Home Blog Page 2607

આ મોંઘવારીએ તો માજા મુકી, છૂટક ફુગાવો 7%ને પાર પહોંચ્યો

  • મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓને કારણે છૂટક ફુગાવો 7%ને પાર
  • ટામેટાં સહિતની ખાદ્ય ચીજોના ભાવમાં ભારે વધારો
  • જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો

ટામેટાં સહિતની ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થવાને કારણે જુલાઈ 2023માં છૂટક ફુગાવાનો દર ફરીથી વધીને 7 ટકાને વટાવી ગયો છે, જે લાંબી છલાંગ લગાવી રહ્યો છે. CPI ફુગાવો જુલાઈમાં વધીને 7.44 ટકા થયો છે, જે જૂન 2023માં 4.81 ટકા હતો. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં ભારે વધારો થયો છે. જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો જે જૂનમાં 4.49 ટકા હતો. જુલાઈ મહિનામાં છૂટક ફુગાવો વધીને 7.44% થયો છે. ખાદ્યપદાર્થો, ખાસ કરીને શાકભાજી મોંઘા થવાને કારણે મોંઘવારી વધી છે. જૂનમાં છૂટક ફુગાવો 4.81% હતો. જ્યારે મે મહિનામાં તે ઘટીને 4.25%ના 25 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. જુલાઈમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) વધીને 11.51% થયો છે. જૂનમાં તે 4.49% હતો જ્યારે મે મહિનામાં તે 2.96% હતો. આ ઇન્ડેક્સ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો અને ઘટાડો દર્શાવે છે. CPI બાસ્કેટમાં ખાદ્ય સામગ્રીનો હિસ્સો લગભગ અડધો છે. જુલાઈમાં ફુગાવો આરબીઆઈની 6%ની ઉપલી સહનશીલતા મર્યાદાને વટાવી ગયો છે.

inflation

  • શહેરી ફુગાવો જૂનમાં 4.96% થી વધીને 7.20% થયો
  • ગ્રામીણ ફુગાવો જૂનમાં 4.72% થી વધીને 7.63% થયો છે

ફુગાવા અંગે ચિંતા અને અનિશ્ચિતતા યથાવત

જુલાઈમાં યોજાયેલી નાણાકીય નીતિની બેઠક વિશે માહિતી આપતા RBI ગવર્નરે કહ્યું હતું કે મોંઘવારી અંગે ચિંતા અને અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે. આરબીઆઈના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માં ફુગાવો 4% થી ઉપર રહેવાની સંભાવના છે. RBIએ FY24 માટે ફુગાવાનો અનુમાન 5.1% થી વધારીને 5.4% કર્યો છે.

CPI શું છે?

ગ્રાહક તરીકે તમે અને અમે છૂટક બજારમાંથી માલ ખરીદીએ છીએ. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ એટલે કે સીપીઆઈ તેની સંબંધિત કિંમતોમાં થતા ફેરફારો દર્શાવવાનું કામ કરે છે. CPI એ સામાન અને સેવાઓ માટે અમે જે સરેરાશ કિંમત ચૂકવીએ છીએ તે માપે છે. ક્રૂડ ઓઈલ, કોમોડિટીની કિંમતો, ઉત્પાદિત ખર્ચ સિવાય, અન્ય ઘણા પરિબળો છે જે છૂટક ફુગાવાના દરને નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લગભગ 300 વસ્તુઓ એવી છે જેના આધારે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.

ફુગાવો કેવી રીતે અસર કરે છે?

ફુગાવાનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે જો ફુગાવાનો દર 7% છે, તો 100 રૂપિયાની કમાણી માત્ર 93 રૂપિયાની થશે. એટલા માટે રોકાણ ફુગાવાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. અન્યથા તમારા પૈસાની કિંમત ઘટી જશે.

RBI ફુગાવાને કેવી રીતે નિયંત્રિત કરે છે?

ફુગાવો ઘટાડવા માટે બજારમાં નાણાંનો પ્રવાહ ઘટાડવામાં આવે છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં વધારો કરે છે. જેમ કે આરબીઆઈએ એપ્રિલ અને જૂનમાં રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો હતો. અગાઉ RBIએ રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. RBIએ ફુગાવાના અનુમાનમાં પણ ઘટાડો કર્યો હતો.

‘સ્વતંત્રતા દિવસ’ નિમિત્તે એનએસઈ ઈમારત તિરંગાના રંગોથી સુશોભિત

મુંબઈઃ ભારતના ‘સ્વતંત્રતા દિવસ’ના અવસરે અત્રે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ)ના ભવ્ય મકાનને રાષ્ટ્રધ્વજ (તિરંગા)ના રંગોથી શણગારવામાં આવ્યું છે.

એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણે આ અવસરે એક નિવેદનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનાં બલિદાન અને યોગદાનને યાદ કરીને જણાવ્યું છે કે એ મહાન વ્યક્તિઓએ સાર્વભૌમ અને સમૃદ્ધ ભારતની કલ્પના કરી હતી. વિશ્વના અગ્રણી અર્થતંત્રો પૈકી એક તરીકે આપણે પરિવર્તન, વૃદ્ધિ અને વિકાસની ટોચ ઉપર ઊભા છીએ, જે નવા ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. એનએસઇ મૂડીબજારની રચના, રાષ્ટ્ર-નિર્માણ અને રોજગાર સર્જન માટે ઉત્પ્રેરક બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તથા રોકાણકારોના સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે.

ઓપનિંગ વીકએન્ડ કમાણીઃ ચાર ફિલ્મોએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ

મુંબઈઃ ગયા અઠવાડિયે એક સાથે ચાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. ‘ગદર 2’ (હિન્દી), ‘ઓ માય ગોડ 2’ (હિન્દી), ‘જેલર’ (તામિલ) અને ‘ભોલા શંકર’ (તેલુગુ). ઉદ્યોગના વર્તુળોમાં આ ચાર ફિલ્મો ચાલવા અંગે શંકા પ્રવર્તતી હતી, પરંતુ એમની શંકા ખોટી નિવડી છે અને ફિલ્મોએ બોક્સ ઓફિસને પહેલા જ સપ્તાહાંતમાં જબ્બર કમાણી કરાવી આપી છે.

પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સંસ્થાઓએ આનંદ સાથે જાહેરાત કરી છે કે ઓગસ્ટ 11-13નું વીકએન્ડ ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના 110-વર્ષના ઈતિહાસમાં આ વીકએન્ડ થિયેટરોને સૌથી વધારે કમાણી કરાવી આપનાર બન્યું છે. ગત સપ્તાહાંતે આ ચાર ફિલ્મોએ સહિયારી કરાવી આપેલી કમાણીનો આંક રૂ. 390 કરોડને પાર ગયો હતો.

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો પીએમ મોદીને હરાવી દેશે, સંજય રાઉતનો મોટો દાવો

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે જો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે.રાઉતે કહ્યું કે વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઈચ્છે છે. જો તે વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે તો ચોક્કસપણે જીતશે. આ ઉપરાંત રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં ભાજપ માટે કપરી લડાઈ છે.

રાઉતે શરદ-અજીત પર વાત કરી 

શરદ પવાર અને અજિત પવાર વચ્ચે અવારનવાર થતી મુલાકાતો અંગે તેમણે કહ્યું કે જો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી શકે છે તો શરદ-અજિત કેમ નહીં? રાઉતે કહ્યું કે અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે શરદ પવાર અને અજિત પવાર ગઈકાલે મળ્યા હતા. શરદ પવાર આ અંગે ટૂંક સમયમાં વાત કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે શરદ પવારે અજિત પવારને ઈન્ડિયા બ્લોકની બેઠક માટે આમંત્રણ આપ્યું છે.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં યોજાઈ ‘શહેર 23’ ફ્રેશર્સ પાર્ટી

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલના સિનિયર વિદ્યાર્થીઓએ નવી બેચ 2023-25નાં તમામ વિદ્યાર્થીઓ માટે અહીં ‘શહેર 23’ ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. સિનિયર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમનાં જુનિયર વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનો થીમ હતો – ‘હેવનલી હાઈટ્સ એન્ડ હેલીશ ડિલાઈટ્સ’. વિદ્યાર્થીઓએ રેમ્પ વોક અને ડાન્સ પર્ફોર્મન્સ પણ આપ્યા હતા.

કાર્યક્રમને અંતે કરુણા નેભનાનીને ‘મિસ ફ્રેશર’ અને મનન સિદ્ધપુરિયાને ‘મિસ્ટર ફ્રેશર’નું ટાઇટલ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ નવા શૈક્ષણિક વર્ષની વાઇબ્રન્ટ શરૂઆત પર ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘ફ્રેશર્સ પાર્ટી એક ઉજવણી કરતાં વધુ છે. નવા વિદ્યાર્થીઓને SBS પરિવાર સાથે જોડતો એક સેતુ છે.’

T20I શ્રેણીમાં પરાજયઃ વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાની કાઢી ઝાટકણી

બેંગલુરુઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ગઈ કાલે અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનો 8-વિકેટથી પરાજય થયા બાદ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે શ્રેણી 2-3થી ગુમાવી દીધા બાદ ટીમ ઈન્ડિયાના દેખાવની ટીકા થઈ રહી છે. રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ ટીમની ઝાટકણી કાઢી છે. એમનું કહેવું છે કે, ‘આપણી ટીમમાં જીતવાના જુસ્સાનો અને દિલમાં આગનો અભાવ હતો. તેઓ ખોટા ભ્રમમાં જીવે છે.’

ભારતને આ શ્રેણીમાં હરાવીને વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવવાના છ-વર્ષના દુકાળનો અંત લાવી દીધો છે.

હેડ કોચ રાહુલ દ્રવિડે તેમની ટીમનો બચાવ કર્યો

દરમિયાન, ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમનો પરાજય થયો હોવા છતાં બચાવ કર્યો છે. એમણે કહ્યું કે, ‘આ ટીમનું ઘડતર થઈ રહ્યું છે. આવી ચડતી-પડતી તો આવ્યા કરે. મને ખબર છે કે ટીમમાં ઓછા અનુભવી ખેલાડીઓ હોય તો એમના ફોર્મમાં ચડ-ઉતર થયા કરે. એ વાત ખરી છે કે અમારી ટીમે કેટલીક ભૂલ કરી હતી, પરંતુ પાંચ મેચોની શ્રેણીમાં એવું બનતું હોય છે. અમારી યુવા ખેલાડીઓની ટીમ છે અને તેનું ઘડતર થઈ રહ્યું. હારથી નિરાશા થઈ છે એ વાત ખરી… વેસ્ટ ઈન્ડિઝની પ્રશંસા કરવી જ રહી. એ ચઢિયાતી T20I ટીમ છે. વળી, તેઓ એમના ઘરઆંગણે રમ્યા હતા,’ એમ દ્રવિડે વધુમાં કહ્યું.

શિમલામાં મંદિર પર ભેખડો ધસી પડતાં 9નાં મરણ

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં મુસળધાર વરસાદે હાહાકાર મચાવી દીધો છે. પાટનગર શહેર શિમલામાં આજે સવારે લગભગ સાત વાગ્યાના સુમારે બનેલી એક દુઃખદ ઘટનામાં, એક મંદિર પર ભેખડ ધસી પડતાં મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું અને તેને કારણે 9 જણનાં મરણ નિપજ્યા છે. આ ઘટના સમર હિલ વિસ્તારમાં બની હતી. ભેખડો શંકર ભગવાનના એક મંદિર પર પડી હતી. દુર્ઘટનાસ્થળની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલો અનુસાર, ભેખડો ધસી પડી હતી એ વખતે મંદિરમાં 25-30 જણ હાજર હતાં. પાંચ જણને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ હેઠળ બીજાં અનેક જણ ફસાયાં હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિન્દર સુખુએ આ દુર્ઘટના અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ માણો… લાલ કિલ્લાના નવલાં આકર્ષણો: રેડ ફોર્ટ સેન્ટર, જયહિંદ સાઉન્ડ-લાઈટ શો

સમગ્ર ભારત દેશ અને તમામ ભારતવાસીઓ 15 ઓગસ્ટ, મંગળવારે દેશનો 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. કેન્દ્ર સરકારના ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશભરમાં વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્ર ભારતના સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહ્યો છે નવી દિલ્હીનો લાલ કિલ્લો. દિલ્હીમાં કોઇ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું બને જ નહીં.

આ ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પર્યટકો અને મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઈટ શો નવાં આકર્ષણો બન્યાં છે. રેડ ફોર્ટ સેન્ટરનું ઉદઘાટન 2022ના જુલાઈમાં કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષના જાન્યુઆરીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સાઉન્ડ એન્ડ લાઈટ શોનું ઉદઘાટન કર્યું હતું.

લાલ કિલ્લાની જાળવણીનું કામ 2018ની સાલથી ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને સોંપવામાં આવ્યું છે.

દાલમિયા ભારત જૂથના નવીદિલ્હીસ્થિત કમ્યુનિકેશન વિભાગનાં ડેપ્યુટી જનરલ મેનેજર પૂજા ભારદ્વાજે ‘ચિત્રલેખા’ને જણાવ્યું કે, , ‘અમારા માટે આ બિઝનેસ નથી. લાલ કિલ્લામાં જે કાંઇ પ્રકલ્પો ગ્રુપ દ્વારા હાથ ધરાયા છે એ ગ્રુપના સભ્યતા ફાઉન્ડેશનની સીએસઆર પ્રવૃત્તિનો ભાગ છે.’ આ પ્રકલ્પો એટલે રેડ ફોર્ટ સેન્ટર અને સાઉન્ડ એન્ડ લાઇટ શો.

સેન્ટરમાં અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને શક્ય એટલું ઇન્ટએક્ટીવ બનાવવામાં આવ્યું છે, જેથી આપણા જૂના-પુરાણા મ્યુઝીયમ જેવો કંટાળો ન આવે. પહેલા માળે જે પ્રદર્શની છે એ સફર, જિંદગી, તારીખ અને હમ એક હૈ એમ જૂદા જૂદા વિભાગમાં વહેંચી નખાયેલ છે.

ડિસેમ્બર, 2022થી અહીં માતૃભૂમિ નામે એક નવો શો ઉમેરાયો છે. પ્રોજેક્શન મેપિંગની મદદથી આ શો મુલાકાતીઓને પ્રાચીન હરપ્પનકાળથી શરૂ કરીને વેદિક યુગ, મૌર્ય-ચૌલા અને ગુપ્તા વંશના ભારતની ઝલક દર્શાવે છે.

જયહિંદ સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં સત્તરમી સદીથી લઇને અત્યાર સુધીના ભારતના ઇતિહાસનું કલાત્મક ચિત્રણ રજૂ કરાયું છે.

પ્રોજેક્શન મેપિંગ, ફિલ્મ્સ, સાઉન્ડ ઇફેક્ટ, સ્ટેજ પર કલાકારોનું જીવંત પરફોર્મન્સ, નૃત્ય અને પપેટ્રી જેવા કલાના વિવિધ માધ્યમોનું યોગ્ય સંયોજન અદભુત રીતે કરવામાં આવ્યું છે.

આ શોનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એની કોમેન્ટરી માટે અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે.

વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર મૈત્રેયી પહારીએ ડિરેક્ટ કરેલા આ શોમાં વક્ત એટલે કે સમયની ભૂમિકામાં બચ્ચનસા’બ દર્શકોને નોબતખાના, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસમાં ખેંચી જાય છે.

કથક નૃત્ય તમને એ જમાનાની ઉજવણીમાં ખેંચી જાય છે, તો એ પછી સ્ટેજ પર તમારી સામે દીવાન-એ-ખાસ જીવંત થાય છે.

વાયોલિનવાદક શરદચંદ્ર શ્રીવાસ્તવનું સંગીત, પપેટિયર દાદી પુદુમજી સહિત સાંઇઠ કલાકારો એક કલાકના આ શોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

લાલ કિલ્લાની એન્ટ્રી ફી ચૂકવ્યા પછી આ સેન્ટર કે શો જોવા માટે મુલાકાતીઓએ અલગથી ફી ચૂકવવી પડે છે. આની આવકમાંથી અમુક રકમ એએસઆઇને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એની જાળવણી-સંભાળ પાછળ ખર્ચવામાં આવે છે.

ભયમાં જીવવાનું ટાળો

જો તમે કાળજીપૂર્વક જુઓ તો તમારો ભય શેના લીધે છે? શું બની ગયું છે તેનાં વિશે ક્યારેય તમારો ભય નથી હોતો. તમારો ભય હંમેશા શું થશે તેના વિશે છે. તમારો ભય હંમેશા ભવિષ્ય વિશે હોય છે. ભવિષ્ય હજી ઘટિત થવાનું બાકી છે. તે હજી બન્યું નથી. જેનો અર્થ છે કે, તે અસ્તિત્વમાં નથી. તેથી ભયભીત થવાનો અર્થ એ થાય કે તમે તે વેદના ભોગવી રહ્યાં છો જેનું અસ્તિત્વ નથી. જો તમે જે અસ્તિત્વમાં નથી તેની વ્યથા ભોગવી રહ્યા છો તો અમે તમને સમજદાર કહીએ કે ગાંડા? તમારું એકમાત્ર આશ્વાસન એ છે કે “બધાં મારા જેવા છે.” તમારી સાથે બહુમત છે. તેમ છતાં, તે સાચું ન ગણી શકાય, કારણકે તમે તે વસ્તુ ભોગવી રહ્યાં છો જેનું કોઈ અસ્તિત્વ નથી.

જયારે તમે ભયભીત હોવ, ત્યારે તમે ક્યારેય કોઈ પણ અદ્ભુત અને અતિઆનંદનો અનુભવ નહીં કરી શકો કારણકે તમારામાં પોતાનું સર્વસ્વ ત્યજીને ચિંતા વગર જીવવાની ભાવના નહીં ઉત્પન્ન થાય.  તમે ગાઈ નહીં શકો, નૃત્ય નહીં કરી શકો, ન હાસ્ય કે ન રુદન કરી શકશો, જેને જીવન કહેવાય છે તેમનું તમે કંઈ નહીં કરી શકો. તમે માત્ર અહીં બેસીને જીવન અને તેનાં સર્વ જોખમો વિષે દુઃખી થશો. ભય એવી રીતે કાર્ય કરે છે કે, હંમેશા તમારી આસપાસ સીમાઓ બાંધે છે. ભયભીત રહેવાને કારણે તમે હંમેશા તમારી આસપાસ સીમાઓનું નિર્માણ કરતા રહો છો. જો તમે સીમાઓ બાંધીને તમારા જીવનનાં ક્ષેત્ર પર રોક લગાવશો તો તમે સુરક્ષિત રહી શકો છો, પરંતુ સમસ્યા એ છે કે તમે જીવનથી પણ સુરક્ષિત થઈ જશો. તમે જીવન માત્રથી સુરક્ષિત અથવા અલગ થઇ જશો. તે સાચી સુરક્ષા છે.

ભય જીવનનું ઉત્પાદન નથી. ભય એ ભ્રમમાં પડેલા અથવા તો ભૂલભરેલા મનનું ઉત્પાદન છે. તમે તે વસ્તુની વેદના ભોગવી રહ્યા છો જેનું અસ્તિત્વ નથી કારણકે તમે વાસ્તવિકતામાં નહીં પરંતુ તમારા મનમાં જડેલા છો, જે સતત ભૂતકાળને વગોળે છે અને ભવિષ્યમાં વિસર્જન કરે છે. તમે ખરેખર ભવિષ્ય વિષે કંઈ જ જાણતા નથી. તમે માત્ર ભૂતકાળના એક ટુકડાને લઈને તેની ઉપર મેક-અપ લગાવીને વિચારો છો કે તે ભવિષ્ય છે.

તમે આવતીકાલની યોજના બનાવી શકો છો પરંતુ આવતીકાલમાં જીવી નથી શકતા. પણ અત્યારે લોકો આવતીકાલમાં જીવે છે અને તેથી જ ભયની હયાતી છે. તમે આ વિષે એક જ વસ્તુ કરી શકો, તે એ છે કે તમે વાસ્તવિકતામાં આવી જાઓ. જો તમે માત્ર અત્યારે જે હયાત છે તેનો પ્રત્તીઉતર આપો અને જે નથી તેની કલ્પના છોડી દો તો પછી ભય હોવાની કોઈ શક્યતા નથી. એકવાર તે ભ્રમ જ નહીં રહે ત્યારે ભય ક્યાં હશે? તમે જે વસ્તુ હયાત નથી તેની કલ્પના છોડી દેશો, અને અત્યારે જે હયાત છે તેનો પ્રતિઉત્તર આપશો.

કૃપા કરીને આ ધ્યાન આપો અને વિચારો કે આખરે શું થઇ શકે છે? વધારેમાં વધારે તમે મૃત્યુ પામશો, બીજું કશું નહીં. ઓછામાં ઓછું મૃત્યુ આવે તે પહેલાં થોડું જીવી લો, આમ પણ તમે મૃત્યુ તો પામવાના જ છો. આપણે આપણું મૃત્યુ નીપજે તેવું ઇચ્છતાં નથી. આપણે ઘણાં વર્ષો સુધી જીવવાની યોજના બનાવી રહ્યાં છે, પરંતુ મૃત્યુ થઇ શકે છે, ખરુંને? જીવન ખરેખર સુરક્ષિત નથી. સવાલ માત્ર એટલો જ છે કે તમે કેટલી કૃપા વડે અને કેટલી આઝાદીથી આ જીવન જીવ્યા છો. જો તમે ખરેખર જીવ્યા હશો તો મૃત્યુ પામવું ઘણું મુલ્યવાન બની રહેશે. નહીં તો જીવન એક અફસોસ બની રહેશે અને મૃત્યુ પણ એક અફસોસ જ રહેશે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

સુવિચાર – ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩

સુવિચાર – ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩