Home Blog Page 1475

ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PMને લખ્યો પત્ર!

જુનાગઢ: રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના મૂડમાં હોય તેવું ઘણા સમયથી લાગી રહ્યું છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવિયાને લઈને તેમની નારાજગી વખતો વખત સામે આવી છે. આ વખતે તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે. પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લાં નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બૅન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે).બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું 1. તાલાળા 2. વિસાવદર 3. જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલતું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને).વધુમાં જવાહર ચાવડાએ લખ્યું છે, આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરે એ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી. ક્યાંક કોઈની રહેમ નજર હેઠળ વાત દબાય જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે.જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે, અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે તેમણે અગાઉ કરેલી રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.

સુરતમાં વિધ્નહર્તાના વિસર્જન વખતે આવ્યું વિધ્ન!

ગુજરાત સહિત દેશમા ગણેશ વિસર્જનને લઈ ધૂમધામ ચાલી રહી છે. આજે ગુજરાતના તમામ શહેરો માંથી વાજતે ગાજતે ગણપતિ બાપાની વિદાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ સવારથી ગણેશ વિસર્જનને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટેના પુરતા બંદોબસ્ત પણ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજું ભાગળ ચાર રસ્તા નજીકથી પસાર થતી એક વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં વિધ્ન આવતા આવતા અટકી ગયું હતું.

ગણેશ વિસર્જન યાત્રા લાગી આગ

આનંદ ચૌદશની સવારનો સૂરજ ઉગે તે પહેલા સુરતમાં ગણેશજીના વિસર્જન યાત્રા નીકળી રહી છે. વહેલી સવારથી નિકળતી વિસર્જન યાત્રા શાંતિથી અને ભક્તોના આનંદોલ્લાસ વચ્ચે નીકળી રહી છે. દરમિયાન આજે 11 વાગ્યા પછી ભાગળ ચાર રસ્તા પરથી વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન આવ્યું હતું. સુરતના ભાગળ ચાર રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રામાં પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ લાગી ગઈ હતી. જોકે, આગ નાની હોવા ઉપરાંત પાલિકાના ફાયર વિભાગના જવાનોની સમયસુચકતાના કારણે આગ બુઝાવી દેવામાં આવી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતી ટાળી શકાઈ.

ટ્રેકટરનું ટાયર ફાટ્યું, રસ્તામાં થયું વિસર્જન

ત્યારે બીજી બાજું ભેસ્તાન વિસ્તારમાં આજે ગણેશ વિસર્જનના એક ટ્રેક્ટરનું ટાયર અચાનક ફાટતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતા ખંડિત થઈ ગઈ હતી. જેના કારણે અનેક ગણેશ ભક્તો દુઃખી થયાં હતાં. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી છે. શહેરના ભાગળ વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન નડ્યું હતું. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં પણ એક ગણેશ મંડળ દ્વારા વિસર્જન યાત્રા કરવામાં આવી હતી, જેનો અકસ્માત થયો હતો.

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર દેશમાં પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશમાં બુલડોઝર એક્શન પર સ્ટે મૂક્યો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીની વિરુદ્ધ જમિયત ઉલેમા એ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે આગામી પહેલી ઓક્ટોબરની સુનાવણી સુધી કોર્ટની મંજૂરી વિના દેશમાં ક્યાંય પણ સંપત્તિને તોડી નહીં શકાય. જોકે કોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથો વગેરે પર કોઈ પણ ગેરકાયદે બાંધકામ પર લાગુ નહીં થાય.

કોર્ટમાં SG તુષાર મહેતાએ કહ્યું હતું કે ડિમોલિશનની કાર્યવાહી જ્યાં થઈ છે, ત્યાં કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને થઈ છે. એક સમુદાયને વિશેષ ટાર્ગેટ કરવાનો આરોપ ખોટો છે. ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે. એના પર જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે કોર્ટની બહાર જે વાતો થઈ રહી છે, એ અમને પ્રભાવિત નથી કરતી. અમે એ દલીલમાં નથી ઊતરતા કે કોઈ ખાસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે નહીં. જો ગેરકાનૂની મુદ્દો છે તો એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે નેરેટિવથી અમે પ્રભાવિત નથી થઈ રહ્યા. અમે એ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે ગેરકાયદે બાંધકામને સુરક્ષા આપવાના પક્ષમાં કોર્ટ નથી.

 

 

મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ પર MVAમાં ફરી ચર્ચા થશે, સંજય રાઉતે કહ્યું કે…

મુંબઈ: મહાવિકાસ અઘાડી (MVA)ના ત્રણ સાથી પક્ષો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 18 થી 20 સપ્ટેમ્બર સુધી બેઠક વહેંચણી પર વાત કરશે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે આ માહિતી આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કઈ બેઠકો પર ચૂંટણી લડવાની છે તેની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે આખરી રહેશે. MVAના સાથી પક્ષોમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), NCP-SP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, “18 થી 20 સપ્ટેમ્બર સુધી MVA ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણી અંગે વાતચીત થશે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. કયો પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના પર ચર્ચા કરવામાં આવશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બેઠકો નક્કી કરવા માટે જીતની ક્ષમતા એ માપદંડ હશે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી-એસપીએ શિવસેના (UBT) કરતાં વધુ સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો,આ સવાલ જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમની પાર્ટીના મતો મોટાભાગે આ બે પક્ષોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

શિવસેનાએ કોલ્હાપુર, અમરાવતી અને રામટેક સીટો કોંગ્રેસને આપી દીધી છે. રાઉતે કહ્યું કે જો આ બેઠકો શિવસેના (યુબીટી) પાસે હોત તો તે ચોક્કસપણે જીતી શકત. તેમણે કહ્યું કે શિવસેના (UBT) કાર્યકરોએ બારામતી સહિત NCP-SP માટે સખત મહેનત કરી.

2020માં ધારાસભ્યથી લઈને 2024માં મુખ્યમંત્રી સુધીની આતિશીની સફર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તે અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી પ્રભાવશાળી મંત્રી રહ્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. મંગળવારે AAP સંયોજક કેજરીવાલે સિવિલ લાઇન્સ સ્થિત આવાસ પર બેઠક બોલાવી હતી. તેમાં સર્વસંમતિથી નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી હતી. આતિશી પંજાબના રાજપૂત પરિવારમાંથી આવે છે અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. આતિશી વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2023માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતાં. હવે એક વર્ષ બાદ જ 2024માં તેઓને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને 4.77 લાખ મતથી હરાવ્યા હતાં.આતિશીને કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ અન્ના આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. હાલ તેમની પાસે સૌથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. જ્યારે માર્ચમાં અરવિંદ કેજરીવાલ જેલ ગયાં, ત્યારથી તે પાર્ટીથી લઈને સરકાર સુધીની બાબતોનો મોરચો સંભાળે છે. મુખ્યમંત્રીને લઈને જે અન્ય નામોની ચર્ચા હતી, તેમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ હતું.આતિશી વર્ષ 2020માં પહેલીવાર કાલકાજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. તેઓએ ભાજપ ઉમેદવાર ધર્મવીર સિંહને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતાં. આતિશીનો જન્મ 8 જૂન 1981માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નામવિજય સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યાં છે. આતિશીએ શાળાનું શિક્ષણ નવી દિલ્હી સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેઓએ સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ઈતિહાસ વિષય સાથે અભ્યાસ કર્યો અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેવનિંગ સ્કોલરશિપ પર માસ્ટરસ ડિગ્રી હાંસલ કરી. થોડા વર્ષો બાદ શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કૉલરના રૂપે ઑક્સફોર્ડથી પોતાની બીજી માસ્ટર ડિગ્રી મેળવી. તેઓએ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સાત વર્ષ વિતાવ્યા હતા. જ્યાં તેઓ જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષા પ્રણાલીઓ સાથે જોડાયા. તેઓએ ત્યાં બિન-લાભકારી ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. જ્યાં પહેલીવાર AAPના કેટલાંક સભ્યો સાથે આતિશીની મુલાકાત થઈ અને પાર્ટીના સ્થાપના સમયથી જ તેઓ પાર્ટીમાં જોડાયા.આતિશી 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરા સમિતિના પ્રમુખ સભ્ય હતાં. પાર્ટી બની ત્યારે શરૂઆતી સમયમાં તેની નીતિઓને આકાર આપવામાં આતિશીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ સિવાય આતિશીએ પાર્ટી પ્રવક્તા રૂપે પણ દમદાર રીતે પોતાના પક્ષ મુક્યો છે. આતિશી કેજરીવાલની જેમ મનિષ સિસોદિયાના પણ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓએ મનિષ સિસોદિયાના સલાહકાર તરીકે અને તેમની ગેરહાજરીમાં શિક્ષા મંત્રાલયનું કામ પણ સંભાળ્યું છે.

સ્વાતિ માલીવાલે નવાં CM આતિશી પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના નવાં CM બનવા જઈ રહેલાં આતિશી પર તેમની જ પાર્ટીના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલે નિશાન સાધતાં કહ્યું હતું કે દિલ્હી માટે આ જે બહુ દુખદ દિવસ છે.  ભગવાન દિલ્હીની રક્ષા કરે. તેમણે આતિશીને ડમી CM ગણાવ્યાં હતાં.

સ્વાતિએ સોશિયલ મિડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દિલ્હીના CM એક એવી મહિલાને બનાવવામાં આવી રહ્યાં છે, જેમના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેમનાં માતાપિતાએ આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી. તેમના હિસાબે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યો હતો. આમ તો આતિશી માર્લેના માત્ર ડમી CM છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે.

આતિશી અને સ્વાતિ માલીવાલની વચ્ચેનો આ શાબ્દિક જંગનો આ પહેલો મામલો નથી. આ પહેલાં સ્વાતિ માલીવાલે જ્યારે CM હાઉસમાં તેમના ભૂતપૂર્વ PA બિભવ રાય તરફથી મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારે આતિશીએ સ્વાતિ પર હુમલો કર્યો હતો. આતિશીએ દાવો કર્યો હતો કે સાંસદ સ્વાતિ માલીવાલ ગેરકાયદે ભરતી મામલે આરોપોનો સામનો કરી રહી છે. તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. એને કારણે તેમને ભાજપે બ્લેકમેલ કરીને CM કેજરીવાલ વિરુદ્ધ કાવતરાનો ભાગ બનાવ્યો છે. આતિશીએ આરોપ લગાવ્યો હતો કે માલીવાલ મુલાકાતનો સમય લીધા વિના CMના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી.

બીજી બાજુ, આપના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલના આતિશી પર કરવામાં આવેલા ટ્વીટ પર આપ નેતા દિલીપ પાંડેએ કહ્યું હતું કે સ્વાતિ એવી વ્યક્તિ છે, જે રાજ્યસભાની ટિકિટ તો આપ પાર્ટીથી લે છે, પણ પ્રતિક્રિયા આપવા માટે ભાજપ પાસેથી સ્ક્રિપ્ટ લે છે.

CMની રજાની ચર્ચા, કોણ બની શકે છે ઇન્ચાર્જ મુખ્યમંત્રી?

PM મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગુજરાત પ્રવાસે તેમણે કેટલી મહત્વની બેઠકો પણ કરી છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલને પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીએ PM મોદી પાસેથી રજાની માંગણી પણ કરી છે. ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રીને PMO તરફથી જો રજા મળે તો ભૂપેન્દ્ર પટેલ દીકરાની સારવાર કરાવવા માટે અમેરિકા જઈ શકે છે. આમ જો તે અમેરિકા જાય તો એવા સંજોગોમાં અન્ય મંત્રીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકે છે તેવી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરાને એપ્રિલ 2023માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેની સારવાર અર્થે મુખ્યમંત્રીને અમેરિકા જવુ પડે એમ છે. અને આગામી દોઢ સપ્તાહમાં એટલે કે 25 સપ્ટેમ્બર આસપાસ મુખ્યમંત્રી પટેલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ શકે છે. પરંતુ પ્રશ્ન ઊભો એ થાય કે મુખ્યમંત્રીની અમેરિકા જાય તો, આવા સંજોગોમાં CMનો ચાર્જ શું કોઈને સોંપવામાં આવશે? અને કોને સોંપાશે?

અહિં નોંધનીય છે કે સામાન્ય રીતે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક સંજોગોમાં મુખ્યમંત્રીને આકસ્મિક બહાર જવાનું થાય તો તેનો ચાર્જ સોંપવો પડે એ નિયમ હોય છે. પરંતુ કોને ચાર્જ સોંપવો એ માટેના કોઈ નિયમ નથી. જો કે, આદર્શ સ્થિતિ પ્રમાણે એવા કેબિનેટ મંત્રી કે જે નંબર 2 અથવા નંબર 3 પોઝિશન પર હોય તેને ચાર્જ આપી શકાય છે. જો મુખ્યમંત્રી અમેરિકા જાય અને ચાર્જ સોંપવો પડે તેમ હોય તો હાલ સરકારમાં નંબર 2 મંત્રી તરીકે નાણામંત્રી કનુ દેસાઈ છે, જ્યારે નંબર 3 પોઝિશન પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે. આ બંને પૈકી એક પર ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો કળશ ઢોળાઈ શકે છે. જો કે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે છે તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હર્ષ સંઘવીનું નામ પણ આ યાદીમાં અગ્રેસર છે. કેટલાક રાજકીય નિષ્ણાતો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ધારે એ વ્યક્તિને ચાર્જ આપી શકે છે અથવા તો પોતાના ખાતા અલગ અલગ મંત્રીઓ વચ્ચે વહેંચી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવા માટે પણ મંત્રીની નિમણૂક કરવાની રહેતી હોય છે. જો કે, સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીના બે સલાહકાર એવા હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠોડ હોવાને કારણે મુખ્યમંત્રીનો ચાર્જ અન્ય કોઈને ન સોંપે તો પણ ચાલી શકે છે.

PM Modi Birthday: શું ઈન્દિરા ગાંધી અને નેહરુનો રેકોર્ડ તોડશે પીએમ મોદી?

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Birthday)નો 74મો જન્મદિવસ છે. 9 જૂને નરેન્દ્ર મોદીની તાજપોશી થઈ હતી. આ સાથે તેમણે સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળી. નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગ પોતાનામાં એક રેકોર્ડ છે. સતત ત્રીજી વખત શપથ લેતા જ તેઓ જવાહર લાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની હરોળમાં જોડાઈ ગયા.

ચાલો જાણીએ કે દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર કોણ છે? શું મોદી, જેઓ સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પીએમની યાદીમાં સામેલ છે, તેઓ એક વખત તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ઈન્દિરાનો રેકોર્ડ તોડી શકશે?

જવાહરલાલ નેહરુ
આઝાદી પછી જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. જવાહર લાલ નેહરુએ સતત ત્રણ વખત દેશની બાગડોર સંભાળી હતી. પંડિત નેહરુ 1947 થી 1964 સુધી લગભગ 17 વર્ષ વડાપ્રધાન રહ્યા હતા. તેમણે 16 વર્ષ, 9 મહિના, 13 દિવસ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું. વડાપ્રધાન પદ સંભાળતી વખતે 27 મે, 1964ના રોજ નવી દિલ્હીમાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું.

ઈન્દિરા ગાંધી
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા. ચાર વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ઈન્દિરાએ 1966થી 1977 સુધી સતત ત્રણ વખત દેશમાં સત્તા સંભાળી હતી. 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ ઈન્દિરા પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા. 1967માં યોજાયેલી ચૂંટણી જીત્યા બાદ તેમણે બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી 1971ની ચૂંટણી જીત્યા પછી ઇન્દિરાએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. ઈન્દિરાએ 1975માં ઈમરજન્સી લાદી હતી. આ કારણે, જે કાર્યકાળ 1976માં સમાપ્ત થઈ શક્યો હોત તે 1977માં ઈમરજન્સીના અંત સુધી ચાલુ રહ્યો. તેમનો ચોથો અને અંતિમ કાર્યકાળ 1980 થી 1984 સુધીનો હતો. 31 ઓક્ટોબર, 1984ના રોજ, ઈન્દિરાની તેમના બે અંગરક્ષકો દ્વારા તેમના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી. આ રીતે ઈન્દિરા 15 વર્ષ 11 મહિના અને 22 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યા.

નરેન્દ્ર મોદી
ભાજપના દિગ્ગજ નેતાએ 2014માં સત્તા સંભાળ્યા બાદ 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. મોદીએ ભાજપને 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવા માટે નેતૃત્વ કર્યું, બંને પ્રસંગોએ સંપૂર્ણ બહુમતી મેળવી. વડાપ્રધાન તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ 9 જૂન 2024ના રોજ શરૂ થયો હતો. તેમણે 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કર્યા બાદ તેઓ ત્રીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બનશે. જોકે, ત્રીજી ટર્મમાં પણ તે ઈન્દિરાના રેકોર્ડની બરોબરી કરી શકશે નહીં.

ડૉ.મનમોહન સિંહ
દેશના પ્રથમ શીખ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેમણે બંને વખત યુપીએ સરકારનું નેતૃત્વ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયમાં ઉપલબ્ધ માહિતી અનુસાર મનમોહન સિંહનો કાર્યકાળ 10 વર્ષ 5 દિવસનો હતો.

અટલ બિહારી વાજપેયી
અટલ બિહારી વાજપેયીએ 1996 માં 13 દિવસ અને 1998 થી 2004 સુધી બે અધૂરી મુદત માટે ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. અટલનો પ્રથમ કાર્યકાળ 16 મે 1996 થી 1 જૂન 1996 સુધીનો હતો. તેઓ 19 માર્ચ 1998 થી 29 એપ્રિલ 1999 સુધી બીજી વખત વડાપ્રધાન પદે રહ્યા. તેઓ છેલ્લે 3 ઓક્ટોબર 1999 થી 10 મે 2004 સુધી પીએમ પદ પર રહ્યા હતા.

અમદાવાદમાં 51 કૃત્રિમ કુંડમાં વિશિષ્ટ વ્યવસ્થા સાથે ગણેશ મૂર્તિ વિસર્જન

અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં ગણેશ મહોત્સવની ધૂમધામ ચાલી રહી છે. ત્યારે તારીખ 7થી શરૂ થયેલ ગણેશ મહોત્સવ આજે પૂર્ણ થવાના આરે છે. આજ સુધી તમામ ભક્તો 1.5 દિવસ, 3, 5, 7, 10 દિવસે ગણેશ ભગવાનનું વિસર્જન કરતા હોય છે. શહેરના 40 વિવિધ લોકેશન ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 51 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર તરફથી 22,658 જેટલી નાની-મોટી ગણેશજીની મૂર્તિનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂલ, પુજાપા સહિતની સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી હતી.

ગણેશચતુર્થીના દિવસથી શહેરમાં ભાવિકો દ્વારા એક દિવસથી લઈ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના ઘર અથવા અલગ અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી રોજેરોજ એકત્ર કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિઓનો પિરાણા ખાતે નકકી કરવામાં આવેલી જગ્યાએ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરમાં 48 પંડાલ ઉભા કરવામાં આવ્યા હતા. ભાવિકો તરફથી અર્પણ કરવામાં આવેલા ફૂલ, પુજાપા, પિતાંબર સહિતની ધાર્મિક સામગ્રી એકઠી કરવા સાત ઝોનમાં સાત કલેકશન વાન કાર્યરત કરવામાં આવી હતી.

સૂત્રો તરફથી મળતી આંકડાકિયા માહિતી પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારની 2779 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 5654, ઉત્તર વિસ્તારની 415, દક્ષિણ વિસ્તાર 725, મધ્ય વિસ્તારમાં સૌથી વધુ 12033 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 575, જ્યારે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 477 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

CM મમતા બેનરજીએ ડોક્ટરોની 90 ટકા માગ માની

કોલકાતાઃ પ્રદર્શનકારી ડોક્ટરોની સાથે ઉચ્ચ સ્તરીય વાત કર્યા પછી પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ કહ્યું હતું કે તેમણે રાજ્ય બે આરોગ્ય અધિકારીઓ અને કોલકાતાના પોલીસ કમિશનરની સાથે-સાથે એક અન્ય પોલીસ અધિકારીએ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે તેમની ચાર માગ છે. તેમની પ્રથમ માગ એ હતી કે તેમણે આરોગ્ય સચિવ સહિત ત્રણ નામ જાહેર કરવાં જોઈએ. અમે DME અને DHSને તેમની માગ મુજબ હટાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે CP વિનીત ગોયલને હટાવવાની પણ માગ કરી હતી. અમે આ માટે સહમત થયા છીએ અને મંગળવારે સાંજે 4 વાગ્યા પછી તેમને હટાવવાનો નિર્ણય લીધો છે અને વિનીત ગોયલ તેમની જવાબદારી નવા CPને સોંપશે. અમે નોર્થ DCને પણ હટાવવાનો નિર્ણય લીધો છે. CM મમતા બેનર્જીએ કહ્યું હતું કે અન્ય કોઈ મુદ્દાના કિસ્સામાં મુખ્ય સચિવની નીચે એક સમિતિની રચના કરવામાં આવી છે. ડોક્ટર્સ ભવિષ્યમાં મુખ્ય સચિવ સમક્ષ કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે છે. આ ઉપરાંત ડોકટરોની સુરક્ષા માટે પણ સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે.

આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે હું કંઈ બોલી રહી નથી. તેમણે જે પણ માગ કરી હતી. એમાંની ચાર માગમાંથી ત્રણ માગ અમે સ્વીકારી છે. અમે તેમને કામમાં જોડાવા માટે અપીલ કરી છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સામાન્ય લોકોનાં વધુ મોત ન થવાં જોઈએ. આજકાલ આપણે રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમે દેશભરમાં અસરગ્રસ્ત તમામ મહિલાઓ માટે ન્યાય ઇચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.જોકે આંદોલનકારી ટ્રેની ડોક્ટરોએ CM મમતા બેનરજી સાથે મુલાકાત કર્યા પછી માગ પૂરી થવા સુધી કામ બંધ અને પ્રદર્શન જારી રાખવાની જીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે હટાવવામાં આવ્યા એ અમારી નૈતિક જીત છે.