતી. મેડિકલ ટીમની ગણતરી મુજબ વિરાટ કોહલી અફઘાનિસ્તાન સિરીઝ સુધી ફિટ થઈ શકે તેમ ન હોવાથી, ભારતીય પસંદગીકારોએ તેમના સ્થાને યુવા અને વિસ્ફોટક બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ને ટીમમાં સામેલ કર્યો છે. આશા છે કે કોહલી આગામી ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ વનડે સિરીઝ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

બેટિંગ ઓર્ડરનું નવું ગણિત: કયા નંબરે રમશે જયસ્વાલ?

યશસ્વી જયસ્વાલની ટીમમાં એન્ટ્રી થતાં જ હવે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ યુવા ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના બેટિંગ ઓર્ડરમાં કયા સ્થાને મોકો મળશે. જયસ્વાલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક નેચરલ (સ્વાભાવિક) ઓપનર બેટ્સમેન છે. જો કે, ભારતીય વનડે ટીમમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ જોડીદાર તરીકે ઇશાન કિશન (Ishan Kishan) પહેલાથી જ સ્થાપિત છે. આવી સ્થિતિમાં કિંગ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન અને કોચ યશસ્વી જયસ્વાલને નંબર 3 ના અત્યંત મહત્વના સ્થાન પર બેટિંગ માટે અજમાવી શકે છે.

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ક્રોસ-વોટિંગનો ડર

ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 18 જૂને થનારા મતદાનમાં ક્રોસ-વોટિંગ ટાળવા અને પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા કોંગ્રેસે તેમને કર્ણાટક મોકલવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંધારે જણાવ્યું હતું કે પાર્ટીના તમામ ધારાસભ્યોને કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં લઈ જવામાં આવશે, કારણ કે ભાજપ (BJP) તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ છે.

બધા ધારાસભ્યો બેંગલુરુ જઈ રહ્યા છે

સૌંસરના ધારાસભ્ય વિજય રેવાનાથ ચૌરેએ પણ જણાવ્યું હતું કે તમામ ધારાસભ્યો ભોપાલથી બેંગલુરુ જઈ રહ્યા છે. તેમણે પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોની ખરીદ-વેચાણ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેથી પાર્ટીના ટોચના નેતાઓએ તમામ ધારાસભ્યોને એકસાથે કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

ત્રણ બેઠકો માટે ચૂંટણી

મધ્ય પ્રદેશમાં ખાલી થયેલી ત્રણ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. તેમાંની બે બેઠકો પર ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે સંખ્યાબળને આધારે ત્રીજી બેઠક પર કોંગ્રેસનું પલ્લું ભારે છે. તેમ છતાં સત્તારૂઢ ભાજપે ત્રીજી બેઠક પર પણ ઉમેદવાર ઉતારીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો છે.

ભાજપ ત્રીજી બેઠક કેવી રીતે જીતી શકે?

ભાજપે પોતાની બે મુખ્ય બેઠકો માટે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચૂઘ અને રાજ્ય એકમના સચિવ રજનીશ અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ત્રીજી બેઠક માટે મધ્ય પ્રદેશ માછીમાર કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યાં છે, જેમનો સીધો મુકાબલો મહેશ કેવટ સાથે થવાનો છે.

આંકડાઓનું ગણિત

હાલમાં મધ્ય પ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં 229 સભ્યો છે. તેમાં ભાજપના 164, કોંગ્રેસના 64 અને ભારત આદિવાસી પાર્ટીના 1 ધારાસભ્ય છે.

જીત માટે 58 મત જરૂરી

રાજ્યસભાની ત્રણેય બેઠકો માટે દરેક ઉમેદવારને જીતવા માટે 58 મત જરૂરી છે. આ પ્રમાણે બે બેઠકો જીતવા માટે ભાજપને 116 મતોની જરૂર પડશે. ભાજપ પાસે કુલ 164 મત હોવાથી 116 મત આપ્યા બાદ તેની પાસે 48 મત બચશે. ત્રીજી બેઠક જીતવા માટે તેને કુલ 58 મત જોઈએ, એટલે કે 10 વધારાના મતોની જરૂર પડશે.