Home Blog Page 2878

આ 28 વર્ષીય વ્યક્તિએ ફોર્બ્સમાં 82% હિસ્સો ખરીદ્યો, $800 મિલિયનની કરી ડીલ

28 વર્ષના એક અબજોપતિએ ફોર્બ્સ મેગેઝિનમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની લ્યુમિનાર ટેક્નોલોજિસે ફોર્બ્સ ગ્લોબલ મીડિયા હોલ્ડિંગ્સમાં 82 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. મીડિયા હાઉસ કંપનીની ડીલ 800 મિલિયન ડોલરમાં થઈ છે. એક અહેવાલ મુજબ, અબજોપતિના હિસ્સામાં તેમના પરિવારની માલિકીની કંપનીનો બાકીનો હિસ્સો સામેલ છે, જેણે 2014માં હોંગકોંગ સ્થિત રોકાણકાર જૂથ ઈન્ટીગ્રેટેડ વ્હેલ મીડિયા ઈન્વેસ્ટમેન્ટ્સને કંપનીના 95 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું.

ફોર્બ્સ માટે રસેલની મોટી યોજના

કંપનીના નિવેદન અનુસાર, રસેલ ફોર્બ્સ બ્રાન્ડ માટે સ્વપ્નદ્રષ્ટા તરીકે સેવા આપવાની યોજના ધરાવે છે અને રોજિંદા કામગીરીમાં સામેલ થશે નહીં. ફોર્બ્સ અમેરિકન મીડિયા ટેક્નોલોજી અને AI નિષ્ણાતોને સમાવતું નવું બોર્ડ નિયુક્ત કરવાની યોજના બનાવી રહ્યું છે. સંકલિત વ્હેલ બોર્ડ સીટ પણ રાખશે.

લ્યુમિનાર ટેક્નોલોજી વિશે

રસેલ BC ફોર્બ્સ વતી 1917માં સ્થપાયેલ ફોર્બ્સમાં રોજ-બ-રોજની કામગીરીમાં સામેલ થશે નહીં અને અમેરિકન મીડિયા, ટેક્નોલોજી અને AI નિષ્ણાતો સાથે પ્રકાશનના નવા બોર્ડની નિમણૂક કરશે. તમને જણાવી દઈએ કે રસેલની કંપની Luminar Technologies નું માર્કેટ કેપ હાલમાં $2.1 બિલિયન છે. છેલ્લા એક દાયકામાં, Luminar એ તેના 50 થી વધુ ભાગીદારોને સક્ષમ કરવા માટે એક અદ્યતન હાર્ડવેર અને સોફ્ટવેર પ્લેટફોર્મ બનાવ્યું છે.

કર્ણાટકના DGP પ્રવીણ સૂદ CBIના વડા બન્યા

કર્ણાટકના વર્તમાન પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈના વર્તમાન વડા સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સૂદ 25 મેના રોજ ચાર્જ સંભાળશે. ડીજીપી સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે

ડીજીપી સૂદ ચર્ચામાં રહ્યા છે

ડીજીપી પ્રવીણ સૂદ માર્ચમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે તેમના પર રાજ્યની ભાજપ સરકારને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો. તે સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની પેનલે પસંદગી કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરીએ સૂદની ભલામણ સામે અસંમતિ નોંધ રજૂ કરી છે કારણ કે તેઓ ટોચના CBI પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરાયેલા અધિકારીઓની મૂળ પેનલમાં નહોતા અને છેલ્લી ક્ષણે તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અખબારે એમ પણ લખ્યું છે કે સીબીઆઈ ડાયરેક્ટરના નામોની પસંદગી માટે પેનલની બેઠક 13 મે, શનિવારે થઈ હતી. આ દિવસે જ કર્ણાટક રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત મેળવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, કેન્દ્ર સરકારે હજુ સુધી સીબીઆઈ ચીફ સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ વધારવા અંગે કોઈ નિર્ણય લીધો નથી, જેમનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. દિલ્હીમાં ચાર્જ સંભાળતા પહેલા તેઓ મહારાષ્ટ્રના ડીજીપી હતા. અખબારે એમ પણ લખ્યું છે કે સૂદ આ પદની રેસમાં સૌથી આગળ હતા.

ચક્રવાત ‘મોચા’નો મ્યાન્મારમાં હાહાકાર; બંદરગાહ શહેર સિતવેમાં પૂર આવ્યું

સિતવે (મ્યાન્માર): ભારતીય ઉપખંડમાં બંગાળના અખાતના આકાશ પર સર્જાયેલું ભયાનક ચક્રવાતી વાવાઝોડું મોચા મ્યાનમારના સમુદ્રકાંઠા પર આજે ત્રાટક્યું છે. એને કારણે બંદરગાહ શહેર સિતવેમાં ભારે પૂર આવ્યું છે. પ્રતિ કલાક 210 કિલોમીટરની ઝડપે વિનાશકારી પવન ફૂંકાયો હતો. એને કારણે અનેક મકાનો હચમચી ગયા છે અને અસંખ્ય ઘરોના છાપરા ઉડી ગયા છે. રસ્તાઓ પર વીજળીના અનેક થાંભલાઓ ઉખડી ગયા છે.

સિતવેમાં અનેક મકાનમાં ગ્રાઉન્ડફ્લોરના ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયા છે. લાખો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડું ત્રાટક્યા બાદ મ્યાન્મારના સિતવે, રખીને શહેરોમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો છે અને સંદેશવ્યવહાર નેટવર્ક્સ ઠપ થઈ ગયું છે.

મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર, સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક

કર્ણાટકમાં જોરદાર જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રીના નામને લઈને મંથન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરવા રવિવારે સાંજે ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે. આઉટગોઇંગ એસેમ્બલીમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમાર મુખ્ય પ્રધાન પદના મુખ્ય દાવેદાર છે. દરમિયાન કર્ણાટકમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.


સિદ્ધારમૈયા અને શિવકુમારના નિવાસસ્થાને, તેમના સમર્થકોએ કોંગ્રેસની જીત માટે તેમને અભિનંદન આપતા બેનરો લગાવ્યા છે અને બંનેને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવશે અને તેના આધારે જરૂર પડ્યે તેમના નેતાને મત આપવા માટે પણ કહેવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ સુશીલ કુમાર શિંદે, દીપક બાબરિયા અને જિતેન્દ્ર સિંહ અલવરને કર્ણાટક CLP બેઠક માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


કોંગ્રેસની મોટી જીત

224 સભ્યોની કર્ણાટક વિધાનસભાના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસે બમ્પર જીત મેળવીને 135 બેઠકો મેળવી છે. ભાજપ માત્ર 66 બેઠકો જીતી શક્યું અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના જનતા દળ (સેક્યુલર)ને 19 બેઠકો મળી. આઠ વખતના ધારાસભ્ય શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જાહેરમાં મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.


અમારી વચ્ચે કોઈ વિવાદ નથી

ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે મારા સિદ્ધારમૈયા સાથે મતભેદ છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મેં ઘણી વખત પાર્ટી માટે બલિદાન આપ્યું છે અને સિદ્ધારમૈયાજી સાથે ઉભો છું. મેં સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે. શિવકુમારે શનિવારે સિદ્ધારમૈયાના પુત્ર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું હતું કે જનતા ઈચ્છે છે કે તેઓ ફરીથી સીએમ બને. તેના પર શિવકુમારે કહ્યું હતું કે આનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.


ચૂંટણીમાં જૂથવાદને દૂર રાખવામાં આવ્યો હતો

કોંગ્રેસે ખાસ કરીને સિદ્ધારમૈયા અને શિવકુમાર છાવણીઓ વચ્ચેના જૂથવાદને દૂર રાખવાના પડકાર સાથે ચૂંટણી પ્રચારમાં પ્રવેશ કર્યો હતો. શિવકુમારને પાર્ટી માટે મુશ્કેલીનિવારક માનવામાં આવે છે જ્યારે સિદ્ધારમૈયાનો સમગ્ર કર્ણાટકમાં પ્રભાવ છે. જો સિદ્ધારમૈયા વિધાયક દળના નેતા તરીકે ચૂંટાય છે, તો તે મુખ્યમંત્રી તરીકે તેમનો બીજો કાર્યકાળ હશે. તેઓ 2013-18 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા.

મુંબઈના ન્હાવા શેવા બંદરમાં રૂ.24 કરોડની વિદેશી સિગારેટ પકડાઈ

મુંબઈઃ કેન્દ્ર સરકાર સંચાલિત ડાઈરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એજન્સીના અધિકારોએ અહીંની પડોશના નવી મુંબઈ શહેરમાં આવેલા કેન્દ્ર સરકાર હસ્તકના ન્હાવા શેવા શિપિંગ પોર્ટ વિસ્તારમાં દરોડો પાડીને એક કન્ટેનરમાંથી વિદેશી મૂળની 1 કરોડ 20 લાખ સિગારેટ સ્ટિક્સ જપ્ત કરી છે. આ સિગારેટ સ્ટિક્સની કિંમત રૂ. 24 કરોડ થાય છે. તે કન્ટેનર ન્હાવા શેવામાં ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન ખાતેના એક સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તરફ મોકલવામાં આવતું હતું. આ સ્થળે વ્યાપાર અને વેરહાઉસિંગ પ્રવૃત્તિઓ થાય છે. FTWZ ભારતની અંદર આવેલા આ એક વિદેશી ટેરિટરી જેવું છે.

ડીઆરઆઈ અમલદારોએ ન્હાવા શેવાના સાઈ ખાતે ‘આર્શિયા FTWZ’ તરફ જતા કન્સાઈનમેન્ટને આંતર્યું હતું. તેમાંના માલને બાદમાં અન્ય માલ સાથે બદલી નાખવામાં આવનાર હતો અને પછી ખુલ્લી બજારમાં એને દાણચોરીપૂર્વક વેચાણમાં મૂકવામાં આવનાર હતો. અમલદારોએ પાંચ જણની ધરપકડ પણ કરી છે.

ન્હાવા શેવા પોર્ટને જવાહરલાલ નેહરુ પોર્ટ અથવા એએલએન પોર્ટ પણ કહે છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ બાદ આ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું કન્ટેનર બંદર (કાર્ગો માટેનું બંદર) છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ઓથોરિટી આ બંદરનું સંચાલન કરે છે. આ બંદર મુંબઈની પૂર્વ બાજુએ, મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં, નવી મુંબઈ શહેરમાં અરબી સમુદ્રના પૂર્વીય કાંઠે આવેલું છે. થાણે ખાડી મારફત ત્યાં પહોંચી શકાય છે.

યશસ્વી જયસ્વાલ ટૂંક સમયમાં ભારતીય ટીમ વતી રમતો જોવા મળશેઃ રવિ શાસ્ત્રી

મુંબઈઃ આઈપીએલની વર્તમાન, 16મી આવૃત્તિમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો યુવા બેટર યશસ્વી જયસ્વાલ જોરદાર બેટિંગ પરફોર્મન્સ વડે સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને જયસ્વાલની બેટિંગ ક્ષમતા અને  ટાઈમિંગ ખૂબ પ્રભાવિત કરી ગયા છે.

સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના ક્રિકેટ લાઈવ પ્રોગ્રામમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું, ‘પસંદગીકારોએ જયસ્વાલની બેટિંગ પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. મને તો લાગે છે કે આ બેટર ટૂંક સમયમાં જ આપણને ભારતીય ટીમ વતી રમતો જોવા મળશે. જયસ્વાલ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે એ પોતાનો દેખાવ સતત સુધારતો રહ્યો છે. એની બેટિંગમાં તાકાત છે, ટાઈમિંગ છે. એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે.’

ઓપનર જયસ્વાલ હાલ આઈપીએલ-2023માં સૌથી વધારે રન કરનારાઓમાં બીજા નંબરે છે. એણે 12 મેચોમાં 52.27ની સરેરાશ સાથે 575 રન કર્યા છે. એનો સ્ટ્રાઈક રેટ 167થી વધારે છે. એણે અત્યાર સુધીમાં સ્પર્ધામાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. એનો શ્રેષ્ઠ સ્કોર 124 છે. એણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી – 13 બોલમાં, હાફ સેન્ચુરી ફટકારી છે.

મળો અમેરિકામાં મોડેલિંગ કરતાં આ ગુજ્જુ બોયને!

અમેરિકા અને ગુજરાતીઓનો સંબંધ એટલે જાણે ફાફડા-જલેબી જેવી અતૂટ જોડી. ગુજરાતમાંથી દાયકાઓ પહેલા ‘અમેરિકન ડ્રીમ’ સાકર કરવા ગયેલા હજારો પરિવારો તેમની ત્રણ-ચાર પેઢીથી અમેરિકા ખૂબ સફળ જીવન જીવી રહ્યા છે. બિઝનેસમાં તો આપણો દબદબો હતો જ, હવે મોડેલિંગ ક્ષેત્રે પણ એક ગુજરાતીએ કાઠું કાઢ્યું છે! હા, આ વાત છે USAમાં સફળ મોડેલિંગ કારકિર્દી ધરાવતા એક ગુજરાતી ટાબરિયાની.

મૂળ આણંદ જિલ્લાના જેસરવા ગામનાં જસ્મિના પટેલ અને નવસારી જિલ્લાના ચીખલી નજીકના સાદકપુર ગામના ભાવેશ પટેલનો લૉસ એંજલિસમાં જન્મેલો અને ઉછરેલો દીકરો કિશન પટેલ હજુ તેર વર્ષની કાચી વયમાં ગત 3-4 વર્ષથી અમેરિકામાં મોડેલિંગના અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં કિશને અત્યંત નામાંકિત કંપની એપલ, ટારગેટ, ટોયેટા, કેલિફોર્નિયા ટુરિઝમ વગેરેની જાહેરાતમાં મોડેલ તરીકે કામ કર્યું છે. અહીં મહત્વનું છે કે આ કામ તેને યોગાનુયોગ મળી ગયું હોય તેવું નથી. કિશને પોતાના રોજિંદા ભણતરની સાથોસાથ એક્ટિંગનો પણ અભ્યાસ કર્યો છે.

કિશન પટેલ હજુ નર્સરીમાં ભણતો હતો ત્યારથી તેની આસપાસના લોકો તેની ચપળતા અને આવડતને પારખીને તેને એક્ટિંગ સ્કૂલમાં મૂકવાનું સૂચન કરતાં હતા. USAમાં યોજાતી વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભારતીય બાળકો સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં આવ્યા છે પરંતુ બાળકોની વાત નીકળે ત્યારે એક બહુ અસમાન્ય કહી શકાય તેવો અભ્યાસ છે મોડેલિંગનો.

એક દિવસ પટેલ પરિવાર ડાઈનિંગ ટેબલ પર ભોજન લઈ રહ્યો હતો ત્યારે કિશનના ફઈ મેઘના ભાઈચંદે તેમને બાર્બીઝોન મોડેલિંગ એન્ડ એક્ટિંગ સ્કૂલ વિશે વાત કરી, તેમની 15 વર્ષની દીકરી દિયા ભાઈચંદ આ સંસ્થામાં ભણતી હતી. લગભગ 80 વર્ષ જૂની આ સંસ્થા એક્ટિંગ સ્કૂલ્સમાં ઘણું મોટું નામ ધરાવે છે. કિશનને એક્ટિંગ શીખવાની વાતમાં રસ પડ્યો એટલે માતા-પિતાએ તેની ઈચ્છા વધાવી અને આઠ વર્ષની ઉંમરે કિશન પટેલે આ એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું.

બે વર્ષ બાદ જ્યારે આ એક્ટિંગનો કોર્સ પૂરો થયો ત્યારે ત્યાં તાલીમ લીધેલા કલાકારોની પસંદગી કરવા દસેક જેટલી એજન્સી આવી હતી જે પૈકી પાંચ એજન્સીએ કિશન સાથે કામ કરવામાં રુચિ દર્શાવી. 200 વિદ્યાર્થીઓમાં સૌને જ્યારે માંડ એકાદ બે એજન્સી તરફથી ઓફર મળતી હોય ત્યારે એક જ વિદ્યાર્થીને પાંચ ઓફર મળવી એ સિદ્ધિથી ઓછું ન આંકી શકાય. ત્યાર પછી કિશને કુલ આઠથી દસ જેટલા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે જેમાં સૌથી વધુ બેલા એજન્સી નામની એક ખ્યાતનામ એજન્સી સાથે હોય છે. વિવિધ જાહેરાતોની સાથે તે Slow Clap by Gwen Stefani નામના ડાન્સ વિડીયોમાં પણ ચમક્યો છે.

ઉલ્લેખનીય છે કે મોડેલિંગ દુનિયામાં પગ મૂકતાંની સાથે જ કિશન તેના શાળાકીય અભ્યાસને ભૂલી ગયો હોય તેવું સહેજ પણ નથી. શૂટિંગના દિવસોમાં એજન્સી તરફથી જ કિશન માટે કોઈ ટીચરની વ્યવસ્થા કરવામાં આવે છે જે દિવસના ત્રણ કલાક તેને અચૂક ભણાવે છે જેથી શાળામાં ચાલતા અભ્યાસક્રમમાં તે પાછળ ન રહી જાય. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ઓડિશન આપવા પણ શાળાનો સમય પૂરો થયા પછી જ જાય છે.

કિશન બાળ વયે ઘણી જ સક્રિય દિનચર્યા ધરાવે છે એટલે ક્યારેક હોમવર્ક પૂરું કરવામાં થાક લાગે કે કંટાળો આવે તેવું બને છે પણ માતા-પિતાની વાત સમજીને તેણે અભ્યાસમાં સહેજ પણ પાછીપાની નથી કરી અને હંમેશા A ગ્રેડ સાથે પરીક્ષાઓ પાસ કરી છે.

કિશન પટેલ અમેરિકન નાગરિક છે પણ પરિવારમાં તેને સતત ભારતીય વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. એ કડકડાટ ગુજરાતી બોલે છે અને મોજથી દેશી વાનગીઓ આરોગે છે. કિશનના માતા ગૃહિણી છે અને પિતા કેલિફોર્નિયા ખાતે Julio’s Pizza Restaurant, Bar and Banquet નામની રેસ્ટોરાં ચલાવે છે. એના નાના ચીમનભાઈ પટેલ તરફથી પણ એને સતત પ્રોત્સાહન મળતું રહે છે.

ભવિષ્યના આયોજન માટે આમ તો હજુ કિશન સાવ નાદાન કહી શકાય પણ તેમ છતાંય પોતાની બે મહત્વાકાંક્ષા પૂરી કરવા કિશન બહુ જ ઉત્સાહી અને આશાવાદી છે. એક તો તેને એક લોકપ્રિય એક્ટર બનવું છે અને બીજું, પોતાના પિતાનો રેસ્ટોરાં બિઝનેસ સંભાળવો છે.

(જેલમ વ્હોરા)

બોટાદમાં કરૂણાંતિકાઃ તળાવમાં પાંચ કિશોર ડૂબી ગયા

બોટાદઃ ગુજરાતના બોટાદ નગરના અરેરાટી ઉપજાવે એવી દુર્ઘટના બની છે. નગરની હદમાં આવેલા કૃષ્ણ સાગર સરોવરમાં સગીર વયનાં પાંચ છોકરાઓનું ગઈ કાલે બપોરે ડૂબી જવાને કારણે મરણ નિપજ્યું છે. આ તમામ કિશોર એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતાં ડૂબી ગયાની કરૂણ ઘટના બની છે.

(પ્રતિકાત્મક તસવીર)

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કાળઝાળ ગરમીથી બચવા માટે પાંચ મિત્રો કૃષ્ણ સાગર સરોવર ખાતે નાહવા ગયા હતા. એમાંના બે જણ એમાં તરવા પડ્યા હતા, પરંતુ તેઓ ડૂબવા માંડ્યા હતા. એ જોઈને બંનેને બચાવવા માટે કાંઠા પર બેઠેલા એમના બીજા ત્રણ મિત્રોએ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાંચેય જણ ડૂબી ગયા હતા. આજે વહેલી સવારે પાંચેય જણના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ છોકરા 16-17 વર્ષની વયના હતા.

મૃતક કિશોરોનાં નામ છેઃ

એહમદ વઢવાણિયા, અશરફ વઢવાણિયા, જુનૈદ કાજી, અશદ ખંભાતી, ફૈઝાન ગાંજા.

તેઓ બોટાદના મહંમદનગર વિસ્તારના રહેવાસી હતા. આ ભીષણ દુર્ઘટનાને કારણે મૃતકોનાં પરિવારોમાં અને સમાજમાં માતમ છવાઈ ગયો છે.

૧૪ મે, ૨૦૨૩

૧૪ મે, ૨૦૨૩

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા થયા એકબીજાના, ખાસ મહેમાનો વચ્ચે કરી સગાઈ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી લાઈમલાઈટમાં હતા અને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, બંનેના સંબંધોની ચર્ચા જોરમાં હતી, પરંતુ કપલ આ પ્રશ્નને ટાળી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. હવે બંનેની સગાઈનું આયોજન દિલ્હીના કપૂરથલા હાઉસમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

પરિણીતી ચોપરાની સગાઈના પ્રસંગે તેની મોટી બહેન પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી. આ સિવાય ફિલ્મ અને રાજનીતિની દુનિયા સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ આ ખાસ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. લગ્ન દરમિયાનની તસવીરો સામે આવી છે. જેમાં રાઘવ અને પરિણીતી રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બંને ગુલાબી રંગના હળવા અને સરળ પોશાકમાં છે.

લગ્ન સ્થળ કનોટ પ્લેસ પાસે કપૂરથલા હાઉસમાં રાખવામાં આવ્યું હતું. આ એક રોયલ પેલેસ છે જ્યાં પંજાબના મુખ્યમંત્રી જ્યારે દિલ્હી આવે છે ત્યારે રોકાય છે. પંજાબના સીએમ ભગવંત માન પણ આ સગાઈનો ભાગ બન્યા હતા અને તેઓ સ્થળ પર જોવા મળ્યા હતા. પરિણીતી ચોપરાએ આ ખાસ દિવસ માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by @parineetichopra

લગ્નમાં બોલિવૂડની થીમ હતી અને ખાસ ઈવેન્ટ માટે કપલે ગુલાબી રંગના પોશાક પહેર્યા હતા. બંને સાંજે 5 વાગે સ્થળ પર હાજર થયા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગોપનીયતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મહેમાનોને નો ફોન પોલિસી ફોલો કરવાની સૂચના આપવામાં આવી હતી.

રાત્રિભોજનની ખાસ તૈયારી

હવે આટલું મોટું ભવ્ય ફંકશન છે, તો તેમાં ખાવા-પીવાની વ્યવસ્થા કેવી રીતે હળવી થઈ શકે. આ પ્રસંગે મહેમાનોની વિશેષ કાળજી રાખવા ઉપરાંત તેમના માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. ભારતીય વાનગીઓ ઉપરાંત અન્ય વાનગીઓનો પણ મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખાસ સેરેમનીમાં કબાબથી લઈને વેગન સુધીની દરેક વસ્તુ સર્વ કરવામાં આવી હતી.