Home Blog Page 1701

મુંબઈ: વિધાનસભા ચૂંટણી પહેલા વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની માંગ

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના ઘણા નેતાઓ મંગળવારે પાર્ટીના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. મહારાષ્ટ્રમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. પાર્ટીના નેતાઓ આ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે ચર્ચા કરી શકે છે. આ બેઠકમાં વર્તમાન મુંબઈ પ્રદેશ અધ્યક્ષની નારાજગીનો મુદ્દો પણ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ મુકવામાં આવી શકે છે.

રાહુલ ગાંધી અને ખડગે સાથે દિલ્હીમાં મુલાકાત
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતાઓ મંગળવારે સાંજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, બાલાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવાર, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ કાર્ય સમિતિના સભ્યો ચંદ્રકાંત હંડોર, નસીમ ખાન, ચરણ સિંહ સપરા ઉપરાંત કોંગ્રેસના ઘણા પૂર્વ મંત્રીઓ અને મોટા નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.

મુંબઈ પ્રદેશ પ્રમુખ વર્ષા ગાયકવાડ સાથે નારાજગીનો મુદ્દો
આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વિધાનસભાની ચૂંટણી પર આધારિત રહેશે. બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ વર્તમાન મુંબઈ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડ પ્રત્યેની તેમની નારાજગી અંગે પણ માહિતી આપી શકે છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ હાઈકમાન્ડને ઉત્તર મધ્ય મુંબઈના વર્તમાન લોકસભા સાંસદ અને મુંબઈ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વર્ષા ગાયકવાડને મુંબઈ પ્રદેશ અધ્યક્ષ પદેથી દૂર કરવા વિનંતી કરી છે.

16 નેતાઓએ વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની માંગ કરી હતી
કોંગ્રેસના ઘણા નેતાઓનું માનવું છે કે હાલમાં તેઓને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં કોંગ્રેસના 16 જેટલા નેતાઓએ વર્ષા ગાયકવાડને પદ પરથી હટાવવાની વિનંતી કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ગાયકવાડની કાર્યશૈલી પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ માને છે કે વર્ષા ગાયકવાડ કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં કચાસ રાખે છે અને NEET જેવા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી ન હતી.

અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિ, રાજકોટ બંધની જુઓ તસવીરો

રાજકોટ: TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહિ હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે.

અફઘાનિસ્તાન બંગલાદેશને હરાવીને સેમી ફાઇનલમાં: રચ્યો ઇતિહાસ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ઇતિહાસ રચતાં T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંગલાદેશને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ આઠ રનોથી હરાવીને અફઘાનિસ્તાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયાનું સેમી ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થયું છે. અફઘાનિસ્તાને સૌપ્રથમ વાર T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચ્યું છે.

ICC મેન્સ ટી20 વર્લ્ડકપ 2024માં સુપર આઠ તબક્કાની છેલ્લી મેચમાં બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બંગલાદેશને આઠ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

બંગલાદેશને આ મેચ જીતવા માટે 116  (DLS)નો ટાર્ગેટ હતો, પરંતુ નવીન ઉલ હકે સતત 2 વિકેટ લઈને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ લઈને બંગલાદેશની કમર તોડી નાખી હતી.

બંગલાદેશની ટીમ બહાર

સેમી ફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને 12.1 ઓવરમાં 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. શરૂઆતની ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈ (10), ગુલબદ્દીન નાયબ (4) અને મોહમ્મદ નબી (1)એ બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.

ભારે વરસાદ આગાહી વચ્ચે રાજ્યમાં સાત NDRF ટીમ તૈનાત..

રાજ્યમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. પરંતુ વહેલું ચોમાસું આવ્યા બાદ પણ સાનુકુળ પરિસ્થીતી ન હોવાથી ચોમાસું રોકાય ગયું હતું. બે સપ્તાહની રાહ બાદ આખરે ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈ કાલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ત્રણ દરિયાકાંઠાના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતના દેવ ભૂમિ દ્વારકા, જામનગર, અને વલસાડ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત રોજના દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો.

ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે આગામચેતીના ભાગ રૂપે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ સુધીમાં ગુજરાતમાં 3 NDRF ટીમ તૈનાત હતી. જેમાં વધુ 4 ટીમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક-એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

ખુદ અનંત અંબાણી આ અભિનેતાને લગ્નનું આમંત્રણ આપવા ગયા

મુંબઈ: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે, જેના માટે અંબાણી પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જ્યાં ગઈકાલે નીતા અંબાણી સૌથી પહેલા કાશી પહોંચ્યા અને તેમના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ બાબા વિશ્વનાથના ચરણોમાં મૂક્યું. તો હવે અનંત અંબાણીએ પણ પોતાના ખાસ મિત્રો અને મહેમાનોને કાર્ડ વહેંચવાનું શરૂ કરી દીધું છે.

અનંત લગ્નનું કાર્ડ લઈને અજયના ઘરે પહોંચ્યો

હાલમાં જ અનંત અંબાણી બોલિવૂડ એક્ટર અજય દેવગનના ઘરે તેમના લગ્નનું કાર્ડ આપવા ગયા હતા. અજય દેવગનના ઘરે શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનંત હંમેશની જેમ કડક સુરક્ષા વચ્ચે અજયના ઘરની બહાર નીકળતા જોવા મળે છે. અનંતનો આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો છે.

અનંત-રાધિકાના લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે

ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે જો ડ્રેસ કોડની વાત કરીએ તો આ શાનદાર શાહી લગ્ન માટે ‘ઇન્ડિયન ફોર્મલ’ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે મંગલ ઉત્સવ એટલે કે 14મી જુલાઈના રિસેપ્શનના દિવસે ડ્રેસ કોડ ‘ઈન્ડિયન ચિંક’ રાખવામાં આવ્યો છે. લગ્ન પહેલા, હાલમાં જ અનંત-રાધિકા માટે ઈટાલીમાં ક્રુઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો હજુ પણ સામે આવી રહ્યા છે.

અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિ, રાજકોટ સજ્જડ બંધ

રાજકોટ: એક મહિના પહેલા રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભિષણ આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવાની માગણી સાથે કોંગ્રેસે આપેલા બંધના એલાન ને આજે રાજકોટના લોકોએ પૂરું સમર્થન આપી ધંધા – રોજગાર બંધ રાખ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસે આપેલા બંધના એલાનને રાજકોટમાં સફળતા મળી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ , ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અતુલ રાજાણી સહિતના આગેવાનો રાજકોટની બજારમાં આજે સવારે ફર્યા હતા અને વેપારીઓનો આભાર માન્યો હતો. રાજકોટની મુખ્ય એવી ધર્મેન્દ્રરોડ, પરાબજાર, યાજ્ઞિક રોડ, સદર બજાર, ગરેડીયા કૂવા રોડ સહિતની બજારો સવારથી બંધ રહી હતી. બંધનું એલાન બપોરે બે વાગ્યા સુધી જ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સેવાદળના રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી કાર્યકરો રાજકોટ આવ્યા છે અને વેપારીઓને માનવતાનો આ મુદ્દો હોવાથી, બંધ પાળવા અપીલ કરી હતી.

આજે રાજકોટમાં બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા ત્યારે કેટલાક કાર્યકરો સાથે માથાકૂટ થઈ હતી. કેટલાક કાર્યકરોની અટક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આજે સવારે બંધના એલાનને ટેકો આપવા બદલ રાજકોટના લોકો અને વેપારીઓનો આભાર માન્યો હતો. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ લડત ચાલુ રાખશે તેવુ જણાવી પદાધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

દેવેન્દ્ર જાની, રાજકોટ

તસવીરો, નીશુ કાચા

સ્પીકરપદ માટે NDAના ઓમ બિરલા તો કે સુરેશ વિપક્ષના ઉમેદવાર

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે NDA તરફથી ઓમ બિરલા 11.30 કલાકે સ્પીકર પદ માટે નામાંકન કરશે. તેઓ બપોરે 12 કલાક સુધી પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કર્યા પછી આવતી કાલે સ્પીકરની ચૂંટણી કરાવવામાં આવશે. વિપક્ષે કે સુરેશને સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા છે. આમ સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષે પણ ઉમેદવાર ઉતાર્યા છે.

આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સ્પીકરને ટેકો આપીશું, પણ ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષને મળવું જોઈએ. જોકે સર્વ સંમતિ ના સધાતાં વિરોધ પક્ષો પણ ઉમેદવાર ઉતાર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવવું જોઈએ. SP પ્રમુખ અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષે ડેપ્યુટી સ્પીકરની માગ કરી છે. જોકે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરપદ અપાય એવી વકી છે.

રાહુલ ગાંધીએ ભાજપ તરફથી સ્પીકર પદ પર સમર્થન માટે કોલ આવવવાની વાત કહીને કહ્યું હતું કે રાજનાથ સિંહે ખડગે ફોન કરીને સ્પીકરના ઉમેદવારને ટેકો આપવા માગ કરી હતી. જોકે અમારી માગ ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળવું જોઈએ. રાજનાથજીએ કહ્યું હતું કે તેઓ ફરીથી ફોન કરશે, પરંતુ અત્યાર સુધી તેમનો ફોન નથી આવ્યો.

PM મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી. બીજી તરફ SP પ્રમુખ અખિલેશ યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ સ્પીકરપદને સમર્થન આપવા તૈયાર છે. પરંતુ અમારી માગ સ્પષ્ટ છે કે અમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. થોડા સમયમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

 

 

 

 

 

મળો એ ભાઈને, જે ફ્લાઈટ વિના પહોંચ્યા લંડનથી મુંબઈ, પણ કેવી રીતે?

મુંબઈ: હા, એક સમય હતો જ્યારે દેશ વિદેશની મુસાફરી કરવા માટે પ્લેનનો ઉપયોગ નહોતો થતો. પરંતુ શું આજના યુગમાં તમે ફ્લાઈટ વિના વિવિધ દેશોની મુસાફરીની કલ્પના કરી શકો? એનો જવાબ છે હા,કલ્પના પણ કરી શકો અને ધારો તો મુસાફરી ય કરી શકો. મુંબઈના ભાઈએ આ કરી બતાવ્યું છે. મૂળ થાણેના અને હાલમાં યુકેના રેડિંગમાં રહેતા વિરાજીત (વિરાજ) મુંગલે કાર દ્વારા લંડનથી મુંબઈની મુસાફરી ખેડી છે.

 

વિચાર આવ્યો કે એેરક્રાફ્ટ વગર અન્ય દેશમાં કે ભારતમાં પહોંચવું હોય અને માતાને મળવું હોય તો ? જાણ્યું તો ખબર પડી કે ગાડી દ્વારા વિવિધ દેશોની સરહદ પાર કરી ભારત પહોંચવાનો રસ્તો છે. ત્યાર બાદ યુકેથી થાણે ગાડી ડ્રાઈવ કરીને જવાનો અને થાણે પહોંચી માતાને મળવાનો દ્રઢ નિશ્ચય કર્યો. વિવિધ તપાસ કરી કેવી રીતે જવું તેનું પ્લાનિંગ તૈયાર કર્યુ. અગાઉ કોઈ વિશાલ અગ્રવાલ નામની વ્યક્તિ પણ ગાડી દ્વારા મુસાફરી કરી ચૂકી છે. તેમનો સંપર્ક કરી વધુ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાંથી કંઈ વધારે મદદ મળી નહીં. જોકે, આ મુસાફરી કરવી એક સપનાં જેવું બની ગયું હતું અને આખરે એ પૂરું કર્યું…આ શબ્દો છે આઈટી પ્રોફેશનલ વિરાજીત મુંગલેના.

પડકારજનક સફર ખેડનારા વિરાજીત મુંગલેએ ચિત્રલેખા.ડૉટ કૉમ સાથે વાત કરતા જણાવ્યું કે ” લંડનથી શરૂ થયેલી આ યાત્રા પૂર્ણ કરવા માટે મેં 59 દિવસમાં 16 દેશોનો પ્રવાસ કર્યો. ‘SUV’ કાર ચલાવીને 18,300 કિલોમીટરનું અંતર કાપ્યું. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તિબેટ, નેપાળની સરદહ પાર કરીને અંતે હું ભારત પહોંચ્યો. આ પ્રવાસમાં મારી સાથે મારો નેપાળી મિત્ર રોશન પણ હતો. જે નેપાળના કાઠમંડુ સુધી મારી સાથે હતો.”

 

તેમણે ઉમેર્યુ કે 59 દિવસની જર્ની અમે ખૂબ માણી છે. એકદમ ખાલી રસ્તા પર ક્યારેક લાઉડ મ્યુઝિક તો ક્યારેક ડાન્સ કરવાની યાદો ક્યારેય નહીં ભૂલાય. જોકે, ત્રણેક દિવસ થોડા કઠિન રહ્યાં હતાં, જ્યારે અમારે કારમાં જ સૂવું પડ્યું હતું.

17 જૂને થાણે પહોંચેલા વિરાજીતે વધુમાં કહ્યું કે,’હું દરરોજ લગભગ 400-600 કિલોમીટર ડ્રાઇવ કરતો હતો. કેટલીકવાર 1,000 કિમી સુધી પણ કાર ચલાવી હતી, પરંતુ રાત્રે વાહન ચલાવવાનું ટાળીને હંમેશા સલામતીને પ્રાથમિકતા આપી હતી.

વિરાજે જણાવ્યું કે તેણે નોકરીમાંથી બે મહિનાની રજા લીધી અને દરેક દેશમાંથી જરૂરી પરવાનગીઓ અને કાનૂની મંજૂરી લીધી. આ મુસાફરીમાં અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. બરફ અને ઠંડી સહિતની આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સફર દરમિયાન સામનો કરવો પડ્યો હતો. વિરાજે જણાવ્યું કે તે પ્લેન દ્વારા બ્રિટન પરત ફરશે અને શિપ દ્વારા પોતાની કાર પરત મોકલશે.

છે ને ગજબની આ સફર…! લંડનથી મુંબઈના થાણે સુધીની.

 

(કાલાણી નિરાલી-મુંબઈ)

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૫ જૂન, ૨૦૨૪