Home Blog Page 1827

ક્લાયમેટ ચેન્જઃ અમદાવાદમાં કાળઝાળ ગરમી તો મોરબીમાં માવઠું

અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામગનર, મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી છે. ખાસ કરીને, મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેને કારણે નુકસાની અહેવાલો પણ સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાવાથી ઘણી જગ્યાએ પતરાં ઊડી ગયાં છે અને હોર્ડિંગ્સ પણ પવનમાં ઊડ્યાં છે. ભારે પવન ફૂંકાવાની સાથે કરાં સાથે ધોધમાર વરસાદની પણ પડ્યો છે. મોરબીમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે. મોરબી, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ અને નળિયાં પતરાં ઊડ્યાં છે.

અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પણ પડી રહી છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.રાજ્યમાં વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. આજે થંડરસ્ટોર્મ થવાનું પણ પૂર્વાનુમાન છે.

 

 

 

 

 

ચારધામ મંદિર પરિસરમાં મોબાઈલ પર લાગ્યો પ્રતિબંધ

ચારધામની યાત્રા અક્ષર તૃતિયાના શુભ દિવસે શરૂ થઈ ચૂકી છે. યાત્રા શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ચારધામ યાત્રાને જોડાયેલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચારધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચાર ધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ભગવાનના દર્શનાર્થે પહોંચતા હોય છે. ત્યારે ચારધામના દર્શન કરવા જનારા લોકો પોતાના દર્શન અને યાત્રાને લઈ એક-એક દ્રશ્ય ફોનમાં કેદ કરતા હોય છે. ત્યારે યાત્રા ધામને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલ લઈ જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ભક્તો મંદિરના 200 મીટર દુર સુધી મોબાઈલ પાસે રાખી શકશે. જે બાદ ભક્તોને મોબાઈલ મુકવો પડશે. એટલે કે ભક્તો ચારાધામ મંદિરના પરિસરમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં.

નોંધનીય છે કે ચાર ધામ યાત્રા પર હાલ સુધીમાં 3 લાખ 37 હજાર યાત્રી ચાર ધામ દર્શન કરી ચુક્યા છે. તેમાંથી કેદારનાથમાં 1 લાખ 55 હજાર, બદ્રીનાથમાં 45 હજાર 637 યાત્રી, ગંગોત્રીમાં 66 હજાર જ્યારે યમુનોત્રીમાં અત્યાર સુધીમાં 70 હજાર યાત્રી દર્શન કરી ચુક્યા છે.

છેલ્લા કલાકમાં BSE સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ નિફ્ટીના વીકલી એક્સપાયરીના દિવસે બેતરફી વધઘટે બજારમાં નીચલા સ્તરેથી ઝડપી રિકવરી થઈ હતી. BSEના આશરે બધા સેક્ટરના ઇન્ડેક્સમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ વધ્યા હતા. છેલ્લા એક કલાકમાં સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આજે રૂ. 3.09 લાખ કરોડ વધ્યા હતા.

નિફ્ટી બે સપ્તાહના ઊંચા સ્તરે પહોંચવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 22,400ને પાર પહોંચ્યો હતો. HDFC બેન્ક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એમ એન્ડ એમ અને રિલાયન્સની આગેવાની હેઠળ શેરોમાં વેચાણો કપાતાં બજારમાં સુધારો થયો હતો. જેથી સેન્સેક્સ 677 પોઇન્ટની તેજી સાથે 73,664ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 203 પોઇન્ટની તેજી સાથે 22,404ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 446 પોઇન્ટ ઊછળી 51,153ના સ્તરે બંધ થયો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.85 પોઇન્ટની તેજી સાથે બંધ થયો હતો.

બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં ભારતીય બજારો નબળો દેખાવ કરી રહ્યા છે, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 5.08 ટકા અને યુરો સ્ટોક્સ 50 ઇન્ડેક્સ 3.74 ટકા ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી 0.24 ટકા ફ્લેટ રહ્યો છે.

BSE પર કુલ 3952 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2140 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1689 શેરોમાં નરમાઈ હતી. 123 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 193 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી., જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.

 

 

 

 

 

 

 

વિરાટ કોહલીએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ઘટસ્ફોટ

શું T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી નિવૃત્તિ જાહેર કરશે? આ સવાલો ક્રિકેટ પ્રેમીઓ સતત પૂછી રહ્યા છે. આ દરમિયાન કોહલીએ ક્રિકેટમાં પોતાની નિવૃત્તિની યોજનાને લઈને મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે ત્યારે તેની માનસિકતા શું હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને કહ્યું કે તે પોતાની કારકિર્દીનો અંત આણવા માંગતો નથી કે કંઈક અધૂરું રહી ગયું છે. અથવા કાશ મેં તે મેચમાં આવું પ્રદર્શન કર્યું હોત.

હું મેચમાં મારું સર્વસ્વ આપવા માંગુ છુંઃ વિરાટ કોહલી

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, જ્યારે હું ક્રિકેટને અલવિદા કહું છું, ત્યારે તમે મને લાંબા સમય સુધી જોઈ શકશો નહીં. વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી હું રમી રહ્યો છું ત્યાં સુધી હું મારું સો ટકા એટલે કે બધું આપવા માંગુ છું. હાલમાં વિરાટ કોહલી IPLમાં RCB તરફથી રમી રહ્યો છે. તે આ સમયે જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ચાહકોને પૂરી આશા છે કે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં પણ જબરદસ્ત ફોર્મમાં બેટિંગ કરશે.

કોહલીની T20 કારકિર્દીનો રેકોર્ડ

વિરાટ કોહલીની T20 કારકિર્દીની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે T20 ક્રિકેટમાં 8 સદી અને 91 અડધી સદી ફટકારી છે. IPLમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 239 મેચ અને 230 ઈનિંગ્સમાં 37.24ની એવરેજ અને 130.02ની સ્ટ્રાઈક રેટથી 7,284 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 છે.

VIDEO: ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીની સંન્યાસની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ 16મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કરી. તેમણે જણાવ્યું કે તે 6મી જૂને કુવૈત સામે યોજાનારા ફીફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફૂટબોલની કારકિર્દીને અલવિદા કહી દેશે. 39 વર્ષીય ફૂટબોલરે 12મી જૂન 2005એ પાકિસ્તાન સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને આ મેચમાં ભારત માટે ગોલ પણ કર્યો હતો. સુનીલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેમણે 93 ગોલ કર્યાં છે.સુનીલ છેત્રી ભારતના ઓલ ટાઈમ હાઈ સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે ઈન્ટરનેશનલ ફુટબોલને અલવિદા કહેશે. તે એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે લીજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી બાદ ત્રીજા સ્થાને છે.સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પોતાના ડેબ્યૂથી લઈને સમગ્ર કરિયરને યાદ કર્યું છે. આ વીડિયોમાં તેઓ ખૂબ ઈમોશનલ પણ જોવા મળ્યા. 9 મિનિટ અને 45 સેકન્ડનો આ વીડિયો ભારતીય કેપ્ટને એ લખીને પોસ્ટ કર્યો કે હું તમને કંઈક કહેવા માગુ છું.

https://twitter.com/i/status/1790953336901976541

ભારતીય ફૂટબોલ ટીમના આ કેપ્ટને તેની કારકિર્દીમાં કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2 દિવસ હિટવેવની આગાહી

ગુજરાત સહિત દેશભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસની હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી છે. તેમજ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવ રહેશે. તથા રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે.

કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર રહેશે

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સાથે જ હાલમાં પણ રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. તો જાણો રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે.

સેના વિશે રાહુલ ગાંધીની ટિપ્પણી, ભાજપ ચૂંટણી પંચ પહોંચ્યું

ભાજપે બુધવારે ચૂંટણી પંચને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે સૈનિકોની બે શ્રેણી બનાવી છે, એક ગરીબ પરિવારો અને અનામત વર્ગમાંથી અને બીજી સમૃદ્ધ પરિવારોમાંથી. કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, અર્જુન રામ મેઘવાલ, રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલુની અને રાજીવ ચંદ્રશેખર સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓના એક પ્રતિનિધિમંડળે રાહુલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથેની બેઠક બાદ જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ બે પ્રકારના સૈનિકો તૈયાર કર્યા છે, પ્રથમ ગરીબોના પુત્રો અને વંચિત, આદિવાસી, પછાત, સામાન્ય વર્ગના. બાદમાં આર્થિક રીતે નબળા વર્ગો અને લઘુમતીઓનો સમાવેશ થાય છે જ્યારે અન્યમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ધનિકોના પુત્રો છે.

આ આપણા સશસ્ત્ર દળો પર હુમલો છે

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આ ખોટું છે. આ આપણા સશસ્ત્ર દળો પર હુમલો છે. તેઓ તેને વિવાદાસ્પદ મુદ્દો બનાવવા અને સશસ્ત્ર દળોનું નિરાશ કરવા માંગે છે. આ ચૂંટણીનો મામલો નથી. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. ગાંધીએ રાયબરેલીમાં તાજેતરની ચૂંટણી રેલીમાં સૈનિકો માટેની અગ્નિપથ ભરતી યોજના પર મોદી સરકાર પર પ્રહાર કરતા આ ટિપ્પણી કરી હતી.

જયશંકરે રાહુલની ટિપ્પણીને ખૂબ જ ગંભીર ગણાવી હતી

જયશંકરે રાહુલની ટીપ્પણીને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપના પ્રતિનિધિમંડળે તેને ચૂંટણી પંચના ધ્યાન પર લાવ્યું હતું અને કોંગ્રેસ નેતા સામે ખૂબ જ કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી અને તેમને તેમની ટિપ્પણી પાછી ખેંચવા માટે કહ્યું હતું આ સમયગાળા દરમિયાન, આર્મી પર આવા હુમલા કરવામાં આવે છે, જે આપણી સરહદો પર તૈનાત છે અને દેશને ચીની દળોથી સુરક્ષિત રાખવા માટે તેની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરી રહી છે.

સશસ્ત્ર દળો સામે આવા હુમલા ખતરનાક છે

પાકિસ્તાન સરહદ પર આતંકવાદ સામે મજબૂત રીતે ઊભું છે. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી કોઈપણ કારણ વગર સેના પર હુમલો કરે છે અને જુઠ્ઠાણા ફેલાવીને કહે છે કે જો તેઓ શહીદ થઈ જશે તો સરકાર તેમના માટે કંઈ કરશે નહીં, તો અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. જયશંકરે કહ્યું કે સશસ્ત્ર દળો સામે આવા હુમલા દેશ માટે ખૂબ જ ખતરનાક છે.

ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું : અમિત શાહ

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગૌહત્યાના મામલા સામે આવ્યા હતા. તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અમે ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીશું અને તેમને સીધા કરી દઈશું.

અમિત શાહનો ઈન્ડિયા એલાયન્સ પર પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયા ગઠબંધનના આ લોકો આજે કહે છે કે PoKની વાત ન કરો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું તેમને કહેવા માંગુ છું કે તમારે પાકિસ્તાનના એટમ બોમ્બ, મોદીજીના નેતૃત્વથી ડરવું જોઈએ. ભારત એટલું મજબૂત છે કે કોઈ એટમ બોમ્બથી ડરવાની જરૂર છે હું આજે અહીંથી એમ કહીને નીકળું છું કે આ પીઓકે અમારું છે અને અમે તેને લઈશું.

PM મોદીએ દેશને આગળ લઈ જવા માટે કામ કર્યું

રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી દેશના પહેલા અત્યંત પછાત વડાપ્રધાન છે. 50-60ના દાયકામાં લોહિયાજીની થિયરી દેશમાં કામ કરશે કે નહીં તે અંગે ચર્ચા થતી હતી. આજે હું કહીશ. લોહિયા જીનો આભાર માનવા ગમે છે. હું સલામ કરવા માંગુ છું અને કહેવા માંગુ છું કે સૌથી પછાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને આગળ લઈ જવામાં સૌથી વધુ કામ કર્યું છે.

દિગ્ગજ ઇક્વિટી કંપનીઓ વચ્ચે હલ્દીરામને ખરીદવા વેપારયુદ્ધ

નવી દિલ્હીઃ ફૂડ અને સ્નેક્સ હલ્દીરામની માલિકી માટે જબરદસ્ત વેપારયુદ્ધ છેડાયો છે. એક તરફ બ્લેકસ્ટોનની આગેવાનીવાળું કોન્સોર્શિયમ હલ્દીરામમાં હિસ્સો ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ સિંગાપોરની ટેમાસેકની સાથે મળીને બેન કેપિટલ એને હાથથી જવા દેવા નથી માગતી. જો હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઇવેટ લિ.નો આ સોદો થશે તો એ ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ તરફથી કરવામાં આવનારું સૌથી મોટું હસ્તાંતરણ થશે.

બેન (Bain) અને ટેમાસેકે ગયા સપ્તાહે નોન-બાઇડિંગ ઓફર રજૂ કરી હતી. એ માટે હલ્દીરામની વેલ્યુ 8-85 અબજ ડોલર લગાવવામાં આવી હતી.આનાથી ભારતીય સ્નેક્સ બજારમાં હલ્દીરામની મજબૂત સ્થિતિ માલૂમ પડે છે. પ્રારંભમાં બંને ઇક્વિટી કંપનીઓએ હલ્દીરામના સંસ્થાપક પરિવારથી અલગ-અલગ વાત કરી હતી. બ્લેકસ્ટોન અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને સિંગાપુંરની સોવેરિન વેલ્થ ફંડ GICની સાથે મળીને હલ્દીરામમાં 76 ટકા હિસ્સો હાંસલ કરવા ઇચ્છે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી બેનની અગ્રવાલ ફેમિલીની સાથે વાતચીત ચાલી રહી છે. પ્રારંભમાં લઘુમતી હિસ્સા માટે વાતચીત ચાલી રહી હતી. હવે અગ્રવાલ ફેમિલી હલ્દીરામમાં નિયંત્રણ યોગ્ય હિસ્સો વેચવા ઇચ્છે છે. કંપનીએ એક રિસ્ટ્રક્ચરિંગ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનમાં સ્નેક્સ બિઝનેસને મર્જ કરવાની યોજના છે. અગ્રવાલ ફેમિલી આ બિઝનેસ પોતાની પાસે રાખવા ઇચ્છે છે.

મર્જરની યોજનાને NCLTની મંજૂરી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી દીધી છે. આગામી કેટલાક મહિનાઓમાં મર્જરની યોજનાને ઓપ આપવામાં આવશે. આ સાથે CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા) પણ મર્જરની યોજનાને મંજૂરી આપી દીધી છે.

 

 

 

 

 

 

SBIએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો વધારો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIના ફિક્સ ડિપોઝીટના ગ્રાહકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. SBI એ ફિક્સ ડિપોઝીટના નિયમોને લઈ બદલાવ કર્યા છે. બેન્કે ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

SBI એ અલગ- અલગ ફિક્સ ડિપોઝીટના વ્યાજ પણ જાહેર કર્યા છે. જેમાં 46 દિવસથી 179 દિવસની FD પરનું વ્યાજદર 4.75%થી વધારીને 5.50% કર્યું છે, જ્યારે 180 દિવસથી 210 દિવસની FD પર હવે 5.75%ને બદલે 6.00% વ્યાજ દર મળશે. એવી જ રીતે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાની પાકતી મુદતની FD પર હવે 6.00%ને બદલે 6.25% વ્યાજ મળશે. બાકીના સમયગાળા માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વ્યાજદર 15 મેથી લાગુ થઈ ગયા છે. આ વ્યાજદર 2 કરોડથી ઓછીની FD માટે છે.

ઉલ્લેખનીય છે કે FDમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સેબલ હોય છે. તમે એક વર્ષમાં FD પર જે પણ વ્યાજ મેળવો છો એ તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. કુલ આવકના આધારે તમારો ટેક્સ સ્લેબ નક્કી થાય છે. જોકે FD પર મેળવેલા વ્યાજની આવક “ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ” ગણવામાં આવે છે, એટલે એને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અથવા TDS હેઠળ વસૂલવામાં આવે છે. જ્યારે તમારી બેંક તમારા વ્યાજની આવક તમારા ખાતામાં જમા કરે છે ત્યારે એ જ સમયે TDS કાપવામાં આવે છે.