Home Blog Page 1384

વિમાનોને બોમ્બની ધમકી : મોદી સરકારે ‘X’ને ઠપકો આપ્યો

વિવિધ એરલાઇન્સના વિમાનોને છેલ્લા કેટલાક દિવસોમાં 100 થી વધુ વખત ધમકીઓ મળી છે. વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર)ને ઠપકો આપ્યો છે. તમામ ધમકીઓ X દ્વારા જ આપવામાં આવી હતી. સંયુક્ત સચિવ સંકેત એસ ભોંડવેએ આજે ​​એરલાઇન્સના પ્રતિનિધિઓ અને X અને Meta જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. અધિકારીએ કહ્યું કે હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે જાણે X આ ગુનાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. તેમણે આ પ્લેટફોર્મના પ્રતિનિધિઓને આવી ખતરનાક અફવાઓને ફેલાતા રોકવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે પણ સવાલ કર્યા હતા.

એક અઠવાડિયામાં 30 ફ્લાઈટને ધમકીઓ મળી

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સની 120 થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. ગઈકાલે પણ ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયા દ્વારા સંચાલિત 30 ફ્લાઈટને આવી ધમકીઓ મળી હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરે છે, અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

કાયદામાં પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરો

આપને જણાવી દઈએ કે સરકાર નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિરુદ્ધ ગેરકાયદેસર કાર્યવાહી સામે કાયદાને કડક બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં, ઉડ્ડયન સુરક્ષા ધોરણો મુખ્યત્વે ફ્લાઇટ દરમિયાન થતા ગુનાઓને આવરી લે છે. મંત્રીએ કહ્યું કે અમે કાયદામાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કાયદાકીય ટીમે તેના પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારે અન્ય મંત્રાલયો સાથે પણ સલાહ લેવાની જરૂર છે, અમે ચોક્કસપણે કાયદામાં પણ ફેરફાર કરવા આગળ વધી રહ્યા છીએ.

બેન્ક ઓફ અમેરિકા ઇન ઇન્ડિયાના પ્રમુખ કાકુ નખાતેનું સન્માન

મુંબઈ: મહિલા આર્થિક સુરક્ષાના ક્ષેત્રમાં ભારતમાં બેંક ઓફ અમેરિકા (Bank of America in India,)ના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતેનું યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલન્સ (ACE) દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન આર્થિક પહેલ, નાણાકીય સમાવેશ અને નેતૃત્વ વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણમાં તેમના નોંધપાત્ર યોગદાનને રેખાંકિત કરે છે.મુંબઈમાં યુએસ કોન્સલ જનરલ માઈક હેન્કી દ્વારા કાકુ નખાતેનું સન્માન કરવામાં આવ્યું હતું.

યુએસ કોન્સલ જનરલ માઈક હેન્કીએ કાકુ નખાતેને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, “કાકુના નેતૃત્વ હેઠળ, ભારતમાં બેંક ઓફ અમેરિકાએ નાણાકીય સાક્ષરતા, ધિરાણની પહોંચ અને મહિલાઓ માટે વ્યવસાયની તકોને પ્રોત્સાહન આપતા પ્રભાવશાળી કાર્યક્રમો ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણીના પ્રયાસોએ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે અને ટકાઉ આજીવિકા અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. તેમના કાર્યની અસર માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થાને જ મજબૂત બનાવતી નથી, પરંતુ મહિલાઓને નેતૃત્વ અને સફળ થવા માટે સશક્ત બનાવીને સમુદાયોને પણ ઉત્થાન આપે છે.”

ધ સેક્રેટરી ઓફ સ્ટેટ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલન્સ દ્વારા એ અમેરિકી કંપની અને અધિકારોનું સન્માન કરવામાં આવે છે જે બિઝનેસ આચરણના ઉચ્ચ ધોરણો જાળવી રાખે છે અને સ્થાનિક સમુદાયોના વિકાસમાં યોગદાન આપે છે.

બેંક ઓફ અમેરિકા ઈન ઈન્ડિયા, તેના પ્રમુખ અને ભારતમાં કંટ્રી હેડ કાકુ નખાતે અને તેના તમામ કર્મચારીઓના સહયોગથી મહિલાઓને કર્મચારીઓ અને ઉદ્યોગસાહસિક તરીકે પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી બેંક ઓફ અમેરિકા ઈન ઈન્ડિયા દેશમાં લાખો મહિલાઓ અને છોકરીઓનું જીવન સુધારી રહી છે.

 

યોગી સરકારે સરકારી કર્મચારીઓને આપી દિવાળી ગિફ્ટ!

સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ છે. ભેટ, સોગાદની આપ-લે ચાલી રહી છે ત્યારે યુપી સરકારે પણ સરકારી કર્માચારીઓને દિવાળીની ભેટ આપી છે. યુપી સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે બોનસ આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.

નોંધનીય છે કે, યુપી સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. સરકારે કર્મચારીઓને બોનસ આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

આ સંબંધમાં લેવાયેલા નિર્ણયને જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના તમામ પૂર્ણકાલીન નોન-ગેઝેટેડ રાજ્ય કર્મચારીઓ, રાજ્યના ભંડોળ, સ્થાનિક સંસ્થાઓ, જિલ્લા પંચાયતો દ્વારા સહાયિત શૈક્ષણિક અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓને કામ કરવાનો આદેશ આપ્યો છે. અને સરકારી વિભાગો દ્વારા વર્ષ 2023-2024 માટે ચાર્જ થયેલ મહેકમ અને દૈનિક વેતન કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે દિવાળીના એક દિવસ પહેલા સરકારી કર્મચારીઓને બોનસ આપવાની મંજૂરી આપી છે.

દિવાળીમાં 108 એમ્બ્યુલન્સનું વિશેષ બંદોબસ્ત, 838 ટીમ સતર્ક

કોઈ પણ પર્વ હોય કે કંઈ પણ હોય 108 એમ્બુલન્સ હર હંમેશ લોકોની મદદે પહોંચી છે અને લોકોને સ્થળ પર સારવાર આપી સાજા પણ કર્યા છે.આવનાર દિવાળીના પર્વમાં 838 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કોલને લઈને તૈયાર રહેશે અને તેના કર્મચારીઓ ફરજ બજાવશે, 838 એમ્બ્યુલન્સ માંથી 38 એમ્બ્યુલન્સ ICUથી સજ્જ રહેશે જેમાં દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 108 એમ્બ્યુલન્સ દ્વારા ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં પોઈન્ટ નક્કી કરાયા છે. જેમા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બ્લેકસ્પોટ આઈડેન્ટીફાઈ કરાયા છે. તંત્ર દ્વારા બ્લેકસ્પોટ પર બંદોબસ્ત, બમ્પ મુકવાની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે સિગ્નલ અને સાઈનબોર્ડ મૂકવાની પણ વ્યવસ્થા કરાઈ છે. તહેવારોના સમયે હોસ્પિટલ સાથે સંકલન કરી કેસ હેન્ડલ કરાય છે, તો દિવાળીના દિવસે બહુ ખાસ નહી પણ 2.5 ટકા કેસ વધી શકે છે. 108ના એમ્બ્યુલન્સને લઈ કર્મચારીનું કહેવું છે કે બેસતા વર્ષના દિવસે 16 ટકા કેસનો વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા એટલે કે 5000 જેટલા કેસ વધે છે. દિવાળીમાં અકસ્માત,મારામારી અને પડી જવાના અને શ્વાસના કેસ વધુ હોય છે. બર્ન કેસમાં આ દિવસે 475 ટકા વધારો થતો હોય છે. ઉલ્લેખનીય છે કે તહેવાર સમયે અરવલ્લી,મહીસાગર, મહેસાણા, દાહોદમાં વધુ કેસ જોવા મળે છે. 108 ઈમરજન્સીના 17 વર્ષના સફરમાં ગુજરાતના 15.52 લાખ લોકોના જીવ બચાવીને તેમને નવી જીંદગી પ્રદાન કરી છે.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

મુંબઈ પોલીસે બુધવારે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અન્ય એક આરોપી અમિત હિસામસિંહ કુમારની ધરપકડ કરી છે. 29 વર્ષીય અમિત કુમાર હરિયાણાના કૈથલ જિલ્લાના નથવન પટ્ટીનો રહેવાસી છે. આ ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રવિવારે પોલીસે આ કેસમાં નવી મુંબઈમાંથી ભંગારના વેપારી ભગવત સિંહ ઓમ સિંહની ધરપકડ કરી હતી. ઓમ સિંહ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને તેના પર 12 ઓક્ટોબરે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરનારાઓને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે.

બાબા સિદ્દીકીની તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં બે શૂટરોની ધરપકડ કરી છે – ગુરમેલ બલજીત સિંહ (23) અને ધરમરાજ રાજેશ કશ્યપ (19). હત્યાના કાવતરામાં સામેલ મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ અને અન્ય બે લોકો હજુ ફરાર છે. પોલીસ આ હત્યા કેસની તપાસમાં વ્યસ્ત છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 4 દિવસની રજા

તહેવારીની સિઝન ચાલી રહી છે. દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ અનુસાર કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આજે બુધવારે જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી પરંતુ હવે તે દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે.

35 વર્ષથી ચૂંટણી પ્રચાર કરું છું પણ મારા માટે પહેલી વાર કરીશ: પ્રિયંકા ગાંધી

કેરળ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પ્રિયંકાની સાથે તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરતા સમયે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર પણ તેમની સાથે હતા. આ પહેલા પ્રિયંકાએ એક રોડ શો કર્યો હતો અને જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે લોકસભા બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. બંન્નેમાં જીત થતાં તેમણે વાયનાડની બેઠક ખાલી કરતા હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને આ બેઠક ફરી હોટ સીટ બની ગઈ છે. ભાજપએ વાયનાડ લોકસભા પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક. પૂર્ણ કર્યું છે. હાલ તેઓ કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહા સચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે. 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે 48 વિધાનસભા મતવિસ્તાર અને બે સંસદીય બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે આ પેટાચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થશે, જેમાં કેરળની 47 વિધાનસભા સીટ અને વાયનાડ લોકસભા સીટનો સમાવેશ થાય છે.

કેવી રીતે ખંડેરમાં ફેરવાયું આ ગામ..?

ગુજરાતને અડીને આવેલું ગુજરાતીઓનું પ્રવાસન માટેનું એકદમ પ્રિય રાજ્ય એટલે રાજસ્થાન.  જેસલમેરના અફાટ રણની મજા લઈ પ્રવાસીઓ એક ઉજજડ થઈ ગયેલા ગામને જોવા જરૂર જાય છે. નિષ્ણાતોના મતે  જેસલમેરની નજીક આવેલું કુલધરા ગામ ધરતીકંપના કારણે નષ્ટ થઈ ગયું. જ્યારે લોક વાયકા પ્રમાણે ગામના લોકો પર દમન થતાં આખુંય ગામ સ્થળાંતર કરી ગયું.

કુલધરા ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી કોઇ રહેતું નથી. આ ગામ કેવી રીતે ઉજજડ થયેલું તેનું રહસ્ય  વર્ષો પછી પણ ઉકેલાયું ન હોવાથી એને ભૂતિયા ગામની ઉપમા મળી છે. હાલમાં  હેરિટેજ સાઇટ ગણાતું આ ગામ પ્રવાસન સ્થળ પણ બન્યું છે. હાલ અહીં અનેક ફિલ્મો, જાહેરાતોની ફિલ્મ અને ફોટોગ્રાફી થાય છે. આસપાસના સ્થાનિક લોકોનું માનવું છે કે ૨૦૦ વર્ષથી આ ઉજ્જડ ગામમાં કોઇ એક રાત રહી શકયું નથી. જેને પણ રહેવા પ્રયાસ કર્યો એ ગાયબ થઇ જાય છે. દિવસે આવતા પર્યટકોને પણ આ ગામમાં આવીને કંઈક અનોખા અનુભવનો ભાસ  થાય છે. કોઇને બંગડીના રણકાર તો કોઈને નજીકથી કોઇ પસાર થયું હોય એવો ભાસ  થાય છે.

એક માન્યતા પ્રમાણે  ઇસ ૧૨૯૧માં પાલીવાલ બ્રાહ્મણે કુલધરા ગામ વસાવ્યું હતું. જેની આસપાસના ૮૪ ગામોમાં પણ પાલીવાલ બ્રાહ્મણની વસ્તી હતી. આ ગામમાં વસતા લોકો સુસંસ્કૃત અને વિદ્વાન હતા. એમના ઘરોનું મજબૂત બાંધકામ અને સગવડો એની ભવ્યતાની સાક્ષી પૂરે છે. અન્ય એક લોકવાયકા છે કે કુલધરા રજવાડાના દિવાન સાલમસિંહની આ ગામના પુજારીની યુવાન દીકરી પર નજર પડી. પ્રેમાંધ દિવાન કોઇ પણ ભોગે તેને મેળવવા ઇચ્છતો હતો. સાલમસિંહે એક વાર તો ધીરજ ગુમાવીને ગામના લોકોને છોકરી સોંપી દેવાની મુદત આપી. સાથે જ એની આ ઇચ્છા નહી સંતોષાય તો લોકોને પરીણામ ભોગવવાની ધમકી આપી. સૌ કુળ દિકરીના આત્મ સન્માન માટે ખોટી માંગણી સામે ઝુકવાના સ્થાને ગામ છોડી દેવાનું પસંદ કર્યુ . એક માન્યતા એવી પણ છે કે રાજા ક્રુર હોવાથી કર ખૂબ માંગતો અને ગુલામની જેમ રાખતો આથી લોકોએ ગામ છોડી દીધું હતું.

કુલધરા ગામ છોડતા પહેલા બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો હતો કે હવે પછી આ ગામમાં જે આવીને રહેશે તે કયારેય સુખી થશે નહી.આજે કુલધરામાં માણસો તો શું પક્ષીઓ પણ રહેવાનું પસંદ કરતા નથી. લોકોનું દ્રઢપણે માનવું છે કે ભૂત-પિશાચ અને અસૂરી આત્માઓએ ગામનો કબ્જો લઇ લીધો છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અહીંયા રહેતા લોકો ખૂબજ સમૃદ્ધ હતા તેમની પાસે સોનું ખૂબ હતું જે જમીનમાં દાટીને રાખતા હતા. કેટલાકે સોનાની લાલચમાં ગામ ખોદી નાખતા ગામ ઉજ્જડ થઇ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

જામનગરમાં પાછોતરા વરસાદથી મગફળીના પાકને નુકસાન

જામનગર: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. અને નવરાત્રિ બાદ હવે દિવાળીને પણ થોડા જ દિવસો બાકી છે. સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી હોય છે અને શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ વિદાયના મુડમાં દેખાય જ રહ્યું નથી. ખેડૂતો માટે તો આ વરસાદ આફત તરીકે વરસી રહ્યો છે. મંગળવારે જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મંગળવારે વરસેલા વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન વેઠવું પડ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં 22 ઓક્ટોબરે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ઉલ્લેખનીય છે કે કાલાવડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે થઈ હતી અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં.  આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા પાછોતરા વરસાદથી ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણાં ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને ગ્રામજનો એકબીજા સાથે સંપર્ક સાધી ન હતાં શકતાં. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. આ સાથે અનેક ખેડૂતોને પાક ધોવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરામાં PM મોદી અને PM પેડ્રો સાંચેઝના આગમનની પુરજોશમાં તૈયારીઓ શરૂ

વડોદરા: આગામી 28 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડર્સ, ફૂટપાથ અને જાહેર સ્થળોની સાફસફાઈ કરવામાં આવી રહી છે. તેમજ રોડ-રસ્તાઓના સમારકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકો પણ બંને નેતાઓના આગમનની રાહ જોઈ રહ્યા છે. PM મોદી અને સ્પેન PM વડોદરાના મહેમાન બને તે પહેલા વડોદરા શહેરની આગવી ઓળખ એવી એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને બે વર્ષ પહેલા, 30 ઓક્ટોબર, 2022ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે બરાબર બે વર્ષ પછી તેઓ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનોનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનું નિમિત્ત બનશે.

દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા આવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન, બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાનો વચ્ચે વડોદરામાં યોજાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર હશે. તેથી જ શહેરમાં સુરક્ષાની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા શહેરના દરેક મુખ્ય વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.