આવતીકાલે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત પ્રદેશ સંગઠન મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે પણ ચર્ચા થશે.
આગામી ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળે એવી સંભાવના છે. આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠકમાં આ મુદ્દાની ચર્ચા થશે. નોંધનીય છે કે તમામ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રીઓની બેઠક યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ બેઠકમાં મહત્વની ચર્ચા કરશે. 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય એવી શક્યતા પણ છે. ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ થશે.
નોંધનીય છે કે આગામી ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે. JP નડ્ડાની રાષ્ટ્રીય મહામંત્રીઓ સાથેની બેઠકમાં સંગઠન પર્વને આખરી ઓપ અપાઈ શકે છે.
અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારોમાં તેજી થી હતી. અમેરિકામાં મંદીથી જોડાયેલા આશંકાઓ ઓછી છતાં સેન્સેક્સ 130 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ઊછળીને 24,500ને પાર થયો હતો. સૌથી વધુ IT અને રિયલ્ટી શેરોમાં જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં સાત લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.8 ટકા અને 1.7 ટકા ઊછળ્યા હતા.
અમેરિકામાં હાલમાં રોજગાર ડેટા અને રિટેલ વેચાણનો ડેટા નબળો આવ્યો હતો, તેમ છતાં મંદીની આશંકા ઓછી થતાં અને US ફેડ રિઝર્વ એની હળવી ધિરાણ નીતિ હાલ ચાલુ રાખશે એવા સંકેતો મળતાં રોકાણકારોએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. આ ઉપરાંત એસિયન બજારોમાં સોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પણ ઊંચા સ્તરે બંધ થયા હતા, જ્યારે યુરોપિયન બજારો પણ તેજી સાથે બંધ થયા હતા.બજારમાં US સપ્ટેમ્બરની મીટિંગમાં અમેરિકામાં મંદીની આશંકાએ વ્યાજદરમાં કાપ મૂકશે એવો આશાવાદ પણ પ્રવર્તતો હતો. જેને પગલે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 1330.96 પોઇન્ટ ઊછળીને 80,436.84 અને નિફ્ટી 397.40 પોઇન્ટ ઊછળીને 24,541.20ના મથાળે બંધ રહ્યા હતા.
શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ બુધવારે રૂ. 2595.27 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII)એ 2236.21 કરોડના શેરોની ખરીદી કરી હતી.
BSE એક્સચેન્જ પર કુલ 4036 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2475 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1454 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 107 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 202 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 46 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
અમદાવાદમાં ભાજપની ગ્રહદશા સારી નથી ચાલી રહી. એક નનામા પત્રથી અમદાવાદ ભાજપમાં ખળભળાટ થઈ ગયો છે. હકીકતમાં મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરને નનામો પત્ર મળ્યો છે. જેમાં ભાજપના ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
બીજેપી કાર્યકર્તાના નામે લખાયેલા આ પત્રમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટસ્વામી શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તો ધર્મેન્દ્ર શાહ AMTSમાં, કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાકટ ધરાવતા હોવાના આક્ષેપ છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે. આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી પણ આપવામાં આવી છે.
જોકે બીજી તરફ વાયરલ પત્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવ્યુ છે. એમનું કહેવુ છે કે, મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. કદાચ કોઈના કામ ન થયા હોય એમણે પત્ર લખ્યો હોઈ શકે. વ્યક્તિ સાચી હોય તો અરજી કરે, નામ વગરના પત્ર ન લખે. પત્ર અમારા ધ્યાને આવશે તો તપાસ કરવામાં આવશે.
ઈશ્વરના સુરક્ષા કવચને સ્વીકારીને આપણે માયાના બંધનથી છૂટીએ, વિકર્મો માંથી બચીએ તથા અસત્ય આચરણને છોડીએ ત્યારે આ ભયથી મુક્તિ મળે. ત્યારબાદ ભગવાનના દિલ રૂપી તખ્તનો તથા તેમના કિરણો રૂપી હાથની છત્રછાયાનો સ્વીકાર કરીએ. જેવી રીતે પારકી સંપત્તિને હાથ અડાડતા વ્યક્તિને ડર લાગશે જ, તેવી જ રીતે આ દુનિયા પણ પારકી સંપત્તિ છે. અહીં માયાનું રાજ્ય છે.
પારકા રાજ્યમાં પોતાને ભૂલીને બીજાની આશા રાખવા વાળાને ડગલે ને પગલે ડરવું જ પડશે. પરમાત્મા આપણા પિતા છે. આધ્યાત્મિક જ્ઞાન, ગુણ તથા શક્તિઓ તેમની સંપત્તિ છે. જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર આત્માને તેઓ અભય દાન આપે છે. મહાભારતના યાદગાર યુદ્ધમાં 5 પાંડવોને લાખોની સેના સામે હોવા છતાં પણ પ્રભુ દ્વારા અભયદાન મળ્યું હતું, કારણ કે તેઓ પારલૌકિક પ્રાપ્તિઓના પુરુષાર્થી હતા.
વર્તમાન સમયે ફરીથી મહાભારત સમયની પરિસ્થિતિ નિર્માણ પામી ચૂકી છે. આ જૂની-પતિત સૃષ્ટિનો અંત નજીક છે. અંત સમયે અચાનક મૃત્યુ, તમોગુણી સંસ્કારોના તરંગો થી બનેલ ભારે વાતાવરણ, શરીર છોડીને ભટકવા વાળી આત્માઓની મુક્તિ માટે ચીસો વિગેરે દ્રશ્યો સામે આવશે. આ સમયે નિર્ભયતાની શક્તિ જમા હશે તો આત્મા આ દ્રશ્યોથી પાર થઈ જશે. ઘણા સમયથી નિર્ભય રહેવાનો અભ્યાસ તે સમયે કામમાં આવશે. મન જો સાંસારિક છે તો મૂંઝાયેલું રહે છે તે દરેક સામે આવવા વાળા દ્રશ્યમાં તે ભટકી જાય છે.
જ્ઞાન અને યોગના નિરંતર અભ્યાસ દ્વારા મનમાંથી દરેક દેખેલ દ્રશ્ય ભુલાઈ જાય છે. માટે જ બહુ જ સમયના યોગીને નિર્ભયતા ઈશ્વરીય વરદાનના રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. તે ભયાનક દ્રશ્યોની વચ્ચે રહેવા છતાં પણ નિર્ભયતાની મોજ અનુભવ કરી શકે છે.
સ્મૃતિ દ્વારા સ્થિતિ બને છે તે એક સત્ય વાત છે. જેવી રીતે સારી સ્મૃતિઓ સુખ આપે છે, તેવી જ રીતે વિકર્મોની સ્મૃતિ દુઃખ આપે છે. વ્યર્થ વાતોનું, બીજાની ભૂલોનું, ભૂતકાળ તથા ભવિષ્યની ડર ઉત્પન્ન કરનાર કલ્પનાઓનું ચિંતન આજે સંસારમાં અત્યાચાર, હિંસા તથા અપવિત્રતાને જન્મ આપી રહેલ છે. જેવી રીતે સરહદ ઉપર બંને દેશોની સેનાઓનું ભેગા થવું તે અનેક લોકોને ઘરબાર વગરના બનાવવા માટે નિમિત્ત બની જાય છે, તેવી જ રીતે મનના મેદાનમાં અપ્રિય, અકલ્યાણકારી યાદોનું ભેગા થવું પણ વ્યક્તિને શાંતિ તથા એકાગ્રતાથી વંચિત કરી દે છે.
અંકુશ વગરની તથા ન ગમતી યાદો મનુષ્યને ક્રોધિત કરી દે છે, નફરત ઉત્પન્ન કરે છે, અવગુણ ધારી દ્રષ્ટિ બનાવે છે. આ પ્રકારની યાદો મનુષ્યને એકલો બનાવી દે છે. જીવનની દરેક વસ્તુઓના ભાગલા પાડી શકાય છે પરંતુ સારી કે ખોટી સ્મૃતિઓના નહીં. પાપ કરવું એ તો ઝહેરને ગળાની નીચે ઉતારવા સમાન છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
અમદાવાદ: હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર ખાતે દેશના પ્રથમ મેડ-આર્બ (મધ્યસ્થી બાબતો માટે મધ્યસ્થી) સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.
મેડ-આર્બ એ બે-તબક્કાની વૈકલ્પિક વિવાદ ઉકેલ પ્રક્રિયા છે. તેમાં સામાન્ય રીતે પક્ષકારોને મધ્યસ્થી સત્તા આપવા માટે આપમેળે લવાદ તરીકે રૂપાંતરિત કરવા અને કાયદેસર રીતે બંધનકર્તા આર્બિટ્રલ એવોર્ડ આપવા માટે સંમત થાય છે. પ્રક્રિયાનો આર્બિટ્રેશન તબક્કો કાયદેસર રીતે બંધનકર્તા હોય છે.
ધ્વજવંદન પછી મુખ્ય ન્યાયાધીશે હાઇકોર્ટના ન્યાયાધીશો, મેડ અર્બ માટે ખાસ પ્રશિક્ષિત મધ્યસ્થીઓ અને અન્ય કાયદાકીય વિદ્વાનોની હાજરીમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્ર વિવાદોના સમાધાન ઇચ્છે છે. જ્યાં આર્બિટ્રેશન વિવાદના નિરાકરણની રીત છે.
અગાઉ મે 2024માં ન્યાયાધીશ વિક્રમ નાથને, ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની હાજરીમાં અગિયાર વકીલોને ખાસ કરીને મેડ-આર્બ માટે વ્યાપક તાલીમ આપવામાં આવી હતી.દિવ્યાંગ બાળકોના પ્રદર્શનને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ “મુસ્કાન” આ પ્રસંગે ખાસ યોજાયો હતો. જેમાં વિકલાંગ બાળકોએ તેમની પ્રતિભા દર્શાવી હતી.
મુંબઈ: 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત શુક્રવારે 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આ વખતે પ્રશાંત નીલની ફિલ્મ KGF જીતી છે. તેણે બે કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. આ સાથે જ મનોજ બાજપેયીને સિરીઝ ‘ગુલમહોર’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. પ્રિતમને રણબીર કપૂર અભિનીત ‘બ્રહ્માસ્ત્ર’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. રિષભ શેટ્ટીને ફિલ્મ ‘કંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતા અને નિત્યા મેનન, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (National Film Awards)ની જાહેરાત શુક્રવારે 16 ઓગસ્ટના રોજ એટલે કે આજે કરવામાં આવી. આ વખતે પ્રશાંત નીલની ફિલ્મ ‘KGF’એ બાજી મારી છે. તેણે બે કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. આ સાથે જ મનોજ બાજપેયીને ‘ગુલમહોર’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. પ્રિતમને રણબીર કપૂર અભિનીત ‘બ્રહ્માસ્ત્ર’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. રિષભ શેટ્ટીને ફિલ્મ ‘કંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતા અને નિત્યા મેનન, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
આ વર્ષે એવોર્ડ જીતવાની રેસમાં ઘણી ફિલ્મો છે. આ વખતે 1 જાન્યુઆરી, 2022 અને 31 ડિસેમ્બર, 2022 વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. બેસ્ટ એક્ટર કેટેગરીમાં રિષભ શેટ્ટી, મનોજ બાજપેયી અને મામૂટી વચ્ચે ટક્કર હતી.
અલ્લુ અર્જુને વર્ષ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. તેને આ સન્માન ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે મળ્યું હતું. તે જ સમયે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે અને કૃતિ સેનનને ‘મિમી’ માટે મળ્યો હતો. વર્ષ 1954માં રાષ્ટ્રીય પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ રાજ્ય પુરસ્કાર રાખવામાં આવ્યું હતું. તે સમયે પ્રાદેશિક ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મોનું જ સન્માન કરવામાં આવતું હતું.
અહીં જાણો 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોણે કઈ શ્રેણીમાં એવોર્ડ જીત્યો:
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી તારીખોનું એલાન કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે, જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. બંને રાજ્યોનાં ચૂંટણી પરિણામો ચોથી ઓક્ટોબરે જાહેર થશે.
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. હરિયાણામાં પહેલી ઓક્ટોબરે મતદાન થશે.આર્ટિકલ 370 દૂર થયા પછી જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી થશે. આ પહેલાં વર્ષ 2014માં છેલ્લી વાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. સીમાંકન પછી વિધાનસભાની સીટોની તસવીર બદલાઈ ગઈ છે. રાજ્યમાં હવે વિધાનસભાની સીટોની સંખ્યા 90 થઈ ગઈ છે. જમ્મુની વિધાનસભાની 43 અને કાશ્મીર ખીણની 47 સીટો છે. આ પહેલાં 2014માં વિધાનસભાની 87 સીટો પર ચૂંટણી થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં કુલ 11,838 પોલિંગ બૂથો હશે અને દરેક બૂથ પર સરેરાશ 735 મતદારો હશે.
હરિયાણા વિધાનસભાની કુલ 90 સીટો છે. રાજ્યમાં 100થી વધુ વયના કુલ 10,000 મતદારો છે. હરિયાણામાં કુલ મતદારોની સંખ્યા બે કરોડ છે અને તેમના માટે 20,629 મતદાન મથકો બનાવવામાં આવશે.રાજ્યની વિધાનસભામાં ભાજપના 41 વિધાનસભ્યો છે, જ્યારે કોંગ્રેસના 29 અને JJPના 10 વિધાનસભ્યો છે. INLD અને HLP પાસે એક-એક સીટ છે. આ સિવાય વિધાનસભામાં પાંચ અપક્ષ વિધાનસભ્યો છે. રાજ્યમાં ભાજપ અને JJPએ મળીને સરકાર બનાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં રાજ્યમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે, પણ આ વખતે મુકાબલો કાંટાનો રહેવાની શક્યતા છે.
સમગ્ર દેશમાં કોલકતામાં મહિલા પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકારણ પણ આ ઘટનાથી ગરમાયું છે. ત્યારે એના પગઘા હવે ગુજરાતમાં પણ ગુંજી રહ્યા છે. આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન અને સિનિયર અને જૂનિયર રેસિડેન્સ ડોક્ટરો વિરોધ નોંધાવશે.
નોંઘનીય છે કે તેઓ ઈમરજન્સી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે. હડતાળમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે. જ્યારે બીજી તરફ ગાંધીનગર GMERS મેડિકલ કોલેજે પણ પરિપત્ર જાહેર કર્યો છે. અને વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતા અન્ય મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા સૂચના આપી છે.પરીચિત વ્યક્તિ સિવાય રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનુ ટાળવું કહેવાયું છે. અને હોસ્ટેલ, કોલેજ કે હોસ્પિટલમાં કોઈ અપિરિચિત વ્યક્તિની શંકાસ્પંદ વ્યક્તિની અવર જવર જણાય તો તાત્કાલિક સક્ષમ અધિકારીને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં 17 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ડૉક્ટરો હડતાળ પર ઉતરશે. આ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કૉલેજના ડૉક્ટરો નિયમિત કામગીરીથી દૂર રહેશે. જો કે, કટોકટીની સેવાઓ ચાલુ રહેશે અને દર્દીઓને કોઈ અગવડ ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. ઇમરજન્સી વિભાગો, ICU અને અત્યંત જરૂરી સેવાઓ યથાવત રહેશે. આ હડતાળથી ઓપીડી સેવાઓ અને નિયમિત ઓપરેશનો પર અસર પડશે, પરંતુ IMAએ ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીની સ્થિતિમાં દર્દીઓને યોગ્ય સારવાર મળશે.
એસોસિએશન તરફથી આજે રાત્રે આઠ વાગ્યે કટોકટીની બેઠક બોલાવવામાં આવી છે. બેઠક DMA હોલ, દરિયાગંજમાં બોલાવવામાં આવી રહી છે. એસોસિએશને જણાવ્યું હતું કે આ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ન્યાય અને સુરક્ષા માટે આવશ્યક સ્ટેન્ડ છે.
ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલમાં હજુ પણ પાંચથી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે હાલમાં આગામી કેટલા દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે, તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો એ અપવાદરૂપ હશે, કારણ કે હજુ સાત દિવસ ગુજરાતમાં કોઈપણ પ્રકારના વરસાદનાં એંધાણ નથી. ફક્ત ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આગામી 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે, જેને કારણે 17થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ એની અસર ગુજરાત રાજ્ય પર ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે.
ગુજરાતમાં 22થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે, એની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, તેથી બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતના 75થી 80 ટકા ભાગને એનો લાભ મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય એવી શક્યતા છે, એ સાથે જ કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે.
સૂરત: ગાંધીજીના જીવન અને ગાંધી દર્શન પર બનેલી ફિલ્મોનો ખાસ કાર્યક્રમ એટલે ‘ગાંધી પૈનોરોમા’નું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે. મુંબઈની કંપની ઈન્ડિયન ઈન્ફોટેન્મેંટ મીડિયા કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી ઓગષ્ટ, 2024ના રોજ આ ફિલ્મોત્સવના 28મા સંસ્કરણનું સૂરત ખાતે આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારના યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.‘ગાંધી પૈનોરમા’ ફિલ્મોત્સવમાં સમગ્ર વિશ્વમાંથી 40 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી કેટલીક ફિલ્મોનું સુરતમાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ ફિલ્મોમાં ‘બાપૂને કહા થા’, ‘મેકિંગ ઓફ મહાત્મા’, ‘મહાત્મા ગાંધી’, ‘અપની ગંદકી હમ નહીં સાફ કરેંગે તો કૌન કરેંગા’, ‘અપરિગ્રહ’, ‘કપ ઓફ ટી’, ‘આઝાદી’, ‘અહિંસા’, ‘મેરા રાષ્ટ્રીય ધ્વજ’, ‘વહ અદ્દભૂત નજારા’, ‘ઈસે ગાંધી નહીં પતા’, ‘ધૂળ’ જેવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો.
સૂરતના સંસ્કાર ભારતી વિદ્યાલયમાં આયોજીત આ કાર્યક્રમમાં શહેરના હજારો વિદ્યાર્થીઓએ ફિલ્મો નીહાળી. તરુણ અને યુવા વિદ્યાર્થીઓએ આ ફિલ્મોને નીહાળી અને તેમાંથી બોધ-પાઠ પણ લીધો. સૂરતમાં આ કાર્યક્રમનું ઉદ્ધાટન ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કપિલદેવ શુક્લા દ્વારા કરવામાં આવ્યું. તેઓ ગુજરાતી નાટ્ય જગત સાથે છેલ્લાં સાડા છ દાયકાથી જોડાયેલા છે. તેમના સાથે જાણીતા શિક્ષણવિદ અને ગાયક જગદીશ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા.
જગદીશ ઈટાલિયાએ કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓને કહ્યું, “દરેક વિદ્યાર્થિની-વિદ્યાર્થીએ આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. ગાંધીજી અને ગાંધીજીના જીવન મૂલ્યો પર આધારિત ફિલ્મો ચોક્કસથી જોવી જોઈએ અને તેમાંથી કોઈક શીખ પણ મેળવવી જોઈએ.”