Home Blog Page 8

યસ બેન્કે ઓલિમ્પિક એસોસિયેશન સાથે રિટેલ બેન્કિંગ ભાગીદારી કરી

મુંબઈઃ દેશની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્કોમાંની એક યસ બેન્કે આજે જાહેરાત કરી છે કે તે વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર મુખ્ય ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લેનારી ટીમ ઈન્ડિયા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ની સત્તાવાર રિટેલ બેન્કિંગ પાર્ટનર તરીકે સહયોગ આપશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 દરમિયાન ટીમ ઈન્ડિયાની સત્તાવાર બેન્કિંગ પાર્ટનર તરીકેની સફળ ભૂમિકાને આગળ વધારતાં બેન્કે આ મહત્વપૂર્ણ ભાગીદારી દ્વારા દેશમાં રમતગમતના ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને તેના સતત વિકાસ માટે પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.

બેન્ક વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 100થી વધુ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને સહયોગ આપશે. આ સ્પર્ધાઓમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 (ગ્લાસગો, સ્કોટલેન્ડ), એશિયન ગેમ્સ, 2026 (આઈચી-નાગોયા, જાપાન), યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026 (ડકાર, સેનેગલ) અને એશિયન ઈન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ 2026 (રિયાધ, સાઉદી અરેબિયા)નો સમાવેશ થાય છે.

આ ભાગીદારી યસ બેન્કના એવા વ્યાપક અભિગમને રજૂ કરે છે, જેના અંતર્ગત દેશના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા લોકો અને સંસ્થાઓને સશક્ત બનાવી અર્થપૂર્ણ યોગદાન આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં વિશ્વભરના ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, તીરંદાજી, ક્રિકેટ, બેડમિન્ટન સહિતની વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે એકત્રિત થશે. આ ભાગીદારી અંગે યસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનય એમ. તોન્સેએ જણાવ્યું હતું કે વર્ષ 2026 દરમિયાન યોજાનારી ચાર પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાને સહયોગ આપવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન સાથે ભાગીદારી કરતાં અમને ગર્વની લાગણી થાય છે. રમતગમતમાં દેશને પ્રેરણા આપવાની, આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાની, પાયાના સ્તરે પ્રતિભાને વિકસાવવાની તેમ જ શિસ્ત, ધૈર્ય અને ટીમવર્ક દ્વારા વ્યક્તિત્વનું ઘડતર કરવાની અસાધારણ શક્તિ છે. આ તમામ મૂલ્યો વ્યક્તિઓ, સમાજ અને વ્યવસાયોને સશક્ત બનાવવાની તથા ભારતના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની યસ બેન્કની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણપણે સુસંગત છે.

આ ભાગીદારીનું સ્વાગત કરતાં ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનનાં અધ્યક્ષ ડો. પી.ટી. ઉષાએ જણાવ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના લાંબા ગાળાના ભાગીદાર તરીકે યસ બેન્કનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દેશમાં રમતગમતના વિકાસ માટે તેમની સતત પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.

આગામી છ મહિનામાં યસ બેન્ક ઇન્ડોર અને આઉટડોર એમ બંને પ્રકારની વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને સહયોગ આપશે. તેમાં યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026નો સમાવેશ થાય છે, જે 17 વર્ષથી ઓછી વયના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું મંચ પૂરું પાડે છે. ઉપરાંત એશિયન ઇન્ડોર એન્ડ માર્શલ આર્ટ્સ ગેમ્સ 2026ને પણ સહયોગ આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ), વુશુ અને કિકબોક્સિંગ જેવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

મિડિલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ, યુએસ સેના હાઈ એલર્ટ પર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે મોટા પાયે લશ્કરી હુમલાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલોથી મધ્ય પૂર્વ (Middle East) માં ભારે તણાવ સર્જાયો છે. મિડિલ ઈસ્ટ ક્ષેત્રમાં યુએસ લશ્કરી ક્ષમતામાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસ, એડવાન્સ્ડ બોમ્બર્સ, યુદ્ધ જહાજો અને લડાયક તબીબી ટીમો (Medical Teams) ને તૈનાત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે આ તૈનાતી માત્ર સામાન્ય સાવચેતી નથી પરંતુ મોટા યુદ્ધના વિસ્તરણની મજબૂત તૈયારી દર્શાવે છે. ઇરાન પર સતત થઈ રહેલા હવાઈ હુમલાઓ વચ્ચે હવે યુએસ ઇરાનની સાથે રાતા સમુદ્ર (Red Sea) માં સક્રિય હુથી બળવાખોરો પર પણ મોટો પ્રહાર કરવાની સ્થિતિ બનાવી રહ્યું છે.

B-1 બોમ્બર્સ અને સ્પેસિયલ ફોર્સિસ હાઈ એલર્ટ પર

અમેરિકી સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસને બેઝ પરથી મધ્ય પૂર્વ તરફ રવાના કરાઈ રહી છે. યુએસ અને બ્રિટનમાં રહેલા બોમ્બર્સ, ખાસ કરીને બ્રિટનમાં તૈનાત B-1 લેન્સર બોમ્બર્સ (B-1 Lancer Bombers), મોટા યુદ્ધ અભિયાન માટે હાઈ એલર્ટ પર છે. B-1 બોમ્બર્સની સુપરસોનિક સ્પીડ અને ભારે પિલોડ વહન કરવાની ક્ષમતા તેને ઇરાન જેવા વિશાળ સૈન્ય લક્ષ્યો માટે અત્યંત ઘાતક બનાવે છે. સ્પેશિયલ ફોર્સિસની તૈનાતી દર્શાવે છે કે અમેરિકા માત્ર હવાઈ હુમલા સુધી સીમિત ન રહેતાં ગ્રાઉન્ડ ઓપરેશન્સ માટે પણ તૈયાર છે.

નેવીની ભયાનક શક્તિ: 17 જહાજો અને 2 કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ

અમેરિકી નૌકાદળે પણ આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી છે. હાલમાં મધ્ય પૂર્વમાં યુએસ નેવીના 17 મોટા જહાજો તૈનાત છે:

2 કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ્સ (Carrier Strike Groups)
11 ડિસ્ટ્રોયર્સ (Destroyers)
1 મરિન એક્સપિડિશનરી યુનિટ (Marine Expeditionary Unit)

રેડ સી અને પર્સિયન ગલ્ફ (ઈરાનની ખાડી) પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માટે આ નૌકાદળ પૂરતું છે. તાજેતરમાં હુથી બળવાખોરો દ્વારા ટેન્કર જહાજો પર કરાયેલા હુમલાઓ બાદ સેન્ટકોમ (CENTCOM) એ સતત 12 માં દિવસે હુમલાની પુષ્ટિ કરી છે.

150 કોમ્બેટ મેડિક્સની તૈનાતી: સૌથી ગંભીર સંકેત

સૌથી ચિંતાજનક બાબત જર્મનીના લેન્ડસ્ટુલ (Landstuhl) મિલિટ્રી હોસ્પિટલમાં 150 થી વધુ કોમ્બેટ-ટ્રોમા સ્પેશિયાલિસ્ટ્સ (Combat Medics) નું પહોંચવું છે. લેન્ડસ્ટુલ હોસ્પિટલ મધ્ય પૂર્વમાં ઘાયલ સૈનિકો માટે મુખ્ય સારવાર કેન્દ્ર છે. વિશ્લેષકો અનુસાર, જો માત્ર સીમિત હવાઈ હુમલાઓ કરવાના હોત તો આટલી મોટી સંખ્યામાં મેડિકલ્સની જરૂર ન પડત. આ તૈયારીઓ લાંબા અને મોટા જમીની સંઘર્ષની આશંકા તરફ ઈશારો કરે છે.

યુએસ કોંગ્રેસે મંજૂર કર્યું 95 બિલિયન ડોલરનું ફંડિંગ

અમેરિકી કોંગ્રેસે 95 બિલિયન ડોલરના ફ્રેમવર્કને મંજૂરી આપી છે, જેમાં 73 બિલિયન ડોલર મિલિટરી અને ઈન્ટેલિજન્સ ફંડિંગ માટે ફાળવવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ 216-214 ના મતોથી પાસ થયો હતો, જે દર્શાવે છે કે ગૃહમાં આ અંગે મતભેદ પણ છે. રિપબ્લિકન સાંસદ ફિટ્ઝપેટ્રિકે જણાવ્યું કે તેઓ સૈનિકોને પગાર આપવા માંગે છે પરંતુ યુદ્ધનું સમર્થન કરતા નથી.

જો અમેરિકા ઇરાનના પરમાણુ કેન્દ્રો કે સૈન્ય મથકો પર મોટો હુમલો કરે છે તો રશિયા અને ચીનની પ્રતિક્રિયા પણ મહત્વની રહેશે. આ સંઘર્ષથી વૈશ્વિક તેલના ભાવ, શિપિંગ રૂટ્સ અને વૈશ્વિક અર્થતંત્ર પર ભારે અસર પડી શકે છે.

રાજ્યભરમાં મેઘતાંડવ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ પાસેથી મેળવ્યો સ્થિતિનો તાગ

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસતા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર સીધી વાતચીત કરીને રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિ, પૂરનું જોખમ અને રાહત-બચાવ કામગીરી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ વાતચીત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને રાજ્ય સરકાર દ્વારા આપત્તિને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવેલાં પગલાંની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોની સલામતી, બચાવ અભિયાન અને રાહત સામગ્રી પહોંચાડવા માટે જરૂરી તમામ પ્રકારનો સહયોગ અને કેન્દ્રીય સહાય પૂરી પાડવાની સ્પષ્ટ ખાતરી આપી છે. આ સાથે જ તેમણે વહીવટી તંત્રને સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવા અને અસરગ્રસ્તો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવા માટે નિર્દેશ આપ્યા છે.

ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી: NDRF-SDRF તૈનાત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદને કારણે તમામ મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને જળાશયો તેમજ ડેમોમાં પાણીની આવક ઝડપથી વધી છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે. કટોકટીની આ ક્ષણોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્થાનિક પ્રશાસન સાથે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને અન્ય રાહત એજન્સીઓ યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ ગઈ છે.

રાજ્ય સરકારની નાગરિકોને ખાસ અપીલ

વરસાદી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નાગરિકોની સુરક્ષા માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ ઓવરફ્લો થતા નદી-નાળા, જળાશયો કે પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં જવાનું ટાળે. આ ઉપરાંત, કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વગર સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

બિહારમાં મિડ-ડે મીલ ખાધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર

પટનાઃ બિહારના સુપૌલ જિલ્લામાં મિડ-ડે મીલને લઈને ચોંકાવનારી ઘટના બની છે. ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિરજવા વોર્ડ-10 સ્થિત મધ્ય વિદ્યાલયમાં બુધવારે મિડ-ડે મીલ ખાધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પીરસવામાં આવેલી શાકભાજીમાં મરેલો વીંછી મળ્યો હતો. ઘટનાને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોની તબિયત બગડતાં જ શાળા પ્રશાસન અને સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને નાનાં વાહનો તથા અન્ય સાધનો મારફતે ત્રિવેણીગંજ અનુમંડલીય હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચતાં થોડા સમય માટે ત્યાં પણ ગભરાટ અને અવ્યવસ્થાનું વાતાવરણ સર્જાયું હતું.

રાહતની વાત એ રહી કે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તમામ બાળકોની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલમાં બધા વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે અને તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભોજન બાદ ઊલટી, પેટ દર્દ અને ચક્કરની ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મિડ-ડે મીલમાં વિદ્યાર્થીઓને ભાત અને બટાકા-ચણાનું શાક પીરસવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ભોજન દરમિયાન શાકમાં મરેલો વીંછી મળ્યો હતો. જોકે તે પહેલાં મોટા ભાગનાં બાળકો ભોજન કરી ચૂક્યાં હતાં. ભોજન લીધાના થોડા જ સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ગળામાં બળતરા, પેટ દર્દ, ઊલટી, ચક્કર અને બેચેનીની ફરિયાદ શરૂ કરી. થોડા જ સમયમાં કેટલાંક બાળકોની સ્થિતિ વધુ બગડી ગઈ, કેટલાકને ઊલટીઓ થવા લાગી અને કેટલાક અર્ધબેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગયા હતા.

તપાસમાં જોડાયું પ્રશાસન, કાર્યવાહીનો સંકેત

આ મામલે મિડ-ડે મીલના ડીપીએમ પંકજકુમાર સિંહે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પાસેથી માહિતી મળ્યા બાદ સમગ્ર ઘટનાની વિગતો મેળવવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર મિડ-ડે મીલ ખાધા બાદ અનેક વિદ્યાર્થીઓને પેટ દર્દ અને ઊલટીની ફરિયાદ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ ભોજનમાં વીંછી મળ્યાનો આક્ષેપ કર્યો છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. જો કોઈ પણ સ્તરે બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પેપર લીક મુદ્દે સંસદમાં સંગ્રામ: NDA અને INDIA ગઠબંધન સામસામે

સંસદના ચોમાસુ સત્રમાં નીટ (NEET) પેપર લીક મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી જતાં ભારે હોબાળો મચી ગયો છે. બંને પક્ષો પોતાની શરતો પર અડગ હોવાના કારણે ચોમાસુ સત્રના પ્રથમ 4 દિવસ સંપૂર્ણપણે ધાંધલ-ધમાલ અને સૂત્રોચ્ચારની ભેટ ચડી ગયા છે. સંસદ ભવનના મકર દ્વાર પર એક તરફ NDA ગઠબંધને કોંગ્રેસના ધરણા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો બીજી તરફ INDIA ગઠબંધને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી જ હંગામો

સંસદનું ચોમાસુ સત્ર તારીખ 20 જુલાઈ 2026 ના રોજ શરૂ થયું હતું. પરંતુ પ્રથમ દિવસથી જ વિપક્ષે પેપર લીક મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. સ્પીકરે વિપક્ષની માંગને બાજુ પર રાખીને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સાંસદો ગૃહના વેલમાં આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સ્પીકરની વારંવારની અપીલ છતાં સ્થિતિ સામાન્ય ન થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. પરિણામે સળંગ 4 દિવસથી ગૃહની કામગીરી ચાલી શકી નથી.

કોકરોચ જનતા પાર્ટી (CJP) નો સંસદ માર્ચ અને પોલીસ સાથે ઘર્ષણ

સત્રના પ્રથમ દિવસે એટલે કે 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી માર્ચ યોજવામાં આવી હતી. દિલ્હી પોલીસે પરવાનગી વગરના આ માર્ચને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંદોલનકારીઓ આગળ વધીને વિજય ચોક અને કનોટ પ્લેસ સુધી પહોંચી ગયા હતા. અહીં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કરવાની સાથે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા.

વિપક્ષનો વિરોધ: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

પોલીસ કાર્યવાહીના વિરોધમાં બીજા દિવસે કોંગ્રેસ નેતાગીરીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ, સાંસદો અને કાર્યકરો વડાપ્રધાન આવાસ સામે ધરણા પર બેસી ગયા હતા.

આ ધરણાને હટાવવા માટે 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ ઘેરાબંધી કરીને પહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બળજબરીપૂર્વક અટકાયત કરી, બસમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વિપક્ષ આ તમામ ઘટનાઓને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે અને પેપર લીક પર ચર્ચાની માંગ પર અડગ છે.

NEET પેપર લીક કેસમાં ‘માસ્ટરમાઈન્ડ’ સંજીવ મુખિયાને CBI ની ક્લીન ચિટ

મે 2024 ની નીટ યુજી (NEET UG) પરીક્ષાના પેપર લીક મામલે એક મોટો ખુલાસો થયો છે. આ કેસના કથિત ‘માસ્ટરમાઈન્ડ’ ગણાતા સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા ક્લીન ચિટ આપી દેવામાં આવી છે. ગુરુવારે નિવેદન જારી કરીને સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે નીટ પેપર લીક કેસમાં સંજીવ મુખિયાની સંડોવણી દર્શાવતા કોઈ પણ કાનૂની પુરાવા મળ્યા નથી. બિહારના નાલંદાનો નિવાસી સંજીવ મુખિયા અગાઉ પણ અન્ય પરીક્ષાઓના પેપર લીક અને ગડબડીઓમાં આરોપી રહ્યો છે. શરૂઆતમાં બિહાર પોલીસે શંકાના આધારે તેને નીટ કેસમાં એફઆઈઆર (FIR) માં આરોપી બનાવ્યો હતો. તે ઘણા દિવસો સુધી ફરાર રહ્યા બાદ તેની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયો હતો. ત્યારબાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સીબીઆઈની ચાર્જશીટમાંથી સંજીવ મુખિયાનું નામ ગાયબ

સીબીઆઈ દ્વારા આ કેસ ટેકઓવર કર્યા બાદ પેપર લીકના દરેક તાર અને સાંકળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. સીબીઆઈએ પટનાની વિશેષ અદાલતમાં 45 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, પરંતુ તેમાંથી સંજીવ મુખિયાનું નામ બાકાત રાખવામાં આવ્યું છે. કોઈ પુરાવા ન મળવાને કારણે તેને આ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જોકે, જામીન મળ્યા છતાં તે જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે બિહારના અન્ય પેપર લીકના કેસોમાં તે હજુ પણ આરોપી છે અને જેલમાં બંધ છે. સીબીઆઈના જણાવ્યા મુજબ, 2024 ની નીટ પેપર લીકની તપાસ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

નીટ પેપર લીક 2024 નો સમગ્ર ઘટનાક્રમ

મે 2024 માં આયોજિત મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીનું પેપર લીક થયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે ઝારખંડના હજારીબાગના એક કેન્દ્ર પરથી પેપર લીક કરીને લાખો રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. પટનાની એક સ્કૂલના હોસ્ટેલમાં પરીક્ષા પહેલા જ કેટલાક ઉમેદવારો સુધી આ પ્રશ્નપત્ર પહોંચાડી દેવાયું હતું. બિહાર પોલીસે આ ગિરોહનો પર્દાફાશ કરીને અનેક ઉમેદવારો અને સભ્યોની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો કર્યો હતો ઈનકાર

પેપર લીકનો વિરોધ સમગ્ર દેશમાં થયો હતો અને પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગ સાથે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે આ કેસની સુનાવણી કરતા ચુકાદો આપ્યો હતો કે પેપર લીક મોટા પાયે સમગ્ર દેશમાં નથી થયું પરંતુ માત્ર કેટલાક સ્થાનિક કેન્દ્રો સુધી જ સીમિત હતું. તેથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પરીક્ષા રદ કરવી યોગ્ય નથી.

કોણ છે એ ગુજરાતી જેમનો અમેરિકાની રાજનીતિમાં વાગ્યો ડંકો?

ભારતીય મૂળના ગુજરાતી ડૉક્ટર અમીશ શાહે એરિઝોનામાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઈમરી (પ્રાથમિક) ચૂંટણીમાં જીત હાંસિલ કરીને બધાને ચોંકાવી દીધા છે. DCCC સમર્થિત ઉમેદવારની હાર અમેરિકન રાજકારણમાં મતદારોના વલણમાં ફેરફારનો સંકેત આપે છે.

ભારતીય-અમેરિકન નેતા અમીશ શાહે અમેરિકાના એરિઝોના રાજ્યના ફર્સ્ટ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી જીતી છે. મધ્યમ ડેમોક્રેટ ગણાતા અમીશ શાહે આ હરીફાઈમાં પક્ષના ટોચના નેતૃત્વ અને ભૂતપૂર્વ ટીવી પત્રકાર દ્વારા સમર્થિત ઉમેદવાર માર્લેન ગેલેન-વુડ્સને હરાવ્યા હતા. હવે નવેમ્બરમાં યોજાનારી યુએસ કોંગ્રેસ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ)ની ચૂંટણીમાં અમીશ શાહનો મુકાબલો રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ NFL કિકર જય ફીલી સાથે થશે. જય ફીલીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે.

લોકો સાથે જોડાઈને પ્રાથમિક ચૂંટણી જીતી

વ્યવસાયે ઇમરજન્સી મેડિસિન ડોક્ટર અમીશ શાહ એરિઝોના વિધાનસભાના ત્રણ ટર્મ સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ઘરે ઘરે ગયા, લગભગ 28,000 ઘરો સુધી પહોંચ્યા. તેમની જીતમાં તેમનો સંપર્ક મુખ્ય પરિબળ માનવામાં આવે છે. માર્લેન ગેલેન-વુડ્સને ડેમોક્રેટિક કોંગ્રેસનલ ઝુંબેશ સમિતિનો ટેકો મળ્યો. તેમની હાર આ વર્ષે DCCC સમર્થિત ઉમેદવાર માટે ત્રીજી હાર છે.

શાહ અને ફીલી એક સમયે સાથે હતા

રસપ્રદ વાત એ છે કે, અમીશ શાહ અને જય ફીલી, જેઓ હવે રાજકીય રીતે મતભેદમાં છે, તેઓ વ્યવસાયિક રીતે એકા-બીજાને સાથે સંકળાયેલા હતા. અમીશ શાહ એક સમયે ન્યૂ યોર્ક જેટ્સ ફૂટબોલ ટીમ માટે ડૉક્ટર હતા, જે ખેલાડીઓને કટોકટી તબીબી સેવાઓ પૂરી પાડતા હતા. તે સમયે જય ફીલી કિકર તરીકે તે જ ટીમ માટે રમ્યા હતા.

કોણ છે અમીષ શાહ?

અમીશ શાહનો જન્મ અમેરિકાના શિકાગોમાં ગુજરાતી માતાપિતાને ત્યાં થયો હતો જેઓ 1960ના દાયકામાં ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતરિત થયા હતા. તેમના પિતા જૈન છે અને તેમની માતા હિન્દુ છે. તેઓ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને મેડિકલ સ્કૂલમાં મેડિકલ એજ્યુકેશનમાં ઓનર્સ પ્રોગ્રામ દ્વારા તેમની મેડિકલ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ મેળવવા માટે સંપૂર્ણ મેરિટ શિષ્યવૃત્તિ મળી. પછી તેમણે ન્યૂ યોર્ક શહેરના સૌથી વ્યસ્ત લેવલ-1 ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી મેડિસિનમાં રેસિડેન્સી પૂર્ણ કરી.

પ્રાથમિક ચૂંટણી જીત્યા પછી અમીષ શાહે કહ્યું?

‘આ વિજય સંપૂર્ણપણે પાયાના સ્તરે વિજય છે. એરિઝોનાના મતદારોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હવે મારી જવાબદારી છે કે હું આ જિલ્લાના દરેક મતદારનો વિશ્વાસ જીતું, પછી ભલે તે ડેમોક્રેટ્સ હોય જેમણે બીજા ઉમેદવારને મત આપ્યો હોય, રાજકીય વ્યવસ્થાથી નિરાશ થયેલા અપક્ષ હોય કે પછી દેશની વર્તમાન સ્થિતિથી નિરાશ થયેલા રિપબ્લિકન મતદારો હોય,’ એવું અમીષ શાહે જણાવ્યું હતું.

આ જિલ્લામાં સતત બીજી વખત અમીશ શાહે ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી છે. તેમણે અગાઉ 2024 માં પાર્ટીની પ્રાઇમરી જીતી હતી, પરંતુ રિપબ્લિકન પાર્ટીના વર્તમાન નેતા ડેવિડ શ્વેઇકર્ટ સામે સામાન્ય ચૂંટણીમાં 4 ટકાના માર્જિનથી હારી ગયા હતા.

અમીશ શાહ પાસે ત્રણ બિલાડીઓ છે

તેમની તબીબી કારકિર્દી ઉપરાંત, શાહ સામાજિક કાર્યમાં પણ સક્રિય છે. તેમણે સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા અને રોગો વિશે જાગૃતિ લાવવા માટે એરિઝોના વેજિટેરિયન ફૂડ ફેસ્ટિવલની સ્થાપના કરી હતી. તેઓ સાઉન્ડ્સ એકેડેમી અને હ્યુમન સોસાયટી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જે બાળકોને કલામાં જોડવા અને પ્રાણીઓ અને સમાજ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનું કામ કરે છે. અમીશ શાહને બાસ્કેટબોલ રમવાનો, નાના વિમાનો ઉડાવવાનો અને સાહસિક મુસાફરીનો શોખ છે. તેઓ ગુજરાતી અને સ્પેનિશ બોલે છે. તેમની પાસે હિલેરી, મિસ માયર્સન અને કઝીન ઓલિવર નામની ત્રણ બિલાડીઓ છે.

ઝાયડસને એનિમિયા માટે Desidustatની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી

અમદાવાદઃ ઈનોવેશન આધારિત ગ્લોબલ લાઈફસાયન્સ કંપની ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડ (ઝાયડસ)ને સિકલ સેલ ડિસીઝના દર્દીઓ માટે Desidustatની ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી મળી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી હાથ ધરાનારા આ 203 દિવસના અભ્યાસમાં એનિમિયાની સારવાર માટે Desidustat ઓરલ ટેબ્લેટની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ટ્રાયલમાં સિકલ સેલ ડિસીઝનું નિદાન થયેલા કુલ 164 દર્દીઓને સામેલ કરવામાં આવશે.

દેશમાં સિકલ સેલ ડિસીઝ જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં તેનો પ્રસાર વધુ જોવા મળે છે. નેશનલ હેલ્થ મિશનના અંદાજ મુજબ દેશમાં આશરે બે કરોડ લોકોને આ રોગ છે અને દર વર્ષે અંદાજે 50,000 બાળકો સિકલ સેલ એનિમિયા સાથે જન્મે છે. હાઈડ્રોક્સિયુરિયા જેવી દવાઓ અને બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી સારવાર ઉપલબ્ધ હોવા છતાં તેની મર્યાદિત ઉપલબ્ધતા, દરેક દર્દીમાં સમાન અસર ન થવી અને તેની સાથે જોડાયેલાં જોખમો હજુ પણ મોટા પડકારો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચના સેક્રેટરી અને ICMRના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે જણાવ્યું હતું કે અમે કંપનીના સહયોગથી સિકલ સેલ ડિસીઝમાં Desidustatનો બીજા તબક્કાનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હાઈડ્રોક્સિયુરિયા સિવાય સારવારના મર્યાદિત વિકલ્પો ધરાવતા દર્દીઓ માટે આ ખરેખર એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. હવે જ્યારે અમે ત્રીજા તબક્કાની ટ્રાયલ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આરોગ્ય સંબંધિત આ ગંભીર પડકારનો સામનો કરવામાં ભારતની આ નવીન શોધમાં અમને ખૂબ મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સહયોગ મજબૂત જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા ક્લિનિકલ સંશોધનને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ વિકાસ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે સિકલ સેલ ડિસીઝ લાખો લોકોના જીવન પર ગંભીર અસર કરે છે અને તેની અસરકારક સારવારની ખૂબ મોટી જરૂરિયાત છે. સિકલ સેલ ડિસીઝ સાથે જીવન જીવતા દર્દીઓ માટે નવી અને અસરકારક સારવારના વિકલ્પો વિકસાવવા માટે ICMR સાથે સહયોગ કરતાં અમને આનંદ થાય છે. ઝાયડસ રિસર્ચ સેન્ટરમાં શોધાયેલી અને વિકસાવવામાં આવેલી Desidustat નવીન સંશોધનને આગળ વધારવા અને દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

મેઘતાંડવથી ગુજરાત બેહાલ: ટ્રેનના પાટા ધોવાતાં રેલ વ્યવહાર ખોરવાયો

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલા જળબંબાકારની સ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રાજ્યમાં કુલ 463 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર તેમજ રેલવે સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો મુસાફરો રસ્તાઓ અને સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે.

રેલવે ટ્રેક પર માટી ધોવાઈ: સયાજીનગરી રદ્દ, અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ

પશ્ચિમ રેલવેના મુંબઈ-સુરત સેક્શન પર આવેલ ઉદવાડા અને પારડી સ્ટેશન વચ્ચે ભારે વરસાદના કારણે બેંક સ્લાઈડિંગ (ટ્રેકની બાજુની જમીન ધસી પડવી) અને માટીનું ધોવાણ થવાની ગંભીર ઘટના સામે આવી હતી. ટ્રેક પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.

આ આકસ્મિક પરિસ્થિતિને કારણે મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યા છે:

ટ્રેન નં. 12932 (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ): આ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ (ટૂંકાવી) કરી દેવામાં આવી હતી.

ટ્રેન નં. 12934 (અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ): આ ટ્રેનને વલસાડ સ્ટેશન સુધી જ દોડાવવામાં આવી હતી.

ST બસ સેવાઓ પણ પ્રભાવિત, મુસાફરો બેહાલ

માત્ર રેલવે જ નહીં પરંતુ માર્ગ વાહનવ્યવહારને પણ વરસાદી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રાજ્ય વાહન વ્યવહાર (ST) નિગમ દ્વારા અનેક બસ રૂટો ટૂંકાવી દેવામાં આવ્યા છે અથવા રદ્દ કરવાની ફરજ પડી છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડો પર મુસાફરો કલાકો સુધી અટવાઈ પડતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રેલવે પ્રશાસનની મુસાફરોને ખાસ અપીલ

ટ્રેનોના રદ્દીકરણ અને રૂટ ફેરફારને પગલે મુંબઈ તરફ જતા મુસાફરો નવસારી અને વલસાડ સ્ટેશનો પર મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે પ્રશાસને પરિસ્થિતિ થાળે પાડવા માટે કામગીરી શરૂ કરી દીધી છે અને તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને લાઈવ સ્ટેટસ જાણવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન વચ્ચે ઉત્તરાખંડમાં પેપર લીક

નવી દિલ્હીઃ દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકને મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઉત્તરાખંડમાંથી વધુ એક પેપર લીકની ઘટના બની છે. ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બે વિષયોના પ્રશ્નપત્રો કથિત રીતે લીક થયા હતા. ત્યાર બાદ યુનિવર્સિટીએ બંને વિષયોની પરીક્ષા રદ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી શિક્ષક આકાશ કુમાર શિવાલિક કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે અને તેઓ પેપર સેટર તરીકે પ્રશ્નપત્ર તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના પર આરોપ છે કે તેમણે પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો જેવા જ પ્રશ્નો એક કોલેજના વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને મોકલ્યા હતા. આ ઘટનાને પગલે બંને પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પેપર લીક વિરોધ વચ્ચે સામે આવી ઘટના

આ સમગ્ર ઘટનાક્રમમાં કોલેજની ભૂમિકા અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. આ મામલે આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. દેશભરમાં પેપર લીકની ઘટનાઓને લઈને ચાલી રહેલા વિરોધ અને ચિંતાના માહોલ વચ્ચે આ સમાચાર ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સતત પેપર લીકની ઘટનાઓ પર રોક લગાવવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. એવામાં ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાંથી આ ઘટના સામે આવી છે.

વાઇસ ચાન્સેલરે શું કહ્યું?

વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર તૃપ્તા ઠાકુરે જણાવ્યું હતું કે જે કોલેજમાં આ શિક્ષક કાર્યરત છે, તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પોતાની તરફથી આગામી સાત વર્ષ સુધી આ શિક્ષકને કોઈ પણ પરીક્ષા સંબંધિત કામગીરીમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમણે કહ્યું હતું કે આ શિક્ષકે પોતાના 22 વિદ્યાર્થીઓ માટે સમગ્ર પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા સાથે સમાધાન કર્યું છે. અમારી નૈતિક ફરજ છે કે આવા શિક્ષકોને ભવિષ્યમાં ક્યારેય અમારી પરીક્ષાઓમાં સામેલ ન કરીએ.

કયા વિષયનું પેપર લીક થયું હતું?

આઠ જુલાઈએ શિવાલિક કોલેજમાં લેવામાં આવેલી એક પરીક્ષા અંગે ફરિયાદો મળી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે Machine Learning for Internet of Things વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ કેટલાક વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયું હતું. આ પરીક્ષામાં પુછાયેલા લગભગ 90 ટકા પ્રશ્નો શિવાલિક કોલેજ ઑફ એન્જિનિયરિંગના સહાયક પ્રોફેસર આકાશ કુમાર ગુપ્તાએ પરીક્ષા પહેલાં વોટ્સએપ મારફતે વિદ્યાર્થીઓને મોકલ્યા હતા, એવો આરોપ છે.