Home Blog Page 454

કાશ્મીરના નૌગામમાં બ્લાસ્ટ , 12 લોકોના મોતની ઘટના પર આવું બોલી પોલીસ

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ શુક્રવારે મોડી રાત્રે કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને ડીજીપી નલિન પ્રભાતે અકસ્માત ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ આતંકવાદી હુમલો નહોતો, પરંતુ ફરીદાબાદથી લાવવામાં આવેલા વિસ્ફોટકોના નમૂના લેવા દરમિયાન બનેલી એક કમનસીબ ઘટના હતી.

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને અકસ્માત ગણાવ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં થયેલો વિસ્ફોટ કોઈ આતંકવાદી કાવતરું કે હુમલો નહોતો, પરંતુ માત્ર એક અકસ્માત હતો.જે FSL ટીમ નમૂના લઈ રહી હતી ત્યારે બન્યું. તેમણે કહ્યું કે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના લેવાની પ્રક્રિયા બે દિવસથી ચાલી રહી હતી, અને આ ઘટના રાત્રે લગભગ 11:20 વાગ્યે બની હતી.

ડીજીપી નલિન પ્રભાતે કહ્યું,”આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે. વિગતવાર તપાસ ચાલી રહી છે.” ગૃહ મંત્રાલયે પણ આ ઘટનાની માહિતી આપતું એક નિવેદન બહાર પાડ્યું છે અને વિસ્ફોટને માત્ર એક અકસ્માત ગણાવ્યો છે. ડીજીપીએ સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં કોઈ આતંકવાદી કાવતરું કે બાહ્ય હસ્તક્ષેપનો કોઈ આધાર નથી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 32 લોકો ઘાયલ થયા હતા. કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.

આ ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા હતા, જેમાં 1 SIA અધિકારી, 3 FSL સભ્યો, 2 ક્રાઈમ વિંગના કર્મચારીઓ, 2 મહેસૂલ અધિકારીઓ અને ટીમ સાથે રહેલા એક દરજીનો સમાવેશ થાય છે. વધુમાં, 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.

ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું હતું કે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટક પદાર્થો અને રસાયણોનો મોટો જથ્થો તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સંવેદનશીલ સ્વભાવને કારણે, કામ સાવધાનીપૂર્વક કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રે એક આકસ્મિક વિસ્ફોટ થયો. ડીજીપીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં નૌગામ પોલીસ સ્ટેશનને પણ ભારે નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે એક અકસ્માત છે અને અન્ય કોઈપણ પ્રકારની અટકળો સંપૂર્ણપણે બિનજરૂરી છે.

આ વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. દક્ષિણ શ્રીનગરમાં થયેલા વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. થોડી જ વારમાં પોલીસ સ્ટેશનમાંથી ભારે જ્વાળાઓ નીકળવા લાગી. માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા.સાવચેતીના ભાગ રૂપે જિલ્લા હોસ્પિટલ સહિત તમામ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ભારતીયોને લાગી રહ્યો છે સરેરાશ 34,500 રૂપિયાનો ચૂનો, જાણો…

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 90 ટકાની વસતિ નકલી અને AI દ્વારા તૈયાર કરાયેલ સેલિબ્રિટી જાહેરાતોના સંપર્કમાં આવે છે. સામાન્ય બની ગયેલા આવા કૌભાંડોમાં લોકોને સરેરાશ 34,500 રૂપિયાની ખોટ સહન કરવી પડી રહી છે. ગ્રાહકોને ઓનલાઈન ઠગાઈથી બચાવવા માટે તૈયાર કરેલા અહેવાલમાં આ ખુલાસો થયો છે.

મોસ્ટ ડેન્જરસ સેલિબ્રિટી: ડીપફેક ડિસેપ્શન લિસ્ટ

સૌથી ખતરનાક સેલિબ્રિટી: ડીપફેકથી છેતરપિંડી’ શીર્ષકની સૂચિમાં આ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે સાયબર ઠગ લોકોના જાળમાં ફસાવવા માટે કેવી રીતે જાણીતી હસ્તીઓના નામનો ઉપયોગ કરે છે.

સાયબર ઠગોએ આ વર્ષે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના નામનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. ત્યાર બાદ આલિયા ભટ્ટ અને ટેસ્લાના એલોન મસ્કને નિશાન બનાવવામાં આવ્યા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નકલી જાહેરાતોના પ્રચાર, મફત વસ્તુઓના લાલચ, છેતરપિંડી, ફેક લિંક્સ અથવા ખોટી વસ્તુઓ ડાઉનલોડ કરાવવા માટે બનાવેલી સાઇટ્સ તરફ લોકોને ખેંચવા માટે AI આધારિત ડીપફેકમાં આ હસ્તીઓનાં નામોનો સૌથી વધુ ઉપયોગ થયો હતો.

મૈકફીમાં એન્જિનિયરિંગના સિનિયર ડિરેક્ટર પ્રતિમ મુખર્જીએ જણાવ્યું હતું કે ડીપફેકે સાયબર ક્રિમિનલ્સનો આખો ખેલ બદલી નાખ્યો છે. હવે તેમને સિસ્ટમ હેક કરવાની જરૂર નથી. તેઓ સીધા લોકોના મનમાં ઘૂસી રહ્યા છે અને વિશ્વાસનો લાભ લઈ રહ્યા છે.

ફિક્કી અને EYના અહેવાલ મુજબ ગયા વર્ષે ભારતમાં લોકોએ કુલ 1.1 લાખ કરોડ કલાક સ્માર્ટફોનમાં કન્ટેન્ટ જોવામાં વિતાવ્યા. મેકએફી મુજબ આ પૈકી 95% લોકોએ વોટ્સએપ, 94 ટકાએ યુટ્યુબ, તથા 84 ટકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સમય વિતાવ્યો.

મેકએફી અનુસાર આજના સમયમાં ઓનલાઇન ઠગાઈનો સૌથી મોટો ભોગ યુવાઓ બની રહ્યા છે.

35–44 વર્ષની વયના 62 ટકા લોકોએ

25–34 વર્ષની ઉમરના 60 ટકા લોકોએ

 

સ્વીકાર્યું કે તેમણે નકલી સેલિબ્રિટી જાહેરાતો પર ક્લિક કર્યું હતું. જ્યારે 18–24 વર્ષની વયના 53 ટકા યુવાનો એવીં ચપેટમાં આવ્યા.

 

અભિનેતા રાજકુમારના ઘરે બંધાયું પારણું, પત્રલેખાએ દીકરીને જન્મ આપ્યો

બૉલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખા મમ્મી-પપ્પા બન્યા છે. કપલે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી આપી છે, વરુણ ધવન, અલી ફઝલ અને નેહા ધૂપિયા સહિત અનેક સેલિબ્રિટીઓએ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે.

રાજકુમાર રાવ અને પત્રલેખા પણ હવે બૉલિવૂડ પેરેન્ટ ક્લબમાં જોડાઈ ગયા છે. આ કપલે શનિવાર, 15 નવેમ્બરના રોજ આ ખુશખબરી આપી છે. એખ પોસ્ટ દ્વારા રાજકુમાર અને પત્રલેખાએ પોસ્ટ શેર કરી અને તેમના ચાહકો સાથે માતા-પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા, જેના પછી કપલને અઢળક અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમની ચોથી લગ્ન વર્ષગાંઠ પર તેમના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે, જેના કારણે તેમની ખુશી બમણી થઈ ગઈ છે. અભિનેત્રીએ તેની ચોથી લગ્ન વર્ષગાંઠ પર એક પુત્રીને જન્મ આપ્યો છે.

પત્રલેખા અને રાજકુમાર રાવની પોસ્ટ

રાજકુમાર રાવ અને પત્રલેખાએ એક સંયુક્ત પોસ્ટ શેર કરતા લખ્યું કે અમે ખુશ છીએ કે ભગવાને અમને એક સુંદર પુત્રીનો આશીર્વાદ આપ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે કપલે કેપ્શનમાં લખ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ. ભગવાને અમને એક બાળકીનો આશીર્વાદ આપ્યો છે. અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by RajKummar Rao (@rajkummar_rao)

રાજકુમાર રાવ અને પત્રલેખા 15 નવેમ્બર, 2021 ના ​​રોજ લગ્નના બંધનમાં બંધાયા. આ કપલે આજે ​​લગ્નના ચાર વર્ષની ઉજવણી કરી, અને તેમની પુત્રીના જન્મથી તેમનો આનંદ બમણો થઈ ગયો. તેમની લગ્ન વર્ષગાંઠ તેમજ તેમની પુત્રીના જન્મની ઉજવણી પર કપલના સેલિબ્રિટી મિત્રો અને ચાહકો તેમના અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. નેહા ધૂપિયા, વરુણ ધવન અને અલી ફઝલથી લઈને ઘણા સ્ટાર્સે રાજકુમાર રાવ અને પત્રલેખાને માતાપિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

જુલાઈમાં ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા
રાજકુમાર રાવ અને પત્રલેખાએ આ વર્ષે જુલાઈમાં તેમની ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા. તેણીની ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા પછી પત્રલેખાએ ખુલાસો કર્યો કે તેણી ગર્ભવતી થઈ ત્યારથી રાજકુમાર રાવે તેણીની વધુ કાળજી લીધી છે. આ સમય દરમિયાન પત્રલેખાએ એમ પણ કહ્યું કે જ્યારે તેણીએ તેની માતા સાથે તેણીની ગર્ભાવસ્થાના સમાચાર શેર કર્યા, ત્યારે તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તેણીએ અભિનેત્રી પર આશા છોડી દીધી હતી.

મોંઘવારી વધતાં ટ્રમ્પે અનેક ચીજવસ્તુઓ પરથી દૂર કર્યો ટેરિફ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ એક નિર્ણયમાંથી યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે દૈનિકની અનેક ચીજવસ્તુઓ પર લાગેલા ટેરિફને ઘટાડ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકામાં ઘરેલુની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે હવે આ ટેરિફમાં ઘટાડાથી અમેરિકન નાગરિકોને મોટી રાહત મળશે.

ટ્રમ્પે બીફ, કોફી અને ટ્રોપિકલ ફળો સહિત અનેક ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો છે. અમેરિકામાં આ મહિનાના નોન-યર ઇલેક્શનમાં આર્થિક ચિંતાનો મુદ્દો ગરમાયો હતો, જેમાં વસ્તુઓના વધતા ભાવોને લઈને નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. તેની સીધો અસર એવી થઈ કે વર્જિનિયા અને ન્યુ જર્સીમાં ડેમોક્રેટ્સને મોટી જીત મળી.

ટ્રમ્પે એપ્રિલમાં મોટા ભાગના દેશો પર ટેરિફ લગાવી દીધા હતા. તેઓ અને તેમનું વહીવટી તંત્ર લાંબા સમયથી આ દલીલ આપતા આવ્યા છે કે ટેરિફથી ગ્રાહકો પર વધારાનો ભાર પડતો નથી, પરંતુ આર્થિક પુરાવાઓ તેના વિરુદ્ધ છે અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભાવોમાં તેજ વધારો થયો છે. ટ્રમ્પ તંત્ર પર આર્થિક વ્યૂહરચના બદલવાનું દબાણ વધી ગયું હતું. આવી સ્થિતિમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ટેરિફ કેટલીક પરિસ્થિતિઓમાં કિંમતો વધારી શકે છે, જોકે તેમના કહેવા મુજબ મોટા ભાગનો ખર્ચ અન્ય દેશોએ સહન કર્યો છે.

ટેરિફ હટાવવાના આ નિર્ણયમાં બીફ, કોફી, ચા, કોકો, મસાલા, કેળાં, સંતરા, ટમેટાં, ફર્ટિલાઇઝર અને અનેક ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આમાંથી ઘણી વસ્તુઓ અમેરિકામાં બનતી જ નથી, તેથી ટેરિફ લગાવવાથી ગ્રાહક કિંમતો પર કોઈ સકારાત્મક અસર નહોતી. હવે આ ટેરિફ હટતા અમેરિકામાં ગ્રોસરીની કિંમતોમાં ઘટાડાની આશા વ્યક્ત થઈ છે.

ગ્રાહકો પર ઘટાડાશે ભાર

ફૂડ ઇન્ડસ્ટ્રી એસોસિયેશને આ પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આથી સપ્લાઈ ચેઇનને રાહત મળશે અને ગ્રાહકો પરનો ભાર ઓછો થશે.

અમેરિકન નાગરિકોને મળશે 2000 ડોલર

ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ટેરિફમાંથી મળેલી આવકનો ઉપયોગ તેઓ ભવિષ્યમાં અમેરિકન નાગરિકોને 2000 ડોલરના ચેક આપવા માટે કરી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ ચેક ક્યારે આપવામાં આવશે.

 

સોહમ શાહે ‘કાલ’ પહેલાં રિમેક ફિલ્મ લખી હતી!

નિર્દેશક સોહમ પી. શાહે ‘કાલ’ (2005) પહેલાં વિવેક ઓબેરોયને બીજી જ કોઈ ફિલ્મ માટે સાઇન કર્યો હતો. અને ‘કાલ’ની વાર્તા માટે નિર્માતા યશ જોહરે પહેલાં સોહમની મજાક ઉડાવી હતી અને પરીક્ષા લીધી હતી. સોહમની બોલિવૂડની પ્રથમ ફિલ્મ ‘કાલ’ સાથેની અનેક રસપ્રદ વાતો જાણવા જેવી છે. રામગોપાલ વર્માની ‘ભૂત’ (2003) અને કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ (2006) માં સહાયક તરીકે કામ કરનાર સોહમે જ્યારે નિર્દેશક બનવાનું નક્કી કર્યું ત્યારે એની વાર્તા લખવા અમેરિકા ભાઈને ત્યાં જતાં રહ્યા હતા.

એક વાત એ હતી કે એમને હોરર ફિલ્મ બનાવવી હતી. બીજું એ પણ નક્કી કર્યું હતું કે નાના બજેટની ફિલ્મ બનાવવી જેથી કોઈપણ નિર્માણ કરવા તૈયાર થઈ જાય. ત્યાં ભાઈએ એક ફિલ્મ ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ બતાવી. એ ઘણી લોકપ્રિય થઈ હતી. એટલે એની રિમેક બનાવવાનો વિચાર કર્યો અને બે મહિનામાં એની સ્ક્રિપ્ટ લખીને મુંબઇ આવી ગયા. સોહમને કરણ જોહરે કહી રાખ્યું હતું કે તું જ્યારે તારી પહેલી ફિલ્મ લખે ત્યારે મને સૌથી પહેલાં વાંચવા આપજે. જ્યારે સોહમની મુલાકાત કરણ સાથે થઈ ત્યારે એણે સ્ક્રિપ્ટ વાંચવા માંગી. પણ સોહામનું કહેવું હતું કે આ ફિલ્મ ભયાનક અને વિચિત્ર છે. તમારા જોનરની નથી. કરણે આગ્રહ કર્યો એટલે વાંચવા આપી. સોહમના આશ્ચર્ય વચ્ચે કરણે સ્ક્રિપ્ટ પસંદ કરી લીધી અને ફિલ્મનું નિર્માણ કરવા તૈયારી બતાવી. કરણ અને સોહમે ફિલ્મ માટે હીરો તરીકે વિવેક ઓબેરોયને લેવાનું નક્કી કર્યું. સોહમે વિવેકને વાત કરી અને એણે હા પાડી દીધી.

વિવેકે સાઇનિંગ એમાઉન્ટ લઈ લીધી અને કહ્યું કે તે તારીખો નક્કી કરીને આપશે. એ સમય પર વિવેક સ્ટાર બની ગયો હતો. સોહમ તારીખો મળવાની રાહ જોઈ રહ્યા હતા. પણ તે આપતો ન હતો. એક દિવસ સોહમે કહ્યું કે આ ‘ધર્મા પ્રોડકશન’ ની ફિલ્મ છે. તું તારીખ કેમ આપતો નથી? ત્યારે એણે સ્થિતિ બતાવી કે મને ‘ફાઇનલ ડેસ્ટિનેશન’ ની બીજી એક રિમેક મળી રહી છે. એનું નિર્દેશન અબ્બાસ – મસ્તાન કરી રહ્યા છે. તે મોટા નિર્દેશક છે અને નામ મોટું છે.

સોહમે પૂછ્યું કે તારે શું કરવું છે? ત્યારે સોહમ નવો હતો અને પહેલી જ ફિલ્મ હતી એટલે વિવેકે કહ્યું કે એ મોટા નિર્દેશક છે અને એમની ફિલ્મ કરવી છે. સોહમે એને છૂટો કરી દીધો અને કરણ જોહરને વાત કરી. કરણે કહ્યું કે મને તારી સ્ક્રિપ્ટ પસંદ આવી છે. તારે નક્કી કરવાનું છે કે વિવેક સાથે બનાવવી છે કે બીજા કોઈ હીરો સાથે.

સોહમે વિચાર કરવા સમય લીધો અને વિચાર્યું કે મારી પહેલી ફિલ્મ છે અને એક રિમેક છે. આખી જિંદગી એમ સાંભળવું પડશે કે પહેલી ફિલ્મ જ રિમેક બનાવી હતી. અને બોલિવૂડમાં અગાઉ બે ફિલ્મ ‘ભગતસિંહ’ પર એકસાથે આવી ગઈ હતી. એની જેમ એક જ અંગ્રેજી ફિલ્મ પર બે ફિલ્મ બને એ બરાબર ન હતું. આ સમય અને પૈસાનો બગાડ જ કહેવાશે. સોહમે એ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો અને કરણને કહ્યું કે ત્રણ મહિનામાં બીજી અસલ સ્ક્રિપ્ટ લખશે અને એ ફરી તમારી સમક્ષ આવશે. સોહમે ફિલ્મ ‘કાલ’ લખવાનું શરૂ કર્યું. જ્યારે તે ‘કાલ’ ની સ્ક્રિપ્ટ લઈને કરણ પાસે ગયો ત્યારે એણે તો પસંદ કરી લીધી હતી પણ એના પિતા યશ જોહરે એની પરીક્ષા લીધી હતી.

(યશ જોહરે સોહમની કેવી પરીક્ષા લીધી અને એમાં તે કેવી રીતે પાસ થયો એ ઉપરાંત કાલ માં નવા કલાકારોને બદલે સ્ટાર્સ કેમ લેવામાં આવ્યા એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)  

તમારે જીવનમાં પ્રગતિ જોઈએ કે ઉન્નતિ?

“અંકલ, મારે જીવનમાં સતત આગળ વધતાં રહેવું છે,” મારા એક સહયોગીનો દીકરો મારી સાથે વાત કરતાં કરતાં બોલ્યો. એ પોતાની ઉંમર પ્રમાણે એકદમ સારી વાત કરી રહ્યો હતો. હું એની વૈચારિક પ્રક્રિયાનો આદર કરું છું. દરેક મનુષ્યનો આવો જ વિચાર હોવો જોઈએ. જોકે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે એમ એમ એની માનસિકતા બદલાઈને પ્રગતિને બદલે ઉન્નતિની થઈ જવી જોઈએ.

પ્રગતિ અને ઉન્નતિ એ બન્ને સદંતર વિરોધી બાબતો છે. પ્રગતિમાં કોઈક બાબતની તુલના હોય છે. દા.ત. “મારે ગયા વર્ષ કરતાં વધારે કમાણી કરવી છે.” “હું મારી ઑફિસમાં ટોચનો અધિકારી બનવા માગું છું.” “હું મારા શહેરમાં મોખરાનો હોટેલમાલિક બનવા માગું છું.” આ બધાં ઉદાહરણ કોઈક વસ્તુ કે વ્યક્તિ સાથેની તુલનાનાં છે.

સરખામણી કે તુલના કરવાથી સિદ્ધિ મેળવ્યાની ભાવના જન્મે છે. તેની સાથે સાથે ગૌરવ અનુભવાય છે. જોકે, એ બધું થોડા સમય પૂરતું જ હોય છે. વાસ્તવમાં એવું થાય છે કે થોડા જ વખતમાં કોઈ બીજી વ્યક્તિ આપણી તોલે આવી જાય છે અને આપણે એનાથી પણ આગળ વધવાનો વિચાર કરવા લાગી જઈએ છીએ. પ્રગતિ કાર્યલક્ષી બાબત છે. એનું સ્વરૂપ રાજસી હોય છે. પ્રગતિ કરતી વખતે ઉચાટ જન્મે છે. “હું ક્યારે એ સ્થિતિમાં પહોંચીશ” એવો વિચાર સતત ચાલ્યા કરતો હોય છે. હકીકતમાં ત્યાં પહોંચી જવાય પછી સિદ્ધિ પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થાય છે. “મેં આમ કર્યું” એવી ભાવના મનમાં આવી જાય છે. એને અહમ્ કહેવાય. ધારો કે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં, તો હતાશા જન્મે છે. પરિણામે, માનસિક તાણ સર્જાય છે.

બીજી બાજુ, ઉન્નતિ આંતરિક બાબત છે. એનું સ્વરૂપ સાત્ત્વિક હોય છે. તેનાથી શાંતિ અને શીતળતા પ્રાપ્ત થાય છે; અને એ કાયમી હોય છે. એનો સંબંધ પોતાના સિવાય બીજા કોઈ સાથે હોતો નથી. એ પરિપૂર્ણ સ્થિતિ અને અનુભૂતિ હોય છે. એ સ્થિતિમાં “આ મેં કરેલું નથી”; “એ તો ભગવાનની કૃપા છે” એવો ભાવ જન્મે છે. એમાં નિષ્ફળતાનો પણ કોઈ સવાલ આવતો નહીં હોવાથી હતાશા-નિરાશા બાજુએ રહી જાય છે. ફક્ત શીતળતા અનુભવાય છે. ઉન્નતિ પામેલી વ્યક્તિ આંતરિક શાંતિની-પ્રસન્નતાની સ્થિતિમાં હોય છે. દરેક વ્યક્તિએ અમુક ઉંમર પછી ઈશ્વર પાસે પ્રગતિને બદલે ઉન્નતિ માગવી જોઈએ.

યોગિક વેલ્થનો સંબંધ ઉન્નતિ સાથે જ છે. એ આંતરિક બાબત હોવાથી કાયમી છે. તેનાથી શીતળતા પ્રાપ્ત થાય છે અને કોઈ વ્યક્તિ આપણી પાસેથી એ ઝૂંટવી શકતી નથી.

પ્રગતિ, વૃદ્ધિમાં કોઈ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આપણું સ્થાન લઈ લે એ શક્ય છે. આપણે જોઈએ છીએ કે વિશ્વની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ દર થોડા વખતે બદલાતી રહે છે. આમ, પ્રગતિ સાધેલી હોય એ માણસનું સ્થાન બીજો કોઈ લઈ શકે, પણ ઉન્નતિ પ્રાપ્ત કરી હોય એનું સ્થાન અવિચલિત રહે છે.

પ્રગતિને લીધે અસલામતી જન્મે છે, કારણ કે કોઈક આપણું સ્થાન લઈ લે એવી શક્યતા હોય છે. ઉન્નતિ જેમ જેમ વધે એમ એમ સલામતી વધતી જાય અને કોઈ આપણી પાસેથી એ છીનવી શકતું નથી. ઉન્નતિ સાધેલા માણસોમાં પહેલો, બીજો, ત્રીજો એવો કોઈ ક્રમ હોતો નથી. દરેક માણસ ઉન્નતિ સાધી શકે છે. ઉન્નતિ વગરની પ્રગતિ અધોગતિ આણે છે.

મનને શાંત રાખીને અને ધન કે સંપત્તિને ઈશ્વરની કૃપા ગણીને પ્રગતિ અને ઉન્નતિ બન્નેની પ્રાપ્તિ કરી શકાય છે. એ બન્ને સ્થિતિને ભગવાનની મહેર માનવી. એ મનઃસ્થિતિ પામી ગયા બાદ સિદ્ધિ જેવી લાગણી જન્મતી નથી. એ તો આશીર્વાદની પ્રાપ્તિની અનુભૂતિ હોય છે, જેનાથી આપણે નમ્ર-શાંત રહી શકીએ છીએ.

યોગિક વેલ્થ મનુષ્યજીવને ભગવાને આપેલો આશીર્વાદ છે. યોગિક વેલ્થ સમાજ સાથે વહેંચી લેવાની હોય છે. યાદ રહે, ભગવાન પહેલાં તમને આપે છે, જેથી તમે એને બીજાઓ સુધી પહોંચાડી શકો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

શું નીતીશકુમાર નહીં બને નહીં બિહારના CM?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મોટી અને અણધારી જીત મળી છે. 200થી વધુ બેઠકો જીત્યા પછી આ સવાલ ઊભો થયો કે આટલો મોટો બહુમત કેવી રીતે મળ્યો? આ મુદ્દે બિહારના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે આ જીત બિહારની જનતાની છે. તેઓ વિકાસ જોવા માગે છે. છેલ્લાં 20 વર્ષમાં NDAની વિશ્વસનીયતા મજબૂત બની છે અને કેન્દ્ર સરકારે પણ છેલ્લાં 11 વર્ષમાં લોકોનો વિશ્વાસ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ-કેન્દ્રિત વિચારસરણીને જનતાએ સ્વીકારી છે અને એ વિશ્વાસ પર મત આપ્યો છે.

આ જીતનું શ્રેય પૂરેપૂરી રીતે બિહારની જનતાને જાય છે. લોકશાહીમાં જાદુ જેવી કોઈ વસ્તુ નથી, માત્ર જનતાનો વિશ્વાસ છે. લોકોનો ભરોસો જીતવો એ કોઈ પણ રાજકીય કાર્યકરની પ્રથમ જવાબદારી છે. જનતાનો વિશ્વાસ જીતવામાં NDA સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.

આ જીત ભાજપનો આત્મવિશ્વાસ વધારનાર છે. વડા પ્રધાન મોદીએ હવે અમને બિહાર પછી પશ્ચિમ બંગાળની જવાબદારી આપી છે. હવે અમારે તામિલનાડુ, પુડુચેરી અને આસામમાં પણ એ જ રીતે મહેનત કરવાની રહેશે. આ જીત અમારી પાર્ટી માટે મોટો પ્રેરણાસ્રોત બનશે.

NDA સંપૂર્ણપણે એકજૂટ છે. સરકાર સાથે મળીને જ બનશે. કોઈની બેઠકો વધે-ઘટે તેનો ફરક પડતો નથી. NDA સાથે જ રહેશે.

શું નીતીશકુમાર જ CM બનશે? નવી સરકારમાં ડેપ્યુટી CMમાં કોઈ ફેરફાર થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે NDAની સરકાર બનવા જઈ રહી છે અને નીતીશકુમાર બિહારના સૌથી મોટા નેતા છે. સરકારમાં કોણ મંત્રી બનશે એ CM અને નવી સરકાર નક્કી કરશે.

શું ભાજપનો પોતાનો CM ચહેરો હોવો જોઈએ? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે નહીં, અમને કોઈ ગૂંચવણ નથી જોઈએ. આ NDAની જીત છે. વડા પ્રધાન મોદીએ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે આ NDAની જીત છે. તેમણે કહ્યું છે કે તેઓ બિહારના વિકાસને સમર્થન આપશે. મોદી–નીતીશની જોડીને ધ્યાને રાખીને આ ચૂંટણી લડી હતી. તેમાં કોઈ શંકા નથી.

ગુલકંદ – ૧૫ નવેમ્બર ૨૦૨૫

મમરાના ઢોસા

મમરાના આ ઈન્સ્ટન્ટ ઢોસા અને ટામેટાંની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • મમરા 2 કપ
  • સૂકા લાલ મરચાં 2
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • રવો 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

ચટણીઃ

  • સૂકા લાલ મરચાં 2
  • કાંદો 1,
  • ટામેટાં 2
  • લસણની કળી 10-15
  • રાઈ ½ ટી.સ્પૂન
  • તેલ 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ એક કઢાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકો. તેમાં સૂકા લાલ મરચાં નાખી રાખો. પાણી ઉકળવા આવે એટલે તેમાં મમરા ઉમેરીને મિક્સ કરી દો. એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

મમરા ઠંડા થાય એટલે મમરાને સ્ટીલની ચાળણીમાં નાખીને પાણી નિતારી લો. આ મમરાને મિક્સીમાં લઈ તેમાં થોડું પાણી મેળવીને બારીક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ એક બાઉલમાં કાઢી તેમાં રવો મેળવીને 15-20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. જેથી તે દરમ્યાન રવો ફૂલે અને મિશ્રણ ઘટ્ટ થાય. 20 મિનિટ બાદ તેમાં ચણાનો લોટ પણ સરખો મિક્સ કરીને અડધા કલાક માટે રાખી મૂકો.

એક વાટકીમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાઉડર, કસૂરી મેથી હાથેથી થોડી ક્રશ કરીને તેમજ સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લો.

ચટણી માટેઃ કઢાઈમાં ½ ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં લાલ મરચાં તેમજ લસણની કળી સાંતળી લીધા બાદ કાંદાના ટુકડા કરીને સાંતળો. ત્યારબાદ ટામેટાંના ટુકડા કરીને તેને પણ સાંતળી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં લઈ તેમાં લાલ મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને બારીક ચટણી પીસી લો. એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવીને તે વઘાર ચટણીમાં મેળવી દો.

મમરાનું મિશ્રણ  અડધા કલાક બાદ સરખું સેટ થઈ જાય એટલે ઢોસા માટેનો તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને તેલ અથવા ઘી કે માખણમાં ઢોસા તૈયાર કરો. ઢોસાની ઉપર કસૂરી મેથીવાળો તૈયાર કરેલો મસાલો ભભરાવો અને ગરમાગરમ ઢોસા ટામેટાંની ચટણી સાથે પીરસી આપો.

પંચાંગ 15/11/2025