Home Blog Page 1302

સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ હવે ઉપલબ્ધ છે ભારતનું બંધારણ

નવી દિલ્હી: 26મી નવેમ્બર એટલે ભારતીય સંવિધાન દિવસ. ત્યારે આજે ભારતના 75મા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું.સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન ભાષા છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભારતના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.

બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને સિક્કાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. દેશભરની સ્કૂલ-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરાશે.મૈથલી અને સંસ્કૃત ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે. જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરવાનો છે.’ભારતનું બંધારણ અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, ડોંગરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, સિંધી, તમિલ, બંગાળી, તેલુગુ, ઉર્દૂ, આસામી, બોડો અને નેપાળી પણ સામેલ છે. હવે તે સંસ્કૃત અને મૈથિલીમાં પણ ઉપલબ્ધ છે.

રાહુલ ગાંધી નહીં, ઇન્ડિયા ગઠબંધનને સક્ષમ નેતાની જરૂરઃ TMC

કોલકાતાઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA)ની હારની અસર હવે ઇન્ડિયા એલાયન્સ પર પડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એના સંકેત આપ્યા છે. TMCના સાંસદ કલ્યાણ બેનરજીએ રાહુલ ગાંધીને એક નબળા નેતા ગણાવ્યા છે.

કોંગ્રેસ હરિયાણા અથવા મહારાષ્ટ્રમાં ઇચ્છિત પરિણામો મેળવવામાં નિષ્ફળ રહી છે. અમને કોંગ્રેસથી સારા દેખાવની અપેક્ષા હતા. ઇન્ડિયા ગઠબંધન તો છે, પણ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત નથી થઈ રહ્યાં અને પરિણામ પ્રાપ્ત કરવામાં કોંગ્રેસ તરફથી મોટી નિષ્ફળતા સાંપડી છે. જો તમે ભાજપની વિરુદ્ધ લડવા ઇચ્છો છો તો એ જરૂરી છે કે ઇન્ડિયા ગઠબંધન મજબૂત હોવું જોઈએ અને એને એક મજબૂત નેતાની જરૂર છે. હવે એ નેતા કોણ હોઈ શકે? એ મૂળ સવાલ છે. કોંગ્રેસે બધા પ્રયોગ કર્યા છે, પરંતુ એ નિષ્ફળ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં કોંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તરફથી બોલાવવામાં આવેલી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં TMC સામેલ નહોતી થઈ. TMCએ કહ્યું હતું કે પાર્ટીનાં નેતા કોલકાતામાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વ્યસ્ત હતા, પણ તેમની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે મમતા બેનરજીને ઇન્ડિયા એલાયન્સના નેતા બનાવવાની માગ કરી હતી.સાસંદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસને અહંકાર ત્યાગવા અને CM બેનરજીને ઇન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે સ્વીકારવાનો આગ્રહ કર્યો હતો. TMCના લોકસભામાં ચીફ વ્હિપે કહ્યું હતું કે વારંવાર હાર છતાં તેઓ (કોંગ્રેસ, રાહુલ ગાંધી) અહંકાર કેમ ત્યાગી નથી રહ્યા? અને CM બેનરજીને જવાબદારી કેમ નથી સોંપી રહ્યા? માત્ર ભાજપનો મૃત્યુઘંટ તેઓ જ વગાડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

 

ઇમરાન ખાનના સમર્થકોનું હિંસક પ્રદર્શન, શૂટ એટ સાઇટ ઓર્ડર જારી

પાકિસ્તાન: દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માંગ સાથે ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. જેમાં કેટલાંક પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અનેકો ઘાયલ થયા છે. ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ એક વીડિયો સંદેશમાં સમર્થકોને કહ્યું કે, મારા ભાઈઓ, જ્યાં સુધી ઈમરાન આપણી સાથે નહીં હોય ત્યાં સુધી આપણે આ કૂચ ખતમ નહીં કરીએ. હું મારા અંતિમ શ્વાસ સુધી અહીં જ રહીશ અને તમે બધા પણ મને સાથ આપજો.

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા હતા. જેમાં 4 પેરાટ્રૂપર્સના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી હુમલામાં ચાર રેન્જર્સ અને બે પોલીસ અધિકારીઓના જીવ ગયા છે, જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કલમ 245 હેઠળ પાકિસ્તાની સેનાને બોલાવવામાં આવી છે. અશાંતિ ફેલાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા હાલની સરકારે આદેશ જારી કર્યા છે. જેમાં જુઓ ત્યાં ઠાર કરવાના એટલે કે જોતાં જ ગોળી મારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.

દેખાવકારો ઇમરાન ખાનની મુક્તિની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદ સુધી કૂચ અને ધરણાંની પણ જાહેરાત કરી છે. બીજી તરફ સરકારે કડક નાકાબંધી કરી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ઈમરાનના સમર્થકોએ બેરિકેડ્સ હટાવી દીધા હતા. જે દરમિયાન પી.ટી.આઈ.ના કાર્યકરોની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. 72 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં છે.

પી.ટી.આઈ.ના કાર્યકરોએ રેખા પાર ન કરવી જોઈએઃ નકવી

તે જ સમયે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીએ ઈમરાન સમર્થકોને રેખા પાર ન કરવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદમાં સ્થિતિ પહેલાંથી જ સંવેદનશીલ છે. કારણ કે બેલારુસના રાષ્ટ્રપતિ સત્તાવાર રીતે ઈસ્લામાબાદની મુલાકાતે છે.

IOCL બ્લાસ્ટ મામલે મેજિસ્ટ્રેટની તપાસમાં હોબાળો

વડોદરા નજીક આવેલી IOCL (ગુજરાત રિફાઈનરી)માં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. આ મામલે વડોદરા ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજેશ ચૌહાણ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા, જે અધિકારીઓ હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં ફરીથી બધાને બોલાવીને સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે IOCLના ચીફ જનરલ મેનેજર (એચઆર), એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, ચીફ કંટ્રોલર, સાઈટ કંટ્રોલર, CISFના આસિ. કમાન્ડન્ટ (સિક્યૂરીટી), ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક, વડોદરા ગ્રામ્યના મામલતદાર, એક્ઝિક્યૂટીવ મેજિસ્ટ્રેટ, જવાહરનગરના પોલીસ સ્ટેશનના પીઆઇ અને તલાટી કમ મંત્રીને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, વડોદરા ગ્રામ્ય દ્વારા કોઠી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આજે IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, GPCBના પ્રાદેશિક અધિકારી અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સહિતના અધિકારીઓ હાજર રહ્યા નહોતા. તો બીજી તરફ આ સમયે કરચિયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. IOCLના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હાજર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે ગુજરાત રિફાઇનરીના 68 નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથેની આગ બાદ રાત્રે 8:30 વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટેન્ક ફાટી હતી. જેમાં કોન્ટ્રાક્ટર પરના બે કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતા ફાયરબ્રિગેડના સબ ઓફિસર દાઝી ગયા હતા. ટેન્ક ફાટતાં ઢોળાયેલા બેન્ઝીનથી બાજુની 69 નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતાં ચિંતાનો વિષય બન્યો હતો. વડોદરા ફાયરબ્રિગેડે સ્થિતિ પર કાબૂ મેળવવા અન્ય શહેરમાંથી પણ ફાયર એન્જિન બોલાવ્યા હતા.

એક મહિનાની ડિજિટલ અરેસ્ટઃ મહિલાથી રૂ. 3.8 કરોડની છેતરપિંડી

મુંબઈઃ મુંબઈમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા 77 વર્ષનાં વયોવૃદ્ધ મહિલા સાથે નકલી પોલીસવાળાએ રૂ. 3.8 કરોડની છેતરપિંડી કરી હતી. દક્ષિણ મુંબઈનાં મહિલાને એક મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યાં હતાં. તેમને ધમકી આપવામાં આવી હતી કે તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાને વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાઇવાન મોકલેલું તેમના નામનું પાર્સલ પકડાઈ ગયું છે. આ પાર્સલમાં પાંચ પાસપોર્ટ, બેન્ક કાર્ડ, ચાર કિલો કપડાં અને નશીલી દવાઓ મળ્યાં છે. મહિલાએ કોલરને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમણે કોઈ પાર્સલ નથી મોકલ્યું. એના પર ફોન કરનારે કહ્યું હતું કે આધાર કાર્ડની ડિટેલ તેમની છે અને કોલ નકલી મુંબઈ પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરી દીધો છે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગ કેસથી લિન્ક છે.ત્યાર બાદ મહિલાને સ્કાય એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાને ધમકાવવામાં આવી હતી કે તે આ વાત કોઈને ના જણાવે. કોલર તેનું નામ IPS આનંદ રાણા અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો અધિકારી જ્યાર્જ મેથ્યુ બતાવ્યું હતું. તેણે મહિલાને બેન્ક એકાઉન્ટ નંબર આપ્યું હતું અને બધા પૈસા માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તપાસ કરી શકે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે કોઈ ગરબડ ના મળી તો તેમના પૈસા પરત ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાને ડરાવીને 24 કલાક વિડિયો કોલ પર 24 કલાક રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા એની વાતોમાં આવી ગઈ. ઘરના કોમ્પ્યુટર પર એક મહિના સુધી વિડિયો કોલને ઓન રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ કોલ કપાઈ ગયો હતો, તેઓ તરત વિડિયો કોલ ઓન કરવા માટે કહેતા અને લોકેશનની માહિતી ચેક કરતા.

આ મહિલે પૈસા ટ્રાન્સફર કરી દીધા. આરોપીઓએ એમાંથી રૂ. 15 લાખ પરત કર્યાને મહિલાને વિશ્વાસમાં લીધાં. ત્યાર મહિલાએ પુત્રીને ફોન કરીને બધી વાત કરતાં પોલીસે કેસ નોંધ્યો છે અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

 

બાંગ્લાદેશની કોર્ટે ISCONના ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી

બાંગ્લાદેશ: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.

બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારના કાર્યકાળ દરમિયાન હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ચિન્મય પ્રભુ સતત આ મુદ્દો ઉઠાવતા હતા. આ દરમિયાન 25 ઓક્ટોબરે, હિંદુ જૂથ ‘સનાતન જાગરણ મંચ’ દ્વારા રાજધાની ઢાકાના ન્યૂ માર્કેટમાં ભારે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કેટલાક યુવાનોએ બાંગ્લાદેશી ધ્વજ ઉપર ભગવો ઝંડો લગાવ્યો હતો. બાંગ્લાદેશ પોલીસે રેલીમાં આ ઘટનાને ચિન્મય પ્રભુની ધરપકડનું કારણ બનાવ્યુ છે.. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે આ રીતે દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે.કોણ છે ચિન્મય પ્રભુ ?

ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના અગ્રણી નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરિક ધામના પ્રમુખ છે. લોકો તેમને ચિન્મય પ્રભુના નામથી ઓળખે છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થતા અત્યાચારો સામે મજબૂત અવાજ ઉઠાવતા રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77થી વધુ મંદિરો છે અને 50 હજારથી વધુ લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ બાંગ્લાદેશના સનાતન જાગરણ ગ્રુપના પણ સભ્ય પણ છે. તેઓ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) સાથે પણ સંકળાયેલા છે અને ઈસ્કોનના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

દલિતોની વાત કરીએ ત્યારે માઈક બંધ થઈ જાય છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ ભાષણની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી તેમનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે માઈક ઠીક કરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, લોકો ભલે ઈચ્છે તેટલું મારું માઈક બંધ કરી દે પરંતુ મને બોલાતા રોકી શકશે નહીં.

કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેઓ દલિતોની વાત કરે છે ત્યારે માઈક બંધ થઈ જાય છે. જો સરકાર મારું માઈક બંધ કરશે તો પણ હું બોલીશ. હું મારી વાત લોકો સુધી પહોંચાડીને જ રહીશ. બંધારણ દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે જે રાજ્યમાં અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. સમાજમાં પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ?રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશમાં જેટલી પણ મોટી-મોટી કંપનીઓ છે તેના માલિકો દલિત કે ઓબીસી સમાજના તમને નહીં મળે! હું ગેરંટી સાથે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણનું પુસ્તક વાંચ્યું નથી. આંબેડકરજી, ફુલેજી, ભગવાન બુદ્ધ અને ગાંધીજીની 21મી સદીમાં ભારતની હજારો વર્ષોની વિચારસરણી અને ભારતના સામાજિક સશક્તિકરણનું સત્ય તેમાં હાજર છે. તમે કોઈપણ રાજ્યમાં જાઓ, કેરળમાં નારાયણ ગુરુજી, કર્ણાટકમાં બસવન્નાજી, પૂણેમાં શિવાજી મહારાજ એમ દરેક રાજ્યમાં તમને બે-ત્રણ નામો મળશે જેમના વિચારો તમને પુસ્તકોમાં જોવા મળશે.

રાહુલ ગાંધીએ કહ્યું, ભારતની વસ્તી પર નજર કરીએ તો આખો દેશ જાણે છે કે દેશમાં 15 ટકા દલિત વસ્તી છે. 8 ટકા આદિવાસી છે, લગભગ 15 ટકા લઘુમતી છે. પરંતુ પછાત વર્ગમાંથી કેટલા લોકો છે? કોઈ જાણતું નથી. કેટલાક કહે છે કે દેશમાં પછાત વર્ગ 50 ટકા છે, જ્યારે કેટલાક અલગ અલગ આંકડા આપે છે. જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ આંકડાઓ નોંધાયા છે. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. જો આપણે 50 ટકા પછાત વર્ગો, 15 ટકા દલિત, લગભગ 8 ટકા આદિવાસીઓ અને 15 ટકા લઘુમતીઓનો સમાવેશ કરીએ તો દેશની લગભગ 90 ટકા વસ્તી પછાત વર્ગમાંથી આવે છે.

ભાવનગર PGVCLની કાર્યવાહી, લાખોની વીજચોરી ઝડપાઈ

ભાવનગર શહેરમાં વહેલી સવારે જુદા જુદા પાંચથી વધુ વિસ્તારોમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે હાથ ધરેલા વીજ ચેકિંગમાં લાખોની વીજ ચોરી સામે આવી છે. શહેરના નવાપરા, વિજયરાજનગર, બાંભણીયાની વાડી સહિતના વિસ્તારોમાં ચેકીંગ ડ્રાઇવ શરૂ કરાઇ હતી જે બપોર સુધી ચાલી હતી. વીજ ટુકડીઓ દ્વારા 220 જેટલા કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી જેમાં 15 જેટલા કનેક્શનોમાં દસ લાખની વીજ ચોરી ઝડપી પાડી છે.

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું દૂષણ અટકવાનું નામ લેતું ન હોય તેમ તળાજા, પાલિતાણા અને ભાવનગર પંથકમાંથી વીજ તંત્રની ટીમોએ વીજચોરી ઝડપી પાડી હતી. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા આયોજનબધ્ધ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમોએ વહેલી સવારે વીજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે. અલગ અલગ 220 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે. જેમાં  નવાપરા, વિજયરાજનગર, કાળુભા રોડ વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પેડક રોડ, બાંભણીયાની વાડી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારે અલગ અલગ 7 ટીમો બનાવીને વીજ ચેકિંગમાં 15 રહેણાંક બિલ્ડિંગોમાં 10 લાખની વીજચોરી પકડાઈ છે.

શિંદેએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ, CM પદ પર સસ્પેન્સ યથાવત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને સીએમ પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને NCPનું બનેલું મહાયુતિ ગઠબંધન વિજયી બન્યું છે.રાજ્યના આગામી સીએમ કોણ હશે તેની આજે જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં મહાયુતિના ભાગીદાર પક્ષોમાં દરેક 6-7 ધારાસભ્યો માટે એક મંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એવી પણ અટકળો છે કે સીએમ એકનાથ શિંદે અન્ય કોઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. તેઓ પોતે આ પદ સંભાળશે નહીં.

ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં પાંચ આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કેસમાં CEO ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે ફરાર પાંચ મેડિકલ માફિયાઓ પકડી પાડ્યા છે. આ કાંડમાં હજુ સુધી કુલ 9 આરોપીઓ પોલીસ ફરિયાદમાં નોંધાયા છે. જેમાંથી છ આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે ત્રણ લોકો હજી વોન્ટેડ છે. ત્યારે હજી એક આરોપી વિદેશમાં છે.

આ આરોપીઓ મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી, જેમાં ચિરાગ રાજપૂત ખેડાથી જ્યારે અન્ય બે ઉદયપુરથી ઝડપાયા છે.

કેસનું સતત મોનિટરિંગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે.. આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં હજી પણ ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે.