Home Blog Page 258

US ટ્રેડ ડીલમાં ટ્રમ્પે PoK, અક્સાઈ ચિન ભારતનો હિસ્સો દર્શાવ્યો

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના ફ્રેમવર્કની જાહેરાત સાથે એક બીજી બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાએ પાકિસ્તાનને અસહજ કરી દીધું છે અને કૂટનૈતિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ કરી છે.

ટ્રેડ ડીલની માહિતી જાહેર કરતી વખતે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે ભારતનો જે સત્તાવાર નકશો શેર કર્યો છે, તેમાં સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચિનને ભારતનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પગલું અમેરિકાના અગાઉના વલણથી અલગ માનવામાં આવે છે.

જોકે ભારતની પ્રાદેશિક અખંડિતતાને કોઈ બાહ્ય મંજૂરીની જરૂર નથી. ભારત હંમેશાં સ્પષ્ટ કહી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીર તેનો અભિન્ન ભાગ છે. છતાં અમેરિકાની તરફથી આ પ્રકારનો નકશો જાહેર થવો પાકિસ્તાન માટે મજબૂત રાજકીય અને કૂટનીતિક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ નકશામાં સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર વિસ્તાર, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ સામેલ છે, તેને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, અક્સાઈ ચિનને પણ ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અક્સાઈ ચિન પર ચીન લાંબા સમયથી દાવો કરતું આવ્યું છે. ભારત સતત કહે છે કે જમ્મુ-કાશ્મીર તેનો અભિન્ન ભાગ છે, પરંતુ અમેરિકા દ્વારા પહેલી વાર નકશામાં PoKને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ નકશો તેવા સમયમાં જાહેર થયો છે જ્યારે ભારત અને અમેરિકા તણાવપૂર્ણ સમયગાળા પછી ફરી સંબંધોને સંતુલિત કરવાની કોશિશ કરી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો હતો, જે સહયોગી દેશોમાં સૌથી વધુ હતો. હવે ટ્રેડ સમજૂતીમાં તેને ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ નકશાને કારણે પાકિસ્તાન અને ચીનને રાજકીય ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે. અક્સાઈ ચિનને ભારતનો ભાગ બતાવવો ચીન માટે ખાસ અસ્વસ્થતા સર્જનાર છે.

આ નકશો કેમ મહત્વનો છે?

અત્યાર સુધી અમેરિકાના વિદેશ વિભાગ અથવા અન્ય સત્તાવાર એજન્સીઓ દ્વારા જાહેર થતા નકશાઓમાં PoK અંગે સ્પષ્ટ સીમા દર્શાવવામાં આવતી હતી જેથી પાકિસ્તાનની આપત્તિઓને સંતુલિત રાખી શકાય. પરંતુ ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા તાજા નકશામાં પાકિસ્તાનના દાવાઓને સંપૂર્ણ અવગણવામાં આવ્યા હોય એવું જણાય છે.

કર્ણાટક વિધાનસભાએ વિવાદિત VB-G RAM G પ્રસ્તાવ પાસ કર્યો

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાએ વિવાદિત VB-G RAM G અધિનિયમ સામે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિરોધ પક્ષ ભાજપે તરત જ આ પ્રસ્તાવને ગેરકાયદે ગણાવ્યો છે, જેને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કાનૂની અને રાજકીય ટકરાવની શક્યતા ઊભી થઈ છે.

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની અંદર જ મુખ્ય મંત્રી બદલવાની માગ ઊઠવા લાગી છે. વિધાનસભાના ઘણા સભ્યો (MLA) અને તેમના સમર્થકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ડી.કે. શિવકુમારે હાલના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની જગ્યાએ પદ સંભાળવું જોઈએ.

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસ MLC યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ ગેરકાયદે નથી. આ કેવી રીતે ગેરકાયદે થઈ શકે? સરકારને સંપૂર્ણ અધિકાર છે, અને અમારા રાજ્યના ધારાસભ્યોને પણ સંપૂર્ણ અધિકાર છે કે જો આ કર્ણાટકના લોકોના હિત વિરુદ્ધ હોય તો તેઓ પ્રસ્તાવ પાસ કરી શકે છે.

મુખ્ય મંત્રી બદલવાની અટકળો

મુખ્ય મંત્રી બદલવાના પ્રશ્ન પર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો હતો, “લોકો એવી વાતો કરી રહ્યા છે, પરંતુ હાઈ કમાન્ડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય. મને લાગતું નથી કે નેતૃત્વ બદલાશે તેવી કોઈ શક્યતા છે. કોંગ્રેસમાં ઘણા લાયક નેતાઓ છે, જે મુખ્ય મંત્રી બની શકે છે. પરંતુ અંતિમ નિર્ણય હાઈ કમાન્ડનો હોય છે. હાઈ કમાન્ડે નેતૃત્વ બદલવા વિશે કંઈ કહ્યું નથી. તેથી હાલ માટે મને લાગે છે કે વર્તમાન મુખ્ય મંત્રી પાંચ વર્ષ સુધી પદ પર રહેશે.

કર્ણાટકમાં કોંગ્રેસ નેતાઓએ આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદલે પરંપરાગત બેલેટ પેપરનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ પ્રસ્તાવનો હેતુ પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયા અંગે પક્ષના કેટલાક સભ્યોની ચિંતાઓ દૂર કરવાનો છે.

Rose Day: જ્યારે મધુબાલાએ દિલીપ કુમારને ગુલાબ મોકલ્યું ને પછી…

ફેબ્રુઆરી મહિનો છે. વેલેન્ટાઇન વીક આ મહિનાની 7મી થી 14મી તારીખ સુધી ઉજવવામાં આવે છે. આજે રોઝ ડે (Rose Day)થી શરૂ થાય છે. આ પ્રસંગે દિલીપ કુમાર અને મધુબાલા વિશે એક રસપ્રદ વાત જાણીએ.

વેલેન્ટાઇન ડે વીક આજે, 7 ફેબ્રુઆરી, રોઝ ડે સાથે શરૂ થાય છે. પ્રસંગ ગમે તે હોય, ફિલ્મ જગતમાંથી તેની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓ હોય જ છે. જોકે, આ વાર્તા રોઝ ડે કે વેલેન્ટાઇન ડે વિશે નથી. પણ ગુલાબનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવ્યો છે. ગુલાબને પ્રેમનું સૌથી સુંદર પ્રતીક માનવામાં આવે છે. મધુબાલાએ કદાચ એ જ માનીને દિલીપ કુમારને ગુલાબ મોકલ્યું હશે. આગળ શું થયું? એ જાણો.

મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમકથા ગુલાબથી શરૂ થઈ હતી

એક સમય હતો જ્યારે મધુબાલા અને દિલીપ કુમારના પ્રેમસંબંધની વાતો સમગ્ર ઉદ્યોગમાં ગુંજતી હતી. એવું કહેવાય છે કે મધુબાલા દિલીપ કુમારની ચાહક હતી. પછી, ધીમે ધીમે તેણી તેમને પસંદ કરવા લાગી. એકબીજા પ્રત્યે આ પ્રેમ અને આકર્ષણ ઝડપથી પરસ્પર બન્યું. રસપ્રદ વાત એ છે કે, આ પ્રેમ ગુલાબથી શરૂ થયો. તે ત્યારે શરૂ થયું જ્યારે દિલીપ કુમારે મધુબાલા દ્વારા મોકલવામાં આવેલ ગુલાબ સ્વીકાર્યું.

પત્ર સાથે ગુલાબ મોકલ્યું

જ્યારે મધુબાલાએ પહેલી વાર દિલીપ કુમારને જોયા, ત્યારે તેણીએ તેમનામાં પોતાની દુનિયા જોઈ. દિલીપ કુમાર પણ અપરિણીત હતા. પરંતુ તેને ખ્યાલ નહોતો કે મધુબાલા તેના પ્રેમમાં પડી ગઈ. એક દિવસ કોઈ તેની પાસે આવ્યું અને કહ્યું કે મધુબાલાએ તેને આ પત્ર અને એક પેકેટ આપ્યું છે. દિલીપ કુમારે પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું, “હું તમને ગુલાબ મોકલી રહી છું. જો તમે મારા પ્રેમનો સ્વીકાર કરો છો, તો તેને રાખો, નહીં તો તે જ હાથથી પાછું મોકલો.” દિલીપ કુમારે ફૂલ રાખ્યું. આ રીતે ફિલ્મના બે શ્રેષ્ઠ સ્ટાર્સ વચ્ચે રોમેન્ટિક સફર શરૂ થઈ.

મધુબાલાના પિતાના કારણે છૂટાછેડા થયા!

જોકે, આ સફળ પ્રેમ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. મધુબાલા અને દિલીપ કુમારે પહેલી વાર 1951માં આવેલી ફિલ્મ “તરાના” માં સાથે કામ કર્યું હતું. તેઓ ત્યાં મળ્યા, અને તેમની નિકટતા વધતી ગઈ. ત્યારબાદ તેઓએ ત્રણ વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું. તેમનુ અફેર લગભગ નવ વર્ષ ચાલ્યું. જોકે, આ સંબંધ શ્રાપિત લાગતો હતો, અને દિલીપ કુમાર અને મધુબાલા અલગ થઈ ગયા. મધુબાલાના પરિવારે તેણીને બહાર શૂટિંગ કરવાની મંજૂરી આપી ન હતી. આખરે તેના પિતા અતાઉલ્લાહ ખાનનું જ ચાલ્યું. મધુબાલાના પિતાએ અહેવાલ મુજબ તેમની પુત્રી અને દિલીપ કુમારના સંબંધને પણ મંજૂરી આપી ન હતી. એવું માનવામાં આવે છે કે દિલીપ કુમાર અને મધુબાલાના અલગ થવાનું કારણ અતાઉલ્લાહ ખાન હતા.

દિલીપ કુમારે કહ્યું હતું, “હું હંમેશા તેને પ્રેમ કરીશ.”

જોકે, મધુબાલાની બહેન, મધુર બ્રિજભૂષણે ફિલ્મફેર સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના અલગ થવાનું કારણ કોર્ટ કેસ હતો. “નયે દૌર” નામની ફિલ્મ બની રહી હતી. મધુબાલાના પિતાએ શૂટિંગ સ્થાન બદલવાની વિનંતી કરી હતી, જેને બીઆર ચોપરાએ નકારી કાઢી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો. દિલીપ કુમારે બીઆર ચોપરાનો પક્ષ લીધો. આનાથી મધુબાલાનું દિલ તૂટી ગયું. તે દિલીપ કુમારથી નારાજ થઈ ગઈ, અને તેમની વચ્ચે અંતર વધી ગયું. ફિલ્મ “મુઘલ-એ-આઝમ” નું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે બંને સેટ પર એકબીજા સાથે વાત પણ કરતા નહોતા. જોકે, આ ફિલ્મમાં બંને વચ્ચે જે દર્શાવવામાં આવ્યું છે તે ફક્ત અભિનય જ નહીં, પરંતુ તેમનો પ્રેમ હતો. દિલીપ કુમારે મધુબાલા વિશે કહ્યું હતું કે, “હું હંમેશા તેને પ્રેમ કરીશ.” 23 ફેબ્રુઆરી, 1969 ના રોજ, મધુબાલાનું હૃદય રોગને કારણે 36 વર્ષની વયે અવસાન થયું. દિલીપ કુમારની વાત કરીએ તો, તેમનું 2021 માં અવસાન થયું.

ભારતમાં અમેરિકન કૃષિ ઉત્પાદનોને ‘નો એન્ટ્રી’, જાણો…

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે વચગાળાના વેપાર કરારની રૂપરેખા પર સહમતી જાહેર કરવામાં આવી છે. આ કરાર મુજબ અમેરિકા ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદન મુજબ ભારત અમેરિકાના ઔદ્યોગિક માલ, સૂકા અનાજ, પશુઆહાર માટેનું લાલ જુવારર, મેવા, તાજા અને પ્રોસેસ્ડ ફૂડ, સોયાબીન તેલ, દારૂ, સ્પિરિટ સહિત અનેક ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરશે. જેને કારણે આ અમેરિકન ઉત્પાદનો ભારતમાં સસ્તાં થશે.

ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો માલ ખરીદશે

આ કરાર હેઠળ ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો માલ ખરીદવાની યોજના ધરાવે છે. તેમાં ઊર્જા ઉત્પાદનો, વિમાનો અને તેના પુર્જા, કીમતી ધાતુઓ, ટેક્નોલોજી ઉત્પાદનો અને કોકિંગ કોલસો સામેલ છે. બંને દેશો GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) અને ડેટા સેન્ટર સંબંધિત સાધનોના વેપારમાં વધારો કરશે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકાર વધારશે.

ભારતનાં કયાં ઉત્પાદનોને લાભ મળશે

ટેરિફમાં ઘટાડાથી ભારતના કાપડ, વસ્ત્ર, ચામડું, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર, ઓર્ગેનિક કેમિકલ્સ, ઘર સજાવટ સામાન, હસ્તકલા અને કેટલીક મશીનરીના નિકાસમાં વધારો થશે. એ ઉપરાંત અમેરિકા જતી જેનરિક દવાઓ, રત્ન-હીરા અને વિમાનના કલપુર્જા પર ઝીરો ટેરિફ લાગુ થશે. વાહન કલપુર્જાઓ માટે પણ રાષ્ટ્રીય સુરક્ષા જોગવાઈઓ હેઠળ ભારતને પ્રાથમિક દર ક્વોટા મળશે. બંને દેશો નોન-ટેરિફ અવરોધો પણ દૂર કરશે, જે 191 અબજ ડોલરથી વધુના દ્વિપક્ષી વેપારને અસર કરે છે.

MSME, ખેડૂત અને માછીમારો માટે મોટું બજાર ખૂલશે

આ કરારથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME, ખેડૂત અને માછીમારો માટે લગભગ 30,000 અબજ ડોલરનું મોટું બજાર ખૂલશે. નિકાસ વધવાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો રોજગાર તકો ઊભી થશે. ભારત મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ, ચીઝ, ઇથેનોલ, તમાકુ, શાકભાજી અને માંસ જેવાં સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણ સુરક્ષા આપશે.

મસાલાઓ અંગે ભારતનું સ્પષ્ટ વલણ

કૃષિ અને ડેરી ઉત્પાદનો ઉપરાંત, અનેક મસાલાઓ પણ પ્રતિબંધ યાદીમાં સામેલ છે. ભારત અમેરિકા પાસેથી કાળા મરી, લવિંગ, સૂકી લીલાં મરચાં, તજ, ધાણા, જીરું, હીંગ, આદું, હળદર, અજમો, મેથી, ચક્રમર્દ, કેસિયા, સરસવ, રાઈ, ભૂસી અને અન્ય પાઉડર મસાલાઓ આયાત નહીં કરે.

રાજેન્દ્રકુમારની ‘ધૂલ કા ફૂલ’ માં પહેલાં રાજકુમાર હતા!

યશ ચોપરાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે અનેક યાદો જોડાયેલી છે. યશ ચોપરાએ શાહરૂખ ખાન સાથેની એક મુલાકાતમાં પ્રથમ ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ (1959) કેવી રીતે મળી અને હીરો કેમ બદલાયો એની રસપ્રદ અને અજાણી વાતો કરી હતી. યશજીને પ્રથમ તક માત્ર ને માત્ર ભાઈ બી.આર. ચોપરાના કારણે મળી હતી. શરૂઆતમાં યશજી મોટાભાઈની સાથે એક એપ્રેન્ટીસ તરીકે જોડાયા હતા. પછી સહાયક બન્યા હતા.

થોડા સમયા પછી બી.આર. ચોપરાએ વિચાર્યું કે હવે એમના સહાયકને નિર્દેશનની તક આપવી જોઈએ. તે સમયે ઉમ્મી બેદી એમના મુખ્ય સહાયક હતા અને યશજી બીજા સહાયક હતા. ઈમાનદારીથી જોવામાં આવે તો પહેલી તક ઉમ્મી બેદીને મળવી જોઈતી હતી પણ ભાઈને યશજી પ્રત્યે લાગણી હતી એટલે તેમણે રસ્તો કાઢ્યો કે તમે બંને સાથે નિર્દેશન કરો.

યશજીને એક તરફ આનંદની લાગણી હતી અને સાથે દુઃખ પણ હતું કે ક્રેડિટ વહેંચવી પડશે. પણ ઉપરવાળો ક્યારેય એમને નીચું જોવા દેતો નથી. અચાનક ઉમ્મી બેદીને બીજી એક ફિલ્મમાં સ્વતંત્ર નિર્દેશક તરીકેની ઓફર મળી અને તેમણે આ ફિલ્મ છોડી દીધી. ફિલ્મ ‘કરોડપતિ’ (1961) ઉમી બેદીની સૌથી જાણીતી ફિલ્મ છે.

આ એક કોમેડી-ડ્રામા ફિલ્મ હતી. જેમાં કિશોરકુમાર, શશિકલા અને અનુપ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. ઉમી ખસી જતાં કશું જ કર્યા વગર યશજીનો રસ્તો સાફ થઈ ગયો અને સ્વતંત્ર નિર્દેશક બની ગયા. ફિલ્મનું નામ ‘ધૂલ કા ફૂલ’ એમને મહાન કવિ પ્રદીપદાદાએ આપ્યું હતું. તેઓ બહુ મોટા કવિ હતા. તેમને વાર્તા કહી ત્યારે તેમણે તરત જ આ ટાઈટલ સૂચવ્યું હતું. ફિલ્મમાં હીરોનો રોલ થોડો નેગેટિવ હતો. એવો હીરો જે છોકરી સાથે સંબંધ બાંધીને તેને છોડી દે છે. બી.આર. ચોપરાએ રાજકુમારને લેવાનું વિચાર્યું હતું. રાજકુમાર સ્ટુડિયો પર આવ્યા અને બી.આર. ચોપરાને કહ્યું કે હું ઈચ્છું છું કે શૂટિંગ દરમિયાન તમે સેટ પર હાજર રહો.

આ નવો નિર્દેશક (યશ ચોપરા) શું કરશે તેની મને ખબર નથી. યશજી બહાર લોનમાં ઊભા હતા. કારણ કે ત્યારે નવા નિર્દેશકને ઓફિસમાં જવાની પરવાનગી નહોતી. બી.આર. ચોપરાએ રાજકુમારની વાત સાંભળી અને સાંજે જ પ્રોડક્શન ઈન્ચાર્જને કહી દીધું કે રાજકુમારને કહી દો કે તેઓ આ ફિલ્મમાં કામ કરી રહ્યા નથી. એ દિવસે યશજીને સમજાયું કે હિંમત શું કહેવાય અને ફિલ્મ મેકર તરીકે તમારું સ્થાન શું હોય છે. ત્યારબાદ રાજેન્દ્રકુમાર પાસે વાત ગઈ.

રાજેન્દ્રકુમાર શરૂઆતમાં બીજો એક રોલ ઇચ્છતા હતા. એમને એ ભૂમિકા સારી લાગી હતી જે પછીથી મનમોહન કૃષ્ણએ ભજવી હતી. પણ બી.આર. તેમને હીરો તરીકે જ લેવા માગતા હતા. એ માટે એમણે કહ્યું કે તેમને ફિલ્મ ‘કાનૂન’ માં પણ રોલ મળશે. અને આ રીતે રાજેન્દ્રકુમાર ‘ધૂલ કા ફૂલ’ સાથે જોડાયા હતા.

પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની બિહાર પોલીસે કરી ધરપકડ

પટનાઃ બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવને શુક્રવારની મોડી રાત્રે ઘણી કલાકોની મહેનત બાદ પટના પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તેમની પટનામાં આવેલી મંદિરવાળી રહેણાક જગ્યાએ પહોંચી હતી. આ દરમિયાન પપ્પુ યાદવ અને તેમના સમર્થકો વચ્ચે પોલીસ સાથે ભારે બોલાચાલી થઈ. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે ધક્કામુક્કીની નોબત આવી ગઈ. લાંબા સમય સુધી ચાલેલા હંગામા બાદ પોલીસે પપ્પુ યાદવને પોતાની સાથે લઈ ગઈ હતી. તેમની તબિયત બગડી હતી. જોકે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

પપ્પુ યાદવે શું આક્ષેપ કર્યા?

પ્રાપ્ત માહિતી મુજબ પપ્પુ યાદવની 35 વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તેમની જામીન અરજી નામંજૂર થઈ ગઈ હતી, જે પછી પટના પોલીસે આ કાર્યવાહી કરી. પપ્પુ યાદવનો આક્ષેપ છે કે પોલીસ કોઈ વોરંટ વગર તેમના ઘરે આવી અને ધમકી આપી તેમને લઈ ગઈ.

તેમણે કહ્યું કે પોલીસની જવાબદારી છે કે તે જણાવે કે તેમને કયા કેસમાં અને શા માટે ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ન તો તેમને યોગ્ય સન્માન આપવામાં આવ્યું અને ન તો ધરપકડ સંબંધિત જરૂરી દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ દીપક નામની એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં આવી હતી અને તેણે ગુનેગારો જેવું વર્તન કર્યું હતું.

મામલો શો છે?

કહેવામાં આવે છે કે 35 વર્ષ પહેલાં જે ભાડાના મકાનમાં પપ્પુ યાદવ રહેતા હતા, બાદમાં તેમણે ત્યાં પોતાનું પાર્ટી કાર્યાલય પણ બનાવી દીધું હતું. આ વિવાદને લઈને તેમની સામે કેસ નોંધાયો હતો અને હવે એટલાં વર્ષો પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. પપ્પુ યાદવની ધરપકડ પછી બિહારના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આક્ષેપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે અને આ કાર્યવાહી મુદ્દે રાજકીય ઘમસાણ શરૂ થયું છે.

કાઠિયાવાડી વરાળીયું શાક

શિયાળામાં દરેક પ્રકારના શાક સારા મળે છે અને શાકની વેરાયટી પણ અધધ બને છે!! ઉંધિયું લોકપ્રિય શાક છે તો, કાઠિયાવાડનું પ્રખ્યાત શાક છે વરાળીયું!

સામગ્રીઃ નાની સાઈઝના રીંગણાં 7-8, નાની સાઈઝના બટેટા 7-8, ટામેટાં 4-5, સૂકા લસણના આખા ગાંઠિયા 2-3(optional), વઢવાણી મરચાં લાલ તેમજ લીલાં 7-8, મધ્યમ સાઈઝના કાંદા 6-7, સરગવાની શીંગ 2(optional), કારેલાં 2-3 (optional), તેલ 4 ટે.સ્પૂન

શાક વઘારવા માટેનો મસાલોઃ 3 ટામેટાંની પ્યુરી, 1 કાંદો, તેલ 2 ટે.સ્પૂન, રાઈ ½ ટી.સ્પૂન, જીરૂ ½ ટી.સ્પૂન, કળી પત્તાના પાન 10-12, ચક્રીફુલ 1, વરાળિયું શાક માટેનો બનાવેલો મસાલો 2 ટે.સ્પૂન, આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન, લીલું સમારેલું લસણ 1 ટે.સ્પૂન, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન, તમાલપત્રના પાન 2, લવિંગ 3-4, તજ 2 ટુકડા અડધો ઈંચના, સૂકા લાલ મરચાં 2, હીંગ ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન

વરાળિયું શાક માટેનો મસાલોઃ શેકેલા શીંગદાણા 1 કપ, આખા ધાણા 1 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન, વરિયાળી 1 ટે.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ગરમ મસાલો 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, આદુ-મરચાં તેમજ લસણની પેસ્ટ 3-4 ટે.સ્પૂન, લીંબુનો રસ 2 ટે.સ્પૂન, પાપડી ગાંઠિયા કે ભાવનગરી ગાંઠિયા 100 ગ્રામ, મિક્સ ફરસાણ 100 ગ્રામ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, કાળા મરી 6-7 નંગ, તેલ 1 ટે.સ્પૂન, સાકર 1 ટી.સ્પૂન (optional), ધોઈને પાન સાથે સમારેલું લીલું લસણ 1 કપ

રીતઃ બટેટાની છાલ કાઢીને ધોઈ લેવા. ત્યારબાદ રીંગણા તેમજ અન્ય શાક પણ ધોઈ લો.

દરેક શાક ભરવાના હોવાથી, તેમાં કટ કરવાના છે. જેમ કે, બટેટા તેમજ રીંગણા ભરતી વખતે બે કાપાં પાડીએ તેમ ચપ્પૂ વડે બે આડાં કટ કરી લેવા. ત્યારબાદ કાંદાને છોલીને તેનો ગાંઠવાળા ભાગ નહીં પણ તેની બીજી સાઈડવાળા ભાગમાં કાપો પાડી લો, જેથી કાંદા છૂટાં ના પડે. સરગવાની શીંગમાંથી 5-6 ટુકડા કરી દરેકમાં એક કટ પાડી લો. લસણના ગાંઠિયા ધોઈ લો, કારેલાંને છોલીને 2-3 ટુકડામાં કટ કરીને તેમાં કાપો પાડી લો.

વરાળિયું શાક માટેના મસાલાની રીતઃ શીંગદાણાના ફોતરાં કાઢી લઈ તેને મિક્સી જારમાં ઉમેરી, તેમાં આખા ધાણા, સફેદ તલ, વરિયાળી, કાળા મરી તેમજ સાકર (optional) મેળવીને પલ્સ મોડ ચલાવી, અધકચરા પીસી લો.

આ મસાલો એક વાસણમાં કાઢી લઈ તેમાં ધાણાજીરૂ, હળદર, આદુ-મરચાં તેમજ લસણની પેસ્ટમાંથી 2 ટે.સ્પૂન પેસ્ટ, લાલ મરચાં પાઉડર, હીંગ, લીંબુનો રસ તથા સમારેલી કોથમીર અને અડધો કપ સમારેલું લીલું લસણ મેળવો.

પાપડી ગાંઠિયાને મિક્સીમાં પલ્સ મોડ પર દરદરા પીસીને તેનો ભૂકો આ મસાલામાં મેળવો. ત્યારબાદ મિક્સ ફરસાણને પણ મિક્સીના પલ્સ મોડ પર દરદરો પીસીને આ ભૂકો પણ મસાલામાં મેળવી દો. મસાલો તૈયાર થયા બાદ 2 ટે.સ્પૂન મસાલો અલગ રાખીને બાકીનો મસાલો દરેક શાકભાજીમાં ભરી લો.

એક ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો મૂકીને પાણી ગરમ કરવા મૂકો. તેની ઉપર સ્ટીલની જાળીવાળું ઢાંકણ અથવા ચાળણી મૂકી એક સુતરાઉ કાપડ ભીનું કરીને પાથરી દો. આ કપડાની ઉપર ભરેલા શાકમાંથી સૌ પથમ બટેટા, રીંગણા તેમજ કાંદા મૂકીને કપડું ઢાંકીને, ઉપર સ્ટીલનું ઢાંકણ ઢાંકી, ગેસની મધ્યમ આંચે 20 મિનિટ શાક બફાવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને તે જ શાકની ઉપર બાકી રહેલાં ટામેટાં, મરચાં ગોઠવીને કપડું તેમજ ઢાંકણ ઢાંકીને ફરીથી 10 મિનિટ માટે શાક બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને શાક થોડું ઠંડું થવા દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી, રાઈ-જીરાનો વઘાર કરી, તેમાં લવિંગ, ચક્રીફુલ, તજ, તમાલપત્ર વઘારીને સમારેલો કાંદો સોનેરી રંગનો સાંતળી લો. ત્યારબાદ ટામેટાંની પ્યુરી મેળવીને સાંતળી લીધા બાદ લાલ મરચાં પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, આદુ-લસણની પેસ્ટ તેમજ બાકી રાખેલો વરાળિયા શાકનો મસાલો મેળવીને 2 મિનિટ સાંતળી લીધા બાદ તેલ છૂટું પડે એટલે એક ગ્લાસ પાણી નાખીને તે ઉકળે એટલે બધા શાક એક-એક કરીને તેમાં ગોઠવીને ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને શાકને 10 મિનિટ ગેસની ધીમી આંચે થવા દો. ત્યારબાદ આ તૈયાર શાક ગરમાગરમ રોટલી, પરોઠા, ભાખરી કે રોટલા સાથે પીરસો.

૦૭ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 07/02/2026

સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયાની ફિલ્મ માટે અરિજીતે ગાયું ગીત, ટીઝર રિલીઝ

પ્લેબેક સિંગિંગને અલવિદા કહ્યા પછી અરિજીત સિંહના નવા ગીતનું ટીઝર હવે રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે પણ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી જ તે સમાચારમાં છે. આ દરમિયાન તેમના નવા ગીતનું ટીઝર રિલીઝ થયું છે. અરિજિતે આ ગીત શોર્ટ ફિલ્મ “ઇકોઝ ઓફ અસ” માટે ગાયું છે, જેમાં યુલિયા વંતુર અને દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત સલમાન ખાનના મ્યુઝિક લેબલ હેઠળ બનાવવામાં આવ્યું છે.

જો રાજન દ્વારા દિગ્દર્શિત યુલિયાની શોર્ટ ફિલ્મ “ઇકોઝ ઓફ અસ” માં અરિજીતે પોતાનો અવાજ આપ્યો છે. આજે પહેલું ગીત “તેરે સંગ” નું ટીઝર રિલીઝ થયું. આ ગીતમાં યુલિયા વંતુર અને દીપક તિજોરી જોવા મળે છે. અરિજીત સિંહે યુલિયા સાથે આ ગીત સહ-લેખિત કર્યું છે. આ ગીત સલમાન ખાન ફિલ્મ્સ મ્યુઝિકના બેનર હેઠળ રિલીઝ થયું હતું. યુલિયા ઘણા સમયથી સલમાન ખાન સાથે સંકળાયેલી છે. હવે, યુલિયાની શોર્ટ ફિલ્મ માટેનું ગીત પણ સલમાન ખાને પોતે લોન્ચ કર્યું છે. આનાથી ફરી એકવાર તેમની નિકટતા અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

આ ફિલ્મ પૂજા બત્રા દ્વારા નિર્મિત છે. “ઇકોઝ ઓફ અસ” માં દીપક તિજોરી અને યુલિયા વંતુર, તેમજ સ્પેનિશ અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હેલન મેરેડિઝ છે. “તેરે સંગ” ગીત યુલિયા અને અરિજીતના પ્રથમ સહયોગને દર્શાવે છે. આ શોર્ટ ફિલ્મનું નિર્માણ અભિનેત્રી પૂજા બત્રા દ્વારા એલાયન્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું હતું. સલમાન ખાને”ઇકોઝ ઓફ અસ” ટીમને ફિલ્મની રિલીઝ પર અભિનંદન પાઠવ્યા હતાં.