Chitralekha Gujarati – 04 May, 2026
બંગાળમાં 91.78% અને તમિલનાડુમાં 84.35% રેકોર્ડબ્રેક મતદાન
બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 91.78% અને તમિલનાડુમાં 84.35% જેટલું ઐતિહાસિક મતદાન થયું છે. બંગાળમાં કૂચ બિહાર અને દક્ષિણ દિનાજપુર જેવા જિલ્લાઓમાં મતદાનનો આંકડો 92% ને પાર કરી ગયો છે. જોકે, આ ઉત્સાહની વચ્ચે બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો, EVM માં ગેરરીતિના આક્ષેપો અને સુરક્ષા દળો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. હવે બીજા તબક્કાનું મતદાન 29 April ના રોજ યોજાશે અને પરિણામ 4 May ના રોજ જાહેર થશે.

બંગાળના વિવિધ જિલ્લાઓના આંકડા જોઈએ તો કૂચ બિહારમાં 92% થી વધુ, જલપાઈગુડીમાં 91% થી વધુ અને દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 93% રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. અલીપુરદ્વાર અને ઉત્તર દિનાજપુરમાં પણ આંકડો 88% થી 90% ની વચ્ચે રહ્યો છે. દાર્જિલિંગ અને કલિમ્પપોંગ જેવા પહાડી વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળની સાથે જ ગુજરાતની ઉમરેઠ અને મહારાષ્ટ્રની બારામતી તથા રાહુરી બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.

જોકે, રેકોર્ડબ્રેક મતદાનની વચ્ચે હિંસાના સમાચારોએ બંગાળની ચૂંટણી પર સવાલો ઉભા કર્યા છે. બીરભૂમના ખૈરાશોલમાં ભારે અશાંતિ જોવા મળી હતી, જ્યાં કેન્દ્રીય સુરક્ષા દળો સાથે ગ્રામીણોની અથડામણ થઈ હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુબરાજપુરના બુધપુર ગામમાં તો એવો ગંભીર આક્ષેપ પણ લાગ્યો કે EVM માં ચોક્કસ પક્ષનું બટન દબાવવા છતાં મત બીજા પક્ષને જતો હતો. આ ગેરરીતિના વિરોધમાં સ્થાનિકોએ લાંબા સમય સુધી મતદાન રોકીને પ્રદર્શન કર્યું હતું. અનેક જગ્યાએ ભાજપના નેતાઓ પર હુમલાના સમાચાર પણ મળ્યા છે.
આ બમ્પર વોટિંગ બાદ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલા મોટા મતદાનને ભાજપની પ્રચંડ જીતનો સંકેત ગણાવ્યો છે, જ્યારે મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંગાળમાં ફરી એકવાર TMC ની સરકાર બનશે. આ દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ‘બદલો લેવા’ ની વાત કરી પરોક્ષ રીતે 2021 ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને રાજ્યમાં પરિવર્તનની હવા હોવાનો દાવો કર્યો છે.
બીજી તરફ તમિલનાડુમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યની તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન યોજાયું હતું. ભીષણ ગરમી અને લાંબી કતારો હોવા છતાં સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમવાર આટલું મોટું મતદાન થયું છે. હવે બંગાળમાં બીજા તબક્કા માટે 29 April ના રોજ વોટિંગ થશે, જેમાં 1448 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. ચૂંટણીના અંતિમ પરિણામો 4 May ના રોજ જાહેર કરવામાં આવશે.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ગુરૂવાર મતદાન યોજાયું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચની એક નવી પહેલના ભાગ રૂપે, મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. સાંજે ૭:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ ૧૧૧-ઉમરેઠ બેઠક માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩% મતદાન નોંધાયું છે.
પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે. ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને હતા. ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૧,૨૬,૫૪૫ પુરુષ મતદારો, ૧,૧૯,૦૭૨ મહિલા મતદારો અને અન્ય ૦૬ મતદારો મળીને કુલ ૨,૪૫,૬૨૩ મતદારો નોંધાયા છે.
શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકો પૈકી 0૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો હતા. જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
અભય મંગળદાસની જર્મનીના ‘ઓનરરી કોન્સ્યુલ’ તરીકે નિમણૂક
અમદાવાદ: ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી. ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીએ અભય કમલ મંગળદાસની ‘ઓનરરી કોન્સ્યુલ’ (માનદ કોન્સ્યુલ) તરીકે નિમણૂક કરી. આ નિમણૂક પશ્ચિમ ભારતના આર્થિક હબ ગણાતા ગુજરાત સાથે જર્મનીના રાજદ્વારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પને દર્શાવે છે.
ગુજરાતમાં જર્મનીનું પ્રતિનિધિત્વ
માનદ કોન્સ્યુલ તરીકે અભય મંગળદાસ જર્મન અને ભારતીય સંસ્થાઓ વચ્ચે ગાઢ સહકાર સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, તેઓ ગુજરાતમાં રહેતા અથવા મુલાકાતે આવતા જર્મન નાગરિકોને પસંદગીની કોન્સ્યુલર સેવાઓમાં પણ સહાય પૂરી પાડશે.
ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો
ભારતમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને આ નિમણૂક અંગે જણાવ્યું કે, “અભય મંગળદાસની નિમણૂકથી ઉદ્યોગ, નવીનતા (ઇનોવેશન), શિક્ષણ, રિન્યુએબલ એનર્જી અને ટકાઉ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જર્મની અને ગુજરાત વચ્ચેનો સહયોગ નોંધપાત્ર રીતે વધશે.”
મુંબઈ સ્થિત જર્મનીના કોન્સ્યુલ જનરલ ક્રિસ્ટોફ હેલિયરે ઉમેર્યું કે, અમદાવાદમાં માનદ કોન્સ્યુલની નિમણૂક એ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વધતા મહત્વનું પ્રતીક છે.
અભય મંગળદાસની પ્રતિક્રિયા
નિમણૂક અંગે આનંદ વ્યક્ત કરતા અભય મંગળદાસે જણાવ્યું કે, “અમદાવાદમાં જર્મનીના માનદ કોન્સ્યુલ તરીકે સેવા આપવી એ મારા માટે ગૌરવની વાત છે. હું ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ખાસ કરીને વેપાર તેમજ સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી પહેલોને ટેકો આપવા માટે ઉત્સુક છું.”
અભય મંગળદાસ વ્યવસાયિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને સ્થાનિક સમુદાય સાથે તેમનું ઊંડું જોડાણ જર્મની-ગુજરાત વચ્ચેના સેતુ તરીકે અસરકારક સાબિત થશે.
Tamil Nadu Election: રજનીકાંતથી લઈ કમલ હાસન સહતિની હસ્તીઓએ કર્યુ મતદાન
આજે તમિલનાડુના તમામ મતવિસ્તારો માટે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થયુ. સામાન્ય જનતાથી લઈને દક્ષિણ ભારતીય હસ્તીઓ સુધી દરેક વ્યક્તિ મતદાન કરવા માટે ઉત્સાહિત હતા. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંત સહિત ઘણી હસ્તીઓએ મતદાન કર્યું અને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં ભાગ લીધો.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. દક્ષિણ ભારતના ઘણા સુપરસ્ટાર પણ અલગ અલગ મતદાન મથકો પર મતદાન કરતા જોવા મળ્યા. કમલ હાસન તેમની પુત્રી શ્રુતિ હાસન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કતારમાં ઉભા રહીને સામાન્ય માણસની જેમ મતદાન કર્યું. ટીવી ચીફ અને અભિનેતા થલાપતિ વિજય પણ મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. અહીં તેઓ ભીડથી ઘેરાયેલા હતા. દક્ષિણના સુપરસ્ટાર અજિત કુમારે પણ મતદાન કર્યુ.

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે પણ મતદાન કર્યું. તેઓ ચેન્નાઈના સ્ટેલા મેરિસ સ્કૂલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા. રજનીકાંતે પણ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા ધનુષ પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. તેઓ પણ ચાહકોથી ઘેરાયેલા હતા. તેઓ પોલીસ સુરક્ષા હેઠળ પ્રવેશ્યા હતા.ધનુષે લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

તમિલનાડુની ચૂંટણી લડી રહેલા વિજય થલાપતિ પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા. તેમને ટોળાએ ઘેરી લીધા હતા. પોલીસે કોઈક રીતે તેમને મતદાન મથક સુધી પહોંચાડ્યા. વિજયે મતદાન કર્યું અને પછી બહારના લોકોનું સ્વાગત કર્યું. આ ચૂંટણી તેમના રાજકીય કારકિર્દીનું ભવિષ્ય નક્કી કરશે.
કેદારનાથ બાદ આજે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર
આજે 23 April 2026 ના રોજ સવારે 6:15 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ પહેલા અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી-યમુનોત્રી અને ગઈકાલે કેદારનાથના દ્વાર ખુલ્યા હતા. બદ્રીનાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ માનવામાં આવે છે, કારણ કે અહીં ભગવાન વિષ્ણુ સાક્ષાત નિવાસ કરે છે તેવી માન્યતા છે. મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને હવે આગામી 6 મહિના સુધી ભક્તો અહીં ભગવાનના દર્શન કરી શકશે.
ચારધામ યાત્રા 2026 હવે તેની પૂરી ગતિએ આગળ વધી રહી છે. આ વર્ષની યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલવા સાથે થયો હતો. ત્યારબાદ ગઈકાલે એટલે કે 22 April ના રોજ બાબા કેદારનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા અને આજે અંતિમ ધામ એવા બદ્રીનાથના કપાટ ખુલતા જ ચારેય ધામોની યાત્રા વિધિવત રીતે ચાલુ થઈ ગઈ છે. આ અવસર પર બદ્રીનાથ મંદિરના દરબારને અંદાજે 25 ક્વિન્ટલ ગુંદા અને વિદેશી ફૂલોથી અત્યંત મનોહર રીતે શણગારવામાં આવ્યો હતો, જેની સુગંધથી આખું બદ્રીનાથ નગર મહેકી ઉઠ્યું હતું.

બદ્રીનાથ ધામને પૃથ્વી પરનું વૈકુંઠ માનવા પાછળ ઊંડી ધાર્મિક આસ્થા અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સતયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ માનવ કલ્યાણ માટે આ સ્થળે કઠોર તપસ્યા કરી હતી, ત્યારે તે સ્થાન તેમને એટલું પ્રિય લાગ્યું કે તેમણે તેને પોતાનું સાક્ષાત નિવાસસ્થાન બનાવી દીધું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આકાશ, પૃથ્વી અને પાતાળમાં અનેક તીર્થો છે, પરંતુ બદ્રીનાથ જેવું કોઈ તીર્થ ન પહેલાં હતું અને ન ક્યારેય ભવિષ્યમાં હશે. એવી માન્યતા છે કે અહીંના દર્શન માત્રથી મનુષ્યને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ ધામના નામ પાછળ પણ એક સુંદર કથા છે. પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુ હિમાલયની કડકડતી ઠંડીમાં તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મીએ તેમને તડકા, વરસાદ અને હિમવર્ષાથી બચાવવા માટે ‘બદરી’ એટલે કે બોરના ઝાડનું રૂપ ધારણ કરી લીધું હતું અને ભગવાન પર છાયા કરી હતી. માતા લક્ષ્મીના આ અતૂટ સમર્પણ અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને આ સ્થાનનું નામ ‘બદ્રીનાથ’ રાખ્યું હતું. અલકનંદા નદીના તટ પર વસેલું આ ધામ હિમાલયની નર અને નારાયણ નામની પહાડીઓની વચ્ચે સ્થિત છે, જે શ્રદ્ધાળુઓને અપાર શાંતિનો અનુભવ કરાવે છે.
બદ્રીનાથ ધામનું મહત્વ ચારધામોમાં સર્વોપરી માનવામાં આવે છે. આ ધામ 108 દિવ્ય વૈષ્ણવ તીર્થો (દિવ્ય દેશમ) માં પણ સામેલ છે. આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે આ ધામનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને અહીં ભગવાનની મૂર્તિની પુનઃસ્થાપના કરી હતી, ત્યારથી આ ધામ સનાતન ધર્મના સૌથી પ્રમુખ તીર્થોમાંનું એક બની ગયું છે. આજથી શરૂ થયેલી આ યાત્રા હવે આગામી 6 મહિના સુધી ચાલશે, જેમાં દેશ અને દુનિયાના ખૂણેખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીવિશાલના આશીર્વાદ લેવા માટે ઉત્તરાખંડના આ પવિત્ર આંગણે પધારશે.
ગરમી બાદ વરસાદનો રાઉન્ડ! 26 રાજ્યોમાં હવામાન વિભાગનું મોટું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે દેશભરમાં હવામાનના મોટા ફેરફારની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂ (Heatwave) ચાલશે, જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCR માં 25 April સુધી આકરી ગરમી પડશે, પરંતુ 26 થી 29 April દરમિયાન વાદળછાયા આકાશ અને હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમી પવનની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસરને કારણે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર લૂ ચાલવાની શક્યતા છે. જોકે, પૂર્વોત્તર ભારતમાં સ્થિતિ અલગ હશે, જ્યાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પવનની ગતિ 50 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં રહેતા લોકો માટે અત્યારે ગરમીનો પ્રકોપ સહન કરવાનો સમય છે. 25 April સુધી દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની ધારણા છે. પરંતુ 26 April થી હવામાનમાં પલટો આવશે. 26 થી 29 April દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જેનાથી વધતા તાપમાન પર બ્રેક લાગશે અને લોકોને ગરમીથી થોડી રાહત મળશે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 24 થી 28 April દરમિયાન વરસાદ અને હિમવર્ષા (Snowfall) થઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ 25 અને 26 April ના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પૂર્વી ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં પણ 23 થી 28 April દરમિયાન વાવાઝોડા સાથે વરસાદી માહોલ રહેશે. બિહાર અને ઝારખંડમાં 24 થી 26 April વચ્ચે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે સિક્કિમમાં ભારે વરસાદનો એલર્ટ અપાયો છે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં હળવો વરસાદ થઈ શકે છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં કરા પડવાની (Hailstorm) પણ શક્યતા છે. બીજી તરફ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 April ના રોજ હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં હજુ થોડા દિવસો લૂનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન વિભાગે લોકોને આકરી ગરમીમાં સાવચેત રહેવા અને પૂર્વોત્તર ભારતમાં મુસાફરી કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે.
ઝઘડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, 15થી વધુ કામદાર ગંભીર રીતે દાઝ્યા
ભરૂચ: ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં 23 એપ્રિલના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ. મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા કામદારોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.
દુર્ઘટનામાં પ્લાન્ટમાં ફરજ બજાવતા 15થી વધુ કામદાર ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટને પગલે પ્લાન્ટમાં નુકસાનની સાથે કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેમિકલ યુનિટ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. વિસ્ફોટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.






મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું. સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસના સંરક્ષણ માટે ઐતિહાસિક રોરિક પેક્ટની યાદમાં, તેમની વર્ષગાંઠ નિમિત્તે 15 એપ્રિલથી યોજવામાં આવ્યું. ઇનટેક (INTACH) વારાણસી, પિલ્ગ્રિમ્સ બુક હાઉસ કાઠમંડુ અને કાશી વિદ્યાપીઠના સહયોગથી આ ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું. હરિદર્શન સાંખ્ય દ્વારા હિમાલયના ઊંડા શિખરો વચ્ચે કરવામાં આવેલી ત્રણ વર્ષની સાધના તેમાં જોવા મળી. શ્રેણીના કુલ 108 ચિત્રોમાંથી પસંદ કરાયેલા 21 ચિત્રો અહીં ‘આઝાદ કલા દીર્ઘા’માં પ્રદર્શિત કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન પ્રખ્યાત ધ્રુપદ ગાયક પદ્મશ્રી પં. ઋત્વિક સાન્યાલ દ્વારા કરવામાં આવ્યું. 
એક્રેલિક માધ્યમનો ઉપયોગ કરીને કલાકારે તૈલ ચિત્રો જેવી સોફ્ટનેસ અને ડેપ્થ આપવાનો પ્રયાસ કર્યો છે. કલાકારે પોતાની પીંછીથી કેનવાસ પર જે ‘પ્રભુ દર્શન’ કરાવ્યા, તે પેઈન્ટિંગ જોવા આવનારા દરેક પ્રેક્ષકને ગમ્યું.