Home Blog Page 1564

ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન શું ભાજપમાં જોડાયા?

રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વરિષ્ઠ નેતા ચંપઈ સોરેન ભાજપમાં જોડાયાની ચર્ચા છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચંપઈ સોરેન  CM હેમંત સોરેનથી નારાજ છે. અહેવાલ છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે તેમની બે મુલાકાત થઈ ચૂકી છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ ભાજપમાં સામેલ થતા સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાને મોટો ઝટકો લાગ્યો છે. ચંપઈ સોરેન આગામી એક-બે દિવસમાં દિલ્હી જવાના છે અને અહીં તેઓ ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ભાજપની સભ્યપદ લઈ શકે છે. તેમની સાથે અનેક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ચંપઈ સોરેનને CM પદેથી હટાવવાને કારણે નારાજ છે. થોડા મહિના પહેલાં CM હેમંત સોરેન  જમીન કૌભાંડમાં જેલમાં ધકેલાયા હતા અને તેમને સ્થાને ચંપઈ સોરેનને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. જોકે જેલમાં પાંચ મહિના રહ્યા બાદ હેમંત 28 જૂને મુક્ત થતાં ચંપઈ સોરેનને CM પદેથી હટાવી પોતે CM થયા હતા ત્યારથી ચંપઈ સોરેન નારાજ હોવાનું કહેવાય છે.

ચંપઈ સોરેન બે ફેબ્રુઆરીથી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના CM રહ્યા હતા. તેમની ગણતરી JMMના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 1991માં પ્રથમ વખત સરાયકેલા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા. તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપાઈ હતી.ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યની કુલ 82 વિધાનસભા બેઠકોમાંથી જેએમએમ 27 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે.

 

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા

મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘરમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માત્ર 3.3 હતી. આ કારણથી બહુ નુકશાન થયું નથી. સવારે 6.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

ભૂકંપ શા માટે થાય છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.

દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે
દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી કે તેનાથી લોકોને મોટું નુકસાન થાય. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. ઇતિહાસનો સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

કાકડીનો સંભારો

જમવામાં કોઈવાર શાક ભાવતું ન હોય કે મહેમાન આવ્યા હોય તો પણ જમણવારની થાળીમાં પીરસો તો ભોજનનો સ્વાદ વધારી દે તેવો નવી વેરાયટીનો કાકડીનો સંભારો બહુ જલ્દી બની જાય છે!

સામગ્રીઃ

  • કાકડી 2
  • મરચાં 6-7
  • રાઈ 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • તેલ 3 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન

રીતઃ કાકડીને ધોઈને બે ભાગમાં કટ કરીને તેના પતીકા કટ કરી લો. અથવા ચોરસ ટુકડામાં સમારી લો. મરચાંના ફાળા કરીને બે-બે ટુકડામાં સમારી લો. ચણાનો લોટ ચાળીને રાખો.

એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તથા જીરૂ તતડાવી હીંગનો વઘાર કરી લો. ત્યારબાદ તેમાં મરચાં વઘારી ઢાંકીને 1 મિનિટ સંતડાવા દો. હવે તેમાં કાકડી નાખી ઉપરથી સ્વાદ મુજબ મીઠું, તેમજ હળદર નાખીને તવેથા વડે સરખું મિક્સ કરીને 1 મિનિટ સાંતળો. હવે તેમાં ચણાનો લોટ સરખો મિક્સ કરીને ઢાંકી દો. ગેસની આંચ ધીમી રાખવી. 2 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને 1 મિનિટ રહેવા દીધા બાદ તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરીને જમવામાં પીરસો.

૧૭ ઓગસ્ટ, ૨૦૨૪

‘કેદારનાથ’ ને છોડીને ગાયક ‘કુમાર સાનૂ’ બન્યા

ગાયક કુમાર સાનૂના અનેક નામ છે. ‘કુમાર સાનૂ’ નામ ના રાખ્યું હોત તો કદાચ હિન્દી ફિલ્મોમાં એમને આટલા બધા ગીત ગાવાની તક મળી ના હોત. એનો જન્મ થયો ત્યારે બંગાળી પરિવારના સામાજિક રીતરિવાજ મુજબ બાળકના જન્મ પછી કેટલાક નામ લખીને એના પર દીવા પ્રગટાવીને મૂકવામાં આવ્યા હતા. અને છ થી સાત નામ પસંદ કરી દીવા નીચે મૂકવામાં આવ્યા હતા. રિવાજ મુજબ જે નામના કાગળ પરનો દીવો આખી રાત સૌથી વધુ સમય સુધી પ્રગટેલો રહે એ નામ રાખી દેવામાં આવતું હતું. અને જ્યારે સવાર સુધી પ્રગટતા રહેલા દીવા નીચેનું નામ વાંચવામાં આવ્યું ત્યારે ‘કેદારનાથ ભટ્ટાચાર્ય’ હતું.

બાળપણમાં તો એ નામ કેવું છે એની ખબર ના પડી. પણ મોટો થયો એ પછી બધા ‘કેદાર-કેદાર’ કહીને બોલાવવા લાગ્યા ત્યારે નામ યોગ્ય ના લાગ્યું. એને થયું કે ‘કેદારનાથ’ નામથી એ કોઈ મોટી ઉંમરનો માણસ હોય એવું લાગે છે. ત્યારે એ શરીરથી ભારે અને મોટા ગોળ મોઢાવાળો હતો. તેથી ઘરમાં એને પ્રેમથી ‘છાના’ કહીને પણ બોલાવતા હતા. દૂધને ફાડીને એમાંથી પનીર બનાવવામાં આવે છે એને ‘છાના’ કહેતા હતા. પણ બધા એનો જુદો જુદો ઉચ્ચાર કરતા રહ્યા અને થોડો મોટો થયો ત્યાં સુધીમાં એ શબ્દ બદલાઈને ‘સાનૂ’ થઈ ગયો. એ નામ સારું હતું એટલે ગમતું હતું. મિત્રો પણ ‘સાનૂ’ તરીકે બોલાવતા એ સારું લાગતું હતું. માત્ર સ્કૂલમાં ‘કેદારનાથ’ ચાલતું હતું. કેદાર નામ કેવી રીતે કાઢવું એની મૂંઝવણ રહેતી હતી.

કેદાર જ્યારે કલકત્તા છોડીને મુંબઇ સંગીતની દુનિયામાં આવ્યો અને સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ‘કેદારનાથ’ છોડી ‘સાનૂ ભટ્ટાચાર્ય’ તરીકે ઓળખ રાખી. સાનૂએ ટી સીરીઝ કંપની માટે કિશોરકુમારના ગીતો ગાયા એની કેસેટ પર એક ખૂણામાં નાના અક્ષરોમાં ‘સાનૂ ભટ્ટાચાર્ય’ લખાતું હતું. અને કિશોરકુમારનું નામ મોટા અક્ષરોમાં છાપાતું હતું જેથી લોકો કેસેટ ખરીદી લે.

એ સમય પર કલ્યાણજી- આણંદજીએ એક વાતની નોંધ લીધી કે સાનૂ વાતચીત કરે છે ત્યારે એનો ટોન બંગાળી લાગે છે પણ જ્યારે ગીત ગાય છે ત્યારે ઉર્દૂ શબ્દોના ઉચ્ચાર પણ સ્પષ્ટ હોય છે. એના ગાયન પરથી કોઈને એ વાતનો ખ્યાલ આવતો નથી કે એ બંગાળી છે. કેમકે સાનૂએ એક મૌલવી પાસે ઉર્દૂના ઉચ્ચારની તાલીમ લીધી હતી. કલ્યાણજી- આણંદજીએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને એ પણ સંગીતમાં બંગાળી તરીકેની ઓળખ મુશ્કેલી ઊભી કરે એવી છે. અને તારા ઉચ્ચારથી ખબર પડતી નથી કે તું બંગાળી છે. પણ જ્યારે લોકો તારું નામ જાણશે કે ‘સાનૂ ભટ્ટાચાર્ય’ છે ત્યારે શંકા પડશે કે તું ઉર્દૂ સરખું ગાઈ શકશે કે નહીં. એમાં બંગાળી ટોન આવશે એવો ડર રહેશે. અને કલ્યાણજી- આણંદજીએ એનું નામ ‘કુમાર સાનૂ’ કરીને કહ્યું કે આ નામથી કોઈને ખબર પડશે નહીં કે તું કઈ જાતિનો છે.

એ વાતનો કુમાર સાનૂને ખરેખર લાભ થયો. સાનૂએ 24 ભાષામાં અસંખ્ય ગીતો ગાયા અને દરેક ભાષાના લોકોને લાગ્યું કે તે એમની જ જાતિનો છે. કુકમાર સાનૂનું એક નામ ‘ટાઈગર’ પણ છે. પહેલી ફિલ્મ ‘આશિકી’ માટે જ્યારે નદીમ-શ્રવણના સંગીતમાં કુમાર સાનૂએ પહેલું ગીત માઇક પર ભારે ઉત્સાહથી ગાવાનું શરૂ કર્યું ત્યારે પહેલી લીટી ‘નજર કે સામને જિગર કે પાસ’ ગાયા પછી એને નદીમે અટકાવ્યો અને કહ્યું:‘ટાઈગર, માઈકથી દૂર રહીને ગા. સ્પીકર ફાટી રહ્યું છે.’ અને ત્યારથી કુમાર સાનૂનું બીજું એક નામ ‘ટાઈગર’ પડી ગયું હતું. મુકેશ ખન્ના સાથેની એક મુલાકાતમાં સાનૂએ પહેલી વખત પોતાના એકથી વધુ નામો કેવી રીતે પડ્યા એના આ રહસ્ય ખોલ્યા હતા.

રાશિ ભવિષ્ય 17/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

વસિયતનામાને જટિલ બનાવવામાં કોઈ ફાયદો ખરો?

એ દિવસે નરેશભાઈ મને મળવા આવ્યા હતા. એમનાં પત્નીને ગુજરી ગયાને એક વર્ષ થઈ ગયું હતું અને તેઓ મુંબઈના ઉપનગરમાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં એકલા રહેતા હતા. તેમનો સૌથી મોટો દીકરો હોંગકોંગમાં સ્થાયી થયો હતો. દીકરી ચેન્નઈમાં હતી તથા નાનો દીકરો મુંબઈમાં જ અલગ રહેતો હતો. આમ, ત્રણે સંતાનો પોતપોતાની રીતે ગોઠવાઈ ગયાં હતાં.

નરેશભાઈની ઈચ્છા પોતાના અવસાન પછી બધી સંપત્તિ ત્રણે બાળકોને ન્યાયીપણે વહેંચી દેવાની હતી, જેથી એ ત્રણે વચ્ચે ઝઘડાને કોઈ અવકાશ ન રહે. તેમની સંપત્તિમાં રહેણાંકનો ફ્લેટ, ઑફિસની જગ્યા, વતનમાં જમીનનો ટુકડો અને એ ઉપરાંત ઈક્વિટીમાં પ્રત્યક્ષપણે કરેલું રોકાણ, બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ, અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરેલું રોકાણ, ગોલ્ડ બોન્ડ સ્વરૂપે સોનામાં રોકાણ મળીને કરોડો રૂપિયાની મિલકત સામેલ હતી.

તેઓ મને મળવા આવ્યા ત્યારે તેમના મનમાં ઘણી ઊથલપાથલ ચાલી રહી હતી. લાગણીઓનું તોફાન ચાલી રહ્યું હતું. પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી તેનો અછડતો અંદાજ હતો. પોતાનાં દીકરા-દીકરી અને તેમના જીવનસાથીના સ્વભાવને તેઓ સારી રીતે ઓળખતા હતા. જો કે, વારસાની વહેંચણીને લગતા તેમના વિચારો ઘણા જ જટિલ હતા. બધું નિયંત્રણ પોતાના હાથમાં રાખીને આયોજન કરવાની તેમની ઈચ્છા હતી. આયોજન કરવામાં સમજદારી તો ચોક્કસ હોય છે, પરંતુ તેના પર અમલ કદાચ આપણી ઈચ્છા અનુસાર થાય નહીં એવું બને.

આથી જ ભગવદ્ ગીતાનો આ શ્લોક (અધ્યાય 2 શ્લોક 47) યાદ રાખવો જોઈએઃ

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ||

ઉક્ત શ્લોક અનુસાર આપણે આયોજનનું કર્મ કરીને તેનું ફળ ભગવાન પર છોડી દેવું જોઈએ. ફળ હંમેશાં ભગવાનના હાથમાં હોય છે. બધું પોતાની ઈચ્છા મુજબ થશે એવું જ્યારે મનુષ્ય વિચારવા લાગે છે ત્યારે દુઃખ આવે છે. હું ધારું એવું જ થાય એ અપેક્ષા છે અને અપેક્ષાઓ હંમેશાં સંતાપ લાવે છે.

પોતે જટિલ વસિયતનામું બનાવી રહ્યા છે એ બાબત તરફ મેં નરેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ પોતાના અવસાન પછી પરિવારમાં કંકાશ થાય નહીં એ માટે આ બધું કરવા માગે છે. તેમનો વિચાર ખરેખર ઉમદા છે, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેનો મારો વર્ષોનો અનુભવ કહે છે કે સાવ સાદું વસિયતનામું હોય કે પછી વસિયતનામું ન હોય તોપણ પરિવારોમાં ઝઘડા થતા હોય છે. બીજી બાજુ એવા પણ લોકો છે જેઓ વસિયતનામું ન હોય તોપણ સમજદારી રાખીને તથા સંપ ટકાવીને સંપત્તિની વહેંચણી એવી રીતે કરી લેતા હોય છે જાણે કે ભગવાનનો પ્રસાદ વહેંચીને ખાતા હોય. તેઓ એ સંપત્તિને વડીલોના આશીર્વાદ ગણતા હોય છે. મારો તો એવો પણ અનુભવ રહ્યો છે કે ઝઘડો નહીં કરીએ એવું શરૂઆતમાં કહીને પછીથી લડનારા લોકો પણ હોય છે.

આમ, ભવિષ્યમાં ચોક્કસપણે શું થવાનું છે એના વિશે કોઈ કંઈ કહી શકે નહીં. હું વાંચકોને અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અભિનિત ફિલ્મ ‘102 નોટ આઉટ’ જોઈ લેવાની ભલામણ કરું છું. તેમાં ત્રણ પેઢીઓની લાગણીઓ અને પ્રતિક્રિયાઓનું નિરુપણ કરવામાં આવ્યું છે. મરી ગયા પછી પણ નિયંત્રણ પોતાના હાથમાંથી જવા નહીં દેવાની માણસની વૃત્તિ જટિલ વસિયતનામું બનાવવામાં દેખાય છે. એક રીતે, મનુષ્યની અસલામતી પણ એમાં ડોકાય છે.

નરેશભાઈને હતું કે વસિયતનામું બનાવી લીધા બાદ તેમના જીવને શાંતિ વળશે, પરંતુ મને ખબર હતી કે એમણે કહ્યા પ્રમાણેનું જ વસિયતનામું બનશે તોપણ તેઓ પાછા આવવાના છે. તેઓ આવ્યા પણ ખરા. હવે એમને પોતાના બિઝનેસનું શું થશે તેની ચિંતા હતી. પોતાના ગયા પછી વસિયતનામાનું પાલન નહીં થાય એવી જેમને ચિંતા રહેતી હોય તેમણે ખરેખર તો બધી લપ છોડી દેવી જોઈએ. સુષુપ્ત મનની સમસ્યાઓને જાગૃત મનના તર્ક દ્વારા હલ કરી શકાતી નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 17/08/2024

ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં ક્રૂરતા આચરાયા પછી ઢાંકપિછોડો?

નવી દિલ્હીઃ કોલકાતા RG કર હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટરની સાથે થયેલા બળાત્કાર અને હત્યા પછી દેશભરમાં આક્રોશ છે. આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ગુજરાત, UP અને પંજાબ સહિત દેશની હોસ્પિટલોના ડોક્ટર હડતાળ પર છે. તેઓ દોષીઓને સજા અપાવવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ કરી રહ્યા છે. 31 વર્ષની ડોક્ટરની સાથે થયેલી દુર્ઘટના પર રાજકારણ પણ ખૂબ થઈ રહ્યું છે.

ભાજપ અને ડાબેરી પક્ષોના નિશાના પર CM મમતા બેનરજી છે. આ ઘટના પર મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં બહુ નારાજગી અને ગુસ્સો છે. આ કેસમાં મમતા સરકાર અને કોલકાતા પોલીસનું વલણ બેદરકારી ભર્યું રહ્યું છે. જે અનેક સવાલો ઊભા કરે છે. આ કેસમાં પોલીસની ભૂમિકા સંદિગ્ધ રહી છે. જેથી તપાસ CBIને સોંપવામાં આવી છે.

RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું છે, કેમ કે પહેલાં એને આત્મહત્યા કેસ બતાવવામાં આવ્યો. એ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટે લેડી ડોક્ટરની સાથે બળાત્કાર અને નિર્મમ હત્યાની વાત કહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ટ્રેની ડોક્ટર સાથે જંગલી જાનવર સાથે વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ડોક્ટરોનું માનવું છે કે લેડી ડોક્ટરની સાથે ઘણી ક્રૂરતા આચરવામાં આવી હતી. જે સમયે ઘટના બની હતી એ સમયે એકથી વધુ લોકો હાજર હોવાની આશંકા છે. ડોક્ટરના શરીર, હોઠ, નાક, ગાળ અને નીચલા જબડા પર ઇજાનાં નિશાન મળ્યાં છે. મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી 151 ગ્રામ સીમેન મળ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે સીમેન આટલી માત્રા કોઈ એક વ્યક્તિનું ના હોઈ શકે.

પોલીસે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરી છે, પણ પોલીસ તેમના વિશે વધુ કંઈ જણાવી નથી રહી. જે 5000 લોકોનું ટોળું હોસ્પિટલમાં ધસી આવ્યું હતું -એ કોણ લોકો હતા, એ વિશે પણ પોલીસ ઢાંકપિછોડો કરી રહી છે. વળી કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી પણ સવાલો ઊભા કરે છે. કોર્ટે સવાલ કર્યો હતો કે હોસ્પિટલમાં ડોક્ટરનું મોત થયું તો એની ફરિયાદ કેમ ના કરવામાં આવી? એ શંકા ઊપજાવે છે.

કાજલ હિંદુસ્તાનીની મુશ્કેલી વધી, પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત દાવાના કેસમાં કોર્ટે લીધો નિર્ણય

સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે એક વિવાદિત નિવેદન કર્યું હતું. આ બાબતે મોરબી કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કાજલ હિંદુસ્તાની સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે આ કેસ વર્ષ 2023નો છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કર્યુ હતું. કોર્ટના આદેશ પ્રમાણે કાજલ હિંદુસ્તાનીને 17 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે.

નોંધનીય છે કે આ નિર્ણય 2 એપ્રિલ, 2024ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીના આધારે લેવામાં આવ્યો છે, જેમાં કાજલ હિંદુસ્તાની સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતના કાર્યક્રમમાં મોરબીની ૭ પાટીદાર દીકરીઓ વિષે ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી. છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફીના માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવા અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે.

મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાનીને તારિખ ૮/૬/ ૨૦૨૩ના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિષે કરેલી ટીપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પાંચોટિયાએ જણાવ્યું હતું કે તારીખ ૨/૪/૨૦૨૪ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા ૧૪ ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે અને આગામી તારીખ ૧૭/૯/૨૪ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાશે.

કોર્ટે હુકમ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની ટીપ્પણીથી મોરબીના પટેલ સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાની પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હોવાથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે. આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૪૯૯,૫૦૦ અન્વયેના ગુના સંબંધે સાહેદ લીસ્ટ, ફરિયાદ અને દસ્તાવેજોની નકલો રજુ કર્યેથી પ્રસેસ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવે છે.