નવી દિલ્હી: 75મા સંવિધાન દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકી સંગઠનોને આકરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે હું બંધારણ અને બંધારણ સભાના સભ્યોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ છે. હું હુમલામાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી જૂથને અમે જડબાતોડ જવાબ આપીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના નાગરિકોને ઝડપી ન્યાય મળે તે માટે એક નવી ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ગઈ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.
પી.એમ. મોદીએ કહ્યું કે, “આપણા બંધારણે દેશની દરેક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂરી કરી છે. બંધારણની તાકાતને કારણે આજે જમ્મુ-કાશ્મીરમાં બાબા સાહેબનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુમાં પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી અને આજે કાશ્મીર મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતનું બંધારણ આપણા માટે માર્ગદર્શક બની ગયું છે.
સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં વડાપ્રધાને વધુમાં કહ્યું, “આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમયની સાથે નવી ઉંચાઈઓ પર પહોંચશે. તેઓ જાણતા હતા કે સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારોનો સામનો કરવો પડશે. તેથી, તેમણે આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે છોડ્યું નહીં, પરંતુ તેને જીવંત, સતત વહેતા પ્રવાહ જેવું બનાવ્યું.”
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત સંવિધાન દિવસની ઉજવણી થઈ: PM મોદી
અમદાવાદમાં માનવતાને શરમાવતી ઘટના, નિકોલમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ
અમદાવાદ: ગુજરાત મહિલા શક્તિકરમ અને મહિલાને પ્રોત્સાહ આપવામાં ક્યાંય પાછળ નથી. મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ધાબા પર બોલાવી દુષ્કર્મ આચાર્યા બાદ બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોને આવતા જોઈ આરોપી છાનામાનો ઘરમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો. આખી વાત એમ છે કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાડોશી 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. જોકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.
કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને મૂંઝવણ છે. રાજ્યની જનતાએ ભાજપ, શિવસેના અને એનસીપીના અજીત જૂથના મહાગઠબંધનને બહુમતી આપી છે. પરિણામોના ત્રણ દિવસ બાદ પણ મહાયુતિ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર મારી શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં નિરીક્ષકોના નામ નક્કી કરશે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓને નિરીક્ષકોમાં સામેલ કરવામાં આવશે.

પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો મહારાષ્ટ્રના ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપશે. જ્યાં ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ પક્ષના નેતાના નામ અંગે ધારાસભ્યો નિર્ણય લેશે. માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભ્ય દળની બેઠક પહેલા ભાજપ મહાગઠબંધનમાં સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને કયો પક્ષ મુખ્યમંત્રી બનશે તે નક્કી કરશે.

ભાજપના કાર્યકરો શું ઈચ્છે છે?
ભાજપના સૂત્રોનું કહેવું છે કે આટલી મોટી જીત બાદ પાર્ટીના કાર્યકરો ઈચ્છે છે કે ભાજપ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને. ભાજપનું ટોચનું નેતૃત્વ પણ માને છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે ભાજપના કાર્યકરોની આ ભાવનાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. બીજેપીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કઈ પાર્ટીના સીએમ હશે તે નક્કી કરવામાં કોઈ વિવાદ નથી.
મુખ્યમંત્રીની પસંદગીમાં ભાજપનો હાથ ઉપર છે કારણ કે તેણે એકલા હાથે 132 બેઠકો જીતી છે. જ્યારે શિંદે જૂથની શિવસેનાએ 57 બેઠકો અને અજીત જૂથની એનસીપીએ 41 બેઠકો જીતી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, ભાજપ મુખ્યમંત્રી પદ માટે તેના સાથી પક્ષોને પછાડી શકે છે. કોઈપણ રીતે, ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ ડીલ થઈ ન હતી.
અઢી વર્ષની ફોર્મ્યુલા પણ હોઈ શકે
મહારાષ્ટ્રમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા હોઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે આગામી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની વિચારણા થઈ શકે છે. એકનાથ શિંદે પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ ઈચ્છે છે. આ પછી દેવેન્દ્ર ફડણવીસને કમાન મળી શકે છે. આ બધી શક્યતાઓ અને ચર્ચાઓ છે. જો કે ભાજપ મુખ્યમંત્રી પદ માટે ફડણવીસના નામનો આગ્રહ કરી રહી છે. બીજી તરફ શિંદે નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. અજિત પવારના જૂથે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપ્યું છે.
બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા હિંદુઓ પર પોલીસનો કહેર
ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ ગરમાયું છે. હકીકતમાં, ચિત્તગોંગની એક કોર્ટે મંગળવારે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જામીન નામંજૂર થયા બાદ, દાસના સમર્થકોએ વિરોધ કર્યો અને બાંગ્લાદેશ સરકાર અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ કોર્ટ પરિસરમાં જેલ વાનને ઘેરી લીધી હતી અને લગભગ અઢી કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે હિંદુ પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરી અને લાઠીચાર્જ કર્યો અને સાઉન્ડ ગ્રેનેડ પણ છોડ્યા. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે.

સમર્થકોએ પોલીસ વાનને ઘેરી લીધી હતી
સવારે 10.30 વાગ્યે ચિન્મય કૃષ્ણને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ બપોરે 12.20 કલાકે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના આરોપમાં સોમવારે ઢાકામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ તેમને જેલ વાનમાં લઈ જઈ રહી હતી ત્યારે તેમના સેંકડો સમર્થકોએ વાનને ઘેરી લીધી હતી અને રસ્તા પર સૂઈને વિરોધ કરવા લાગ્યા હતા. પોલીસ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, સમર્થકોએ પીછેહઠ કરી ન હતી અને ચિન્મય કૃષ્ણની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસે લાઠીચાર્જ કર્યો અને સાઉન્ડ ગ્રેનેડ પણ છોડ્યા
પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસ અને સરહદ રક્ષકોએ લાઠીચાર્જ કર્યો અને લગભગ 2:50 વાગ્યે સાઉન્ડ ગ્રેનેડ ફેંકીને ભીડને વિખેરી નાખી. દરમિયાન, પ્રદર્શનકારીઓએ જેલ વાનના ટાયર ફાડી નાખ્યા, ત્યારબાદ પોલીસે ચિન્મય કૃષ્ણને તેમની કારમાં ચટગાંવ જેલમાં મોકલી દીધા. ચટગાંવ પોલીસના એડિશનલ ડેપ્યુટી કમિશનર (પ્રોસિક્યુશન) મોફિઝુર રહેમાને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ ચિન્મય કૃષ્ણને જેલમાં મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમના સમર્થકોએ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ પોલીસની આ કાર્યવાહીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.
શું છે સમગ્ર મામલો?
31 ઓક્ટોબરે ચિત્તગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય 18 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ચાંદગાંવ મોહલ્લા વોર્ડના બીએનપી નેતા ફિરોઝ ખાને દાખલ કર્યો હતો. જોકે, બાદમાં ફિરોઝ ખાનને BNPમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. ચિન્મય કૃષ્ણના વકીલ સ્વરૂપ કાંતિ નાથે કહ્યું કે મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટમાં તેમના જામીન માટે અપીલ કરવામાં આવી છે, જેની સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવશે.
ખ્યાતિકાંડના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા, થયા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ખ્યાતિકાંડ મામલે ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાયા બાદ અન્ય આરોપીઓ ફરાર હતા તે પૈકીના ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ આરોપીઓ ખેડાના કપડવંજ પાસેના એક ફાર્માં છુપાયા હતા. પોલીસ તેના સુધી પહોંચી ન શકે તે માટે રશિયન અને ચાઈનીઝ એપની મદદથી વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે હજી પણ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે.

JCPએ જણાવ્યું હતું કે, ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઈતિહાસ છે. ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી. ચિરાગનો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો. જ્યારે મિલિન્દ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. તેની સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. રાહુલ જૈન હોસ્પિટલમાં ઓડિટ કામ કરતો હતો. આ તમામ ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા. આવતીકાલે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ગામમાં કેમ્પ કરી લોકોને સારવાર માટે હોસ્પિટલ બોલાવતા હતાં. ત્યાં PMJAY યોજના હેઠળ સારવાર કરી સરકાર પાસે પૈસા ક્લેમ કરવામાં આવતા હતાં. ગત વર્ષે PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરાયું હતું. જોકે, તપાસ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.
13 વર્ષીય વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો
જેદ્દાહ: IPL-2024 માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. 13 વર્ષની ઉંમરે IPLમાં એન્ટ્રી કરનાર વૈભવ સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદ્યો છે. વૈભવની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી.
હરાજી માટે જ્યારે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું નામ સામે આવ્યું ત્યારે તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખેંચમખેંચ થઈ હતી. જો કે 1.10 કરોડ રૂપિયાની છેલ્લી બોલી રાજસ્થાનની ટીમે લગાવી હતી. અહીં દિલ્હીએ હાર સ્વીકારી અને રાજસ્થાનની ટીમ જીતી ગઈ. હવે વૈભવ સૂર્યવંશી IPL 2025ની સિઝનમાં સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ તરફથી રમશે.
વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ છે. તેનો જન્મ 27 માર્ચ 2011ના રોજ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો છે. પાંચ વર્ષની ઉંમરથી તેના પિતા સંજીવે વૈભવને નેટ પ્રેક્ટિસ શરૂ કરાવી દીધી હતી. આ માટે વૈભવના પિતાએ ઘરે જ નેટ લગાવી હતી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. આ પછી તેણે પટનાની જીસસ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી હતી. વૈભવ સૂર્યવંશી બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં મુંબઈ સામે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતું.
ખડગેની EVM પર સવાલ ઉઠાવતાં બેલેટ પેપરથી ચૂંટણીની માગ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવતાં બેલેટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને અમને EVM નથી જોઈતા.
હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે મત આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની અમે માંગ કરીએ છીએ. તેમના એ મશીનો તેમના ઘરમાં રાખવા દો કે PM મોદી કે અમિત શાહના ઘરમાં રહેવા દો. અમદાવાદમાં ઘણા ગોદામો બનેલા છે, ત્યાં મશીનો લઈ જઈને રાખવા જોઈએ. અમારી એક જ માગ છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. જો આમ થશે તો આ લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં ઊભા છે, એમ તેમણે કહ્યું હતું.
हमें EVM से नहीं, बैलेट पेपर से चुनाव चाहिए pic.twitter.com/oY1l34fouI
— Congress (@INCIndia) November 26, 2024
તેમણે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી જાતિ ગણતરીથી ડરે છે. પરંતુ તેમણે સમજવું જોઈએ કે સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માગે છે અને આ માગ કરી રહ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જોરદાર જીત બાદ વિપક્ષે ફરી એક વાર EVMનો મુદ્દો ઉઠાવ્યો છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતનું કહેવું છે કે ફરીથી ચૂંટણી થવી જોઈએ અને જો બેલેટ પેપરથી મતદાન થશે તો સાચુ પરિણામ આવશે. એટલું જ નહીં, શરદ પવારે આ વખતે EVM પર પણ શંકા વ્યક્ત કરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી : ICCની બેઠક, ભારત-પાકિસ્તાન મુદ્દો ઉકેલાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમવાની છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાએ કથિત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCએ આ મુદ્દાને ઉકેલવા માટે બોર્ડની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ મુજબ, ICC દ્વારા શુક્રવાર, 29 નવેમ્બરના રોજ બોર્ડ મીટિંગ યોજાવાની છે. આ બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ પર ચર્ચા થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી 2025 માં શરૂ થવાની છે, પરંતુ સત્તાવાર સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

મીટિંગમાં તમામ સભ્યોને ઉકેલ માટે મત આપવા માટે કહેવામાં આવી શકે છે. બોર્ડમાં 12 પૂર્ણ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, એસોસિએટ્સના ત્રણ પ્રતિનિધિઓ, ICC પ્રમુખ અને CEO સાથે એક સ્વતંત્ર ડિરેક્ટરનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ભારત સરકારે ટીમને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ, પાકિસ્તાન એ વાત પર અડગ છે કે તે ટૂર્નામેન્ટનું આયોજન તેના દેશમાં કરશે. જો ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવે તો ભારત અથવા દક્ષિણ આફ્રિકાને યજમાન બનાવવામાં આવી શકે છે.
ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ છેલ્લે એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને જોતા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ બંધ કરી દીધો હતો. આ પછી ધીમે-ધીમે બંને ટીમો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી પણ બંધ થઈ ગઈ. જોકે, પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. પાકિસ્તાનની ટીમ 2008થી અનેક વખત ભારતની મુલાકાતે આવી છે. પાકિસ્તાને 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પણ ભારતનો પ્રવાસ કર્યો હતો.
શરદ પવારે અજિત પવાર પર લગાવ્યો ‘સુપ્રીમ’ આરોપ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર પછી શરદ પવાર જૂથે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. શરદ જૂથે કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે અજિત પવારે વિધાનસભા ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને નજરઅંદાજ કરી છે. કોર્ટના નિર્દેશ છતાં ચૂંટણીમાં ઘડિયાળ ચિહ્ન અને પાર્ટીના નામનું ડિસ્ક્લેમર નહોતું લગાવ્યું.
NCP (શરદ પવાર જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) ચૂંટણી પ્રતીક વિવાદની સુનાવણી પહેલાં શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં તેમણે કહ્યું છે કે અજિત પવારે ઘડિયાળ ચૂંટણી ચિહ્નને લઈને મતદારોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘડિયાળના ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલી સદભાવનાનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરદ પવારે આરોપોને સાબિત કરવા માટે છ દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી માગી હતી.
શું છે મામલો?
અજિત પવારે હાલમાં 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારમાં જોડાયા હતા. અજિત પવારને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા. આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.
કોર્ટે અજિત પવાર જૂથને ચૂંટણી માટે NCP પાર્ટીના નામ અને ‘ઘડિયાળ’ ચૂંટણી ચિહ્નના ઉપયોગને મંજૂરી આપી હતી. શરદ પવાર જૂથે તેનો વિરોધ કર્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. શરદ પવારે અજિત પવારના જૂથ પર NCPના નામ અને ચિહ્નનો ઉપયોગ કરીને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શરદ પવારના જૂથને માત્ર 10 બેઠક મળી હતી. નિષ્ણાતોનું માનવું છે કે ઘણી બેઠક પર પાર્ટીના નબળા પ્રદર્શનનું કારણ ચૂંટણી ચિહ્ન હોઈ શકે છે.
આંબલી રોડ અકસ્માતના આરોપી પર પોલીસની નરમાઈ? રિપલના જામીન મંજૂર
અમદાવાદ: સોમવારે સપ્તાહની શરૂઆતમાં શહેરના આંબલી બોપલ રોડ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે આવતા ઓડી ચાલકે પાંચથી સાચ વાહનોને હડફેટે લીધા હતા. જે બાદ તેની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ કારચાલક રિપલ પંચાલ અકસ્માત બાદ એટલી નશાની હાલતમાં હતો કે, તેનાથી ઉભુ પણ રહેવાતું ન હતુ. એટલું જ નહીં પરંતુ કારની બહાર નીકળતા પહેલા પોતાની પર સ્પ્રે પણ છાંટયું હતુ.

અકસ્માત બાદ રિપલ પંચાલને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેમની પત્ની દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યુ કે તેમને દારૂ પીવાની કુટેવ છે. વધુમાં રિપલ દવાના નશામાં હોવાની વાત કરી હતી. પરંતુ હાલમાં નબીરા રિપલ પંચાલને પોલીસે રિમાન્ડ ન માગ્યા હોવાથી જામીન પર છોડી દેવામાં આવ્યો છે. આરોપી રિપલ પંચાલે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેની પર કોર્ટે નિર્ણય આપ્યો છે. કોર્ટે ઈસ્કોન આંબલી રોડ પર બેલગામ કાર ચલાવનારા આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ જામીન પર મુક્ત કર્યો છે. નબીરા રિપલને રૂપિયા 15 હજારના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને રિપલ પંચાલને કોર્ટમા રજૂ કર્યો હતો. જોકે, પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગતા કોર્ટે તેને જામીન આપી દીધા છે.



