Home Blog Page 7

વાઈબ્રન્ટ નવરાત્રિ: સૌથી લાંબો ભવ્ય નૃત્ય મહોત્સવ

અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024ની ઉજવણી માટે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ‘ચાલો ઉજવીએ, વિશ્વનો સૌથી લાંબો અને સૌથી ભવ્ય નૃત્ય મહોત્સવ’ના બોર્ડ ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ઠેર-ઠેર મૂકવામાં આવ્યા છે.

આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘જયમાં આદ્યશક્તિ’ થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ટ્રેડિશનલ પહેરવેશ સાથેના ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો મંચ પરથી પરફોર્મ કરશે. મંચ પરના જાણીતા કલાકારોની પ્રસ્તુતિથી રાસ ગરબાના રસિયા ઝૂમી ઉઠશે.

આ સાથે આ મહોત્સવમાં થીમ પેવલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી, થીમેટિક ગેટ્સ, વિવિધ ઈનસ્ટોલેશનની મજા લોકો માણી શકશે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

5 ઓક્ટોબરે આવશે ખેડૂતોના ખાતામાં રૂ. 2000 નો હપ્તો

ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. નાના અને સીમાંત ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમનો 18મો હપ્તો 5 ઓક્ટોબર, 2024ના રોજ આવશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. આશરે 9.5 કરોડ ખેડૂત લાભાર્થીને તેનો લાભ મળશે.

લાભાર્થી ખેડૂતના ખાતામાં હપ્તાની રકમ જમા થશે કે નહીં આ રીતે ચેક કરો

  • સૌ પ્રથમ આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીંયા તમને Know Your Status ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
  • આ પછી તમારે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. જો આ નંબર ન હોય તો Know Your Registration પર ક્લિક કરીને જાણી લો અને બાદમાં રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • કેપ્ચા કોડ ભર્યા બાદ ગેટ ડિટેલ બટન જોવા મળશે, જેના પર ક્લિક કરવું પડશે.
  • આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.
  • જેના પરથી તમને હપ્તાનો લાભ મળશે કે નહીં તે જાણી શકાશે.

સેન્સેક્સ 1769 પોઇન્ટ તૂટ્યોઃ બે મહિનાનો સૌથી મોટો ઘટાડો

અમદાવાદઃ મધ્ય-પૂર્વમાં ટેન્શનને કારણે ઘરેલુ શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. આ સાથે સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્સના નવા નિયમોની અસરને લીધે બજારમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી અને બેન્ક નિફ્ટી બે ટકા જેટલા તૂટ્યા હતા. બજારમાં છેલ્લા બે મહિનામાં આ સૌથી મોટો ઘટાડો થયો હતો.  મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ આશરે બે ટકા તૂટ્યા હતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

બજારમાં ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી બેન્ક, એનર્જી અને ઇન્ફ્રા સહિત બધા 13 સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. મોટા ભાગના ઇન્ડેક્સ બે-ત્રણ ટકા તૂટ્યા હતા. વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા VIXમાં પણ 13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી સેન્સેક્સ 1769.19 પોઇન્ટ તૂટીને 82,497.10ની સપાટી બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 546.80 પોઇન્ટ તૂટીને 252,250.10ના મથાળે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 1077.40 તૂટીને 51,845.20ના મથાળે બંધ આવ્યો હતો.

માર્કેટ વોચ ડોગ સેબી તરફથી F&Oના નવા નિયમોની જાહેરાત પછી ટ્રેડિંગ વોલ્યુમ ઘટવાની આશંકા છે. આ ઉપરાંત વીકલી એક્સપાયરીના કોન્ટ્રેક્ટની સાઇઝ અને લિમિટ વધવાને કારણે રિટેલ ભાગીદારી ઘટવાની આશંકા છે. એનાથી બજારની લિક્વિડિટી પર અસર પડશે. આ ઉપરાતં FII ભારતીય બજારોમાં વેચવાલી કરી રહ્યા છે. વળી ચીનની કેન્દ્રીય બેન્કે અર્થતંત્રને મંદીના સંકટમાંથી બહાર કાઢવા માટે રાહત પેકેજનું એલાન કર્યું છે, જે પછી ચીનના શેરબજારમાં તેજી જોવા મળી છે. જેથી FII ચીનનું વેલ્યુએશન આકર્ષ લાગતાં તેઓ ચીન તરફ મૂડીરોકાણ વાળી રહ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યું છે અને હજી વધવાની આશંકા છે.

BSE એક્સચેન્જ પર કુલ 4076 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1120 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2866 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 90 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 313 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 284 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી ‘ધ દિલ્હી ફાઇલ્સ’ લાવશે વિવેક અગ્નિહોત્રી

મુંબઈ: ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી હંમેશા તેમની ફિલ્મો દ્વારા હેડલાઇન્સ બનાવવા માટે જાણીતા છે. તે પોતાની ફિલ્મો દ્વારા વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવે છે અને હલચલ મચાવે છે.’ધ તાશ્કંદ ફાઇલ્સ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સીન વોર’ જેવી સફળ ફિલ્મો કર્યા પછી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા તેની આગામી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ સાથે બીજી રસપ્રદ વાર્તા કહેવા માટે તૈયાર છે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી સમાચારોમાં સ્થાન બનાવી ચુકી છે. આ સિવાય ફિલ્મ નિર્માતાએ તેની ટીમ સાથે મળીને તેને અનોખું બનાવવા માટે લાંબું અને સઘન સંશોધન કર્યું છે.

આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે

આ ફિલ્મ માટે અગ્નિહોત્રીએ ફરીથી નિર્માતા અભિષેક અગ્રવાલ સાથે હાથ મિલાવ્યો છે, જેમણે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી અને બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું. હવે નિર્માતાઓએ ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની રિલીઝ ડેટ જાહેર કરી છે, જે બે ભાગમાં બનશે. ત્યારે તેણે ખુલાસો કર્યો છે કે ‘ધ દિલ્હી ફાઇલ્સ – ધ બંગાળ ચેપ્ટર’ 15 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થશે.

સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી

વિવેક રંજન અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને ‘ધ દિલ્હી ફાઇલ્સ – ધ બંગાળ ચેપ્ટર’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે,’તમારા કેલેન્ડરને 15 ઓગસ્ટ, 2025 તરીકે માર્ક કરો. ઘણા વર્ષોના સંશોધન પછી દિલ્હી ફાઇલ્સની વાર્તા એક ભાગ માટે ખૂબ શક્તિશાળી છે. અમે તમારા માટે ધ બંગાળ ચેપ્ટર લાવવા માટે ઉત્સાહિત છીએ – બે ભાગોમાંનો પહેલો ભાગ જે આપણા ઈતિહાસના એક મહત્વપૂર્ણ પ્રકરણને ઉજાગર કરે છે.

ફિલ્મ માટે ઊંડું સંશોધન કરવામાં આવ્યું

વિવેક રંજન અગ્નિહોત્રીએ તેમની ફિલ્મ માટે ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટે લાંબી મુસાફરી કરી છે. કેરળથી કોલકાતા અને દિલ્હી સુધી અલગ-અલગ જગ્યાએ જઈને માહિતી એકઠી કરી હતી. તેમણે 100 થી વધુ પુસ્તકો અને 200 લેખો વાંચ્યા, જે તેમની ફિલ્મની સ્ક્રિપ્ટને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ સિવાય તેમણે અને તેમની ટીમે 20 રાજ્યોમાં પ્રવાસ કર્યો અને 7000 થી વધુ સંશોધન પૃષ્ઠો અને 1000 થી વધુ આર્કાઇવ લેખોનો અભ્યાસ કર્યો, જે તેમની ફિલ્મને વધુ અસરકારક બનાવવામાં મદદ કરશે.

ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપને મોટો ફટકો

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સિરસાના પૂર્વ સાંસદ અશોક તંવર ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તંવર ગુરુવારે મહેન્દ્રગઢમાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પહેલા તેઓ ભાજપના નેતા હતા.

ગુરુવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેઓ મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ભાગ બન્યા. સૌથી રસપ્રદ વાત એ છે કે આ એ જ અશોક તંવર છે, જેઓ ભાજપમાંથી (લોકસભા ચૂંટણીમાં સિરસા બેઠક પરથી) કોંગ્રેસની દલિત નેતા કુમારી સેલજા સામે ચૂંટણી લડ્યા હતા. અશોક તંવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને તેમણે 2019માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

‘મધ્ય પૂર્વમાં જે થઈ રહ્યું છે તે સામૂહિક નરસંહાર…’ : કતાર

આ સમયે સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વ પર છે. ગનપાઉડરના ઢગલા પર બેઠેલું, મધ્ય પૂર્વ હાલમાં ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ઈઝરાયેલ હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન સામે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે તો બીજી તરફ લેબેનોન અને ઈરાન તરફથી ઈઝરાયેલ પર સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કતારના અમીરે આકરી પ્રતિક્રિયા આપી છે.


કતારના અમીર શેખ તમીમ બિન હામિદ અલ થાનીએ કહ્યું છે કે હાલમાં મધ્ય પૂર્વમાં જે થઈ રહ્યું છે તે સામૂહિક નરસંહાર છે. ગાઝાપટ્ટીમાં જે રીતે હુમલા થઈ રહ્યા છે તે લોકોના રહેવા માટે અયોગ્ય બની ગયા છે. આવી સ્થિતિમાં યુદ્ધવિરામ માટે ગંભીર પ્રયાસોની જરૂર છે અને અમે તે માટે હાકલ કરીએ છીએ.

કતારના અમીરે ઈઝરાયલની નિંદા કરતા કહ્યું કે લેબનીઝ વિસ્તારમાં ઈઝરાયેલની ઘૂસણખોરી અને હુમલા તાત્કાલિક બંધ કરવા જોઈએ. શાંતિ સ્થાપ્યા વિના સુરક્ષા પૂરી પાડી શકાય નહીં. તેમણે દોહામાં એશિયા કોઓપરેશન ડાયલોગ સમિટમાં લેબેનોન પર ઈઝરાયેલના હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયેલ લેબનોનમાં હવાઈ હુમલા કરી રહ્યું છે અને ત્યાં જમીન પર હુમલા કરી રહ્યું છે, જે યોગ્ય નથી.

ઈઝરાયેલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારનો આરોપ છે પરંતુ તે તેનો વિરોધ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના હુમલામાં ગાઝાના 41,500 થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ અઠવાડિયે ઇઝરાયેલે હિઝબુલ્લાહની કમર તોડવા માટે લેબનોનમાં ઝડપી હુમલા કર્યા, ત્યારબાદ ઇરાને પણ ઇઝરાયેલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા.

દાહોદ પોલીસે તોડ્યો રેકોર્ડ, નરાધર્મ આચાર્ય સામે 12માં ચાર્જશીટ રજૂ

દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થિની પર શાળાના આચાર્યએ જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રિમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલ્લેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાંથી 19મી સપ્ટેમ્બરે ધોરણ 1ની વિદ્યાર્થિનીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સવારે શાળાએ ગયા બાદ બાળકી પરત ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયા તો શાળા બંધ હતી. શાળાની અંદર જઈ તપાસ કરતા ક્લાસરૂમની પાછલના ભાગેથી લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

બનાવ બન્યા બાદ શરૂઆતમાં આચાર્યએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્ચની વાતો પોલીસને ગળે ન ઊતરતાં તેના મોબાઈલ ફોનનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું. જેમાં કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યુ કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલાં કરતાં બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી બાળકીનું મોઢું દબાવી દેતાં બાળકી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દીવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધાં હતાં.

દાહોદ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં પોલીસે રેકોર્ડબ્રેક 12 દિવસમાં જ આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી છે. આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે દાહોદ પોલીસ દ્વારા 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી બચી ન શકે તે માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કર્યા છે. FSLની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિકોલોજી, વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી, એપીથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે.

સપ્તરંગ આર્ટ સ્ટુડિયોએ મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં રંગ ભર્યા

અમદાવાદ: શહેરના સપ્તરંગ આર્ટ સ્ટુડિયો સાથે જોડાયેલા ક્રિનલ શાહ અને તેમના પરિવાર તેમજ વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (ઇન્ડિયા) દ્વારા સંચાલિત ડો. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટની મુલાકાત લીધી.

ક્રિનલબેન અને તેમના વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ કરતાં બાળકો સાથે સમય પસાર કર્યો, તેમની સાથે પેઈન્ટિંગ બનાવ્યા, ગરબા કર્યા અને ઊજાણી કરતા બાળકોના મન પ્રસન્ન થઈ ગયા.

સામાન્ય બાળક કરતા મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ રાખવી અને તેમને શિક્ષણ આપવું ખૂબ કઠિન કાર્ય છે. ત્યારે ડો. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટ આ કામ કરે છે. સાથે જ તેઓ આ બાળકો પગભર બને તે પ્રકારના પ્રયાસો પણ કરે છે. ડૉ. જીત મહેતા બાલશાળાના કો-ઓર્ડિનેટર સંગીતાબહેન પટેલે જણાવ્યું કે, ક્રિનલબહેન અને તેમના વિદ્યાર્થીઓએ બાળકો સાથે જે આર્ટ વર્ક કર્યું તેનાથી બાળકોને ખુબ જ મજા આવી.

ડૉ. જીત મહેતા બાલશાળા ટ્રસ્ટમાં બાળકોને ભણાવવાની સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, આઉટડોર સ્પોર્ટ્સ, ડાન્સ, સિંગિંગ, ડ્રોઈંગ, કલ્ચરલ એક્ટિવિટી, મ્યુઝિક, ફેસ્ટિવલ સેલિબ્રેશન, પ્લે થેરાપી, પિકનિક જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેવા સમયે ક્રિનલબહેન જેવાં લોકો જ્યારે આ બાળકોની વચ્ચે આવીને તેમની સાથે સમય પસાર કરે છે, અવનવી એક્ટિવિટિસ કરાવે છે ત્યારે ખરેખર તે દિવસ આ બાળકોના જીવનનો યાદગાર દિવસ બની જાય છે.

આજથી મહિલા T20 વર્લ્ડ કપ, ભારત પ્રબળ દાવેદાર

મહિલા T20 વર્લ્ડ કપનો ઉત્સાહ ફૂટવા માટે તૈયાર છે. યુએઈમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલા આ વર્લ્ડ કપમાં કોઈ નવો વિજેતા બનશે કે કેમ તે જોવાનું બાકી છે કે પછી છેલ્લા ત્રણ વખતથી વિજેતા ઓસ્ટ્રેલિયા પોતાનો દબદબો જાળવી રાખશે. અત્યાર સુધી યોજાયેલા કુલ આઠ T20 વર્લ્ડ કપમાં માત્ર ઓસ્ટ્રેલિયા છ વખત અને ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ એક-એક વખત વિજેતા બન્યું છે. ભારત સહિત અન્ય કોઈ દેશ અત્યાર સુધી T-20 ચેમ્પિયન બન્યો નથી. જો કે આ વખતે ઓસ્ટ્રેલિયાનો રસ્તો સરળ માનવામાં આવતો નથી. તેની સામે સૌથી મોટો પડકાર ભારતીય ટીમનો સામનો કરવાનો રહેશે.

બંને પ્રેક્ટિસ મેચ આસાનીથી જીતીને હરમનપ્રીત કૌરની ટીમે આ વર્લ્ડ કપ માટે મજબૂતીથી પોતાનો દાવો દાખવ્યો છે. ભારતીય ટીમ 2020માં માત્ર એક જ વાર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ અને શારજાહમાં યોજાનારી વર્લ્ડ કપની મેચોને કારણે આ વખતે ભારતને વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. અહીંની પીચો સ્પિનરોની તરફેણ કરે છે અને ભારત વિશ્વમાં શ્રેષ્ઠ સ્પિન આક્રમણ ધરાવે છે.

ભારતીય ટીમ ઘણી અનુભવી

આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી, પરંતુ ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને કારણે ICCએ અંતિમ ક્ષણે તેને UAEમાં યોજવાનું નક્કી કર્યું. તાજેતરના સમયમાં જો કોઈ ટીમે ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ પરેશાન કર્યું હોય તો તે ભારત છે. જોકે હરમનપ્રીત કૌરની ટીમ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ અને 2020 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, પરંતુ આ વખતે ભારત સ્પિનરોને અનુકૂળ પીચોને કારણે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારતીય ટીમમાં હવે અનુભવની કમી નથી. હરમનપ્રીત કૌરે 35 વર્લ્ડ કપ મેચો, સ્મૃતિ મંધાના 21, દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સ 15-15 T20 વર્લ્ડ કપ મેચ રમી છે. આ સિવાય વિસ્ફોટક રિચા ઘોષ, શેફાલી વર્માએ પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે.

ગ્રુપ A:

ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ

ગ્રુપ બી:

ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ

હરમનપ્રીતની કેપ્ટનશીપ દાવ પર લાગશે

ભારતીય ટીમનું નુકસાન એ છે કે તેણે તાજેતરના સમયમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચો રમી નથી. તે T-20 એશિયા કપની ફાઇનલમાં પણ શ્રીલંકા સામે આઠ વિકેટે હાર્યું હતું. હરમનપ્રીત કૌર માટે આ ટૂર્નામેન્ટ ઘણી મહત્વની છે. જો તે અહીં ટીમને વિજેતા નહીં બનાવી શકે તો તેની કેપ્ટન્સી પણ જોખમમાં આવી શકે છે. તે 2018 T20 વર્લ્ડ કપથી ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. છેલ્લા ત્રણ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક વખત ફાઇનલમાં અને બે વખત સેમિફાઇનલમાં પહોંચી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા એક જ ગ્રુપમાં

આ વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એક જ ગ્રુપ Aમાં છે. ઓસ્ટ્રેલિયા એક એવી ટીમ હશે જેને હરાવવી કોઈપણ ટીમ માટે પડકારરૂપ બની રહેશે. એલિસા હીલીની કપ્તાની હેઠળ રમી રહેલી ઓસ્ટ્રેલિયા પાસે એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, ગ્રેસ હેરિસ જેવા ગુણવત્તાયુક્ત ઓલરાઉન્ડર છે. તેમની પાસે ટેલા વ્લામિંક અને ડોર્સી બ્રાઉન જેવા ઝડપી બોલરો પણ છે. ગ્રુપ Aમાં મજબૂત ટીમો છે. શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનમાં પણ કોઈને હરાવવાની તાકાત છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ગ્રુપ બીમાં ઈંગ્લેન્ડ મજબૂત માનવામાં આવે છે. તેમની પાસે નેટ શિવર્સ બ્રન્ટ જેવા ઓલરાઉન્ડર અને સોફી એક્લેસ્ટન, ચાર્લી ડીન, સારાહ ગ્લેન જેવા સ્પિનરો પણ છે. એશિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ઈંગ્લેન્ડ પણ ઉત્સાહિત છે.

T-20 વર્લ્ડ કપ વિજેતા

  • ઓસ્ટ્રેલિયા – છ વખત
  • ઈંગ્લેન્ડ – એક વખત
  • વેસ્ટ ઈન્ડિઝ-એક વખત