Home Blog Page 232

બોર્ડ ઓફ પીસમાં છે કેટલા દેશો? આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર કરતાં છે કેટલું શક્તિશાળી છે? જાણો…

ગાઝા સંકટના ઉકેલ માટે અને વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવી પહેલ ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace) શરૂ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ એટલું શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે કે તે આવનારા સમયમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) જેવી સંસ્થાને પણ પડકાર ફેંકી શકે છે. વોશિંગ્ટન સ્થિત ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ’ ખાતે યોજાયેલી આ સંગઠનની પ્રથમ બેઠકમાં વિશ્વના આશરે 50 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ભારતની ભૂમિકા અને સભ્ય દેશો
આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારત પણ સામેલ થયું હતું, પરંતુ સભ્ય તરીકે નહીં પણ ‘નિરીક્ષક’ તરીકે. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસના પ્રભારી નામગ્યા ખંપાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતને આ ફોરમમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ આ દરખાસ્ત પર વિચારણા ચાલી રહી છે અને ઔપચારિક સભ્યપદ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

હાલમાં આ બોર્ડમાં 27 દેશોને ઔપચારિક સભ્ય તરીકે જાહેર કરાયા છે, જેમાં ઇઝરાયેલ, ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, કતાર, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત જેવા મુખ્ય દેશોનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રથી અલગ અને વધુ કેન્દ્રિત માળખું
‘બોર્ડ ઓફ પીસ’નું માળખું પરંપરાગત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતા તદ્દન અલગ છે. જ્યાં સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ પણ નિર્ણય માટે વ્યાપક સર્વસંમતિ અને વીટો પાવર જેવી પ્રક્રિયાઓ હોય છે, ત્યાં આ નવા બોર્ડમાં નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ કેન્દ્રિત રખાઈ છે. પ્રસ્તાવિત માળખા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પને આ સંસ્થાના ‘આજીવન પ્રમુખ’ બનાવવામાં આવ્યા છે અને તેમને વ્યાપક સત્તાઓ સોંપવામાં આવી છે.

આર્થિક રીતે વધુ મજબૂત બનવાની ક્ષમતા
આ સંગઠનનું આર્થિક મોડેલ પણ ચર્ચાનો વિષય બન્યું છે. કાયમી સભ્યપદ મેળવવા ઈચ્છતા દેશોએ એક અબજ ડોલર સુધીનું યોગદાન આપવું પડશે. આ ભંડોળ સંગઠનને આર્થિક રીતે અત્યંત શક્તિશાળી બનાવી શકે છે, જે સંયુક્ત રાષ્ટ્રની સરખામણીએ વધુ આત્મનિર્ભર રહેશે, કારણ કે UN હંમેશા સભ્ય દેશોના ફાળા અને બજેટ વિવાદોથી ઘેરાયેલું રહે છે.

જોકે, સંયુક્ત રાષ્ટ્ર 1945થી કાર્યરત છે અને 190થી વધુ સભ્ય દેશો ધરાવે છે, તેથી અનુભવ અને વૈશ્વિક માન્યતાની દ્રષ્ટિએ તે હજુ પણ ઘણું આગળ છે. તેમ છતાં, ‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા શરૂ થયેલી આ નવી રાજદ્વારી પહેલ આગામી સમયમાં વિશ્વ શાંતિના પ્રયાસોમાં કેવો બદલાવ લાવશે, તેના પર આખી દુનિયાની નજર છે.

એકનાથ શિંદે સાથે મુલાકાતના રાજકીય વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું મોટું નિવેદન!

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથેની તેમની મુલાકાત પર થઈ રહેલી રાજકીય ચર્ચાઓનો કડક જવાબ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો કે દરેક મુલાકાતમાં રાજકારણ શોધવું કેમ જરૂરી છે? તેમણે સ્પષ્ટ કર્યું કે હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને જો રાજ્યના હિતમાં સકારાત્મક કામ કરવા હોય તો નેતાઓનું એકબીજાને મળવું સ્વાભાવિક છે.

ઠાકરેએ ઉમેર્યું કે “વિકાસનો અર્થ માત્ર રસ્તા બનાવવા નથી, પરંતુ શહેરોમાં વધતી જતી ભીડ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવો પણ છે.” તેમણે મુંબઈ જેવા શહેરોમાં પાર્કિંગની અવ્યવસ્થા અને વસ્તીના વધારા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે “બિલ્ડિંગોમાં સુવિધા હોવા છતાં લોકો રસ્તા પર ગાડીઓ ઉભી રાખે છે, જેના કારણે શિસ્ત જળવાતી નથી.”

વધુમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે શહેરોમાં આવતા લોકો પાછા નથી જતા અને આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી સાથે પણ ચર્ચા કરી છે. તેમણે સિસ્ટમ પર પ્રહાર કરતા કહ્યું કે “જ્યાં સુધી કડક દંડ નહીં વસૂલવામાં આવે ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં.” સરકારી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે અત્યારે ‘વાડ જ ચીભડાં ગળે’ તેવી સ્થિતિ છે, કારણ કે આપણા જ તંત્રના લોકો ગેરકાયદે રહેતા લોકોને કાગળિયા કરી આપે છે.

ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કોઈ પણ શહેરમાં કેટલા લોકો રહી શકે તેની મર્યાદા નક્કી થાય. વિપક્ષના નેતા તરીકે રાજ્યના શહેરોને બરબાદ થતા રોકવા અને જનતાના પ્રશ્નો ઉઠાવવા એ તેમની જવાબદારી છે અને માત્ર અંતર રાખવાથી કોઈ સમસ્યા ઉકેલાશે નહીં.

અમેરિકાનું Pax Silica શું છે? જેમાં ભારત પણ જોડાયું અને AI મામલે કર્યા હસ્તાક્ષર

Pax Silicaમાં ભારતની ભાગીદારી માત્ર AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ફાયદાઓ પ્રદાન કરશે નહીં, પરંતુ વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેઇનને વધુ સુરક્ષિત અને સમાવિષ્ટ બનાવવામાં પણ ફાળો આપશે. આ ભારતના “મેક ઇન ઇન્ડિયા” અને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું સાબિત થઈ શકે છે.

આજે એટલે કે 20 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મહત્વપૂર્ણ પગલામાં ભારત ઔપચારિક રીતે યુએસના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક જોડાણ Pax Silicaમાં જોડાયું. આ નિર્ણય નવી દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન લેવામાં આવ્યો હતો, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, યુએસના આર્થિક બાબતોના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ જેકબ હેલબર્ગ અને યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે Pax Silica ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

Pax Silica શું છે?

Pax Silica એ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની એક મુખ્ય પહેલ છે, જે ડિસેમ્બર 2025 માં શરૂ કરવામાં આવી હતી. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય એઆઈ, સેમિકન્ડક્ટર્સ, મહત્વપૂર્ણ ખનિજો (જેમ કે લિથિયમ, કોબાલ્ટ, વગેરે) અને સંબંધિત સપ્લાય ચેઇન સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને નવીનતા-સંચાલિત છે તેની ખાતરી કરવાનો છે. આ જોડાણ બળજબરીથી નિર્ભરતા ઘટાડવા અને વિશ્વસનીય ભાગીદાર દેશો વચ્ચે ઊંડા આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય ભાગ લેનારા દેશોમાં યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, ઇઝરાયલ, યુનાઇટેડ કિંગડમ, ગ્રીસ, કતાર અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

આ પહેલ સમગ્ર “સિલિકોન સ્ટેક” ને આવરી લે છે – ખનિજ નિષ્કર્ષણથી લઈને ઊર્જા, અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ સુધી. યુએસ અંડર સેક્રેટરી જેકબ હેલબર્ગના શબ્દોમાં, “પેક્સ સિલિકા ખરેખર કોઈ એક દેશને લક્ષ્ય બનાવવા વિશે નથી, પરંતુ અમેરિકાની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા વિશે છે.” તેમણે તેને એક ગઠબંધન તરીકે વર્ણવ્યું જે 21મી સદીના આર્થિક અને તકનીકી ક્રમને વ્યાખ્યાયિત કરશે.

નવી દિલ્હી માટે આનું શું મહત્વ છે?

ભારતનું આ જોડાણમાં જોડાવાથી યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચેના તાજેતરના વેપાર કરારોએ સંબંધોને મજબૂત બનાવ્યા છે. ભૂતકાળમાં કેટલાક ટેરિફ વિવાદો હોવા છતાં, આ પગલું દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પુનઃસ્થાપનનો સંકેત આપે છે.

ભારત માટે મુખ્ય ફાયદા

મહત્વપૂર્ણ ખનિજોના સુરક્ષિત પુરવઠા અને પ્રક્રિયામાં સહયોગ.

સેમિકન્ડક્ટર ઉત્પાદન અને AI માળખાગત સુવિધાઓમાં ભાગીદારી વધુ ગાઢ બનાવવી.

AI મોડેલ વિકાસ, પાયાના મોડેલો અને ગણતરી ક્ષમતામાં વહેંચાયેલ માળખું.

ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા વધારવી અને વૈશ્વિક AI-આધારિત અર્થતંત્રમાં મજબૂત સ્થાન મેળવવું.

વિશ્વસનીય ભાગીદાર સાથે રોકાણ, નવીનતા અને આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન આપવું.

આ પગલું ભારતની ઉભરતી AI ક્ષમતાઓ, વિશાળ એન્જિનિયરિંગ પ્રતિભા અને સેમિકન્ડક્ટર મહત્વાકાંક્ષાઓને વૈશ્વિક માન્યતા પ્રદાન કરે છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારતનો સમાવેશ એ ગઠબંધનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે 21મી સદીના આર્થિક અને તકનીકી ક્રમને વ્યાખ્યાયિત કરશે.

અમિત શાહ કેસ મામલે રાહુલ ગાંધીનું કોર્ટમાં નિવેદન, આગામી સુનાવણી 9 માર્ચે

અમિત શાહ પરની ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થવા પહોંચ્યા. તેમણે પોતાનું નિવેદન નોંધાવ્યું અને કોર્ટ છોડી દીધી. આ કેસમાં આગામી સુનાવણી 9 માર્ચે થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના સંદર્ભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું. તેમણે પોતાની સામેના આરોપોને પાયાવિહોણા ગણાવીને પોતાને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે આ કેસમાં પુરાવા રજૂ કરવા માટે આગામી તારીખ 9 માર્ચ નક્કી કરી છે.

કોર્ટરૂમનો દરવાજો લગભગ અડધા કલાક સુધી બંધ રહ્યો હતો, અને માનહાનિ કેસમાં કલમ 313 હેઠળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ રહી. આ સમય દરમિયાન કોર્ટરૂમમાં સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. કોર્ટરૂમની અંદર અને બહાર બંને જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓએ ભીડને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કર્યો. વ્યવસ્થા જાળવવા માટે વધારાની સાવચેતી રાખવામાં આવી હતી. આ કેસમાં આગામી સુનાવણી 9 માર્ચે થશે, જ્યારે બચાવ પક્ષ પોતાના બચાવ પુરાવા રજૂ કરશે.

રાહુલ ગાંધી એમપી-એમએલએ કોર્ટમાં હાજર થયા

આ પહેલાં તેઓ લખનૌ એરપોર્ટથી રોડ માર્ગે સુલતાનપુર પહોંચ્યા હતા. તેઓ ત્યાંની એમપી-એમએલએ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે આજે તેમને તેમનું નિવેદન નોંધાવવા માટે અંતિમ તક આપી હતી. આ સમયગાળા દરમિયાન સિવિલ કોર્ટમાં સુરક્ષા કડક રહી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા પરિસરની તપાસ કરવામાં આવી હતી. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એક એએસપી અને ચાર સીઓ સહિત ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

આ સંપૂર્ણ વાર્તા છે

હકીકતમાં, રાહુલ ગાંધી પર કર્ણાટકમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. જિલ્લા સહકારી બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને ભાજપ નેતા વિજય મિશ્રાએ સિવિલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુનાવણી ચાલુ છે. રાહુલ ગાંધી 26 જુલાઈ, 2024 ના રોજ કેસમાં હાજર થયા હતા. ત્યારથી, તેઓ સુનાવણીની તારીખો પર ગેરહાજર રહ્યા છે. જ્યારે તેઓ 19 જાન્યુઆરીએ હાજર થવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે કોર્ટે તેમને 20 ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો.

આધુનિક ડાયેટનું સ્વરૂપ: વિકલ્પ ઘણા છે, પણ…

વર્તમાન સમયમાં ડાયેટની ચર્ચા થાય તો ખયાલ આવે છે કે અત્યારે મૉડર્ન ઈટિંગના નામે કેટલાય પ્રકારના ડાયેટ ક્યારેક ન્યુટ્રિશનિસ્ટ દ્વારા, ક્યારેક ડૉક્ટર્સ દ્વારા તો ક્યારેક ગૂગલના આધારે અવનવાં નામે અનુસરવામાં આવે છે. વેસ્ટર્ન ડાયેટના નામે ઘણી વખતે વધુપડતાં પ્રોસેસ્ડ ફૂડ, રિફાઈન્ડ શુગર કે પછી સૅચ્યુરેટેડ ફૅટ્સ ધરાવતાં ખાદ્યો પણ લેવાય છે, જેમાં ઍનિમલ પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે. જરૂર હોય કે ન હોય, કૅલરીને નિયંત્રિત કરવા માટે ક્યારેક પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

આ પ્રકારે અનુસરવામાં આવતી ડાયેટ પૅટર્ન ક્યારેક ફાયદાકારક તો ક્યારેક નુકસાનકારક પણ બની શકે છે. અગર તમે કોઈ નવી ડાયેટરી પૅટર્ન શરૂ કરી રહ્યા છો એટલે કે તમારા રોજિંદા આહારને બદલે ખાદ્યોમાં ફેરફાર કરી રહ્યા છો તો આવો ફેરફાર તમારા શરીરને અનુકૂળ હશે કે નહીં એ જાણવું જરૂરી છે. આ ઉપરાંત, આવા પ્રકારના નવીનીકરણથી તમને કઈ રીતે ફાયદો થઈ શકે એનું વૈજ્ઞાનિક કારણ પણ ચોક્કસ તપાસવું જોઈએ. આ ફેરફાર આહારશાસ્ત્રી, ડાયેટિશિયન કે અન્ય તજ્જ્ઞ દ્વારા થવા જોઈએ, જેથી તમારી આદતોને અનુકૂળ તેમ જ તમારા સ્વાસ્થ્યનું નિદાન થયા પછી એને અનુરૂપ આહારની પૅટર્ન નક્કી કરે. ઑનલાઈન કે પછી તમારા મિત્રો દ્વારા કે પડોશી દ્વારા અપાયેલી સલાહ, જે અગર તથ્ય વગરની છે તો એને અનુસરવાથી તમને આહારથી જે ફાયદા મળવા જોઈએ એ નહીં મળી શકે.

અત્યારે જે મુખ્યત્વે પ્રચલિત આહારકીય સ્વરૂપો (ડાયેટ પૅટર્ન) છે એના દ્વારા હૃદયને લગતા રોગો તેમ જ ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવા માટે મદદ મળી શકે છે. આ ઉપરાંત, વજન ઘટાડવામાં પણ આ પ્રકારનો આહાર અસરકારક રહેશે. આ પ્રકારના ડાયેટમાં મેડિટેરનન  ડાયેટ હમણાં વધુ પ્રચલિત છે. આ આહારપદ્ધતિ હૃદયને હેલ્થી રાખવામાં અસરકારક છે. એમાં શાકાહારી ખાદ્યોનાં અલગ અલગ સ્વરૂપના વિકલ્પ છે, જે આપણી સ્થાનિક રાંધણકળાના નમૂનારૂપ છે. સ્વાસ્થ્ય જાળવણીમાં એનું ખાસ્સું મહત્ત્વ છે, જે અત્યારનાં પરદેશી ખાદ્યોની સરખામણીમાં તદ્દન અલગ પડે છે.

ગુજરાતી વાનગીઓની વાત કરીએ તો ખમણ, ઢોકળાં, પાત્રાં, મૂઠિયાં, વગેરે ટ્રેડિશનલ ગુજરાતી વાનગી અને એમની રાંધણકળા કે જેના દ્વારા હાર્ટ તેમ જ ડાયાબિટીસ જેવા રોગોમાં પણ સકારાત્મક અસર કરે છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઉપરાંત, મેડિટેરનન ડાયેટમાં ફ્રૂટ્સ, સૅલડ, આખાં અનાજ, ધાન્યો, નટ્સ, બીન્સ, ડેરી પ્રોડક્ટ્સ અને નૉન-વેજ પ્રોડક્ટ્સમાં દરિયાઈ ખાદ્યો તેમ જ પોલ્ટ્રીનો સમાવેશ થાય છે.

રિફાઈન્ડ અનાજ, જેવા કે મેંદામાંથી બનતી પ્રોડક્ટ્સની જગ્યાએ જેમાં ફાઈબર્સની માત્રા વધુ હોય એવાં અનાજને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખાંડયુક્ત પીણાંની જગ્યાએ લીંબુપાણી કે નાળિયેરપાણીનો સમાવેશ કરવામાં આવે છે. ફાસ્ટ ફૂડ કે રેડી ટુ ઈટ તેમ જ પ્રિઝર્વ્ડ ફૂડનો ઉપયોગ બંધ કરાય છે. આ બધાં નિયંત્રણ સાથે શરૂ કરાવવામાં આવેલો ડાયેટ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં અસરકારક રહે છે, પરંતુ આ પ્રકારનો આહાર ડાયેટિશિયન કે આહારશાસ્ત્રીને પૂછીને જ શરૂ કરવો જરૂરી છે. તમારા બીજા બધા રિપોર્ટ્સના આધારે જ કોઈ નવો ડાયેટ પ્લાન કે પૅટર્ન શરૂ કરી શકાય.

આ જ રીતે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ એક ટાઈપના ડાયેટનો પ્રકાર છે, જે સમયની સાઈકલ પ્રમાણે આહાર લેવાનું સૂચવે છે. આ ડાયેટ પ્લાનમાં ભૂખ્યા રહેવું અને ખાવું એ બન્ને સમયના આધારે નક્કી થાય છે. આહારના આ પ્રકારમાં તમે શું ખાઈ રહ્યા છો એ એટલું મહત્ત્વનું નથી જેટલું તમે કયા સમયે અથવા કેટલા કલાકના અંતરે ખાઈ રહ્યા છો એ છે. આ પ્રકારનો ડાયેટ ઈન્સ્યુલિનની મદદથી શુગરને ઘટાડવાનું કાર્ય કરવામાં મદદ કરી શકે છે અને મેટાબોલિઝમ વધારીને ફૅટ બાળવામાં પણ સહાયક બની શકે છે. આ પ્રકારના ડાયેટમાં સામાન્ય રીતે 16/8 એટલે કે 16 કલાક ભૂખ્યા રહેવું અને 8 કલાક દરમિયાન આહાર લેવો અથવા તો ૫:૨ એટલે કે અઠવાડિયાના મુખ્ય પાંચ દિવસોમાં બે દિવસ ઉપવાસ કે પછી એક ટાઈમ આહાર લેવો એ બે પ્રકારે અનુસરવામાં આવે છે. વજન ઘટાડવા તથા મેટાબોલિઝમ સુધારવા માટે આ પ્રકારનો ડાયેટ અજમાવી શકાય છે.

અન્ય પ્રકારના આહાર પ્લાનમાં પોષકમૂલ્ય ધરાવતા સ્થાનિક આહાર કે ખાદ્યોનો સમાવેશ થાય છે. આ પ્રકારના આહારમાં ફક્ત કૅલરી કે પછી પ્રોટીનની ગણતરી કરવાને બદલે જે ખાદ્ય પદાર્થના મૂળમાં પરંપરાગત અને આપણા પ્રદેશમાં ઊગતાં અનાજ, ધાન્ય તેમ જ વનસ્પતિ, વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારનો ડાયેટ સારું સ્વાસ્થ્ય બક્ષશે. આપણું શરીર સ્થાનિક આબોહવા તેમ જ ત્યાં બનતા આહાર માટે વધુ અનુકૂળ રહે છે, આથી એને અનુરૂપ ખાદ્ય પદાર્થના ઉપયોગથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઘટશે. આપણાં અનાજ, ધાન્યો, કઠોળ, દાળ, વગેરેનો ઉપયોગ વિદેશી ખાદ્યો કરતાં આપણા શરીરને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ કરશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

કર્ણાટકના બાગલકોટમાં શિવાજી જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો

કર્ણાટકના બાગલકોટમાં શિવાજીની જન્મજયંતિની ઉજવણી દરમિયાન પથ્થરમારાથી તણાવ ફેલાયો હતો. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “સરઘસ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમ જેમ તે મસ્જિદ પાસે પહોંચ્યો, દૂરથી અમારા પર બે પથ્થરમારો કરવામાં આવ્યો.” પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ કરી રહી છે.

કર્ણાટકના બાગલકોટમાં શિવાજી જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો એક બનાવ બન્યો છે. જેના પગલે, તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિસ્તારમાં પ્રતિબંધક આદેશો લાગુ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવાજી જયંતિની શોભાયાત્રા દરમિયાન કથિત પથ્થરમારા બાદ થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે જૂના શહેરમાં આ ઘટના બની હતી જ્યારે બપોરે લગભગ 3:30 વાગ્યે શરૂ થયેલી શોભાયાત્રા મસ્જિદ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.

SP એ પથ્થરમારાની પુષ્ટિ કરી

આ ઘટનામાં પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ ગોયલે જણાવ્યું હતું કે શોભાયાત્રા માટે પૂરતા પ્રમાણમાં દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “અમે બધા ઘટનાસ્થળે હાજર હતા. ગઈકાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ શોભાયાત્રા શરૂ થઈ હતી. જેમ જેમ તે મસ્જિદ પાસે પહોંચતી હતી, તેમ તેમ દૂરથી અમારા પર બે પથ્થર ફેંકવામાં આવ્યા હતા.” SP ના જણાવ્યા અનુસાર, પોલીસને અત્યાર સુધી મળેલી પ્રાથમિક માહિતી અને વીડિયોના આધારે એક પથ્થર એક પોલીસકર્મીને વાગ્યો, જ્યારે બીજો તેના ખભા પર પડ્યો. તેમણે કહ્યું, “કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ પછી, શોભાયાત્રા સરળતાથી ચાલુ રહી અને વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું.”

CCTV ફૂટેજનો ઉપયોગ કરીને ઘટનાની સમીક્ષા ચાલુ છે

પોલીસે જણાવ્યું હતું કે શોભાયાત્રા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહી. તેમણે ઉમેર્યું, “ઘટનાસ્થળે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અમે શોભાયાત્રાનું રેકોર્ડિંગ પણ કર્યું. અમે વીડિયો ફૂટેજની સમીક્ષા કરી રહ્યા છીએ. સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

બાગલકોટના અનેક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
આ દરમિયાન, બાગલકોટના કેટલાક ભાગોમાં ૧૯ ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી ૨૪ ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યા સુધી ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૩ હેઠળ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો જાહેર સ્થળોએ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે. ખતરનાક શસ્ત્રો રાખવા જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને પૂર્વ પરવાનગી વિના સભાઓ, કાર્યક્રમો અથવા વિરોધ પ્રદર્શનો યોજવા પર પણ પ્રતિબંધ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં બે ધર્મના લોકો વચ્ચે અથડામણના અહેવાલો પણ મળ્યા છે. અહેવાલો અનુસાર, બે જૂથોના લોકોએ સરઘસ દરમિયાન એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. બંને સ્થળોએ હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

મનન કોટકે વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતાર્યું

મુંબઈ: ચિત્રલેખાના વાઈસ ચૅરમૅન મનન કોટકે વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતારતા પુસ્તક ‘લાઈફ, બિઝનેસ ઍન્ડ સ્પિરિચ્યુઅલ વિઝડમ-વલ્લભ ભણસાલી’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે.જેના વિમોચનનો એક કાર્યક્રમ હમણાં 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ સ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ખાતે યોજાઇ ગયો.કાર્યક્રમનો એક રસપ્રદ ભાગ હતો મનન કોટકનો વલ્લભ ભણસાલી સાથેનો સંવાદ. આ સંવાદની એક ચિત્રમય ઝલક… (તસવીરો: દીપક ધુરી-માનસ સોમપુરા)

૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬

Chitralekha Gujarati – 02 March, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 20/02/2026