Home Blog Page 401

‘મોગેમ્બો’ ના પાત્રને અમરીશ પુરીએ અનુપમ બનાવ્યું!

બોલીવૂડની સૌથી આઇકોનિક ફિલ્મોમાંની એક ‘મિ. ઈન્ડિયા’ (1987) પડદા પર આવી એ પહેલાં તેની પાછળ એક આખી ફિલ્મી કહાણી છુપાયેલી છે! એમાં અમિતાભ બચ્ચન દેખાયા નહીં એની પાછળની એક વાર્તા છે. તો અમરીશ પુરી છેલ્લે કેવી રીતે જોડાયા એની રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.

લેખક જોડી સલીમ- જાવેદે ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ ની વાર્તા લખી ત્યારે સૌપ્રથમ એને રમેશ સિપ્પી નિર્દેશિત કરવાના હતા. પણ વિષય જાણીને એમને ખ્યાલ આવી ગયો કે અદ્રશ્ય માણસની વાર્તા હોવાથી સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવો પડશે તેથી મોંઘી બનશે. એમની છેલ્લી ફિલ્મ ‘શાન’ ખાસ ચાલી ન હોવાથી તે જોખમ લેવા માંગતા ન હતા.

રમેશ સિપ્પીએ ના પાડ્યા પછી સલીમ- જાવેદે જાતે જ નિર્માણ કરવાનું નક્કી કર્યું અને હીરો તરીકે અમિતાભ બચ્ચનને લેવાનો નિર્ણય કર્યો. અને ફિલ્મમાં હીરો દેખાય એના કરતાં એનો અવાજ જ વધુ રેકોર્ડ કરવાનો હતો એટલે અમિતાભના શુટિંગ માટે બે અઠવાડિયા જ જરૂરી હતા. સલીમ- જાવેદને આશા હતી કે એમની સાથે અગાઉ કામ કર્યું હતું અને વધારે શુટિંગ કરવાનું ન હોવાથી અમિતાભ ઓછી કિંમતે તૈયાર થઈ જશે. પરંતુ જ્યારે અમિતાભ પાસે આ ફિલ્મની ઓફર પહોંચી ત્યારે વધારે કિંમત માંગી તેથી એમણે ફિલ્મ જાતે બનાવવાનો વિચાર માંડી વાળ્યો. અસલમાં ફિલ્મમાં અમિતાભ વધારે સમય દેખાવાના ન હતા એટલે એમણે કામ કરવાનું ટાળ્યું હતું. એ સમય પર અમિતાભ દરેક ફિલ્મમાં પડદા પર સતત દેખાતા રહેતા હતા.

ફિલ્મની વાર્તા જ્યારે બોની કપૂર પાસે પહોંચી ત્યારે એમણે અનિલ કપૂર અને શ્રીદેવી સાથે બનાવવાનું નક્કી કર્યું. જ્યારે બોની શ્રીદેવીને સાઇન કરવા મદ્રાસ ગયા ત્યારે એમની માતાએ ભાવતાલની વાત કરી. બોનીએ જાણી રાખ્યું હતું કે શ્રીદેવી મોટી સ્ટાર છે અને એક ફિલ્મના સાડા આઠ લાખ રૂપિયા લે છે. પરંતુ માતાએ દસ લાખનો આંકડો કહ્યો. બોનીએ શ્રીદેવી માટે અગિયાર લાખ રૂપિયા અને હોટલમાં રહેવા સહિતની તમામ સુવિધા આપવાની ખાતરી આપી. ફિલ્મમાં અનુપમ ખેરને ‘મોગેમ્બો’ ની ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યા હતા.

અગાઉ વિનોદ ખન્નાની ‘મહા બદમાશ’ (૧૯૭૭) માં પણ વિલનનું નામ ‘મોગેમ્બો’ હતું અને આખી ફિલ્મમાં એનો ચહેરો માસ્કથી છુપાવવામાં આવ્યો હોવાથી દેખાતો નથી. એના માટે ભારેખમ અવાજ રઝા મુરાદનો હતો. જોકે, અંતમાં એ કલાકાર બીજો જ નીકળે છે. ‘મોગેમ્બો’ના ભવ્ય વિલન પાત્ર માટે સૌપ્રથમ સાઈન થયા હતા અનુપમ ખેર! તેમણે કામ શરૂ કરી દીધું. પણ… અડધી ફિલ્મ બની ગયા પછી નિર્દેશક શેખર કપૂરને લાગ્યું કે કંઈક ખૂટે છે. અનુપમ ખેરમાં એ કઠોરતા, એ ભવ્યતા દેખાતી નહોતી.

ખુદ અનુપમ ખેરે પણ પાછળથી સ્વીકાર્યું કે તેઓ એ પાત્રને અમરીશ પુરી જેટલી કઠોરતાથી ભજવી નહોતા શક્યા. અમરીશને ફિલ્મ ઓફર થઈ ત્યારે એ ભૂમિકા ભજવવા અંગે ડર અનુભવતા હતા પણ પછી એ ભૂમિકાએ એમને લોકપ્રિયતા અપાવી હતી. ‘મિ. ઈન્ડિયા’ શરૂ થઈ અને જ્યારે જાવેદ અખ્તરે ‘મોગેમ્બો ખુશ હુઆ’ સંવાદ લખ્યો ત્યારે શેખરને પસંદ આવ્યો ન હતો અને બદલવા કહ્યું હતું. પણ જાવેદે વિશ્વાસ અપાવ્યો હતો કે લોકોને પસંદ આવશે અને આ સંવાદનો ઉપયોગ પોતાની ખુશી જાહેર કરવા માટે કરશે. આજે આ સંવાદ ભારતની ઓળખ બની ગયો છે! ‘મોગેમ્બો’ માટે કોસ્ચ્યુમ બનાવવાનું કામ અમરીશ પુરીએ માધવજીને સોંપાવ્યું હતું.

અમરીશ માટે ત્રણ અને એક ડ્રેસ એમના ડુપ્લિકેટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. માધવજીને પચીસ હજાર રૂપિયા ફી આપવાની હતી. જ્યારે બોનીએ ‘મોગેમ્બો’ નો ડ્રેસ જોયો ત્યારે ખુશ થઈને દસ હજાર રૂપિયા વધારે આપ્યા હતા. આમ એક રિજેક્ટેડ આઈડિયા, એક નારાજ સુપરસ્ટાર અને એક બદલાયેલા વિલનને કારણે ‘મિ. ઈન્ડિયા’ માત્ર એક ફિલ્મ ન રહેતા ભારતીય સિનેમાનો એક અવિસ્મરણીય હિસ્સો બની ગઈ!

નીરવ મોદીને લાવવાની તૈયારીઃ CBI-EDની ટીમ જશે લંડન જશે

નવી દિલ્હીઃ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાના પ્રયાસોમાં તેજી આવી છે. ભારતની મોટી તપાસ એજન્સીઓ — સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) — પ્રત્યાર્પણ સંબંધિત કેસની સુનાવણીમાં ભાગ લેવા આવતા અઠવાડિયે લંડન જઈ રહી છે. એજન્સીઓનો આ પ્રવાસ એટલા માટે મહત્વનો છે, કારણ કે નીરવ મોદીએ બ્રિટનની કોર્ટમાં આ દાવો કર્યો છે કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેની સાથે ‘યાતના અથવા ખોટું વર્તન’ થવાની શક્યતા છે. ત્યાં CBI અને EDની ટીમ નીરવ મોદીના આ દાવાનું કોર્ટમાં ખંડન કરશે.

ભારત સરકારનો વિશ્વાસ

ભારત સરકાર પહેલેથી જ યુકે સરકારને લેખિત વિશ્વાસ આપી ચૂકી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નીરવ મોદીને ભારત લાવ્યા બાદ તેને માત્ર કોર્ટની કાનૂની પ્રક્રિયાનો જ સામનો કરવો પડશે અને કોઈ પણ એજન્સી તેને પરેશાન નહીં કરે.

સુનાવણી ક્યારે?

ભારતીય ટીમ 14 ડિસેમ્બરથી લંડનમાં હાજર રહેશે. આ કેસની મહત્વની સુનાવણી 16 ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ સુનાવણી અત્યંત મહત્વપૂર્ણ હશે, કારણ કે તેમાં જ નક્કી થઈ શકે છે કે નીરવ મોદીની અંતિમ અપીલ સ્વીકારવામાં આવશે કે પછી તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવશે.

નીરવ મોદી પર શું છે આરોપ?

નીરવ મોદી પર આરોપ છે કે તેણે PNB માં નકલી LoU (લેટર ઓફ અંડરટેકિંગ) બનાવીને દેશમાંથી મોટી રકમ વિદેશ મોકલી. તેની કંપનીઓ મારફતે આ રકમ બહાર ગઈ અને પછી તે પોતે દેશ છોડીને ભાગી ગયો.

અટારી બોર્ડર પર છોડી ગયો પતિ, પાકિસ્તાની મહિલાએ પીએમ મોદી પાસે મદદ માંગી

નિકિતાનો દાવો છે કે તેના પતિની સગાઈ દિલ્હીની રહેવાસી શિવાની ઢીંગરા સાથે થઈ છે. તપાસ બાદ સિંધી આર્બિટ્રેશન સેન્ટરે અહેવાલ આપ્યો કે બંને ભારતીય નાગરિક નથી, તેથી આ કેસ ભારતીય અદાલતોના અધિકારક્ષેત્રમાં નથી, અને તેના પતિને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.

એક પાકિસ્તાની મહિલાએ ઇન્દોરમાં રહેતા એક પાકિસ્તાની પુરુષ વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંધી પંચાયતમાં મધ્યસ્થી કરી ફરિયાદ કરી છે. મહિલાનું કહેવું છે કે ઇન્દોરમાં રહેતા તેના પાકિસ્તાની પતિએ લગ્ન પછી તેને પાકિસ્તાન મોકલી હતી અને હવે તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. તેની સગાઈ પણ એક યુવતી સાથે થઈ ગઈ છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચીની નાગરિક નિકિતાએ 26 જાન્યુઆરી, 2020 ના રોજ કરાચીમાં ઇન્દોરમાં રહેતા પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યા. તેનો પતિ 26 ફેબ્રુઆરીએ નિકિતાને ઇન્દોર લાવ્યો. 9 જુલાઈ, 2020 ના રોજ, તેણે વિઝા ઔપચારિકતાના બહાને તેને અટારી બોર્ડર પર છોડી દીધી.

પત્ની નિકિતાએ પંચાયતમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. નિકિતાએ કહ્યું હતું કે મારા પતિએ દિલ્હીની એક મહિલા સાથે સગાઈ કરી છે. તે મને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. સમુદાયની પંચાયતે પતિ વિક્રમ નાગદેવ અને કથિત મંગેતર શિવાનીને નોટિસ પાઠવી હતી અને વાટાઘાટો કર્યો હતો, પરંતુ જ્યારે વાટાઘાટો નિષ્ફળ ગયો, ત્યારે મધ્યસ્થી અધિનિયમ 2023ને અનુસરીને સિંધી પંચ મધ્યસ્થી અને કાનૂની સલાહકાર કેન્દ્રએ પોતાનો અહેવાલ રજૂ કર્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે બંને ભારતીય નાગરિક નથી. પતિને પાકિસ્તાન મોકલી દેવો જોઈએ, કારણ કે કોર્ટનું અધિકારક્ષેત્ર પાકિસ્તાન છે. કારણ કે આ મામલો કેન્દ્ર દ્વારા ઉકેલાયો નથી, તેથી તે ફક્ત કોર્ટ દ્વારા જ ઉકેલી શકાય છે. પત્ની આ મામલે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. પતિ ઘણા વર્ષોથી ઇન્દોરમાં રહે છે.

કેન્સરના કેસોમાં વધારો, ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

ભારતમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે. કેન્સરના કેસોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. સરકારે લોકસભામાં ચિંતાજનક આંકડા રજૂ કર્યા. આંતરરાષ્ટ્રીય કેન્સર સંશોધન એજન્સી ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી (IARC) અનુસાર, ભારતમાં કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા 1,413,316 (દર 100,000 માં 98.5 નો દર) છે, જે ચીન (4,824,703 કેસ, દર 100,000 માં 201.6) અને યુનાઇટેડ સ્ટેટ્સ (2,380,189 કેસ, દર 100,000 માં 367) પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, દેશમાં 2020 માં 13.92 લાખ કેન્સરના કેસ હોવાનો અંદાજ છે, જે 2024 સુધીમાં વધીને 15.33 લાખ થવાનો અંદાજ છે. આ માત્ર પાંચ વર્ષમાં કેસોમાં 10 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. રાજ્યવાર વિશ્લેષણમાં એ પણ બહાર આવ્યું છે કે ટકાવારી વધારો નાના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઝડપી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા મોટા રાજ્યોમાં કુલ દર્દીઓની સંખ્યા વધુ છે.

સૌથી વધુ કેસ ક્યાં વધ્યા?

સરકારી આંકડા મુજબ, દમણમાં કેન્સરના કેસોમાં 39.51% નો વધારો જોવા મળ્યો. વધુમાં, દાદરા અને નગર હવેલી (30.09%), સિક્કિમ (26.06%), લક્ષદ્વીપ (18.52%) અને મણિપુર (18.48%) માં પણ તીવ્ર વધારો જોવા મળ્યો. દિલ્હી, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. અહેવાલ મુજબ, તમાકુનો ઉપયોગ, પ્રદૂષણ અને જીવનશૈલીના પરિબળો આ વધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

મોટી વસ્તી ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ ભારણ

વસ્તીની તુલનામાં દર્દીઓની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશ (2.21 લાખ), મહારાષ્ટ્ર (1.27 લાખ), પશ્ચિમ બંગાળ (1.18 લાખ) અને બિહાર (1.15 લાખ) માં નોંધાઈ હતી. આ રાજ્યોમાં ટકાવારી વધારો ઓછો દેખાઈ શકે છે, પરંતુ કુલ સંખ્યા નોંધપાત્ર છે.

વર્ષ-દર-વર્ષ વધારો

2020 થી 2024 સુધી ભારતમાં કેન્સરના કેસોમાં વાર્ષિક વધારો નીચે મુજબ હતો: • 2020: 13,92,179 • 2021: 14,26,447 • 2022: 14,61,427 • 2023: 14,96,972 • 2024: 15,33,055 દર વર્ષે લગભગ દસ લાખ નવા કેસ ઉમેરાઈ રહ્યા છે.

કેન્સરના કેસોમાં વધારો થવાના કારણો

ICMR મુજબ, કેસોમાં વધારો થવા પાછળ ઘણા કારણો છે. જીવનશૈલીમાં પરિવર્તન, તમાકુ અને દારૂના સેવનમાં વધારો, વૃદ્ધોની વસ્તીમાં વધારો અને આરોગ્ય જાગૃતિમાં વધારો થવાને કારણે રિપોર્ટિંગમાં વધારો થયો છે. શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ પણ એક મોટો પડકાર બની ગયું છે.

ભારતમાં કેન્સર ઝડપથી વિકસતો આરોગ્ય પડકાર બની ગયો છે. તેના નિવારણ, તપાસ અને સારવાર માટે એક વ્યાપક વ્યૂહરચના જરૂરી છે. આગામી વર્ષોમાં કેન્સરના કેસોમાં વધુ વધારો થવાની સંભાવના છે, તેથી આરોગ્ય માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરવા, જીવનશૈલીમાં સુધારો કરવા અને તમાકુ નિયંત્રણ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

‘સરદાર @150’ યુનિટી માર્ચમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરતા ડૉ. ઈવાન્સ અફેદી

રાજપીપળા: સરદાર @150 યુનિટી માર્ચના ભવ્ય સમાપન સમારંભમાં વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠિત પ્રતિભા એવા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ હાજરી આપી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ડૉ. ઈવાન્સ અફેદીએ ભારતના 562થી વધુ દેશી રજવાડાંઓને એક કરીને ભારતને રાષ્ટ્રીય એકતાની અખંડિત ઓળખ આપનાર આયર્ન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રત્યે તેમણે ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે સરદાર સાહેબને અંજલિ આપતા કહ્યું, લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે. આજના સમારંભમાં ઉમટી પડેલા યુવાનો, એકતાના નારા, ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અને અવિરત દેશપ્રેમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરે છે.

ડૉ. ઈવાન્સ અફેદીએ વધુમાં કહ્યું, ભારત સરકારના રમત-ગમત મંત્રાલય દ્વારા આયોજિત યુનિટી માર્ચ માત્ર સરદાર વલ્લભભાઈની સ્મરણયાત્રા નથી. પરંતુ યુવાનોના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવતી અનોખી તીર્થયાત્રા છે. તેમણે વધુ ઉમેર્યું કે, યુવાનોનો આ ઉમળકો ભારતના ભવિષ્યને શક્તિ આપે છે, અને આ અભિયાન એકતા, અનુશાસન અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને નવી પેઢીને વારસામાં અર્પે છે. સરદાર પટેલના આદર્શ વિચારો વિશ્વની એકતા અને શાંતિ માટે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે.

રાજ્યની માથાદીઠ આવક સૌપ્રથમ વાર રૂ. ત્રણ લાખને પાર

અમદાવાદઃ ગુજરાતે આર્થિક વિકાસના મામલે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. રાજ્યની પ્રતિવ્યક્તિ આવક સૌપ્રથમ વાર ત્રણ લાખ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે. સરકારી આંકડા પ્રમાણે 2023-24માં ગુજરાતની પ્રતિ વ્યક્તિની માથાદીઠ આવક રૂ. 3,00,957 રહી છે, જે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યો કરતાં વધુ છે. આ ઉપલબ્ધિ રાજ્યની ઊંચી શ્રમ ઉત્પાદકતા અને વ્યાપક આર્થિક ભાગીદારી દર્શાવે છે.

GSDPમાં ચાર ગણો વધારો

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે 2023-24માં ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) વધીને રૂ. 24.62 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ આંકડાઓ સાથે ગુજરાત હવે ભારતની ટોચનાં પાંચ અર્થતંત્રોમાં સામેલ થયું છે. આ યાદીમાં પહેલેથી જ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સ્થાન ધરાવે છે.

ગયા દાયકામાં ગુજરાતે પોતાના અર્થતંત્રનો ઝડપથી વિસ્તરણ કર્યું છે. 2011-12માં રાજ્યનું GSDP રૂ. 6.16 લાખ કરોડ હતું, જ્યારે 2023-24 સુધી તે લગભગ ચાર ગણું વધી રૂ. 24.62 લાખ કરોડ થયું છે.

GDP વૃદ્ધિમાં પણ ગુજરાતનું મજબૂત પ્રદર્શન

દેશની GDP વૃદ્ધિ 2023ના બીજા ત્રિમાસિક (સપ્ટેમ્બર 2023) દરમિયાન 8.2 ટકા રહી હતી. અહેવાલ મુજબ આ સમયગાળામાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને કારણે તે દેશની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં આગળ રહ્યું છે. ગુજરાતને લાંબા સમયથી રાષ્ટ્રનું “ગ્રોથ એન્જિન” કહેવામાં આવે છે અને તાજા આંકડા આ વાતને વધુ મજબૂત બનાવે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક પ્રદર્શનને વાસ્તવિક (રીયલ) કિંમતો પર માપવું જરૂરી છે, જેથી મોંઘવારીના પ્રભાવને દૂર કરીને વાસ્તવિક ઉત્પાદન વૃદ્ધિનો અંદાજ મળી શકે.

2012-13થી 2023-24 દરમિયાન ગુજરાતે સરેરાશ 8.42 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે, જે રૂ. 10 લાખ કરોડથી વધુના અર્થતંત્ર ધરાવતાં તમામ મોટાં રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યએ કર્ણાટક (7.69 ટકા) અને તામિલનાડુ (6.29 ટકા) કરતાં વધુ પ્રદર્શન કર્યું છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. કૃષિ, વન અને માછીમારી ક્ષેત્રે રૂ. 3.69 લાખ કરોડનું યોગદાન આપ્યું છે, જે સમાવેશી વિકાસને સુનિશ્ચિત કરે છે.

મુંબઈમાં ભારતીય સંસ્કૃતિના આદિપુરુષ રાજા ઋષભદેવના વૈશ્વિક પુનરુત્થાનનો મહાસંગમ

મુંબઈ: આગામી 19 થી 21 ડિસેમ્બરના રોજ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને જ્ઞાન પરંપરાની એક ખાસ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સભ્યતાના સ્થાપક રાજા ઋષભદેવના વારસાનું વૈશ્વિક પુનરુત્થાન વિષય પર યોજાવાની છે. લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ (LVJST)  આ કોન્ફરન્સ અને ઇવેન્ટનું આયોજન કરી રહી છે. જેનું નામ ‘ઋષભાયન – ૨,  ભારતીય સંસ્કૃતિના પુરોધા’ છે.  ત્રણ દિવસ ચાલનારી આ વૈશ્વિક પરિષદનું ધ્યેય ભારતના પ્રાચીન વારસાને ઉજાગર કરવાનું છે. ભારતની માનવ સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના જન્મદાતા રાજા ઋષભદેવ (આદિનાથ ભગવાન)ને ભારતની પ્રાચીન વિસરાયેલી ધારા સાથે ફરી પાછા જોડીને તેના વારસાને આજના યુવાનો સમક્ષ મૂકવી.

 કેમ ઋષભદેવ ભારતની સભ્યતાના મૂળનાયક?

ઋષભરાજા  ભારતના પ્રથમ રાજા છે, જેમણે સમાજ વ્યવસ્થા સ્થાપી. તેઓ પ્રથમ શિક્ષક છે, જેમણે માનવજાતને ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓ શીખવી. તેઓ પ્રથમ યોગી અને તપસ્વી છે, જેમણે  માનવ જીવનના આધ્યાત્મિક ધોરણો ઊભા કર્યા. તેઓ પ્રથમ ધાર્મિક સુધારક છે, જેમણે આદર, દયા અને આહિંસાને જીવનનો અવિભાજ્ય અંશ બનાવ્યો.

તેથી ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની  જરૂરિયાત છે.

ભારતવર્ષનું નામકરણ ઋષભરાજાના પુત્ર ભરતના નામ પરથી પડ્યું હતું, આ વિષેની વિગત માત્ર જૈન ગ્રંથોમાં જ નહીં, પરંતુ વૈદિક અને પૌરાણિક સાહિત્યમાંથી પણ થાય છે. મહર્ષિ વ્યાસ દ્વારા રચિત ગણાતા 18 પુરાણોમાં, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, લિંગ પુરાણ, અગ્નિ પુરાણ અને શ્રીમદ્ભાગવતમ્ જેવા અનેક ગ્રંથો સ્પષ્ટપણે ઘોષણા કરે છે કે આ ભૂ-ભાગનું નામ ‘ભારતવર્ષ’ રાજા ઋષભદેવના પુત્ર, ચક્રવર્તી ભરતના નામ પરથી પડ્યું છે.

ઋષભદેવ માત્ર જૈન પરંપરા પૂરતા નથી, તેમનો પ્રભાવ શૈવ, વૈદિક, યોગિક, બૌદ્ધ અને જનજાતીય પરંપરાઓમાં આજે પણ જીવંત છે. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો આધાર હંમેશાં જ્ઞાન અને ત્યાગ રહ્યો છે. આ પવિત્ર ભૂમિ સદીઓથી વિશ્વ માટે ચેતનાનું કેન્દ્ર બની રહી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સ્થિરતા (Sustainability), શાંતિ અને સંતુલિત વિકાસના મોડેલની શોધમાં છે, ત્યારે આપણને પોતાની સંસ્કૃતિ તરફ, આપણા આદિપુરુષ રાજા ઋષભદેવના આદર્શોની તરફ ફરી જવાની જરૂરિયાત છે.

આ કોન્ફરન્સની વિશેષતા :

1. ભારતીય એકતાનું પ્રદર્શન – અનેક ભારતીય સંતોની ઉપસ્થિતિ અને તેમની હાજરીમાં ગ્રંથોના સંદર્ભ સાથે પેનલ ડિસ્કશન, વક્તવ્ય અને ચર્ચા કરવામાં આવશે. આ કોઈ પણ ધર્મનો કાર્યક્રમ નથી પરંતુ ભારતીય પરંપરા અને તેના મૂળને સમજવાનો કાર્યક્રમ છે.

2. ૧,૧૧૧ ગ્રંથો : વિશ્વમાં પ્રથમવાર એક સમૃદ્ધ સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ થશે. ઋષભાયન – 2માં સૌથી મહત્ત્વનું આકર્ષણ છે, ૧,૧૧૧ દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોની લાઇબ્રેરીનું વિશાળ લોકાર્પણ.

આ સંગ્રહમાં સામેલ છે:

  • રાજા ઋષભદેવના અસ્તિત્વ અંગેના પુરાવા
  • શિલાલેખો અને શાસ્ત્રીય ઉલ્લેખો
  • પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન અને સંસ્કૃતિના ગ્રંથો
  • સમાજ, ધર્મ, કલા અને રાજધર્મના પુષ્ટિગ્રંથો
  • આદિવાસી અને લોકકથાઓના દસ્તાવેજો

આ સંગ્રહ વૈશ્વિક સંશોધકો માટે પ્રથમવાર એક જ જગ્યા એ ઉપલબ્ધ થશે જેથી સંશોધન કાર્યને વેગ મળશે. આને નામ આપ્યું છે, Research Corner’ – A Living Digital Heritage.

LVJSTની વેબસાઇટ પર આ લાઇબ્રેરી એક ડિજિટલ જ્ઞાનકોશરૂપે વિશ્વ માટે ખુલ્લી રહેશે.

3. આ પરિષદની વિશેષતા છે કે  જ્યાં પરંપરા અને ટેકનોલોજી સાથે મળે છે

વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી જેમાં વિશ્વભરના વિદ્વાનો નીચેના વિષયો પર સંશોધન રજૂ કરશે:

  • Indian Knowledge System
  • પ્રાચીન ટેક્નોલોજી અને કૌશલ્ય
  • ભારતીય સાંસ્કૃતિક મનોવિજ્ઞાન
  • મહાભારત પહેલાંની સાંસ્કૃતિક શાખાઓ
  • શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય
  • સામાજિક વ્યવસ્થાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

સમગ્ર દેશમાંથી અધ્યાપકો, વિદ્ધાનો અને આંતર-રાષ્ટ્રીય વિદ્ધાનો પણ પોતાના પેપરો પ્રસ્તુત કરશે, આ સમગ્ર કાર્યક્રમ બે મોટા હોલમાં ચાલશે.

4. પ્રથમવાર બોરીવલી, મુંબઈની ભૂમિ પર ઋષભદેવની ૭૨ કૌશલ અને ૬૪ લલિત કલાઓનું  મનમોહક પ્રદર્શન થશે. જેનું કેન્દ્ર બળ આપણા યુવાનો છે. યુવાનોને રસ પડે તેવી રીતે પ્રાચીનથી લઈને આજ સુધીમાં આ કળામાં આવેલા પરિવર્તનોને પ્રસ્તુત કરાશે

  1.  સૌથી આકર્ષક એટલે યુવા ફિલ્મ ફેસ્ટિવલ અને સ્પર્ધા.

યુવાનો પ્રાચીન ભારતની વિચારધારા પર પોતાની સર્જનાત્મક ફિલ્મ પ્રસ્તુત કરશે. આ સ્પર્ધામાં રૂપિયા ૪ લાખના ઇનામો અપાશે. ફિલ્મના વિષયોમાં ચરિત્રની પહેચાન, અપની જડો કી તરફ લૌટના, ધરતી બચાવશો તો કાલ બચશે, હર જીવ જરૂરી છે, આવા પર્યાવરણલક્ષી, સંસ્કૃતિ અને ચરિત્રલક્ષી વિષયો અને મોદ્રણ ટેકનોલોજીનો સંગમ અહી સધાશે. આ બધી જ ફિલ્મો ત્રણેય દિવસ દરમ્યાન પ્રસ્તુત થશે.

  1. ભારતીય સંસ્કૃતિ બજાર અંતર્ગત ૨૦૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં રસપ્રદ અને જ્ઞાનવર્ધક ઉપરાંત રોજગારીલક્ષી સ્ટોલ પણ હશે. આ

૭. આ ઉપરાંત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે, જે સૌથી રસપ્રદ બનશે કારણ કે વિદ્યાર્થીઓ મોડલ બનાવશે અને તેનું પ્રદર્શન પણ યોજાશે. આજના વિદ્યાર્થીઓને પ્રભુની કળા સાથે જોડવાનો આ અનોખો અવસર છે.

૮. અષ્ટાપદ – અષ્ટાપદ તીર્થ જૈન ધર્મના સૌથી પ્રાચીન અને પાવન તીર્થોમાંનું એક છે. અષ્ટાપદ પર્વત હિમાલય પાસે આવેલો છે અને અહીં ભગવાન આદિનાથ (પ્રથમ તીર્થંકર)નું નિર્વાણ થયું હતું. તેથી, એ જૈનો માટે અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે. હાલના સમયમાં અષ્ટાપદનું ચોક્કસ સ્થાન સિદ્ધ નથી, પણ માન્યતા પ્રમાણે તે કૈલાસ પર્વત નજીક છે.

૯. બાળકો માટે રમતગમત અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ અને તે અંગેના પુસ્તકો પણ મૂકવામાં આવશે.

આ કાર્યક્રમમાં એક લાખ લોકો જોડાવાના છે, જેમાં અનેક રાજકીય, ફિલ્મ કલાકારો, બાળ કલાકારો, સંગીત જગતની વ્યક્તિઓ આવશે. ઉપરાંત મુંબઈની અનેક કોલેજો, યુનિવર્સિટીઓ, જે જે સ્કુલ ઓફ આર્ટસ આદિ સંસ્થાઓએ પોતાના સ્લોટ નોંધાવ્યા છે અને તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહેવાના છે. આ એક અલૌકિક અને યાદગાર કાર્યક્રમ છે.

શુક્રવાર અને શનિવારે બંને દિવસ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ અર્થાત સંગીત અને નાટક રહેશે. જેના માટે મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતના લોકોને પોતાના દેશ, સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યે કેટલો લગાવ છે તેનો આ એક જીવંત નમૂનો છે.

(સેજલ શાહ- મુંબઈ)

શુભમન ગિલ ફિટ, દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ રમશે

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ભારતના T20 ઉપ-કપ્તાન શુભમન ગિલ ફિટ થઈને પરત ફર્યા છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સે તેને T20 શ્રેણીમાં રમવા માટે મંજૂરી આપી છે. દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ દરમિયાન ગિલને ગળામાં જકડાઈ ગઈ હતી, જેના કારણે તે ટીમમાં સામેલ થયો ન હતો. જોકે, તેણે હવે તેનું રિહેબિલિટેશન પૂર્ણ કરી લીધું છે.

શુભમન ગિલને તેની ફિટનેસના આધારે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેને ટીમમાં પાછા ફરવા માટે સંપૂર્ણ રિહેબિલિટેશન પ્રોટોકોલમાંથી પસાર થવું પડ્યું.

સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટીમ મેનેજમેન્ટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે શુભમન ગિલે સફળતાપૂર્વક તેનું રિહેબિલિટેશન પૂર્ણ કરી લીધું છે અને રમતના તમામ ફોર્મેટ માટે ફિટ છે. તે જરૂરી માપદંડો પૂર્ણ કરી ચૂક્યો છે. ઈજાને કારણે, શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાંથી બહાર હતો, પરંતુ હવે T20 શ્રેણીમાં તેના રમવા અંગેના તમામ સસ્પેન્સનો અંત આવ્યો છે.

‘ડંકી રૂટ’ પર બ્રેકઃ અમેરિકાથી 2025માં 3155 ભારતીયો ડિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનાર અથવા વિઝા નિયમોનો ભંગ કરનાર ભારતીયો સામે અમેરિકી તંત્રની કાર્યવાહી તેજ બની ગઈ છે. શુક્રવારે સરકારે સંસદમાં માહિતી આપી હતી કે 2025માં 21 નવેમ્બર સુધીમાં 3155થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકા પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ડિપોર્ટેશનના તમામ કેસ વ્યક્તિની ભારતીય નાગરિકતા ‘વેરિફાય થતાં’ જ આગળ વધે છે.

ત્રણ વર્ષમાં ડિપોર્ટેશન ત્રણ ગણું

સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં ભારે વધારો થયો છે. જોકે વિદેશ મંત્રાલયે તેમની વિશેષ માહિતીને લઈને ઇનકાર કર્યો છે. જેમણે અમેરિકામાં જવા માટે ‘ડંકી રૂટ’ (કાયદા વગર અન્ય દેશોમાં પ્રવેશવાનો રસ્તો)નો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2025માં 3155 લોકો, 2024માં 1368 લોકો અને 2023માં 617 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા — જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારો દર્શાવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકી અધિકારીઓ સામાન્ય રીતે ગેરકાયદે પ્રવેશ, વિઝાની સમયસીમાથી વધુ રોકાવું, માન્ય દસ્તાવેજોની અછત અથવા ફોજદારી ગુનામાં દોષિત જાહેર થયેલી સ્થિતિમાં લોકોને દેશની બહાર મોકલે છે. આવાં ઓપરેશનોમાં ભારત સરકાર અમેરિકી તંત્ર સાથે મળીને કામ કરે છે.

કુવૈતની જેલોમાં 316 ભારતીયો

વિદેશ મંત્રાલયે અન્ય દેશોમાં ભારતીયોની સ્થિતિ અને રાજદ્વારી પહોંચ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ આંકડાં પણ શેર કર્યા. બીજા એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 31 ઓક્ટોબર, 2025 સુધી કુવૈતની જેલોમાં હાલમાં 316 ભારતીય નાગરિક કેદ છે.

દરેક ભારતીયનું બંધારણ ખતરામાં છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં છઠ્ઠી ડિસેમ્બરે ડો. ભીમરાવ અંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કાનૂનવિદ્, અર્થશાસ્ત્રી, શિક્ષાવિદ્ અને ભારતના બંધારણના સર્જક બાબાસાહેબ ભીમરાવ અંબેડકરની આજે 70મી પુણ્યતિથિ છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ડો. ભીમરાવ અંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અંબેડકરજી એક આદર્શ છે. તેમણે આખા દેશને દિશા બતાવી, અમને બંધારણ આપ્યું. તેથી અમે તેમને યાદ કરીએ છીએ અને તેમના વિચારો અને બંધારણની રક્ષા કરીએ છીએ, પણ દરેક ભારતીયનું બંધારણ જોખમમાં છે. અમે તેની રક્ષા કરીએ છીએ, નાગરિકો તેની રક્ષા કરે છે.

બંધારણની રક્ષા, મારો સંકલ્પ: રાહુલ ગાંધી

ત્યાર બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીએ બંધારણીય મૂલ્યોની રક્ષા માટે તેમની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી.

સંસદ પરિસરમાં મનાયો મહાપરિનિર્વાણ દિવસ

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી ડો. આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા 6 ડિસેમ્બર, 2025એ સંસદ ભવન પરિસરમાં આવેલા પ્રેરણા સ્થળે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે 70મો મહાપરિનિર્વાણ દિવસ મનાયો હતો.

સંસદ ભવનના લોનમાં આવેલી બાબાસાહેબ ડો. બી.આર. અંબેડકરની વિશાળ પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર કાર્યક્રમ સામાન્ય જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં ડો. અંબેડકર ફાઉન્ડેશને (DAFએ) અનુયાયીઓના સામાનના ભંડાર માટે સ્ટોલની વ્યવસ્થા કરી. એ સાથે જ 25 બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા રજૂ કરાયેલા બૌદ્ધ મંત્રોચ્ચાર સાથે બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.