Home Blog Page 2016

હેવી વેઇટ શેરોની આગેવાની શેરોમાં નફારૂપી વેચવાલી

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. હેવી વેઇટ શેરોની આગેવાની શેરોમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ તૂટીને 22,350ની નીચે બંધ આવ્યો હતો. સ્મોલકેપ શેરોમાં જોરદાર નફારૂપી વેચવાલી થઈ હતી. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટ્યો હતો. રોકાણકારોએ આશરે રૂ. 3.21 લાખ કરોડ ગુમાવ્યા હતા. ફાર્મા સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. રિયલ્ટી બેન્કિંગ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન્સ અને કોમોડિટી શેરોના ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યા હતા.

બજારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી હતી. સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટીને 73,503ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 161 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 508 પોઇન્ટ તૂટીને 47,328ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 192 પોઇન્ટ તૂટીને 48,775ના સ્તરે બંધ થયો હતો.

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી SBI બે ટકા તૂટ્યો હતો. BSE એક્સચેન્જ પર 4081 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 923 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 3036 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 122 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 193 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 105 શેરો 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

બજારમાં રોકાણકારોની નજર હવે મંગળવારે જાહેર થનારા US ઇન્ફ્લેશન ડેટા પર છે, કેમ કે જો મોંઘવારી દર ઘટશે તો US ફેડ વ્યાજદરમાં કાપના સંજોગો ઊજળા બનશે.

 

 

 

 

 

જ્ઞાનવાપીની જેમ ભોજશાળાનો ASI સર્વે થશે, હાઈકોર્ટનો આદેશ

મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા વિવાદમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે મોટો નિર્ણય સંભળાવ્યો છે. જ્ઞાનવાપીની જેમ કોર્ટે પણ ASIને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. હિંદુ પક્ષ તરફથી તેનો પુરાતત્વીય સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેના પર ઇન્દોર હાઇકોર્ટે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.હિંદુ પક્ષે અહીં યોજાતી નમાજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. હિન્દુ પક્ષ ભોજનશાળાને વાગ્દેવી એટલે કે માતા સરસ્વતીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને કમલ મૌલા મસ્જિદ કહે છે. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ એક સ્મારક છે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા સુરક્ષિત છે, જેનું નામ રાજા ભોજના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઈતિહાસ શું છે?

એક હજાર વર્ષ પહેલા ધાર પર પરમાર વંશનું શાસન હતું. રાજા ભોજે 1000 થી 1055 એડી સુધી અહીં શાસન કર્યું. રાજા ભોજ દેવી સરસ્વતીના પ્રખર ભક્ત હતા. તેમણે 1034 એડીમાં અહીં એક કોલેજની સ્થાપના કરી, જે પાછળથી ‘ભોજશાળા’ તરીકે જાણીતી થઈ. એટલા માટે હિન્દુ પક્ષ તેને દેવી સરસ્વતીનું મંદિર માને છે.

હિન્દુ સંગઠનનો દાવો છે કે અલાઉદ્દીન ખિલજીએ 1305 એડીમાં ભોજશાળાને તોડી પાડી હતી. બાદમાં 1401 એડીમાં, દિલાવર ખાન ગૌરીએ ભોજશાળાના એક ભાગમાં એક મસ્જિદ બનાવી. 1514માં મહેમૂદ શાહ ખિલજીએ બીજા ભાગમાં પણ મસ્જિદ બનાવી હતી. એવું કહેવાય છે કે 1875માં અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં દેવી સરસ્વતીની પ્રતિમા મળી આવી હતી. મેજર કિંકાઈડ નામના અંગ્રેજ આ પ્રતિમાને લંડન લઈ ગયા હતા. હાલમાં આ પ્રતિમા લંડનના મ્યુઝિયમમાં છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં આ પ્રતિમાને લંડનથી પરત લાવવાની પણ માંગ કરવામાં આવી છે.

આખરે વિવાદ શું છે?

હિન્દુ સંગઠનો ભોજશાળાને રાજા ભોજ સમયની ઇમારત તરીકે વર્ણવે છે અને તેને સરસ્વતીનું મંદિર માને છે. હિંદુઓ દલીલ કરે છે કે રાજવંશના સમયગાળા દરમિયાન મુસ્લિમોને થોડા સમય માટે અહીં નમાઝ પઢવાની છૂટ હતી. બીજી તરફ મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં નમાઝ અદા કરે છે. મુસ્લિમો તેને ભોજશાળા-કમાલ મૌલાના મસ્જિદ કહે છે.

સરસ્વતી મંદિર એ જ રીતે બનાવવામાં આવશે જે રીતે રામ મંદિર બનાવવામાં આવ્યું

આ કેસમાં અરજદાર અશોક જૈનનું કહેવું છે કે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું હતું તે જ રીતે અહીં મા સરસ્વતીનું મંદિર બનાવવામાં આવશે.અમારી માંગ છે કે મા સરસ્વતીની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. ત્યાં મા સરસ્વતીનું મંદિર રાજા ભોજે 1050 એડી માં બંધાવ્યું હતું. બાદમાં આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું.

UPના ગાઝીપુરમાં હાઇટેન્શન તારની ચપેટમાં બસઃ 10નાં મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં 11,000 વોલ્ટની વીજના તારના સંપર્કમાં આવવાની પ્રવાસીઓથી ભેરલી બસમાં આગ લાગી હતી. લોકો કરંટને કારણે બચવા માટે બહાર પણ કૂદી ના શક્યા, જેમાં કેટલાય લોકોના જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. આ બસમાં 30થી વધુ યાત્રીઓ સવાર હતા.

આ દુર્ઘટના મરદહ પોલીસ સ્ટેશનના મહાહર જતા રોડ પર બની હતી. બસ મઉના કોપાથી જાન લઈને મરદહના મહાહર ધામ પર કાચા રસ્તેથી આવી રહી હતી. આ બસને વીજળીનો એટલો જોરદાર કરંટ લાગ્યો હતો, જેથી આગ લાગી ગઈ હતી અને આગ એટલી ઝડપી અને ભયાનક હતી કે પ્રારંભમાં સ્થાનિક લોકો આગ બુઝાવવા માટે મદદ કરવાની હિંમત સુધ્ધાં નહોતા કરી શક્યા.

આ બસમાં 10 પ્રવાસીઓનાં મોત થયાં હતાં. અત્યાર સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ બસમાં જાનૈયાઓ હતા.

આ દુર્ઘટના બનતા ફાયર બ્રિગ્રેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રાજ્યના CM યોગી આદિત્યનાથે પણ મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.

 

 

 

 

 

 

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી અદાણીનું 1GWનું વીજઉત્પાદન

અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક-ગુજરાતના ખાવડામાં 1000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટનું નિર્ધારિત લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ ખાવડામાં કામગીરી આરંભ્યાના ૧૨ મહિનાથી ઓછા સમયમાં 1000 મેગાવોટનો પુરવઠો પૂરો પાડ્યો છે, જેમાં આશરે 2.4 મિલિયન સોલાર મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાનુ કાર્ય સામેલ છે. આ ઝડપી કામગીરી 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાના ભારતના ધ્યેય પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કચ્છના ખાવડાની ૫૩૮ ચોરસ કિલોમીટરની ઉજ્જડ જમીનમાં દુનિયાનો સૌથી વિશાળ 30 GWની ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ પથરાયેલો છે, જે પેરિસના કદ કરતાં પાંચ ગણો છે. આ પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 15,200થી વધુ હરિત રોજગારનું સર્જન કરશે.

રિન્યુએબલ ક્ષેત્રમાં સૌથી ઝડપી ગ્રીનફિલ્ડ સોલર ક્ષમતાનો ઉમેરો

  • આ નિર્માણાધીન પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં ખાવડામાં 30 ગીગાવોટના વિકાસની યોજના સાથે જોડાયેલો છે.
  • સંપૂર્ણપણે પાણી રહિત રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમ્સથી આ પ્લાન્ટને આવરી લેવામાં આવશે.
  • ભારતમાં વાર્ષિક ૧.૬૦ લાખ આવાસોને વીજળી આપતા 81 બિલિયન યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે, જે પોલેન્ડ, કેનેડાના દેશોમાં ઘરોની સંખ્યાની લગભગ સમકક્ષ છે ઊર્જા ઉત્પાદન બેલ્જિયમ, ચિલી અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવાં રાષ્ટ્રોને વીજળી આપી શકશે.

અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)ની તકનિકી નિપુણતા અને અદાણી ઇન્ફ્રાની પ્રકલ્પના સુચારુ અમલવારીની શ્રેષ્ઠતા, મજબૂત સપ્લાય ચેઇનનો લાભ ઉઠાવીને જેસલમેરમાં વિશ્વનું સૌથી મોટું અને ભારતનું સૌપ્રથમ પવન-સૌર હાઇબ્રિડ ક્લસ્ટરનું નિર્માણ અને તેનું સફળ સંચાલન કરવાની પ્રતિકૃતિ કરવા અદાણી ગ્રીન એનર્જી સજ્જ છે.કંપની ઊર્જા ઉત્પાદનમાં વધારો કરવા અને કચ્છમાં પાણીના સંચયમાં મદદ કરવાના ધ્યેય સાથે  સોલાર પેનલ ઉપર ધૂળના જમાવડાના પ્રશ્નના નિરાકરણ માટે સૌર ક્ષમતા માટે પાણી રહિત સફાઈ કરવા માટે રોબોટ્સ તૈનાત કરવા સંકલ્પબદ્ધ છે, જે કંપનીના જળ તટસ્થતાનાં લક્ષ્યોને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક છ સાથે તાલ મિલાવવા સક્ષમ બનાવશે,

 

 

 

 

 

 

ગુજરાત બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનો ૧૧ માર્ચ સોમવારની સવારથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર નિયત સમય કરતાં વહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓના ટોળાં ઊમટી પડ્યાં હતાં. અવ્યવસ્થાના ફેલાય અને સુરક્ષા હેતુથી નક્કી કરેલા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  પરીક્ષાના પ્રથમ દિવસે ક્લાસમાં જતાં પહેલાં તમામ વિદ્યાર્થીઓને પર્સ, મોબાઇલ, બુક્સ, સ્માર્ટ વોચ અને બૂટ-મોજાં સહિતની ચીજવસ્તુઓ બહાર મુકાવી દેવામાં આવી હતી.

શાળાના સંચાલકો, સુપરવાઈઝર, શિક્ષણ અધિકારીઓ પરીક્ષામાં ગેરરીતિઓ ના થાય એ માટે વ્યક્તિગત અને CCTVની મદદથી સતત નજર રાખી રહ્યા છે. શહેરની ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય એ માટે તિલકથી વધાવવામાં આવ્યા. આ સાથે સરસ્વતી વંદના કરવામાં આવી હતી અને વિદ્યાર્થીને પુષ્પ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સરળતા-સગવડ માટે તમામ સ્ટાફ ખડે પગે ઊભો રહ્યો હતો. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ના રહે એ માટે આવકારવા માટેના શાળાઓએ જુદા-જુદા કાર્યક્રમ યોજ્યા હતા.

આ વર્ષે ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષામાં ધોરણ દશમાં ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થીઓ, ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિધાર્થી, ધોરણ બાર સાયન્સમાં ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત રાજ્યનાં ૧૬૩૪ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં ૬૭,૦૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. જેલનાં કેન્દ્રોમાંથી ૧૩૦ જેટલા કેદીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે ૮૫ સ્ક્વોડ સાથે વર્ગ ૧-૨ના ૧૫૦૦  સાથે ૮૦,૦૦૦ જેટલા અધિકારી, કર્મચારીઓનો સ્ટાફ જોડાશે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતી સાહિત્ય પરિષદ-મુંબઈની સંસ્થાઓની નિયમિત કાર્યક્રમોની તૈયારી

મુંબઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને મુંબઈ સ્થિત સાહિત્ય-ભાષાલક્ષી વિવિધ સંસ્થાઓ સાથે મળી નિયમિત કાર્યક્રમો યોજતી રહે તે દિશામાં તૈયારી શરૂ થઈ છે. 10મી માર્ચે કાંદિવલીની KES સંસ્થાના ટી. પી. ભાટીયા કોલેજના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ આવેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી સાથે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) દ્રારા સ્થાપિત ગુજરાતી ભાષાભવને એક વિશષ અનુબંધ મિટીંગનું આયોજન કર્યુ હતું. જેમાં બે પ્રદેશને સાહિત્યલક્ષી વિવિધ આયોજન દ્વારા નજીક લાવવાનો એક વિશેષ ઉપક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ભાષા ભવનના અધ્યક્ષ અને સુવિખ્યાત સાહિત્યકાર ડો. દિનકર જોષીએ કેટલીક સાહિત્ય સંસ્થાઓના મુખ્ય આયોજકોને બોલાવીને આવનારા સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ) અને મુંબઈની સાહિત્ય સંસ્થાઓ સાથે મળીને કઈ રીતે કાર્ય કરી શકે તે અંગેની વિચાર ગોષ્ઠી યોજી હતી.

મિટીંગમાં ડો. દિનકર જોષી ઉપરાંત ડો. સેજલ શાહ (પરિષદના મંત્રી),  ભાષા ભવન તરફથી કીર્તિ શાહ, જયેશ ચિતલિયા, પ્રગતિ મિત્ર અને હિતવર્ધક મંડળ તરફથી અનંતરાય મહેતા, વસંત શાહ, ઝરુખો સંસ્થા તરફથી સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાહિત્યપ્રેમીઓમાં ડો.પ્રદીપ સંઘવી, રાજેશ ભાયાણી, ઉદય શાહ, સોનલ કાંટાવાલા, દિપ્તી રાઠોડ, મહેશ ગાંધી, વગેરે  ઉપસ્થિત રહયા હતા.

આ મિટીંગમાં મુંબઈ વતી પોતાની લાગણી વ્યક્ત કરતા ડો.સેજલ શાહે કહ્યું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ માત્ર અમદાવાદ અને ગુજરાત પૂરતી હોય તેમ અનુભવાય છે, આ જોડાણ કઈ રીતે ગાઢ બને અને તેને માટે શું કરી શકાય, તે જોવું જોઈએ.

જેના પ્રત્યુત્તરમાં પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં સાહિત્યના કાર્યક્રમ કરવા માટે સહુને એક રૂપરેખા બનાવવાનો હું અનુરોધ કરું છું.  ગુજરાતી સાહિત્ય પરિષદ જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં પોતાનું જોડાણ કરી સાહિત્ય સેતૂ વધુ મજબુત અને વ્યાપક બનાવે એનાથી ઉત્તમ શું હોઈ શકે, એવો ભાવ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.આ મિટીંગ બાદ હર્ષદભાઈ ત્રિવેદી અને દિનકરભાઈ જોષીએ પરિવર્તન પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. લોકો વાંચતા નથી એવી બૂમરાણ વચ્ચે અહી વાચકો અને પુસ્તકોની ભરપૂર  સંખ્યા જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો.

 

અહો આશ્ચર્યમઃ એક મંદિરમાં લિલામ થયું રૂ. 35,000માં લીંબુ

ચેન્નઈઃ  સામાન્ય રીતે લીંબુ સ્વાદ વધારવા માટે કામ આવે છે અને ઘરની સફાઈ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. દેશનાં તમામ મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રિએ ભગવાન શંકરની પૂજા થાય છે. તેમની બીલી પત્ર, બોર, ધતૂરો અને દૂધ વગેરે ચઢાવવામાં આવે છે. તામિલનાડુમાં આ પ્રકારે ચઢાવવામાં આવેલી ચીજવસ્તુઓની લિલામી કરવામાં આવે છે.

આ વર્ષે મહાશિવરાત્રિ પછી જ્યારે લિલામી કરવામાં આવી તો એક લીંબુની કિંમત એટલી ઊપજી કે સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. આ લિલામીમાં એક લીંબુ માટે રૂ. 35,000ની બોલી લાગી હતી. મંદિરના પૂજારીએ લિલામીમાં સૌથી વધુ બોલી લગાવનારા આ વ્યક્તિને લીંબુ આપ્યું.

તામિલનાડુના ઇરોડના શિવગિરિમાં સ્થિત પજાપૂસિયન મંદિરની છે. અહીં શિવરાત્રિ પર ચઢાવવામાં આવતી ચીજવસ્તુઓની લિલામી કરવામાં આવે છે. આ વખતે લિલામીમાં આશરે 15 લોકોએ બોલી લગાવી. સૌથી વધુ બોલી એક લીંબુ માટે લગાવવામાં આવી. એના માટે રૂ. 35,000ની બોલી લગાવીને એક શ્રદ્ધાળુએ લીંબુને હાંસલ કર્યું.

લીંબુ ખરીદવા માટેની માન્યતા

આ લિલામ કરવામાં આવેલા લીંબુને મંદિરમાં ભગવાન શિવની સામે રાખવામાં આવ્યું હતું. અહીં માન્યતા છે કે લીંબુ હાસલ કરવાવાળા શ્રદ્ધાળુને આવનારા વર્ષમાં પુષ્કળ ધન-દોલત મળે છે અને એને સારા આરોગ્યના આશીર્વાદ પણ મળે છે. એને કારણે શિવરાત્રિએ આ લિલામીમાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે અને જેતે ચીજવસ્તુઓની મોટી-મોટી બોલીઓ પણ બોલે છે.કંઈક આવી જ પ્રથા તિરુનવૈનવલ્લુરના બાલતંડાયુતપાની મંદિરમાં પણ છે. અહીં ઇષ્ટદેવ મુરુગાને માથે પણ લીંબુની લિલામી કરવામાં આવે છે. અહીં શિવરાત્રિ પર્વ પર નવ દિવસો સુધી એક ખીલી પર લીંબુ લગાવવામાં આવે છે અને છેલ્લા દિવસે આ લીંબુઓની લિલામી કરવામાં આવે છે. વર્ષ 2016માં એક લીંબુ માટે રૂ. 39,000ની બોલી લગાવવામાં આવી હતી.

 

 

 

SBIએ ચૂંટણી બોન્ડની માહિતી કાલે સાંજ સુધી આપવી પડશેઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે SBIની અરજી ફગાવતાં 12 માર્ચે ડેટા આપવાનો આદેશ આપ્યો હતો. એ સાથે ECને 15 માર્ચ સુધી એ માહિતી જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે SBI CMDને માહિતી જારી કરીને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા.

કોર્ટે CBIની વિરુદ્ધ માનહાનિની કાર્યવાહી શરૂ કરવાનો ઇનકાર  કર્યો હતો. SCએ ચેતવણી આપી હતી કે અમે SBIને નોટિસ આપીએ છીએ કે SBI આ આદેશમાં બતાવવામાં આવેલી સમયમર્યાદાની અંદર નિર્દેશોનું પાલન નહીં કરે તો એ જાણીબૂજીને આજ્ઞાનું પાલન નહીં કરવા બદલા કાર્યવાહી માટે તૈયાર રહે.

SBIએ 26 દિનમાં શું કર્યું?

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે SBI પર આકરી ટિપ્પણી કરી છે. CJIએ કહ્યું હતું કે અમે તમને ડેટા એકત્ર કરવા નથી કહ્યું, તમે આદેશનું પાલન કરો. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું તમારે માત્ર ડેટા સીલ કવરથી કાઢવાનો છે અને અને મોકલવાનો છે. તેમણે SBIને પૂછ્યું હતું કે તમે છેલ્લા 26 દિવસોમાં શું કર્યું, કેટલો ડેટા મેળવ્યો. SBI ડોનર્સની સ્પષ્ટ માહિતી આપે.

SBI તરફથી હાજર થયેલા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે બોન્ડ ખરીદવાની તારીખની સાથે બોન્ડનો નંબર અને એનું વિવરણ પણ આપવાનું રહેશે. તેમણે કહ્યું હતું કે અમે સંપૂર્ણ સાવધાની વર્તી રહ્યા છીએ, જેથી ખોટી માહિતી આપવા બદલ અમારી પર કેસ ના થઈ જાય. એના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે એમાં કેસની શું વાત છે, તમારે (SBI)ની પાસે સુપ્રીમ કોર્ટનો આદેશ છે.

સાલ્વેએ કહ્યું હતું કે SBI તરફથી દલીલ કરવામાં આવી હતી કે અમને વધુ સમય જોઈએ છે. કોર્ટના આદેશ મુજબ SBIને એપ્રિલ,2019થી અત્યાર સુધીની માહિતી ચૂંટણી પંચને આપવાની છે. અમારી એકમાત્ર સમસ્યા એ છે કે અમે સંપૂર્ણ પ્રક્રિયાને પલટવાની કોશિશ કરી રહ્યા છીએ. CJIએ કહ્યું હતું કે બધા સીલબંધ કવર મુંબઈની મુખ્ય બ્રાન્ચમાં જમા કરવામાં આવે. બીજી બાજુ રાજકીય પક્ષો 29 અધિકૃત બેન્કોથી પૈસા ડિપોઝિટ કે ઉઠાવી શકે છે.

સાલ્વેએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ ખરીદવાની તારીખ અને ખરીદનારનું નામ એકસાથે ઉપલબ્ધ નથી અને એને ડિકોડ કરવામાં સમય લાગશે.

 

 

 

 

 

કોરાનાના 148 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 148 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,562 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,510 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,96,894 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 117 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1158 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,09,699 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1221 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 11/03/2024 થી 17/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કરતા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મિત્રો તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય.


તમારા મનમાં રહેલી કોઈવાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. વેપારના કામકાજમાં  તમને આત્મવિશ્વાસ સારો જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. વેપારના કામકાજમાં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ-બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદકે સારું માર્ગદર્શન પણ મળી શકે છે અને તેમાં પણ જો તારી પસંદગીનું પાત્ર તમારા ઘરકે વ્યવસાયસ્થળની નજીક હોયતો આ બાબત વધુ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજ સારી વાત બને તેવું સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાતનો પ્રતિભાવ તમાર વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે. પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છે. તેમજ તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. વેપારમાં કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવનાતો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્યગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. જેમને શરદી,તાવ,કફ,આંખ,માથાઅંગેની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્યબાબત થોડી તકેદારી રાખવી, વેપારમાં આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે, ઘરમાંકે ઓફીસમાં તમારા વિચારમતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. વેપારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ. લગ્નબાબતની વાર્તાલાપકે મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ મળે તેવું પણ સંભવિત કહી શકાય.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાંપણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપલે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો તેવું સંભવિત બની શકે છે.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુંતે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોયતે લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિતે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, વેપારના કામકાજમાં પસંદગીનાજ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, વેપારના કામકાજમાં તમને સારું કરવાની ઈચ્છા થાય અને તેમાં આયોજનપૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.