Home Blog Page 2941

કેટલાકને ટ્વિટરનું બ્લૂ ટીક મફતમાં પાછું મળ્યું; અમિતાભને પૈસા ચૂકવવા પડ્યા

મુંબઈઃ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એકાઉન્ટ્સમાંથી તમામ વર્ષો જૂના વેરિફાઈડ બ્લૂ ટીક્સને દૂર કરી નાખ્યા છે. એણે માત્ર એવા જ એકાઉન્ટ્સમાં બ્લૂ ટીક્સ ચાલુ રાખ્યા છે જેમણે દર મહિને 8 ડોલરનું લવાજમ ચૂકવ્યું હોય. આને કારણે અમિતાભ બચ્ચ, શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવી બોલીવુડ હસ્તીઓ સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ ટ્વિટર પર એમનું વેરિફાઈડ સ્ટેટસ ગુમાવી દીધું હતું.

તેમ છતાં ટ્વિટરે હવે એવા એકાઉન્ટ્સને બ્લૂ ટીક પાછા આપવાનું શરૂ કર્યું છે જેમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધારે હોય. આને કારણે શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને ઋતિક રોશન જેવી સેલિબ્રિટી વ્યક્તિઓના એકાઉન્ટ્સમાં એમનાં નામની આગળ બ્લૂ ટીક્સ ફરી દેખાતા થયા છે અને આ માટે એમણે એકેય ડોલરનો ખર્ચ કરવો પડ્યો નથી.

પરંતુ અમિતાભ, જુનિયર એનટીઆર, એસ.એસ. રાજામૌલી જેવા લોકોને બ્લૂ ટીક પ્રાપ્ત કરવા માટે મહિને 8 ડોલરની ચૂકવણી કરવી પડી છે. અભિનેત્રી કંગના રણોતે પણ લવાજમની રકમ ચૂકવી છે. મોબાઈલ યૂઝર્સ માટે ટ્વિટર બ્લૂ ટીક લવાજમ રકમ પ્રતિ માસ 900 રૂપિયા છે જ્યારે ડેસ્કટોપ યૂઝર્સ માટે પ્રતિ માસ રૂ. 650 અથવા રૂ. 6,800 પ્રતિ વર્ષ છે.

અર્શદીપના તે બે બોલથી બીસીસીઆઈને ગયું લાખો રૂપિયાનું નુકસાન

મુંબઈઃ ગઈ કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023ની મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 13 રનથી પરાજય આપ્યો હતો. પંજાબની જીત તેના યુવાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આભારી છે, જેણે મેચની આખરી ઓવરમાં બે બોલમાં બે વિકેટ લીધી હતી. મુંબઈ ટીમને જીત માટે આખરી ઓવરમાં 16 રન કરવાની જરૂર હતી, અર્શદીપે બે બેટરને પેવિલિયનભેગા કરી દીધા હતા.

તે બે બોલની સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આનું કારણ એ છે કે અર્શદીપે તે ઓવરના ત્રીજા અને ચોથા બોલમાં અનુક્રમે તિલક વર્મા અને નેહલ વાઢેરાને ક્લીન બોલ્ડ કર્યા હતા એટલું જ નહીં, પરંતુ બંનેની વિકેટ વખતે મિડલ સ્ટમ્પ તોડી નાખ્યા હતા. બે સ્ટમ્પ તૂટી જતાં નિયામક સંસ્થા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને રૂ. 25-30 લાખનું નુકસાન ગયું છે. અર્શદીપ પર જવાબદારી નાખવામાં આવી હતી કે મુંબઈના બેટર્સ આખરી ઓવરમાં જીત માટે 15 રન પણ કરી ન જાય. અર્શદીપે તે કામગીરી સુપેરે પાર પાડી બતાવી હતી. પંજાબનો આ વિજય બીસીસીઆઈને મોંઘો પડી ગયો. અર્શદીપે તેની 4 ઓવરમાં 29 રન આપીને કુલ 4 વિકેટ લીધી હતી. પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 214 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 201 રન જ કરી શકી હતી. કેમરન ગ્રીનના 67, સૂર્યકુમાર યાદવના 57 અને કેપ્ટન રોહિત શર્માના 44 રનની મહેનત ફોગટ ગઈ હતી.

પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ ટીમ સાતમાંથી ચાર મેચ જીતીને હાલ પાંચમા નંબરે છે જ્યારે મુંબઈ ટીમ 6માંથી 3 મેચ હારી જતાં સાતમા નંબરે છે. સ્પર્ધાની ફાઈનલ મેચ 28 મેએ રમાશે.

 

થાણેમાં ડોક્ટરનું અપહરણ કરી, ધમકી આપનાર પાંચની ધરપકડ

મુંબઈઃ 38 વર્ષના એક ડોક્ટરનું અપહરણ કરી એની પાસેથી રૂ. 30 લાખની ખંડણી માગનાર પાંચ શખ્સની પડોશના થાણે જિલ્લાની પોલીસે ધરપકડ કરી છે. અપહરણનો બનાવ ગયા વર્ષે બન્યો હતો. 2022ની 22 ઓક્ટોબરે ડોક્ટર એમના સ્કૂટર પર જતા હતા ત્યારે એક શખ્સે રસ્તામાં એમની પાસે લિફ્ટ માગી હતી. ડોક્ટરે એને પાછળ બેસાડ્યો હતો. થોડેક દૂર ગયા બાદ રસ્તામાં તે શખ્સના બીજા સાથીઓ સામે આવ્યા હતા. એમણે સ્કૂટર અટકાવી, ડોક્ટરની આંખો પર પાટો બાંધી દીધો હતો. આરોપીઓએ ત્યારબાદ એમને જબરદસ્તીથી એક કારમાં બેસાડ્યા હતા અને કાર મુરબાડ વિસ્તારના એક જંગલમાં લઈ ગયા હતા.

ત્યારબાદ આરોપીઓએ ડોક્ટરની પત્નીને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે એમની મુક્તિના બદલામાં રૂ. 30 લાખ આપવાની માગણી કરી હતી. ડોક્ટરની પત્નીએ પૈસાની વ્યવસ્થા કરી આરોપીઓને ચૂકવી દીધા બાદ ડોક્ટરને છોડી મૂકવામાં આવ્યા હતા. ડોક્ટરે તે ઘટનાના 25 દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક તપાસ ટૂકડીની રચના કરી હતી. અનેક મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ પોલીસો આરોપીઓ સુધી પહોંચી શક્યા હતા અને ગઈ કાલે એમની ધરપકડ કરી હતી. આરોપીઓને એક સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામને 26 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. પોલીસે હવે આરોપીઓ તેમજ આ ગુના પાછળ એમના ઈરાદા વિશે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે.

ભાગેડૂ ખાલિસ્તાની અમ્રિતપાલસિંહની પંજાબમાં ધરપકડ કરાઈ

મોગાઃ 36 દિવસથી પંજાબ રાજ્યની પોલીસને હાથતાળી આપતા રહ્યા બાદ કટ્ટરવાદી, ખાલિસ્તાની અલગતાવાદી સમર્થક અને સ્વયંઘોષિત શીખ પ્રચારક અમ્રિતપાલસિંહ સંધુ આખરે પોલીસને શરણે આવી ગયો છે. આજે વહેલી સવારે મોગા પોલીસે એને કસ્ટડીમાં લીધો હતો. પંજાબ પોલીસે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે અમ્રિતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમુક અખબારી અહેવાલોનો દાવો છે કે આ કટ્ટરવાદી શરણે આવી ગયો હતો. પંજાબ પોલીસે અમ્રિતપાલસિંહ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) લાગુ કર્યો છે. અમૃતસર ગ્રામિણ અને જલંધર ગ્રામિણ પોલીસ જિલ્લાઓમાં એની સામે તેમજ એના સાગરિતો સામે હત્યાનો પ્રયાસ કરવા, પોલીસ જવાનો પર હુમલો કરવા, સરકારી કર્મચારીઓને કાયદેસરની ફરજ બજાવતા રોકવા જેવા અનેક ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે.

અમ્રિતપાલને મોગા જિલ્લાના રોડે ગામમાં એક ગુરુદ્વારામાંથી પકડી લેવામાં આવ્યો હતો. આ ગામ વર્ષો પહેલાં ઠાર કરાયેલા શીખ કટ્ટરવાદી જર્નેલસિંહ ભિંદરાણવાલેનું વતન ગામ છે. હવે અમ્રિતપાલસિંહને કડક સુરક્ષા વચ્ચે આસામના દિબ્રુગઢ શહેરની જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અમ્રિતપાલસિંહ ‘વારિસ પંજાબ દે’ નામના એક કટ્ટરવાદી સંગઠનનો વડો છે. એની પત્ની અને બ્રિટિશ નાગરિક કિરણદીપ કૌરની ગઈ 21 એપ્રિલે અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. એ લંડન જતી હતી, પણ એ ફ્લાઈટમાં બેસે એ પહેલાં એરપોર્ટ પર જ એને પકડી લેવામાં આવી હતી.

વાહ ભાઈ વાહ! ૨૩ એપ્રિલ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! ૨૩ એપ્રિલ, ૨૦૨૩

૨૩ એપ્રિલ, ૨૦૨૩

૨૩ એપ્રિલ, ૨૦૨૩

પૃથ્વી દિવસ: સમગ્ર વિશ્વમાં જાગૃતિના કાર્યક્રમો યોજાયા, ઈન્દ્રોડા નેચર પાર્કમાં સાફ સફાઈ કરી એક ગાડી કચરો દૂર કરાયો

સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે કે પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં 22, એપ્રિલ 1970 થી  ‘પૃથ્વી દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં  જળ,વાયુ, પાણી જેવા તત્વોનું સંવર્ધન થાય અને પૃથ્વી પર વસતા તમામ જીવોને સ્વચ્છ હવા, પાણી, વાયુ મળી રહે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય એ માટે સૌ લોકો પ્રયાસ કરવામાં આવે છે. એ માટે દર વર્ષે ‘ વિશ્વ પૃથ્વી દિવસ’ પર જુદા જુદા કાર્યક્રમો અને વિષયો સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે.

આ વર્ષે  ‘ ઇન્વેસ્ટ ઈન પ્લેનેટ ‘ વિષય છે. પૃથ્વીમાં જળ બચાવવા, વાયુ પ્રદુષણ અટકાવવા અને વૃક્ષો ને ઉછેરી સંવર્ધન કરવાની જવાબદારી વિષે આ વર્ષે ભાર મુકવામાં આવ્યો છે. પૃથ્વી દિવસની આજ વાતને સાર્થક કરવા ગાંધીનગર ઈન્દ્રોડા પાર્કથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગીર ફાઉન્ડેશન અને વન શ્રી ટ્રસ્ટ દ્વારા સમગ્ર નેચર પાર્કને સ્વચ્છ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વનશ્રી ટ્રસ્ટના અંજના નિમાવત ચિત્રલેખા. કોમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારે લોકો પોતાની અનુકુળતા માટે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ગમે ત્યાં ઘા કરી ફેંકી દેતા હોય છે. જેનાથી ગંદકી વધતી જાય છે. પર્યાવરણને નુકસાન થાય છે. ગીર ફાઉન્ડેશન, વન વિભાગના કર્મચારીઓ, વન શ્રી ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ભેગા મળી એક આખી ગાડી ભરાય એટલી 60 થી 70 કીલો જેટલી કોથળીઓ સાથે કચરો એકઠો કરીને પાર્કમાંથી દૂર કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં સતત વધારો થતો જાય છે. વૃક્ષોનું યોગ્ય જતન થતું નથી. પ્લાસ્ટિક, કલર, ઘન કચરો અને પર્યાવરણને નુકશાન થાય એવી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કર્યા વગર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સમુદ્ર, નદીઓ, જંગલો, ખુલ્લી જગ્યાઓ અને કેનાલો  તમામ પ્રકારના માનવ સર્જિત પ્રદુષણનો શિકાર થઈ રહ્યા છે.

આ પૃથ્વી દિવસ પર સમગ્ર વિશ્વમાં અસંખ્ય સેમિનારો, પ્રદર્શનો અને સ્વચ્છતા ઝુંબેશના પ્રયાસ થયા હશે. પરંતુ સૌ જવાબદારી સાથે ધરતી પરના દરેક તત્વોની જાળવણી કરે તો જ વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ વધશે.

રિપોર્ટ : પ્રજ્ઞેશ વ્યાસ

ચારધામ યાત્રા 2023: ગંગોત્રી અને યમુનોત્રી ધામના પાટ ખુલ્લા

અક્ષય તૃતીયા નિમિત્તે આજે શનિવારે ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ઉનાળાની ઋતુમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. ગંગોત્રીના દરવાજા 12:35 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ધામ પહોંચ્યા હતા અને ગંગા પૂજા કરી હતી. પૂજા બાદ મુખ્યમંત્રીની હાજરીમાં ગંગોત્રી ધામના પોર્ટલને ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. આ પછી યમુનોત્રી ધામના દરવાજા ખુલ્યા. સીએમ ધામીએ યાત્રિકોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

ગંગોત્રીના પોર્ટલ ખોલવાની પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ હતી. આ અંતર્ગત શુક્રવારે મુખબાથી મા ગંગા કી ડોળી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુળબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા. ચારધામ યાત્રા શુક્રવારે ઔપચારિક રીતે શરૂ થઈ હતી, જ્યારે શનિવારે બપોરે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના દ્વાર ખોલીને યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ હતી. આ પહેલા શુક્રવારે મા ગંગાની ભોગમૂર્તિને ડોળીમાં મુકવામાં આવી હતી અને મુખબા ગામમાંથી ડોળીને આર્મી બેન્ડ, ઢોલ દમૌન અને રાણસીંગે સાથે રાત્રે 12.15 કલાકે ગંગોત્રી ધામ ખાતે રવાના કરવામાં આવી હતી.

7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા

મુખબા ગામની મહિલાઓએ માતા ગંગાની ડોળીને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. આ પછી તીર્થયાત્રાના પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ મા ગંગાની ડોળી સાથે મુખબાથી જંગલા સુધી 7 કિમી ચાલીને ગંગોત્રી હાઈવે પર પહોંચ્યા હતા. તે પછી રોડ માર્ગે પગપાળા ભૈરો ખીણ પહોંચ્યા. અહીં ભૈરો મંદિરમાં માતા ગંગાની ડોળીએ રાત વિશ્રામ કર્યો. આજે શનિવારે સવારે મા ગંગા કી ડોળી સવારે 8 વાગે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી અને અક્ષય તૃતીયાના રોજ બપોરે 12.13 કલાકે ગંગોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા.

રાજ્યપાલે અભિનંદન પાઠવ્યા હતા

રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (સેની) એ આજે ​​અક્ષય તૃતીયા પર ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ ખોલવાના શુભ અવસર પર તમામ ભક્તોને શુભેચ્છા પાઠવી છે. તેમણે તમામ ભક્તોને સરળ, સુખદ અને શુભ ચારધામ યાત્રાની શુભેચ્છા પાઠવી છે.

કેરળ મુલાકાત દરમિયાન PM મોદી પર આત્મઘાતી હુમલાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ બોમ્બની ધમકી મળી છે. મોદી સોમવારે કેરળની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ દરમિયાન એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીને રાજીવ ગાંધીની જેમ બોમ્બમારો કરવામાં આવશે. આ ધમકીભર્યા પત્રની માહિતી પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યું છે કે કોચીના એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મલયાલમમાં લખાયેલો પત્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનની ઓફિસમાં મળ્યો હતો. તેણે ગયા અઠવાડિયે આ પત્ર પોલીસને સોંપ્યો હતો.

પોલીસ તપાસ ચાલુ 

જ્યારે પોલીસે પત્રની તપાસ શરૂ કરી તો તેમાં એનકે જોની નામના વ્યક્તિનું સરનામું લખેલું હતું. જ્યારે પોલીસે કોચીના વતની જોનીની પૂછપરછ કરી તો તેણે પત્ર લખ્યો હોવાનો ઈન્કાર કર્યો. જો કે જ્હોની એક એવા માણસ પર આરોપ મૂકે છે જે તેની સામે દ્વેષ ધરાવે છે. જોનીએ કહ્યું કે પોલીસે પત્રને તેના હસ્તાક્ષર સાથે મેચ કર્યો. તે સ્પષ્ટ છે કે તે પત્ર પાછળ નથી. તેણે કહ્યું કે ધમકી પાછળ કોઈ વ્યક્તિ હોઈ શકે છે જે ગુસ્સે છે. જેમના પર મને શંકા છે તેમના નામ મેં શેર કર્યા છે.

સુરેન્દ્રને પોલીસની ટીકા કરી હતી

દરમિયાન, ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને વડા પ્રધાનની મુલાકાત સંબંધિત VVIP સુરક્ષા યોજનાને લીક કરવા બદલ રાજ્ય પોલીસની ટીકા કરી હતી.

અંદરોઅંદરના યુદ્ધમાં સુદાન તબાહ થઈ ગયું

સુદાન છેલ્લા એક સપ્તાહથી સળગી રહ્યું છે. સુદાનમાં 15 એપ્રિલથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે. રાજધાની ખાર્તુમ સહિત સુદાનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. સુદાનમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. આમ છતાં યુદ્ધ હજુ ચાલુ છે.


સુદાનમાં આર્મી ચીફ જનરલ અબ્દેલ ફતાહ અલ બુરહાન અને આરએસએફ ચીફ જનરલ મોહમ્મદ હમદાન દગાલો વચ્ચે સર્વોપરિતાનું યુદ્ધ ચાલુ છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના યુદ્ધમાં કોણ જીતશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે અલ-બુરહાનની સેના આરએસએફ કરતા વધુ મજબૂત છે. આવી સ્થિતિમાં અર્ધલશ્કરી દળોની જીતની શક્યતા ઓછી જણાય છે. જોકે, શહેરી વિસ્તારોમાં અર્ધલશ્કરી દળના જવાનો સેના પર પ્રભુત્વ જમાવશે.

પડોશી દેશો માટે પણ ખતરો છે

અલજઝીરાના એક અહેવાલ મુજબ, ઘણા મોટા શહેરો ટૂંક સમયમાં ચાલી રહેલી હિંસાની પકડમાં આવી શકે છે. તે જાણીતું છે કે આ હિંસક અથડામણ સુદાનની રાજધાની ખાર્તુમથી શરૂ થઈ હતી, પરંતુ હવે આ યુદ્ધે ઓમદુરમન અને ડાર્ફુર સહિત ઘણા શહેરોને પોતાના કબજામાં લઈ લીધા છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપનું કહેવું છે કે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલી આ હિંસા યુદ્ધનું સ્વરૂપ લઈ રહી છે. ભવિષ્યમાં આ યુદ્ધ પડોશી દેશોને પણ અસર કરી શકે છે, તેવા સંજોગોમાં ખતરનાક સ્થિતિ સર્જાઈ શકે છે.

લડાઈ સુદાનમાંથી બહાર આવી શકે છે

વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના કેમેરોન હડસન કહે છે કે હિંસા સુદાનની સરહદોથી આગળ વધી શકે છે. હડસન કહે છે કે પડકાર એ છે કે સંઘર્ષ દેશની લંબાઈ અને પહોળાઈમાં ફેલાયેલો છે. આવી સ્થિતિમાં આ લડાઈ સુદાનની બહાર આવે તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ.

નોંધનીય છે કે, ચાલી રહેલી હિંસા વચ્ચે ખાર્તુમની ઘણી હોસ્પિટલો બંધ કરી દેવામાં આવી છે. આ હિંસા વચ્ચે સુદાનના જુદા જુદા ભાગોમાં ભારતના ઘણા લોકો ફસાયેલા છે. યૌન શોષણ, બળાત્કાર જેવી ઘટનાઓ અહીં ઘણી વધી ગઈ છે. જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં સુદાનમાં નાગરિકો અને સેનાની સંયુક્ત સરકારનો બળવો થયો હતો. ત્યારથી સેના અને અર્ધલશ્કરી દળો આમને-સામને છે.