Home Blog Page 4554

૪ ડિસેમ્બર ૨૦૨૦

૪ ડિસેમ્બર ૨૦૨૦

બહુ વિકૃત વિચારો આવે છે…

એ તો આપણે જાણીએ જ છીએ કે, ભારતીય વાસ્તુના નિયમો કુદરતને આધીન છે. કુદરતના પાંચ તત્વોની સકારાત્મક ઉર્જા અને વ્યક્તિના પાંચ તત્વોની ઉર્જા જાગૃત કરવા માટેના આ નિયમો જીવનમાં ચેતના જગાડી શકે છે.

આજે જયારે કોરોનાના ભય અને અસલામતી વચ્ચે જીવન આગળ વધી રહ્યું છે ત્યારે અનેક લોકોના મનમાં પોતપોતાની સમસ્યાઓને લઈને ઘણા બધા સવાલો ઉદ્ભવે છે. એમાંથી કેટલાક ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા પણ છે.

કેટલાક વાચકોના સવાલો સાથે આ નવા વિભાગની શરૂઆત કરી છે. અમદાવાદસ્થિત જાણીતા વાસ્તુશાસ્ત્ર કન્સલ્ટન્ટ મયંક રાવલ આ સવાલોના જવાબ આપશે, દર અઠવાડિયે. 

વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો…

સવાલઃ ભાઈશ્રી, હું તમને વર્ષોથી વાંચું છુ. સાચું કહું તો મને અને કદાચ મોટા ભાગના વાચકોને મુખ્ય ચાર દિશા સિવાયની દિશાઓનું સાચું જ્ઞાન નથી હોતું. તો આપના લેખમાં જયારે જરૂરી હોય ત્યારે એના વિશેની સમજણ આપતા રહેશો તો વાંચવાની વધારે મજા આવશે.

જવાબઃ બહેનશ્રી, આપનો વાસ્તુશાસ્ત્રમાં રસ ગમ્યો. સૂચન એ જ આપી શકે જે રસથી વાંચે છે. સવાલ એના મનમાં જ ઉદ્ભવે જે સમજવા પ્રયત્ન કરે છે. આગામી લેખોમાં હું આપના જણાવ્યા મુજબ લખીશ. મારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે.

હવે થોડી વાત દિશાઓની પણ કરી લઈએ. જે દિશામાંથી સૂર્ય ઉગે છે તે છે પૂર્વ દિશા. પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રહીએ તો પીઠ પાછળ પશ્ચિમ આવે. ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા આવે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઇશાન આવે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય આવે. દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ દિશા આવે અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈરુત્ય દિશા આવે. આ વાત થઇ આઠ દિશાઓની. એ ઉપરાંતની અન્ય બે દિશાઓ છે ઉર્ધ્વ એટલે કે ઉપર અને અધ: એટલે કે નીચે. આ બધી જ દિશાઓ વાસ્તુના ગણિતમાં ખુબજ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ઘણાબધા લોકોને બ્રહ્મ માટે સવાલો હોય છે. બ્રહ્મ એ કોઈ બિંદુ નથી. બ્રહ્મ માટેની વિસ્તૃત ચર્ચા આપણે આ જ વિભાગમાં કરીશું. સમગ્ર વાસ્તુના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કરતા કુલ નવ ભાગ બને છે. એ નવ ભાગમાં બરાબર વચ્ચેનો નવમો ભાગ છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એક વિસ્તાર છે એ કોઈ બિંદુ નથી એ સમજવું જરૂરી છે.

સવાલઃ મારી ઉંમર વીસ વરસની છે. હું કોલેજમાં ભણું છુ. મારો પરિવાર સંસ્કારી છે, પણ ખબર નહિ કેમ મને બહુ ગંદા ગંદા વિચારો આવે છે. વિકૃત સપનાંઓ પણ આવે છે. મને કોઈને કહેતા પણ શરમ આવે છે. આવું કેમ થતું હશે? હું પશ્ચિમના બેડરૂમમાં નૈરુત્ય તરફ માથું રાખીને સૂવું છું. મારું ઘર ખૂબ મોટું છે. એના બે દરવાજા છે. એક વાયવ્યમાં છે અને એક ઉત્તરમાં. મારો ઈલાજ કરવા વિનંતી.

જવાબઃ ભાઈશ્રી, માણસના શરીરના બદલાવને સ્વીકારવા પડે છે. આપ એવી ઉંમરમાં છો, જયારે શરીરમાં હોર્મોન્સ બદલાતા હોય અથવા તો બદલાયાને બહુ સમય ન થયો હોય. આવા સમયમાં ક્યારેક વિજાતીય વિચારો આવે, પણ એનું વિકૃત સ્વરૂપ ન જ હોવું

જોઈએ. આપ જે રીતે સૂવો છો તે આના માટે કારણભુત હોઈ શકે. આપ પૂર્વ તરફ માથું રાખીને સૂવો. સવારમાં વહેલા ઉઠો અને પ્રાણાયામ કરો. પાણી વધારે પીવો. મન શાંત રહેશે.

 

આજનું સૂચન: જો રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો તપાસ કરો. જો તમે ઉત્તર તરફ માથું રાખીને સૂતા હો તો લોહીના પરિભ્રમણ પર અસર થઇ શકે છે. ઉત્તર તરફ માથું રાખીને ન સૂવાની સલાહ છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ-મેઈલ છેઃ vastunirmaan@gmail.com)

યહાં વો અજનબી નહીઃ શશી કપૂર

લોકપ્રિય અભિનેતા-નિર્માતા શશી કપૂરની આજે ત્રીજી પુણ્યતિથિ. ૪ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ એમનું નિધન થયું હતું. એમનું મૂળ નામ તો બલબીરરાજ પૃથ્વીરાજ કપૂર. ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ કોલકાતામાં જન્મ. લાંબા સમય સુધી પરદા પર અભિનય કરવાની સાથે એમણે અમુક ક્લાસિક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સિનેકલામાં આ પ્રદાન બદલ ૨૦૧૧માં શશી કપૂરને પદ્મભૂષણથી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. પિતા પૃથ્વીરાજ અને ભાઈ રાજ કપૂર બાદ ફાળકે એવોર્ડનું સર્વોચ્ચ સન્માન પામનારા કપૂર ખાનદાનના એ ત્રીજા કપૂર છે.

ચાલીસના દાયકાના અંતથી શશીજી બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરતા થયા. ‘ધર્મપુત્ર’ (૧૯૬૧)થી એ હીરો તરીકે આવ્યા અને એ યાત્રા ૧૧૬ ફિલ્મ સુધી ચાલી, જેમાંથી ૬૧ ફિલ્મમાં એ સોલો હીરો હતા તો ૫૫ મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. ૨૧ ફિલ્મમાં એ સહકલાકાર તરીકે પરદા પર પેશ થયા. અમિતાભ બચ્ચન સાથે શશી કપૂરે બાર ફિલ્મમાં કામ કર્યું છે. એમણે અંગ્રેજી ફિલ્મો પણ કરી હતી.

શશીજી ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાં ભણ્યા. અંગ્રેજ અભિનેત્રી જેનીફર કેન્ડલને કોલકાતામાં ૧૯૫૬માં નાટક દરમિયાન મળ્યા અને પ્રેમમાં પડી ગયા. જેનીફરના પિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો, પણ ભાભી ગીતા બાલીએ એમને સહાય કરી હતી. જુલાઈ, ૧૯૫૮માં લગ્ન કર્યા પછી જેનીફર સાથે મળીને મુંબઈમાં જૂહુ ખાતે ૫ નવેમ્બર, ૧૯૭૮ના રોજ પૃથ્વી થિયેટર શરૂ કર્યું, જે આજે પણ નાટયપ્રેમીઓ માટે તીર્થ છે. ૧૯૮૪માં જેનીફરનું કેન્સરથી નિધન થયુ એ પછી અને શશીજી ભાંગી પડ્યા. એમનું સ્વાસ્થ્ય પણ સતત કથળતું રહ્યું.

શશી કપૂર લાંબો સમય નાદુરસ્ત રહ્યા હતા. મુખ્યત્વે વ્હીલ ચેર પર જ હતા. ફાળકે સમ્માન લેતી વખતે પણ કશું બોલી શક્યા નહોતા. ફક્ત એમની આંખમાંથી આંસુ સરતા હતા.

મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ૪ ડિસેમ્બર, ૨૦૧૭ની સાંજે એમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે એમની ઉંમર ૭૯ વર્ષ હતી. એમની વિદાય સાથે જ મનોરંજક અને સાર્થક સિનેમા તથા રંગકર્મનો એક યુગ પુરો થયો હતો.

(નરેશ કાપડીઆ-સુરત)  

વિચારો પર કાબુ કેવી રીતે મેળવવો?

(બી. કે. શિવાની)

આપણે એવું સમજીએ છીએ કે, આપણા મનમાં જે વિચારો બહારથી મનમાં આવે છે તે જ વિચારો પાછાં મનમાં આવશે અને મનમાંથી બહાર આવશે. જે વિચારો કે વસ્તુ મારા કંટ્રોલમાં નથી તે માટે આપણે ખૂબ સાવધાન રહે છીએ કે બહારથી મારા મનમાં શું આવી રહ્યું છે? પણ આપણા પોતાના કંટ્રોલમાં આપણે મન દ્વારા બહાર શું મોકલીએ છીએ? તેના પર આપણો સંપૂર્ણ કન્ટ્રોલ છે. આપણે એમ પણ કહીએ છીએ કે આપણા વિચારો જ (સંકલ્પ) આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. કારણ કે જે આપણે મન દ્વારા જે વિચારો બહાર મોકલીએ છીએ તે આપણા સંકલ્પની શક્તિ હોય છે. 

જે કઈ બહાર જઈ રહ્યું છે તે જ પાછું મારી પાસે આવશે. એનો અર્થ એ છે કે, મારી પાસે જે પાછું આવવાનું છે તેને હું અત્યારે કંટ્રોલ કરી શકું છું. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિને બહાર મોકલી રહ્યા હતા. તમે મારા માટે શું વિચારશો, તમે મારી સાથે કેવી રીતે વાત કરશો? તેનો બધો આધાર એ મારા મનની શક્તિ છે જે હું તમારી પાસે વિચારો દ્વારા મોકલું છું. આપની પાસે હું જે શક્તિ મોકલીશ તે જ શક્તિ પાછી મારી પાસે આવશે. પરંતુ આપણે એ વાત ઉપર ધ્યાન જ  આપતા નથી કે હું કેવા પ્રકારની શક્તિ મોકલી રહેલ છું? 

આપણે મોટેભાગે એ બધી બાબતો ઉપર ધ્યાન આપીએ છીએ કે, તમે મને શું કહી રહ્યા છો? ધારો કે તમે મારી સાથે વ્યવસ્થિત રીતે વાત ન કરી, તો આ બાબતે મારા મનમાં વિચારો ચાલશે અને મારા મનને પ્રભાવિત કરશે. જો કોઈ આપની સાથે વ્યવસ્થિત વાત ન કરે તો મનમાં અનેક પ્રકારના વિચારો શરૂ થઈ જાય છે કે, તેમણે મારી સાથે યોગ્ય વ્યવહાર ન કર્યો. શું તેઓ મારાથી નારાજ થઈ ગયા હશે? તેમનો તો સ્વભાવ જ એવો છે. તેમના માટે ગમે કેટલું સારું કરો છતાં પણ તે મારાથી ક્યારેય પણ ખુશ થતા જ નથી. આવા પ્રકારના નકારાત્મક સંકલ્પો આપણને દુઃખ, અશાંતિ અને પરેશાનીનો અનુભવે છે. આપણે જ્યારે આવા નકારાત્મક વિચારોની શક્તિ બહાર મોકલીએ છીએ, ત્યારે બહારથી પણ મારી તરફ નકારાત્મક શક્તિ જ આવશે. આમ આપણે આપણું પોતાનું ભાગ્ય પોતે જ બનાવીએ છીએ. જેના પરિણામે સંબંધોમાં કડવાહટ આવી જાય છે.  

આપણી આસપાસ જે પણ ઘટનાઓ બને છે, ઘટના અગાઉ આપણે જે કર્મ કરેલ છે તેના જવાબ રૂપે જ હોય છે. ભૂતકાળમાં મેં જે કંઈ પણ કર્મ કર્યું હતું તેના કારણે જ આ બધી પરિસ્થિતિઓ મારી પાસે આવી રહી છે. આ માટે વર્તમાન સમયનું ઉદાહરણ લઇએ કે, જયારે જ્યારે આર્થિક મુશ્કેલીઓ આવી ત્યારે ઘણા બધા લોકો તેનાથી પ્રભાવિત થયા. નોકરીમાં કે ધંધામાં ચઢાવ ઉતરાવ પણ આવ્યો, જે એક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેનાથી આપણે પ્રભાવિત થયા. આનું મૂળ કારણ અસલામતીની ભાવના છે. કે મારો ધંધો બરાબર નથી ચાલી રહ્યો. મારી બચત એકદમ ખલાસ થઇ જવા આવી છે. એટલે કે હવે  મારું ભાગ્ય સુરક્ષિત નથી. આ વાસ્તવમાં એક આર્થિક ગરીબી છે. આ એક પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ પરિસ્થિતિમાં મારે કયા પ્રકારના વિચાર કરવા છે તે મારા ઉપર આધાર રાખે છે. મારા જીવનમાં જે કોઈ સમસ્યા આવી તે પણ એક પ્રકારનું મારું ભાગ્ય જ છે. જે મેં પોતે જ નક્કી કરેલ છે. આ એક બહુજ ગુહય વાત છે. મેં કહ્યું કે, આ એક પરિસ્થિતિ આવી, જેનાથી હું ભયભીત થઈ ગયી કે હવે મારું શું થશે? મારા પરિવારનું શું થશે? આ પરિસ્થિતિ ક્યારેય સામાન્ય નહિ બની શકે? 

જ્યારે આવા પ્રકારના નકારાત્મક વિચારો મનમાં આવવાના શરૂ થઇ જાય છે ત્યારે મનની સ્થિતિ કેવી થઈ જશે? હવે આર્થિક મુશ્કેલીઓ પણ આવી રહી છે. બધાને કોઈને કોઈ રૂપે પ્રભાવિત કર્યા વગર રહેશે નહિ. આજે આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે, અલગ- અલગ વ્યક્તિઓ અલગ-અલગ રીતે આ આવનારી પરીસ્થિતિઓનો સ્વીકારે છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો નિરાશ થઈને આત્મહત્યા પણ કરી લે છે. આ સમયે તેમના મનમાં ફક્ત એક જ પ્રકારના વિચારો ચાલતા હોય છે કે, હવે કશું સારું થઈ જ ના  શકે. 

આવી સ્થિતિમાં આપણે એક અલગ પ્રકારના વિચાર પણ કરી શકીએ છીએ. આ સમયે આપણે એવા વિચાર કરીએ કે, હા આ એક આર્થિક સમસ્યા છે પરંતુ આ સમયે મારે મારું ધ્યાન રાખવાનું છે અને મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. ધારો કે મારો ધંધો બંધ થઈ ગયો છે, મારે ઘણી બધી પાર્ટીઓને પૈસા ચુકવવાના છે, સાથે-સાથે મારી પ્રતિષ્ઠા પણ સાચવી રાખવાની છે. આ સમયે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, મારે કોઈ પણ રીતે ઉધારની ચૂકવણી કરવાની છે. તેના માટે સૌ પ્રથમ મારે સ્વયંને મજબૂત કરવાની જરૂર છે. આવા કપરા સમયે આપણે આપણા મનને એવો સંકલ્પ આપીએ કે, મારો ધંધો ચાલતો નથી તો કઈ વાંધો નહીં. હવે આપણને જીવવા માટે વધારે પડતી ચીજ વસ્તુઓની આવશ્ક્તાઓ નથી. આવા સમયે આપણે એવો વિચાર કરવો જોઈએ કે, આ સમસ્યા આવી છે તો થોડા સમય પછી ચોક્કસ જતી પણ રહેશે. પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારે મારા મનને સ્થિર રાખવું જ છે.

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

                              

 

 

પંચાંગ 04/12/2020

(મયંક રાવલ)

લોટરી, ગેમ્બલિંગ પર GST કાયદેસર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST)માં લોટરી અને  જુગાર (ગેમ્બલિંગ)ના સમાવેશને કાયદેસર ગણાવ્યો છે. લોટરીમાં ઇનામની રકમ પણ ટેક્સના દાયરામાં આવે છે. એક ખાનગી લોટરી કંપનીએ લોટરીને GSTમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. એક ખાનગી કંપની Skill Lottoએ લોટરી પર GST લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  

અરજીકર્તા લોટરી ડીલર્સનું કહેવું હતું કે સેન્ટ્રલ GST એક્ટ 2017 અને નોટિફિકેશનમાં ખોટી રીતે લોટરીઓને ગુડ્સ માની લેવામાં આવ્યો હતો, જ્યારે એ એક્શનેબલ ક્લેમ્સમાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સાત નવેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

GST કાઉન્સિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં લોટરી પર એક માર્ચ, 2020થી 28 ટકા GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે GST કાઉન્સિલમાં ઘણો વિચારવિમર્શ થયો હતો. GST કાઉન્સિલની બેઠકમાં એવું પહેલી વાર થયું હતું કે કોઈ મુદ્દે બહુમતથી નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લેવો પડ્યો હતો.આ પહેલાં સુધી લોટરી પર ટેક્સની બે પ્રકારની વ્યવસ્થા હતી. જેના હેઠળ રાજ્યની લોટરીના રાજ્યમાં વેચાણ પર 12 ટકા અને રાજ્યની બહાર વેચાણ પર 28 ટકાના દરે GST લગાડવામાં આવતો હતો. 21 રાજ્યોએ 28 ટકાના દરે GST લગાવવા માટે ટેકો આપ્યો હતો, જ્યારે સાત રાજ્યોએ એનો વિરોધ કર્યો હતો.

 

 

 

દિવ્યાંગો માટેની યોજનામાં વિવેક ઓબેરોય ગુજરાત સરકારને સહયોગ કરશે

ગાંધીનગરઃ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ નિમિત્તે બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય દિવ્યાંગ લોકોની સહાયતા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી એક યોજનામાં સહભાગી થયો છે.

વિવેક અહીં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યો હતો અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન યૂનિવર્સિટી મારફત દિવ્યાંગ લોકો માટે સ્ટાર્ટઅપ ઈનોવેશન શિક્ષણ પદ્ધતિ શરૂ કરવા માટે એમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

વિજય રૂપાણીની સપોર્ટ અને પ્રોત્સાહન સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે. એ માટે એક વિશેષ ઉત્પાદન ઝોનની રચના કરવામાં આવશે જ્યાં એવા ઉત્પાદનો બનાવવામાં આવશે જે દિવ્યાંગ લોકોની જરૂરિયાતોને પૂરી પાડે. દિવ્યાંગ લોકોને આવક પ્રાપ્ત થાય એ ઉદ્દેશ્ય સાથે ખાસ પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવશે, જે તેઓ જ બનાવશે.

BSE: ગુડ ડિલીવરી સ્ટાન્ડર્ડ હેઠળ ગોલ્ડની ડિલીવરી

મુંબઈઃ વડા પ્રધાનના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને પુષ્ટિ આપતી ઘટનામાં દેશના અગ્રણી અને વૈવિધ્યપૂર્ણ એક્સચેન્જ BSEએ ગોલ્ડની એક પછી એક ડિલિવરીઝ BSE-BIS ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ હેઠળ પાર પાડી છે. એક્સચેન્જે ગોલ્ડ અને સિલ્વરની રૂ.1 કરોડથી અધિકના ઓપ્શન્સ ઈન ગુડ્સ ફ્રેમવર્ક હેઠળ ડિલિવરી પાર પાડી છે. આ સતત છઠ્ઠા મહિને એક્સચેન્જે સફળતાપૂર્વક ગુજરાતના અમદાવાદ ખાતેના નિયુક્ત વોલ્ટથી ડિલિવરી પાર પાડી છે. રિફાઈન્ડ ગોલ્ડ ડિલિવરીઝ એક્સચેન્જના પ્લેટફોર્મ પર પાર્કર પ્રેસિયસ મેટલ્સ એલએલપી દ્વારા કરવામાં આવી હતી. એ ઉપરાંત  બીએસઈએ એક્સચેન્જના પ્લેટફોર્મ પર સિરિયલ નંબરવાળા ગોલ્ડ બાર્સ ડિલિવર કરવા એમ. ડી. ઓવરસીઝ પ્રા. લિ., ઓગમોન્ટ એન્ટરપ્રાઈઝીસ અને સોવેરિન મેટલ્સ લિ.ને પેનલમાં સ્થાન આપ્યું છે.

અગાઉ બીએસઈ તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ કોન્ટ્રેક્ટના સેટલમેન્ટ માટે માત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન દ્વારા એપ્રુવ કરાયેલી સિલ્વર અને ગોલ્ડ બાર્સનો સ્વીકાર કરતું હતું. હવે એક્સચેન્જ લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના ધોરણ પ્રમાણે સ્થાપિત અમદાવાદ વોલ્ટમાંથી ડિલિવરી પૂરી પાડે છે.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે ભારતીય રિફાઈન્ડ ગોલ્ડના સ્વીકારથી બજારમાં સામેલગીરી વધશે અને મેમ્બર્સ દ્વારા પૂરા પાડવામાં આવતા ગોલ્ડની ડિલિવરીઝ વધુ સ્વીકાર્ય બનશે.

‘ભારતીયોને કોરોના-રસીની જરૂર નથી’ કહેનાર હરભજન સિંહની ટીકા

ચંડીગઢઃ વિશ્વઆખું કોરોના વાઇરસ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. આપણા દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધી રહ્યા છે. કેટલીક કંપનીઓએ વેક્સિન બનાવી લીધી છે, પણ કોઈ પણ વેક્સિન 100 ટકા કારગત નથી. ભારતમાં ત્રણ વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. આ મુદ્દે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે સવાલો ઊભા કર્યા છે, જેને લીધે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

હરભજને ગુરુવારે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સવાલ મૂક્યો હતો કે શું ભારતીયોને કોવિડ-19ની રસીની ખરેખર જરૂર છે? કારણ કે રસી વિના પણ ભારતનો રિકવરી રેટ 93.6 ટકા છે. આ ભૂતપૂર્વ સ્પિનરે એ વિગત પણ શેર કરી છે કે ફાઇઝર અને બાયોટેકની રસી 94 ટકા અસરકારક હોવાનો દાવો કરે છે જ્યારે મોડેર્ના અને ઓક્સફર્ડની રસીનો એક્યુરસી રેટ અનુક્રમે 94.5 ટકા અને 90 ટકા છે. જોકે ભજ્જીની આ દલીલ સાથે અનેક ટ્વિટર યૂઝર્સ સહમત થયા નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રકારના ટ્વીટ પોસ્ટ ન કરવાની એને સલાહ આપી છે.

હરભજનના આ ટ્વીટના જવાબમાં કેટલાક જણે આ રીતે પ્રતિક્રિયા આપી છેઃ

 

 

કાયમ જવાન રહેવાનો નુસ્ખો બતાવીને ગયા છે ‘મસાલાસમ્રાટ’

નવી દિલ્હીઃ ભારતીય મસાલાઓની જાણીતી બ્રાન્ડ ‘એમડીએચ’ના માલિક ‘મહાશય’ ધરમપાલ ગુલાટીનું 98 વર્ષની વયે આજે સવારે હૃદયરોગનો હુમલો આવવાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. તેઓ ‘પદ્મભૂષણ’ એવોર્ડવિજેતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગયા વર્ષે એમને આ એવોર્ડ એનાયત કર્યો હતો.

ગુલાટીનો જન્મ 1923માં સિયાલકોટ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. સ્કૂલનું ભણતર અડધેથી છોડી દેનાર ગુલાટી બહુ નાની વયે પિતા ચુનીલાલના મસાલાના ધંધામાં જોડાયા હતા. સિયાલકોટમાં એમની મસાલાની દુકાન હતી, જેનું નામ હતું ‘મહાશય દી હટ્ટી’. જોકે 1947માં ભારતના ભાગલા થયા બાદ એમના પરિવારના મસાલાના ધંધાને મોટો ફટકો પડ્યો હતો. માત્ર રૂ. 1500ની રકમ સાથે પરિવારના સભ્યો ભારત આવી ગયા હતા અને અમૃતસરમાં એક નિરાશ્રીત કેમ્પમાં રહેવું પડ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં જ પરિવારે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં મસાલાનો એક સ્ટોર શરૂ કર્યો હતો અને તેમાં સફળતા મળી હતી. એટલે ચાંદની ચોક વિસ્તારમાં બીજી દુકાન શરૂ કરી હતી. 1959માં પરિવારે દિલ્હીમાં મસાલાની ફેક્ટરી શરૂ કરી અને ‘મહાશય દી હટ્ટી’ દુકાનના નામે જ ‘એમડીએચ’ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ જોતજોતામાં ભારતમાં તો છવાઈ ગઈ એટલું જ નહીં, પણ 100 દેશોમાં પણ એના મસાલાની નિકાસ કરવા લાગી.

‘મહાશયજી’ ગુલાટી ટીવી જાહેરખબરોમાં વારંવાર ચમકતાં રહ્યા હતા. મોટી સફેદ મૂછ અને માથે લાલ રંગની પાઘડી સાથેનો એમનો લૂક ભારતના ટીવી દર્શકોમાં લોકપ્રિય થયો હતો. ટીવી જાહેરખબરોમાં મોડેલની જેમ ચમકવાનો નિર્ણય એમનો પોતાનો હતો. તે જાહેરખબરોને કારણે જ તેઓ ઘર-ઘરમાં ‘દાદાજી’, ‘મસાલા કિંગ’ તરીકે જાણીતા થયા છે. 2017માં તેઓ સૌથી વધુ પગાર લેતા સીઈઓ બન્યા હતા. એમનો પગાર રૂ. 20 કરોડ હતો. જોકે તેઓ એમના પગારની 90 ટકા રકમ દાનમાં આપી દેતા હતા. એમડીએચ સંચાલિત એક ટ્રસ્ટ દિલ્હીમાં અનેક શાળાઓ અને હોસ્પિટલો ચલાવે છે. આ કામગીરીની કદરરૂપે ભારત સરકારે ગયા વર્ષે એમને પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. એમડીએચ મસાલા બ્રાન્ડની ઉત્પાદન ક્ષમતા 30 ટન પ્રતિદિન છે. તેઓ એમના ધંધાનો દોર નવી પેઢીને આપતા ગયા છે તો જીવનમાં કાયમ તંદુરસ્ત કેમ રહેવું એ બધાયને જણાવતા ગયા છે. એ દરરોજ સવારે 5.25 વાગ્યે ઉઠી જતા. દરરોજ સાંજે બગીચામાં ફરવા જતા. એમનું ભોજન પણ હળવું રહેતું. બુઢાપાને દૂર રાખવા માટે તેમણે અમુક ટિપ્સ આપી હતીઃ દિવસમાં કમસે કમ એક વાર મલાઈવાળું દૂધ પીવું જોઈએ, શક્ય હોય તો બદામના તેલથી શરીરે માલિશ કરાવવું જોઈએ, દરરોજ શેવિંગ કરવું જોઈએ. એમના ચહેરા પર કાયમ હાસ્ય જોવા મળતું. વયોવૃદ્ધ અવસ્થામાં પણ તેમની શારીરિક ઊર્જા, ચહેરા પરનું તેજ અને જીવનને હસતા રહીને જીવવાની એમની સ્ટાઈલ લોકોને પ્રભાવિત કરી ગઈ.