Home Blog Page 147

અગ્રતાસે સાણંદ બેટરી સુવિધા ખાતે મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો

સાણંદઃ ટાટા ગ્રુપની ગ્લોબલ બેટરી બિઝનેસ કંપની અગ્રતાસ ગુજરાતના સાણંદમાં તેની સુવિધા પર ઝડપી ગતિએ પ્રગતિ કરી રહી છે. મુખ્ય સ્ટીલ ફ્રેમનું કામ હવે પૂર્ણ થયું છે, જે ઓપરેશનલ તૈયારી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અહીં ઉત્પાદન 2027માં શરૂ થવાની અપેક્ષા છે.

આ પ્રોજેક્ટનું અમલીકરણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE) અને વિવિધ સ્ટીલ કોન્ટ્રેક્ટર્સ સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલું તમામ સ્ટીલ અને મોટા ભાગની અન્ય સામગ્રી ભારતમાંથી જ મેળવવામાં આવી છે, જે દેશની સપ્લાય ચેઇન અને ઔદ્યોગિક ક્ષમતાને મજબૂત બનાવે છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડે છે.

કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સુધીર ઘાલસાસીએ જણાવ્યું હતું કે આ માઈલસ્ટોન સાણંદમાંના પ્રોજેક્ટના વ્યાપ, જટિલતા અને ગતિને દર્શાવે છે. સતત બદલાતી પરિસ્થિતિમાં, વિગતવાર ડિઝાઇનને વાસ્તવિક સ્વરૂપ આપવું અનેક પડકારો સાથે આવે છે. એક વિઝન તરીકે શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે મજબૂત સહયોગ, શિસ્તબદ્ધ અમલીકરણ અને ટીમોના સંયુક્ત પ્રતિબદ્ધતાથી આકાર લઈ રહ્યો છે. અમારા ભાગીદારો સાથે મળીને, અમે યોજનાઓને વાસ્તવિક પ્રગતિમાં પરિવર્તિત કરી છે અને ભવિષ્ય માટે તૈયાર એવી સુવિધા ઊભી કરી રહ્યા છીએ.

ભારતનું ક્લીન એનર્જી વિઝન અને નેટ ઝીરો 2070

ભારતે 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનો સંકલ્પ લીધો છે અને 2030 સુધી 500 GW નોન-ફોસિલ ફ્યુઅલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યો હાંસલ કરવા માટે ઇલેક્ટ્રિક મોબિલિટી અને ગ્રિડ-સ્કેલ એનર્જી સ્ટોરેજમાં ઝડપી વૃદ્ધિ જરૂરી છે, જેને અદ્યતન બેટરી સેલ્સની મજબૂત સ્થાનિક સપ્લાય સપોર્ટ કરશે.

પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh ક્ષમતાવાળી અગ્રતાસની સાણંદ સુવિધા આ માગને પૂરી કરવામાં કેન્દ્રસ્થાને રહેશે. આ સુવિધા કાર્યરત થયા બાદ અહીં ઇલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ એપ્લિકેશન્સ માટે અદ્યતન બેટરી સેલ્સનું ઉત્પાદન થશે, જે ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે અને ભારતને વૈશ્વિક બેટરી વેલ્યુ ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન આપશે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રદેશમાં મોટા પાયે રોજગાર સર્જાશે.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ (મેન્યુફેકચરિંગ ઓપરેશન્સ) દીપક ખરેએ જણાવ્યું હતું કે સાણંદમાં સ્ટીલ ફ્રેમનું પૂર્ણ થવું ઓપરેશનલ તૈયારી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આગળ વધતા, હવે અમારું ધ્યાન સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ અને ક્ષમતાઓના વિકાસ પર છે — જેથી ભારતમાંથી વિશ્વ માટે વિશ્વ સ્તરીય અને વિશ્વસનીય બેટરીઓનું ઉત્પાદન કરી શકાય.  એસાથે જ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત મેન્યુફેકચરિંગ માટે કુશળ વર્કફોર્સનું નિર્માણ પણ અમારી પ્રાથમિકતા છે.

ગૌતમ અદાણીએ પરિવાર સાથે શ્રી રામ મંદિરમાં દર્શન કર્યા

અયોધ્યા: જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે પરિવાર સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કર્યા બાદ આરતી કરી. પૂજારી પાસેથી તિલક કરાવ્યું. પ્રસાદ ગ્રહણ કર્યો. રામ મંદિર નિર્માણ વિશે ટ્રસ્ટના સભ્યો પાસેથી માહિતી લીધી.ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “મને અને મારા પરિવારને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. આ એક ભાવુક ક્ષણ છે, એક ગર્વની ક્ષણ છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ, એકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. ભગવાન રામના આદર્શો આપણને સત્ય અને કર્તવ્યના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન રામના આશીર્વાદ આપણા સૌ પર બની રહે અને આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે.”

ગૌતમ અદાણીએ અયોધ્યાના નિઃશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. ગુરુકુળની જૂની અને આધુનિક પરંપરા વિશે જાણ્યું. તેમણે કહ્યું કે બાળકો સાથે સમય વિતાવ્યો. ગુરુકુળ આજના યુગમાં આપણી સંસ્કૃતિને જાગૃત રાખવાનું કામ કરી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન AI ના આ યુગમાં આ ગુરુકુળ સંસ્કૃતિને સંરક્ષિત કરવામાં શક્ય તમામ સહયોગ આપશે.

લગભગ 200 વિદ્યાર્થીઓ સાથે, ગુરુકુલ મફત શિક્ષણ પ્રદાન કરે છે, જે ખાતરી કરે છે કે જ્ઞાન સુલભ અને સમાવિષ્ટ રહે. કેમ્પસમાં ગૌશાળા, એક પરંપરાગત ગૌશાળા પણ શામેલ છે. સંસ્થા એક સમૃદ્ધ વારસો ધરાવે છે, જેમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તેના પ્રારંભિક મુલાકાતીઓમાં હતા.

મોંઘવારીનો મારઃ સાબુ, તેલ અને પેઇન્ટના ભાવ વધવાની શક્યતા

નવી દિલ્હીઃ સામાન્ય વ્યક્તિના રસોડા અને દૈનિક બજેટ પર ફરી એક વાર મોંઘવારીનો પ્રહાર થવાનો છે. કાચા તેલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં FMCG કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. નવા નાણાકીય વર્ષ (FY27)ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ–જૂન) દરમિયાન સાબુ, તેલ અને પેઇન્ટ જેવી વસ્તુઓના ભાવમાં લગભગ ત્રણથી ચાર ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.

ભાવ કેમ વધી રહ્યા છે?

કોઈ પણ FMCG કંપનીના કુલ ખર્ચમાં લગભગ 15થી 20 ટકા ભાગ માત્ર પેકેજિંગ — એટલે કે પ્લાસ્ટિકની બોટલો, ઢાંકણ અને રેપરમાં જાય છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પોલીપ્રોપિલિન અને પોલીથિલિન જેવા પેટ્રોકેમિકલ્સના ભાવ વધી ગયા છે, જેને કારણે પેકેજિંગ ખર્ચ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ લગભગ $100 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. પેઇન્ટ કંપનીઓ માટે લગભગ 40 ટકા કાચો માલ ક્રૂડ ડેરિવેટિવ્સ સાથે જોડાયેલો હોવાથી તેમની ઉત્પાદન કિંમત વધી રહી છે અને પરિણામે પ્રોડક્ટના ભાવ વધવાની શક્યતા છે.

આ વસ્તુઓ પર સૌથી વધુ અસર પડશે

રિપોર્ટ મુજબ કેટલીક કેટેગરીમાં ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે:

પેઇન્ટ ઉદ્યોગ: એશિયન પેઇન્ટ્સ અને બર્જર પેઇન્ટ્સ જેવી કંપનીઓએ પહેલેથી જ ભાવોમાં ફેરફાર શરૂ કરી દીધો છે. બર્જર પેઇન્ટ્સે માર્ચના અંતથી ભાવ વધાર્યા છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ એપ્રિલના મધ્યથી મોટા ભાવવધારા કરી શકે છે.

સાબુ અને ડિટર્જન્ટ: નાહવાના સાબુ અને કપડાં ધોવાના પાઉડરના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.

ખાદ્ય તેલ: એડિબલ ઓઇલ સેક્ટર પણ વધતા ખર્ચના દબાણ હેઠળ છે.

મિડલ ઈસ્ટ સંકટ અને વિદેશી વેપાર

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ખાડી દેશોમાં વ્યવસાય કરતી ભારતીય કંપનીઓની ચિંતા વધી છે. ડાબર અને ઈમામી જેવી કંપનીઓની કુલ વેચાણમાં લગભગ છ ટકા હિસ્સો મિડલ ઈસ્ટમાંથી આવે છે. યુદ્ધની સ્થિતિને કારણે ત્યાં સપ્લાય ચેન અને ઇન્શ્યોરન્સ ખર્ચ વધી ગયા છે. માલ વહન કરવાનાં ભાડાં વધતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતી કંપનીઓના માર્જિન પર દબાણ વધી રહ્યું છે.

કાંદિવલી એજયુકેશન સોસાયટીના ૯૦ વરસની ભવ્ય ઉજવણી

મુંબઈ: પશ્વિમના આ સુંદર સબર્બ ખાતેની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઇએસ) છે. જેના ૯૦ વરસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન તા. ૨૯ માર્ચના રવિવારે સંસ્થાના પ્રાંગણમાં થયું હતું. આ સંસ્થાની સ્કુલ અને કોલેજના એલ્યુમનાઈ (ભૂતપૂર્વ વિધાર્થીઓ) અદભુત ઉત્સાહ સાથે આ પ્રસંગે હાજર રહયા હતા. આ ઉપરાંત કાંદિવલીના અગ્રણી નાગરિકો, દાતાઓ અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. નોંધપાત્ર વાત એ પણ ખરી કે સંસ્થામાં વરસો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવનાર સંખ્યાબંધ શિક્ષકો પણ અહીં હાજર હતા, જેમને વિધાર્થીઓ ઉમળકાભેર મળ્યા હતા. આખા મેદાનમાં આનંદ અને ઉત્સાહની લહેરો ફરી રહી હતી.

૯૦ વરસે પણ યુવાન સંસ્થા

યોગેશ સાગરે કેઈએસની ગરિમાને બિરદાવતા કહયું હતું કે ૯૦ વરસનો પ્રવાસ બહુ લાંબો થકવી દે એવો કહેવાય. પરંતુ આવી સંસ્થા ટકે તેના માટે બે ભાવ હોવા જરૂરી છે, એક સેવા અને બીજો સમર્પણનો ભાવ. સેવા સાર્વજનિક છે અને સમર્પણ એ વ્યકિતગત હોય છે. આ સંસ્થા ૯૦ વરસે પણ જુવાન છે. આ સંસ્થા માતૃસંસ્થા છે. તેથી જ તેને અહીં ભણેલા વિધાર્થીઓએ સહયોગ આપવો જોઈએ. સમાજમાં આવી સંસ્થાઓ બહુ ઓછી છે, જે વિધાર્થીઓમાં ચરિત્ર ઘડતર કરે છે, કેઇએસ આવી એક અનોખી સંસ્થા છે.

કેઈએસની જ્ઞાનગંગાનો પ્રવાહ

આ પ્રસંગે હાજર રહેલા સંખ્યાબંધ એલ્યુમનાઇને સંબોધતા કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહે કહયું કે ગંગાસ્નાન કરીએ ત્યારે જે પાણીમાં સ્નાન કર્યું હોય તે જ પાણી બીજી વાર સ્નાન કરીએ ત્યારે રહેતું નથી. પણ ગંગાનું ગંગાત્વ અને પુણ્યભાવ સતત બધા અનુભવે છે. કેઈએસનો જ્ઞાનનો આવો શિક્ષણપ્રવાહ સતત ચાલુ છે. બીજું એક ઉદાહરણ આપતા તેમણે કહયું કે અખંડ જ્યોત આપણે કહેતા હોઈએ છીએ, પણ એ જ્યોતને સતત પ્રજવલિત રાખવા એમાં ઘી પૂરતા રહેવુ પડે. જેમ એક નાના બીજથી વૃધ્ધિ પામી એક વટવૃક્ષ બને છે તેની શીતલ છાયામાં દરેક માનવ પશુપંખી વિસામો લે છે. વડની વડવાઈ પર ઝૂલે છે તેવું શિક્ષણનું બીજ આજથી ૯૦ વર્ષ પૂર્વે કાંદિવલીમાં ૧૯૩૬ના મે મહિનામાં રોપાયું તે આજે ૯૦ વર્ષના મહત્વપૂર્ણ સમય બાદ કાંદિવલીમાં જ્ઞાન શિક્ષણ સંકુલ વટવૃક્ષ રૂપે પ્રવર્તમાન છે. ૧૩ વિધાર્થીઓ સાથે આરંભાયેલી આ સંસ્થામાં હાલ ૨૨ હજારથી વધુ વિધાર્થીઓ પ્રાઈમરીથી લઈ ઉચ્ચત્તમ અભ્યાસ કરી રહયા છે.

મહેશભાઈએ વિધાર્થી સહિતના શ્રોતાના હૃદયનેપાર ઉતરી સ્પર્શે એવી વાત કરતા કહયું કે વડ કદી એવુ વિચારતું નથી કે મારી વડવાઈની વિસ્તરણ મારી મહત્તા ઘટાડશે. તે તો વડવાઈને પૂર્ણ રીતે વિસ્તરવા પોષણ આપે છે તેથી વિધાર્થીઓ આ શાળા-કોલેજોમાં ભણી કોઈ ડોક્ટર બન્યા, કોઈ CA બન્યા, કોઈ મોટા બિઝનેસમેન બન્યા, તો કોઈ બાંધકામ ક્ષેત્રના મોટા બિલ્ડર અને આર્કિટેક્ટ બન્યા છે. આ શૈક્ષણિક સંકુલની મહત્તા ફક્ત ભણતર ઉપરાંત તેના ગણતર અને ઘડતર પર પણ રહી છે. આ શૈક્ષણિક સંકુલ માં ગુજરાત, હિન્દી અંગ્રેજી, સંસ્કૃત ભાષાનું મહત્વ રહયું છે. વૈજ્ઞાનિક, આર્થિકક્ષેત્ર, કાયદાકીય ક્ષેત્ર, ટેકનોલોજી ના વિવિધ પાસા અને ક્ષેત્રને લગતું શિક્ષણ આપવા સંપૂર્ણ સજ્જ છે. હજી તો સંસ્થા નવા યુગ સાથે મેળ ખાય એવા અનેકવિધ કોર્સિસ દાખલ કરવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

કેઈએસનો ઈતિહાસ અને એલ્યુમનાઇ પોર્ટલ

નેવું વરસની ઉજવણીના ભાગરૂપ આ દિવસે કેઈએસના ૯૦ વરસના ઈતિહાસને બે ભાષામાં (ગુજરાતી અને અંગ્રેજી) આવરી લેતા કોફી ટેબલ બુકનું સુપ્રસિધ્ધ સાહિત્યકાર દિનકર જોષીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું, દિનકરભાઇ પણ અહીની સ્કુલમાં ભણ્યા છે અને મેનેજમેન્ટ કમિટીમાં પણ સ્થાન ધરાવે છે. આ બુકમાં સંસ્થાની તમામ કોલેજો-સ્કુલોની વિગતો અને જુના-નવા યાદગાર ફોટા પણ સમાવી લેવાયા છે. આ ઉપરાંત સંસ્થાએ એલ્યુમનાઈ પોર્ટલ પણ લોન્ચ કર્યુ હતું, જેમાં આ સંસ્થામાંથી શિક્ષણ લઈને ગયેલા સવા બે લાખ વિધાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને આ માતૃસંસ્થા સાથેનો સંબંધ સેતૂ જાળવી શકે છે.કાર્યક્રમના આરંભમાં દિનકર જોષી, યોગેશ સાગર અને ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટય બાદ કેઈએસના સંગીત મહાવિધાલયના સંખ્યાબંધ બાળકોએ મંચ પર એક સરખા ડ્રેસમાં સંગીત મહાવિધાલયના નિયામક ભાવેશ જાનીના સંચાલન હેઠળ મધુર સ્વરમાં પ્રાર્થનાની અને કેઈએસ પરના ખાસ ગીતની રજૂઆત કરી હતી. આ અવસરે સંસ્થાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રમણભાઇ શાહ એ કિરણભાઇ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.

ઈતિહાસની હ્રદયસ્પર્શી નાટય પ્રસ્તુતિ

સંસ્થાકીય સ્તરે વિધિસરના કાર્યક્રમ બાદ જાણીતા ડિરેકટર-પ્રોડયુસર (આઈડિયાઝ અનલિમિટેડના સ્થાપક) મનોજ શાહની ટીમે ઈસ્કુલ-મારી શાળા નામે એક નાટય પ્રસ્તુતિ કરી હતી. જેમાં કેઈએસના વાસ્તવિક ઈતિહાસને રસપ્રદ તથા સંવેદનશીલ ભાવ સાથે વણી લેવાયો હતો. આ નાટકમાં ૪૫ કળાકારોએ ભાગ લીધો હતો અને ૧૯૩૬થી લઈ ૨૦૨૬ સુધીની સંઘર્ષ તથા ગૌરવપૂર્ણ સ્મૃતિઓ-ઘટનાઓને તાજી કરી હતી.

આભાર સાથે આનંદની લાગણી

કાર્યક્રમના અંતે કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણાએ આભાર વિધિમાં કહયું હતું કે મારે ભાર વિનાની આભાર વિધિ કરવી છે, તેથી આને હું આભાર વિધિને બદલે આનંદ વિધિ કહીશ. આ સંસ્થામાં હું પોતે ભણ્યો, આ સંસ્થાના વહીવટ-સંચાલનમાં પણ મને ભૂમિકા ભજવવા મળી. મારી માતૃ સંસ્થાની સેવા કરવાનો મને અવસર મળ્યો, તેથી પ્રથમ આભાર અને આનંદ પરમાત્મા પ્રત્યે વ્યકત કરું છું. ૯૦ વરસનો સમયગાળો એટલે ત્રણ પેઢી સમાઈ જાય એટલો લાંબો સમય. આ સમયના સૌ વિધાર્થીઓ અને લગભગ સવા બે લાખ જેટલાં એલ્યુમનાઈ વિધાર્થીઓ, જેમાંથી આજે ઘણાં અહી હાજર છે, તેમની પોતાની માતૃસંસ્થા પ્રત્યેની લાગણીને બિરદાવું છું અને આગામી પેઢીને તેમનો સહયોગ મળતો રહે એવી અપેક્ષા પણ વ્યકત કરું છું. આ ભવ્ય અવસરને સફળ બનાવવા સંસ્થાની તમામ સ્કુલ અને કોલેજોના પ્રિન્સીપાલ્સ સહિતના તમામ સ્ટાફ મેમ્બર્સે અથાગ મહેનત કરી હતી, જેમાં ડો. લીલી ભૂષણ, ડો. સંગીતા શ્રીવસ્તવ, ડો. વિરલ દવે, શ્રીમતી જોયસ ધનાસિંગ, ક્ષમા વાળંજુ, ડો. કન્નન, એડમિનિસ્ટ્રેટર પારુલ સંપટ, વાઈસ પ્રિન્સીપાલ (એસવીપીવીવી) દિપ્તી રાઠોડ, ગ્રાફિક ડિઝાઈનર અરવિંદ વગેરેનો સમાવેશ થતો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર જાનવી જોષીએ કર્યુ હતું.

કબીરવાણી: મૃત્યુનું સત્ય અને જાગૃત જીવનનો માર્ગ

 

કબીર ગાફિલ કયા કરે, આયા કાલ નજીક,

કાન પકરિ કે લે ચલે, અજયાહિ ખટીક.

કરુણામૂર્તિ તથાગત બુદ્ધ ભગવાન જ્યારે ઘવાયેલો હંસ જુએ છે કે વાત્સલ્ય અને દયાના સાક્ષાત્ અવતાર ઈશુ ઘેટાના બચ્ચાને તરફડતું જુએ છે ત્યારે અનુકંપાનો પ્રપાત કરે છે. કોઈ જીવનું દુઃખ ન જોઈ શકે તે સાચો સંત.

કસાઈ કોઈ પ્રકારની જીવદયાનું મહત્ત્વ સમજ્યા વિના નિર્દોષ પશુઓની કતલ કરે છે, તેમ મૃત્યુ પણ સમય આવ્યે પ્રાણ હરી લે છે. કાળનો યમપાશ કોઈને છોડતો નથી.

માણસ સારું કે ખરાબ જીવન જીવ્યો હોય, પરંતુ મૃત્યુ સમયે એક અજીબ લાગણી થાય છે, મૂંઝવણ થાય છે. ‘મેં આમ કર્યું હોત તો?’ કે ‘આમ ન કર્યું હોત તો?’ તેવી દ્વિધા અનુભવે છે. યોગ્ય જ્ઞાન-સમજણ વિનાનું જીવન કબીરજીના મતે ગફલતભર્યું છે.

વારંવાર મનુષ્યજન્મ નથી મળતો, તેથી જાગૃત મનથી સારાસારનો વિવેક કેળવી જીવન જીવવું જોઈએ. કાળની ક્રૂરતા કસાઈ જેવી છે તે વાતનું સ્મરણ રહે તો પણ માનવી સદ્વર્તન કરવા પ્રેરાય છે.

જે ઈન્દ્રિયોને વશ કરી, મન સ્થિર રાખી અનાસક્ત ભાવથી કર્તવ્ય નિભાવે છે, તેને મૃત્યુનો ભય સતાવતો નથી.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

ED દ્વારા ત્રણ શહેરોમાં I-PACનાં સ્થાનો પર દરોડા

કોલકાતાઃ EDએ ગુરુવારે પશ્ચિમ બંગાળ કોલસા તસ્કરી કેસ સંબંધિત તપાસ હેઠળ રાજકીય કન્સલ્ટન્સી ફર્મ ‘ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી’ (I-PAC) સાથે જોડાયેલાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા હતા. આ કથિત કૌભાંડમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે હૈદરાબાદ, બેંગલુરુ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે I-PAC સાથે સંબંધિત ઘણાં સ્થાનો પર એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન I-PACના ડિરેક્ટરોમાંના એક ઋષિ રાજ સિંહના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાન પર પણ EDએ તલાશી લીધી હતી. આ દરોડા કોલસા તસ્કરી કેસમાં કેન્દ્રીય એજન્સી દ્વારા સતત ચાલી રહેલી કાર્યવાહીનો ભાગ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ કેસમાં અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે અને ધરપકડો પણ થઈ છે.

સોના પપ્પુ કેસમાં મોટી કાર્યવાહી

એ પહેલાં કોલકાતામાં EDએ સોના પપ્પુ કેસમાં મોટી કાર્યવાહી કરતાં દરોડા દરમિયાન 1.20 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ જપ્ત કરી હતી. એજન્સીની કોલકાતા ટીમ હાલ શહેરનાં આઠ અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ દરોડા સોના પપ્પુ ઉર્ફે બિશ્વજિત પોદ્દાર, બાબુ સોના ઉર્ફે રાહુલ દાસ, સન ગ્રુપ અને જય કમદાર સાથે જોડાયેલા રહેણાક અને વ્યાવસાયિક પરિસરોમાં પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવે છે કે સોના પપ્પુ સામે હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી વસૂલાત અને ગુનાહિત ગેંગ ચલાવવાના જેવા અનેક ગંભીર કેસ નોંધાયેલા છે.

ઉદ્યોગપતિ પવન રુઇયાની ધરપકડ

આ ઉપરાંત, બીજી એક ઘટનામાં પશ્ચિમ બંગાળ પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ ઉદ્યોગપતિ પવન રુઇયાને શેલ કંપનીઓ અને ક્રિપ્ટોકરન્સી મારફતે મની લોન્ડરિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપમાં મંગળવારે ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ રુઇયાને કોલકાતાના બહારના વિસ્તાર ન્યુ ટાઉનમાં એક હોટેલ નજીકથી પકડી લેવામાં આવ્યા હતા.

આસામમાં કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહારો

આસામની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે આસામ અંગેના નિર્ણયો દિલ્હીથી લેવામાં આવી રહ્યા છે. અમેરિકા સાથેના કરારોથી ભારતની આર્થિક અને વ્યૂહાત્મક સ્વતંત્રતા પર અસર પડી છે, અને ખેડૂતો અને નાના વ્યવસાયો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “આસામ ફૂલોનો ગુલદસ્તો છે, જ્યાં વિવિધ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓના લોકો સાથે રહે છે.” તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટીનું વિઝન એ છે કે ભારતના લોકો પાસે વાસ્તવિક શક્તિ હોવી જોઈએ, અને સમાજના દરેક વર્ગને દેશના શાસનમાં ભાગ લેવાની તક મળવી જોઈએ.” બીજી તરફ, ભાજપની વિચારધારા આસામને દિલ્હીથી ચલાવવાની છે. રાહુલના મતે, આ ચાલુ લડાઈ છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “અમે કલમ 244A લાગુ કરી કારણ કે અમે માનીએ છીએ કે નિર્ણયો સ્થાનિક સ્તરે લેવા જોઈએ. આ નિર્ણયો અહીં લેવા જોઈએ, ગુવાહાટી કે દિલ્હીથી નહીં, પરંતુ તમારા નેતાઓ અને પરિષદો દ્વારા. અમારા અને તેમના વચ્ચે આ જ તફાવત છે. તમને લાગે છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા ગુવાહાટીમાં શરૂ થાય છે, પરંતુ એવું નથી.”

તેમણે આરોપ લગાવ્યો કે અદાણી, અંબાણી અને પતંજલિની જમીન છીનવીને તેમને એકર જમીન આપવામાં આવી હતી. હજારો એકર જમીન અન્ય મોટી કંપનીઓને પણ આપવામાં આવી છે. તમારે સમજવાની જરૂર છે કે આવું કેમ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા, નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમે વિચારી રહ્યા હશો કે હું આ વાત અહીં કેમ લાવી રહ્યો છું. તમારે સમજવાની જરૂર છે કે દબાણ ક્યાંથી આવી રહ્યું છે. તે કરાર ભારતીય કૃષિને એવી રીતે ખોલે છે જે આપણા ખેડૂતો પર પ્રતિકૂળ અસર કરી રહી છે.

સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, “આજે, જો ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માંગે છે, તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા પાસેથી પરવાનગી લેવી પડશે. આપણે પૂછ્યા વિના તેલ ખરીદી શકતા નથી. નરેન્દ્ર મોદીએ ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યો છે. હવે, તેઓ આ ડેટાનો ઉપયોગ તેમની ઇચ્છા મુજબ કરી શકે છે અથવા સંગ્રહ કરી શકે છે.”

તેમણે એમ પણ કહ્યું કે મોદીએ વચન આપ્યું હતું કે ભારત દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી ₹9 લાખ કરોડનો માલ ખરીદશે. આનાથી આપણા નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતે અમેરિકાને ઘણું આપ્યું છે, પરંતુ બદલામાં કંઈ મળ્યું નથી. આપણા કરવેરા વધ્યા છે, આપણો ડેટા શેર કરવામાં આવ્યો છે, અને આપણા તેલ ખરીદીના વિકલ્પો સંકોચાઈ ગયા છે. પ્રશ્ન એ છે કે આ સોદો કેમ થયો? રાહુલ ગાંધીના મતે, આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નિયંત્રિત કરે છે.

SIRમાં સામેલ અધિકારીઓ પર હુમલાથી કોર્ટની સુપ્રીમ ફટકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં જોડાયેલા ન્યાયિક અધિકારીઓ પર થયેલા પથ્થરમારો અને લાઠી હુમલાની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં માહિતી લીધી છે. કોર્ટે ચૂંટણી પંચને કડક આદેશ આપ્યો છે કે ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની તહેનાતી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIR દરમિયાન બંગાળની મતદાર યાદીમાંથી બહાર કરાયેલા અંદાજે 50 લાખ લોકોની વાંધાઓ અને દાવાઓની તપાસ માટે જિલ્લા અને સેશન જજોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બુધવારે પ્રદર્શનકારોએ આ અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેને લઈને કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે મામલે માહિતી લીધી. પ્રાપ્ત માહિતી મુજબ બપોરથી રાત્રિ સુધી પ્રદર્શનકારોએ ન્યાયિક અધિકારીઓને બંધક બનાવી રાખ્યા હતા અને રાત્રે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડીઓ પર પથ્થર અને લાઠીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.

બેન્ચે મુખ્ય સચિવ, ડીજીપી, ડીએમ અને એસપીને કારણ દર્શાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે. આ અધિકારીઓને 6 એપ્રિલે ઓનલાઈન સુનાવણીમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઘટનાની નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરાવવા જણાવ્યું છે. આ તપાસ CBI અથવા NIA દ્વારા થઈ શકે છે અને તપાસ અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલને ફટકાર લગાવતાં કહ્યું હતું કે દુર્ભાગ્યે તમારા રાજ્યમાં દરેક અધિકારી રાજકીય ભાષા બોલે છે. શું તમને લાગે છે કે અમને ખબર નથી કે ઉપદ્રવી કોણ હતા? હું રાત્રે બે વાગ્યા સુધી સ્થિતિ અંગે માહિતી લેતો હતો.

તેમણે જણાવ્યું હતું કે માલદાના ડીએમ અને એસપી સ્થળ પર પહોંચ્યા નહોતા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ડીજીપી સાથે સંપર્ક કર્યા બાદ જ મોડી રાત્રે ન્યાયિક અધિકારીઓ બહાર આવી શક્યા હતા, છતાં તેમના પર પથ્થરમારો થયો હતો. તેમણે કહ્યું હતું કે આ માત્ર ન્યાયિક અધિકારીઓને પરેશાન કરવાનો મુદ્દો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના અધિકારને પડકારવા જેવું છે.

‘રામાયણ’માંથી ભગવાન રામના અવતારમાં રણબીર કપૂરની પહેલી ઝલક

આખરે ચાહકોની રાહનો અંત આવ્યો છે. ફિલ્મ ‘રામાયણ’માંથી રણબીર કપૂરનો લુક જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ફિલ્મનો બાકીનો ભાગ પણ જોવા મળે છે.

જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે ‘રામાયણ’ની પહેલી ઝલક આજે જાહેર કરવામાં આવી છે. 2 મિનિટ, 38 સેકન્ડના ટીઝરમાં રણબીર કપૂરની ભગવાન રામના અવતારમાં ઝલક જોવા મળે છે. જોકે, સીતા તરીકે સાંઈ પલ્લવી અને રાવણ તરીકે યશની ટૂંકી ઝલક પણ ટીઝરમાં જોવા મળે છે. હનુમાન જયંતિ પર ટીઝર રિલીઝ કર્યા પછી, ઘણા યુઝર્સે આખા ટીઝરમાં ભગવાન હનુમાનના પાત્રની ગેરહાજરીથી નારાજ થયા હતા.

મોટાભાગના યુઝર્સ ‘રામાયણ’ના ટીઝર અને રામ તરીકે રણબીર કપૂરનો લુક ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રામાયણ” નું ટીઝર એકદમ અદ્ભુત છે. રણબીર કપૂર રામ તરીકે પરફેક્ટ લાગે છે. રાવણની ઝલક પણ ખૂબ જ સારી છે. આ ફિલ્મ સિનેમાના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

બીજા એક યુઝરે ટીઝરની પ્રશંસા કરતા લખ્યું, “રામાયણ ટીઝરનો સૌથી સારો ભાગ એ છે કે નિર્માતાઓએ રાક્ષસો અને અન્ય જીવોને જે રીતે રજૂ કર્યા છે. રામ અને તેમના વચ્ચેના યુદ્ધના દ્રશ્યો અદભુત છે. સાચું કહું તો, તે હોલીવુડ જેવું લાગે છે, ભારતીય સિનેમા માટે પહેલી વાર. વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અદ્ભુત છે. દરેક ફ્રેમ ભવ્ય અને વિશાળ છે.”

ચાહકોને રણબીર અને યશનો લુક ખૂબ ગમ્યો. એક યુઝરે રણબીર કપૂરની પ્રશંસા કરી, તેમને ભગવાન રામ તરીકે તેજસ્વી ગણાવ્યા. બીજા યુઝરે રાવણના ટૂંકા ચિત્રણ માટે યશની પ્રશંસા કરી. બીજા યુઝરે કહ્યું, “આદિપુરુષ પછી આની જરૂર હતી. એક યુઝરે કહ્યું કે એવેન્જર્સ પણ ભગવાન રામ સમક્ષ નમન કરશે. શાનદાર ટીઝર. અન્ય એક ચાહકે ટિપ્પણી કરી કે આ ફિલ્મ બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખશે અને ઓછામાં ઓછા 2000 કરોડની કમાણી કરશે.

ટીઝર જોયા પછી યુઝર્સે ‘આદિપુરુષ’ની મજાક ઉડાવી
રામાયણનું ટીઝર જોયા પછી ઘણા યુઝર્સને પ્રભાસ અને ઓમ રાઉતની આદિપુરુષની યાદ આવી ગઈ. એક યુઝરે લખ્યું, “આદિપુરુષમાં, રાવણ ચામાચીડિયા પર સવાર થઈને આવ્યો હતો. પરંતુ હવે રાવણ ખરેખર તેના પુષ્પક વિમાન પર આવ્યો છે. શાનદાર.” એક યુઝરે ટિપ્પણી કરી કે આ ટીઝર જોયા પછી ઓમ રાઉત વિચારી રહ્યા હશે કે ભૂગર્ભમાં જવાનો સમય આવી ગયો છે. બીજા યુઝરે નિર્માતાઓને રાઉત માટે થિયેટરમાં એક સીટ અનામત રાખવા વિનંતી કરી.

 

મહારાષ્ટ્રમાં 68 લાખ ‘લાડકી બહિન’ ખાતાં બંધ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘લાડકી બહિન’ યોજનામાં લગભગ 68 લાખ લાભાર્થીઓના ખાતાં અનિવાર્ય e-KYC પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ ન કરવા બદલ બંધ કરવામાં આવ્યાં છે. તેને કારણે સક્રિય ખાતાઓની સંખ્યા ઘટીને લગભગ 1.75 કરોડ રહી ગઈ છે. e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ સુધી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે નવી સમયમર્યાદા પછી બંધ થયેલા ખાતાઓની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે કુલ 2.43 કરોડ ખાતાઓમાંથી લગભગ 68 લાખ ખાતાઓ અનિવાર્ય e-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતાં બંધ કરવામાં આવ્યાં છે. અનેક ફરિયાદો બાદ રાજ્ય સરકારે આ ચકાસણી પ્રક્રિયા શરૂ કરી હતી.

આ ફરિયાદોમાં જણાવાયું હતું કે પુરુષ સભ્યો અને સરકારી કર્મચારીઓ સહિતના અપાત્ર લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયાનું ભથ્થું આપવામાં આવે છે. નવેમ્બર, 2025થી e-KYC પ્રક્રિયાની સમયમર્યાદા અનેક વખત વધારવામાં આવી હતી.

સરકાર દર મહિને લાભાર્થીઓને લગભગ 3700 કરોડ રૂપિયા વિતરણ કરે છે, જેમાં દરેક પાત્ર મહિલાને 1500 રૂપિયા મળે છે. સક્રિય ખાતાઓની સંખ્યા ઘટતા યોજનાના ખર્ચમાં ફેરફાર થવાની શક્યતા છે. 2026-27ના બજેટમાં આ યોજના માટે 26,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 2025-26માં તે 36,000 કરોડ રૂપિયા હતી.

‘લાડકી બહિન યોજના’ મહાયુતિ સરકાર દ્વારા 2024ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મરાઠીમાં પુછાયેલા એક પ્રશ્નનો ખોટો જવાબ મળવાને કારણે 24 લાખથી વધુ લાભાર્થીઓને શરૂઆતમાં સરકારી કર્મચારી તરીકે ઓળખવામાં આવ્યા હતા.