Chitralekha Gujarati – 07 October, 2024
અવિનાશી આનંદ એજ પ્રાપ્ત કરી શકે જે ઈશ્વરના બની જાય
એશ તથા આરામ ફક્ત શરીરને નહીં પરંતુ મનને પણ જોઈએ. જીવાત્મા અર્થાત શરીર તથા આત્માનું સાથે હોવું. જો એશો આરામના ફક્ત ભૌતિક ભાગ પર ધ્યાન આપવામાં આવે તો જીવન નર્ક સમાન બની જાય છે. સમય જતા એશો આરામમાં વીતાવેલ પળોની સ્મૃતિઓ પણ કાંટાની જેમ પીડાનો અનુભવ કરાવે છે.
એક બહેન એવો દાવો કરતી હતી કે તેના પતિ પાસે ખૂબ પૈસા છે. તે પૈસા મોજ-મસ્તી થી જીવન જીવવા માટે છે. માટે તેણે જીભ રસની તૃપ્તિ માટે શહેરની એક પણ હોટલ બાકી ન રાખી. આ મોજ મસ્તીમાં અનેક બેનપણીઓને પણ ભાગીદાર બનાવી. બધા તેને એશના મામલામાં પોતાનો આદર્શ માનવા લાગ્યા. પરંતુ આદર્શ રૂપી પૂતળું તે સમય લાચાર બની ગયું કે જ્યારે ફક્ત 30 વર્ષની ઉંમરે તે ડાયાબિટીસનો શિકાર બની ગઈ તે ઉપરાંત મોટાપો, બીપી, તણાવ, ક્રોધ વિગેરેએ તેના ઉપર સંપૂર્ણ અધિકાર જમાવી દીધો. આ પરિસ્થિતિમાં તે જ બહેનપણીઓ તે બહેનની પીઠ પાછળ કેતી હતી કે દરેક વ્યક્તિ એ કોઈપણ કાર્ય મર્યાદામાં રહીને કરવું જોઈએ પરંતુ તેણે તો ખાવા-પીવાના મામલામાં તમામ હદો પાર કરી દીધી. હવે પોતાના કર્મનું ફળ તો ભગવું જ પડશે. આમ ગઈકાલ સુધી જે મજા આતી તે આજે સજા બની ગઈ.
કબીરદાસજીનો એક દોહો છે .
चलती को गाड़ी कहे, बना दूध का खोया।
रंगी को नारंगी कहे, देख कबीरा रोया।
કબીરદાસજી આજે હોત તો શું કહેત ? પહેલા તો સાધનોને એકઠા કરવા માટે અંદર તથા બહારની આંખો બંધ કરીને દોડો. રામ ધુનના બદલે સાધન-સાધનની ધૂન લગાવો. પછી તે સાધનોના દાસ બનીને એક-એક કરીને પોતાની કર્મેન્દ્રિયોને તેના પર ભેટ ચડાવો. આ સાધનોને એકઠા કરવા માટે કરેલ પૈસાનો ખર્ચ અથવા દેવા થી ઊંઘ હરામ કરો. તેના બગડવા પર ફરીથી પૈસાનો ખર્ચ કરો. વ્યક્તિગત અધિકારની ભાવના પૂરી ન થવાના કારણે ઘરના સભ્યો તથા મિત્રો પર ક્રોધ કરો. આ રીતે સમસ્યાઓથી ધરાયેલા રહેવાનું અવિનાશી વરદાન પ્રાપ્ત કરો. સાધનો વસાવાની આ દોડમાં જો પડોશીની ચીજ આપણાથી સારી હોય તો ઇર્ષ્યાની આગમાં દિવસ રાત વિતાવો. કોઈપણ ભોગે
તેનાથી પણ સારી ચીજ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો.
આ બધા પ્રયત્નોમાં સુખની ઊંઘ તથા મનની શાંતિને સ્વાહા કરી દો. આટલું બધું થવા છતાં પણ હું એશો આરામની જિંદગી જીવી રહેલ છું કેવું કહેતા રહો. આ કહેવાતી એશની જિંદગી ઘણી વ્યક્તિઓના દુશ્મન બનાવી દે છે. ઘણા ચોરને આકર્ષિત કરે છે.
હવે સમય છે કે એશ-આરામના અર્થને આપણે બદલીએ તથા બધું ઈશ્વરનું છે તેવો સાક્ષી ભાવ કેળવીએ. અવિનાશી આનંદ તેજ પ્રાપ્ત કરી શકે છે કે જે ઈશ્વરના બની જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
ડાકોર મંદિરમાં પ્રસાદના લાડુ વિવાદ પર અમૂલે આપી સ્પષ્ટતા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતાં લાડુ પર પણ ગંભીર સવાલ ઉઠ્યા હતા. જેમાં સેવક આશિષ નામના ફેસબુક પેજ પરથી દાવો કરાયો હતો કે, ડાકોરમાં જામખંભાળિયાના ઘીને બદલીને પ્રસાદમાં અમૂલનું ઘી વાપરવાથી પ્રસાદના લાડુ જલ્દી બગડી જાય છે. આ મામલે મંદિરના અધ્યક્ષ બાદ હવે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અમૂલ દ્વારા આ વ્યક્તિ પર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.
અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમારા પર લગાવેલા આક્ષેપોને વખોડવામાં આવે છે. અને ગંભીરતાથી જણાવીએ છીએ કેસ અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન નહીં કરાય. કારણ કે, આ 36 લાખ પશુપાલકોની વિશ્વની નંબર 1 ખાદ્ય બ્રાન્ડ છે, જેના સર્વેની જીવિકા આધારિત છે. અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કરાયા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં તેનું ઘી તૈયાર કરવામાં આવે છે, જે ભારતના એફ.એસ.એસ.આઇના ધોરણો પ્રમાણે છે. ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ માંગ ધરાવે છે.’ આ સાથે જ અમૂલના ચેરમેન ડૉ. અમીત વ્યાસે આશિષ સેવક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કહી હતી.
થોડા દિવસ પહેલાં આશિષ સેવક નામના ફેસબુક પેજ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે, ‘પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી.’ જો કે, આ અંગે ડાકોર મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પરિન્દુ ભગતે સ્પષ્ટતા કરી હતી કે, ‘મંદિરના પ્રસાદમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરાય છે. ઘઉંનો લોટ જે મધ્ય પ્રદેશથી મંગાવાય છે. સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં. ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી કારણ કે, અમે અમૂલ ઘીનો જ ઉપયોગ કરીએ છીએ. ઘીના જથ્થાનો એનડીડીબીનો રિપોર્ટ હોય છે, જેથી ડાકોર મંદિરના પ્રસાદમાં ભેળસેળનો સવાલ જ નથી.
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂ. 2-3 ઘટાડો થવાની શક્યતા
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હાલમાં ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ હતી, પરંતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. જોકે હજી ક્રૂડ પહેલાંની તુલનાએ સસ્તું છે,જેથી દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાની માગ થઈ છે.
આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડો આવ્યો છે, તેના આધારે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 2-3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ઇકરાએ એક નોંધમાં કહ્યું છે.
ઇકરાએ તેની નોંધમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડના ભાવ 74 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે અને જે માર્ચના 83 84 ડોલર પ્રતિ બેરલની સરખામણીમાં ઘણા ઓછા છે. જો આવું જ રહે છે તો ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય તેમના ખિસ્સા પર વધેલા બોજને થોડો ઘટાડી શકે છે.
ક્રૂડમાં તાજેતરના ઘટાડાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સારા માર્જિનથી નફો કરી રહી છે. સરકારી નિયંત્રણ વાળી આ OMCs ને આ સમયે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાથી નુકસાન નહીં થાય, કારણ કે તેઓ પહેલેથી જ નફો કરી રહી છે.
17 સપ્ટેમ્બર, 2024 સુધી આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતની તુલનામાં આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ મેળવવામાં રિકવરી 15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લિટર વધારે રહી છે. માર્ચ, 2024થી ઈંધણના છૂટક ભાવ બદલાવ વિના સ્થિર રહ્યા છે. લોકસભા ચૂંટણીઓના થોડા સમય પહેલા 15 માર્ચ 2024એ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે 18 કરોડથી વધુ લોકો રાજ્યના મહેમાન બન્યાં!
ગાંધીનગર: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૭મી સપ્ટેમ્બર ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ
જણાવ્યું હતું, રાજ્યમાં વર્ષ 2023-24માં કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. ગત વર્ષ 2022-23 દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી. એટલે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. દેશભરમાંથી સૌથી વધુ 1.65 કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે મા અંબાના દર્શનનો લાભ લીધો. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે 97.93 લાખ, દ્વારકા ખાતે 83.54 લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે 76.66 લાખ તેમજ ડાકોર ખાતે 34.22 લાખ એમ કુલ મળીને 457.35 લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં 2.26 કરોડથી વધુ જ્યારે સુરતમાં 62.31 લાખ, વડોદરામાં 34.15 લાખ, રાજકોટમાં 18.59 લાખ અને ભરૂચમાં 17.72 લાખ એમ કુલ 358.77 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર 79.67 લાખ, સાબરમતી રિવરફ્રન્ટની 44.76 લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 43.52 લાખ, સાયન્સ સિટીની 13.60 લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની 11.39 લાખ એમ કુલ મળીને 192.96 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરિટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં પણ ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની 6.93 લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની 4.06 લાખ, ગાંધીનગર સ્થિત અડાલજ વાવની 3.86 લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં આવેલી રાણી કી વાવની 3.83 લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની 3.81 લાખ એમ કુલ મળીને 22.49 લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે અને પ્રવાસીઓને પ્રવાસનક્ષેત્રને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે. જેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે -નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ, ડાયનોસોર ફોસીલ પાર્ક-બાલાસિનોર, પોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બેટ-દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટીનો વિકાસ, ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
પોલીસ સ્ટેશનમાં બનાવાયા ખોટા રેકોર્ડઃ CBIનો કોર્ટમાં દાવો
નવી દિલ્હીઃ RG કર મેડિકલ કોલેજમાં થયેલા બળાત્કારની ઘટનાની તપાસ કરી રહેલી CBIએ કોર્ટમાં દાવો કરતાં કહ્યું હતું કે આ કેસથી સંબંધિત કેટલાક ખોટા રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યા હતા. ગયા મહિને એક જુનિયર ડોક્ટરની હત્યાની તપાસ માટે કલકત્તા હાઇ કોર્ટ દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સીએ કહ્યું હતું કે એની પાસે સંબંધિત પોલીસ સ્ટેશનમાં CCTV ફુટેજ છે અને એને તપાસ માટે શહેરની એક કેન્દ્રીય ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કોલકાતા પોલીસે અત્યાર સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
CBIએ કોર્ટને સૂચિત કરી હતી કે એની તપાસમાં નવાં તથ્ય સામે આવ્યાં છે, જેનાથી એ માલૂમ પડે છે કે તાલા સ્ટેશનમાં સંબંધિત કેટલાક ખોટા રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા કે બદલી નાખવામાં આવ્યા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે અભિજિત મંડલની 14 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઘોષની કોર્ટના આદેશ પછી બળાત્કાર ને હત્યા મામલે 15 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. CBIએ આ હીચકારી ઘટનાના બીજા દિવસે 10 ઓગસ્ટે સંજય રોયની ધરપકડ કરી હતી, કેમ કે અપરાધમાં એની ભૂમિકા પહેલેથી સામે આવી ચૂકી હતી.
મુખ્ય સંદિગ્ધ રોયની ધરપકડ પોલીસે કરી હતી. એજન્સીએ મંડલ અને ઘોષની રિમાન્ડ પૂરા થયા પછી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાર બાદ તેને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે સૂર્યાસ્ત પછી ડોક્ટરે પોસ્ટમોર્ટમ કેમ કર્યું? આ ઉપરાંત સેમિનાર હોલથી નમૂના એકત્ર કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી.
નવરાત્રિ પૂર્વે રાસ ગરબાના રસિયાઓમાં ભારે ઉત્સાહ!
અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધનાના દિવસો એટલે કે નવરાત્રિ અનુષ્ઠાનની શરૂઆત થઈ જશે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો, પાર્ટી પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા કોલેજોના પૂર્વ વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં રાસ ગરબાની ઉજવણીના હોર્ડિંગ્સ લાગી ગયા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે પણ રાસ ગરબાની તાલીમ આપતા ગરબા ક્લાસિસોમાં મોટી સંખ્યામાં લોકો શીખવા માટે જઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખે છે. ગરબાની મોજ લેતા ગૃપ આ વર્ષે રાસ ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મુકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગુરુવારની વહેલી સવારે ‘પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દેશ વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબાના પ્રચલિત ગ્રુપ પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા.કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’ ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. દેશ-વિદેશમાં આ ગ્રુપ રાસ-ગરબાના ઘણાં શો પરફોર્મ કરી આવ્યું છે. તાજેતરમાં જ મકાઉ ખાતે યોજાયેલા ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલમાં અમારા ગ્રુપે ભાગ લીધો હતો. વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ ગરબાને અદ્ભુત પ્રતિસાદ મળે છે. જ્યાં ગરબા થાય કે તરત જ સૌ ઝુમી ઉઠે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
દિલજીત દોસાંઝની ફિલ્મ ‘પંજાબ 95’માં સેન્સર બોર્ડનો 120 સીન કટ કરવાનો આદેશ
મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે પોતાની ગાયકીનો જાદુ તેમજ અભિનયનો જાદુ આખી દુનિયાના લોકો પર પાથર્યો છે. તે અવારનવાર પોતાના ગીતોને કારણે ચર્ચામાં રહે છે. તેમજ દિલજીતનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ હિટ થઈ જાય છે. હાલમાં, દિલજીત તેની ‘દિલ-લુમિનાટી ટુર’ના કારણે હેડલાઇન્સમાં છે. આ લાઈવ કોન્સર્ટની ટિકિટને લઈને તેના ચાહકોમાં ભારે સ્પર્ધા છે. દિલજીતના કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો મોટી રકમ ચૂકવવા તૈયાર છે. આ સિવાય પણ તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.
જોકે, દિલજીત દોસાંજની આગામી ફિલ્મ ‘પંજાબ 95’ની ખૂબ જ ચર્ચા છે. તેની ફિલ્મને લઈને સમસ્યાઓ સતત વધી રહી છે. આ ફિલ્મમાં દિલજીત માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાની ભૂમિકામાં જોવા મળશે. એવા અહેવાલો છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મના ઘણા દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો છે. આ કારણે સેન્સર બોર્ડ અને મેકર્સ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સેન્સર બોર્ડે પહેલા ફિલ્મમાં 85 કટની માંગણી કરી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્સર બોર્ડે ફિલ્મમાં કુલ 120 જગ્યાએ કાતરનો ઉપયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંજની આ ફિલ્મને લઈને વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે, જે અટકવાના બદલે વધી રહ્યો છે. તાજેતરના સમાચારોનું માનીએ તો સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની માંગ કરી છે. તેમણે જયવંત સિંહ ખાલરાનું નામ બદલવાનું પણ કહ્યું છે.
નામ બદલવાની પણ સલાહ આપી
રિપોર્ટ્સ અનુસાર, CBFCએ મેકર્સને લીડ રોલનું નામ જસવંતથી બદલીને સતલુજ કરવાનું સૂચન કર્યું હતું. આના પર ફિલ્મના મેકર્સ ખૂબ નારાજ દેખાઈ રહ્યા હતા. નિર્માતાઓનું કહેવું છે કે જેની બાયોપિક બની રહી છે તે શીખ સમુદાયની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમનું નામ બદલવું ખોટું હોઈ શકે છે. આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલવા માટે પણ કહ્યું છે.
સુરતથી રાજકોટ આરોપી લઈ જતી પોલીસની ગાડીને નડ્યો અકસ્માત
રાજકોટ જિલ્લા પોલીસને સુરતથી આવતી વખતે અકસ્માત નડ્યો. LCB પોલીસની ટીમ સુરતથી આરોપીને લઈ જઈ રહ્યા હતા. આરોપીને રાજકોટ લાવતી વખતે નાના બોરસરા ગામ નજીક આઈશર ટેમ્પાએ પોલીસની કારને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે એક આરોપી સહિત ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સુરતના નાના બોરસરા ગામ નજીક રાજકોટ પોલીસની કાર અને આઈશર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા અને પોલીસ કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસકર્મીનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનામાં પોલીસકર્મી દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા સહિત એક આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર ઈજાગ્રસ્ત થયા છે.