Home Blog Page 122

સાપુતારા નજીક માર્ગ અકસ્માત, 6 ના મોત

રાજયમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સાપુતારા નજીક વહેલ સવારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી અને 6 લોકોના મોત થયા હતા. મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

સાપુતારા નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને કાર સીધી ખીણમાં ખાબકી હતી. કાર ખીણમાં ખાબક્તા છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જો કે, આ ઘટનાની જાણ થતાં થતા મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી. ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

 

ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારની કાર્યવાહી

ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ, નાઈટક્લબ પર તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. લુથરા બ્રધર્સના રોમિયો લેન બીચ ક્લબ પર પણ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાગેટર વિસ્તારમાં રોમિયો લેન રેસ્ટોરન્ટનો એક ભાગ તોડી પાડવામાં આવી રહ્યો છે. તેના માલિકો ગૌરવ લુથરા અને સૌરભ લુથરા છે. આ બંને રોમિયો લેન નજીક બિર્ચના માલિક પણ છે, જ્યાં 7 ડિસેમ્બરે આગ લાગી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.

લુથરા બ્રધર્સ સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી

ગોવા પોલીસે ગોવા નાઈટક્લબના મુખ્ય આરોપી અને માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. ગુનાહિત તપાસના સંદર્ભમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવામાં આવે છે. ચાર્જશીટ દાખલ થયા પછી અને વોન્ટેડ વ્યક્તિ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી થયા પછી જ ભાગેડુ વ્યક્તિને અટકાયતમાં લેવા માટે રેડ નોટિસ જારી કરી શકાય છે.

 

અદાણીની પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપની ઘોષણા

ધનબાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું હતુ કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને મહાનુભાવોને સંબોધતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણા નિર્ણયો લેવા જોઈએ. IIT-ISM ધનબાદમાં અદાણી ગ્રુપના ચેરમેને એ વાત પર ભાર મૂક્યો હતો કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની માટીની શક્તિમાં નિપુણતા મેળવ્યા વિના નથી ઊભરી શકતું. 21મી સદીમાં સાચી સ્વતંત્રતા કુદરતી સંસાધનો અને ઉર્જા પ્રણાલીઓના નિયંત્રણ પર આધારિત છે.

તેમણે કહ્યું હતું કે બ્રિટિશ શાસન હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રમાં યુવાઓને પારંગત બનાવવાના વિઝન સાથે તેની સ્થાપના થઈ હતી. તેમણે આપણાં સંસાધનોમાં નિપુણતા અને આપણા ઉદયને બળ આપતી ઊર્જામાં નિપુણતાને આપણી આર્થિક સ્વતંત્રતાના બે સ્તંભો ગણાવ્યા હતા.

વૈશ્વિક ડેટાને ટાંકી નેરેટિવ કોલોનાઈઝેશન” કરતા દેશો સામે ચેતવણી ઉચ્ચારતાં તેમણે કહ્યું હતું કે અભૂતપૂર્વ ઉત્સર્જન ધરાવતા દેશો ભારત જેવા દેશો માટે વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. ભારતના ટકાઉપણાના પ્રદર્શનને ડાઉનગ્રેડ કરવાના પ્રયાસો વૈશ્વિક ESG ફ્રેમવર્કમાં પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે. પ્રગતિ માટે ભારતે પોતાનાં ધોરણો જાતે નક્કી કરવાની હાકલ કરતાં તેમણે કહ્યું હતું કે જો આપણે આપણા નેરેટિવને નિયંત્રિત નહીં કરીએ તો આપણી આકાંક્ષાઓ ગેરકાયદે થઈ જશે.

ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે આપણો દેશ વિશ્વના સૌથી ઓછા માથાદીઠ ઉત્સર્જકોમાંનો એક છે અને તે નિયત સમય પહેલાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતાને વટાવી ગયો છે. તેમણે એવા વૈશ્વિક માળખાને પક્ષપાતી ગણાવી ટીકા કરી જે માથાદીઠ માપદંડો અને ઐતિહાસિક જવાબદારીને અવગણે છે. અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ ખાણને ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી અને ગુજરાતમાં 30 GW ખાવડા પાર્ક સહિત ગ્રુપના નવીનીકરણીય ઊર્જા રોકાણો પર પ્રકાશ પાડ્યો હતો.

શતાબ્દી ઉજવણી નિમિત્તે તેમણે IIT-ISM માટે બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી. એક, પ્રી-પ્લેસમેન્ટ ઓફર્સ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને બીજી અદાણી 3S માઇનિંગ એક્સેલન્સ સેન્ટર (TEXMiN) જેમાં મેટાવર્સ લેબ્સ, ડ્રોન ફ્લિટ્સ અને ચોકસાઇ ખાણકામ સાધનો જેવી અદ્યતન તક્નિકો સામેલ છે.

નવી પેઢીને પ્રેરણા આપતાં તેમણે વિદ્યાર્થીઓને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, અવિરતપણે કાર્ય કરવા અને ભારતની પ્રમુખ ક્ષમતાઓના રક્ષક બની આત્મવિશ્વાસપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્રને આકાર આપવા હાકલ કરી હતી.

અનિલ અંબાણીના પુત્ર પર રૂ. 228 કરોડની છેતરપિંડીનો કેસ

નવી દિલ્હીઃ CBIએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અનિલ અંબાણી વિરુદ્ધ કથિત છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને રૂ. 228.06 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપ સાથે સંબંધિત છે. બેંક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધાર પર આ કાર્યવાહી થઈ છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અણમોલ અંબાણીએ પોતાના જૂથની એક કંપની મારફતે બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ બાદમાં લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેને કારણે બેંકને મોટા પાયે નાણાકીય નુકસાન થયું હતું. હવે CBI આ કેસમાં આગળની તપાસ કરી રહી છે, જેમાં ફંડના ઉપયોગ અને નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવામાં આવશે.

રૂ. 450 કરોડની ક્રેડિટ સુવિધાનો કેસબેંકની ફરિયાદ મુજબ RHFLએ મુંબઈ સ્થિત બેંકની SCF શાખામાંથી પોતાની વેપારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રૂ. 450 કરોડની ક્રેડિટ લિમિટ મેળવી હતી. ક્રેડિટ સુવિધા આપતી વખતે બેંકે RHFL પર અનેક શરતો લગાવી હતી, જેમાં નાણાકીય અનુશાસન જાળવવું, સમયસર હપતા, વ્યાજ તથા અન્ય ચાર્જીસનો ભરપાઈ કરવી અને તમામ વેચાણની આવક બેંક ખાતા મારફતે જ ચલાવવી આવશ્યક હતી.

લોન ચૂકવવામાં ડિફોલ્ટ અને ફંડ ડાયવર્ઝન

કંપની સમયસર લોનના હપતા ચૂકવવામાં નિષ્ફળ ગઈ, જેને કારણે 30 સપ્ટેમ્બર, 2019એ આ ખાતાને NPA (Non-Performing Asset) જાહેર કરવામાં આવ્યું. બેંકની ફરિયાદના આધાર પર 1 એપ્રિલ, 2016થી 30 જૂન, 2019 સુધીના સમયગાળા માટે ગ્રાન્ટ થોર્નટન દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે ઉધાર લેવાયેલા ફંડનો ખોટા રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફંડનું ડાયવર્ઝન થયું હતું અને રકમનો ઉપયોગ મૂળ વેપારી હેતુને બદલે અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો.

છેતરપિંડીનો આરોપ

બેંકે સ્પષ્ટ આરોપ મૂક્યો છે કે આરોપીઓ, જે કંપનીના ભૂતપૂર્વ પ્રમોટર/ડિરેક્ટર હતા, તેમણે એકાઉન્ટમાં છેડછાડ કરીને ફંડનું કૌભાંડપૂર્વક હિસ્સાબુક વિરુદ્ધ અપપ્રોપ્રિએશન કર્યું. બેંક દ્વારા આપવામાં આવેલા નાણાંનો દુરુપયોગ કર્યો અને પૈસાનું સાઇફનિંગ કરીને અન્ય કાર્યોમાં લગાવ્યાં, જેના કારણે બેંકને રૂ. 228 કરોડનું નુકસાન થયું. CBIએ હવે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે.

સુંદર દેખાવા માટે કલાકારો લઈ રહ્યા છે ડ્રગ્સ, હોલીવુડ સ્ટારનો ધડાકો

હોલીવુડ એક ભયાનક સ્થળ છે. કલાકારોને તેમના કપડાંથી લઈને તેમના ફિટનેસ રૂટીન સુધી, દરેક બાબતમાં અસુરક્ષિત અનુભવ કરાવવામાં આવે છે. ઘણા લોકો ફક્ત ફિટ થવા માટે ખૂબ જ હદ સુધી જાય છે. ટાઇટેનિક ફેમ ધરાવતી લોકપ્રિય હોલીવુડ અભિનેત્રી કેટ વિન્સલેટ આ માને છે. તેણીએ ફિલ્મ ઉદ્યોગમાં અસલામતી વિશે ખુલ્લેઆમ વાત કરી અને કહ્યું કે તેણીને ઘણા યુવાન કલાકારો વજન ઘટાડવાની દવાઓ અને પ્લાસ્ટિક સર્જરી પર આધાર રાખતા જોવાનું પસંદ નથી.

વજન ઘટાડવા અને સુંદરતાની દવાઓ પર નિર્ભર અભિનેતાઓ

ઓસ્કાર વિજેતા અભિનેત્રીએ કલાકારોના સૌંદર્ય ધોરણો પર પોતાનો અભિપ્રાય શેર કર્યો. તેણીએ યુવા કલાકારોની ઇન્સ્ટાગ્રામ લાઇક્સ અને હંમેશા અલગ દેખાવાની ઇચ્છાનો શિકાર બનવા બદલ ટીકા કરી. સન્ડે ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં, કેટે કહ્યું, જો કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ ફક્ત તેમના દેખાવ પર આધારિત હોય, તો તે ડરામણી છે. અને વિચિત્ર છે.” ક્યારેક મને લાગે છે કે જ્યારે હું અભિનેત્રીઓને તેમની ઇચ્છા મુજબ કપડાં પહેરતી અને તેમના શરીરને અપનાવતી જોઉં છું ત્યારે વસ્તુઓ સારી થઈ રહી છે. પરંતુ બીજી બાજુ, ઘણા લોકો વજન ઘટાડવાની દવાઓ લઈ રહ્યા છે. આ બધું ખૂબ જ જટિલ છે.

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણીને નથી લાગતું કે લોકો તેમના શરીરમાં શું મૂકી રહ્યા છે તેની કાળજી રાખે છે. તેઓ ફક્ત સારા દેખાવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટે કહ્યું, કેટલાક લોકો પોતાને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો દરેક રીતે પોતાને બદલવા માટે તૈયાર છે. અને શું તેઓ જાણે છે કે તેઓ તેમના શરીરમાં શું મૂકી રહ્યા છે? વ્યક્તિના સ્વાસ્થ્યની આ અવગણના ડરામણી છે. તે મને પહેલા કરતાં વધુ ચિંતા કરે છે. બહારની પરિસ્થિતિ ખરેખર ગંદી થઈ ગઈ છે.”

હોલીવુડનું ડરામણું સત્ય

કેટ એ પણ ખુલાસો કર્યો કે પ્લાસ્ટિક સર્જરીનો ક્રેઝ ફક્ત કલાકારો સુધી મર્યાદિત નથી. ઘણી સ્ત્રીઓ યુવાન દેખાવા માટે બોટોક્સ અને લિપ ફિલર પર પૈસા ખર્ચે છે. તેણીએ કહ્યું, “તે તમારું જીવન છે, તમારા હાથમાં.” હું જાણું છું તે સૌથી સુંદર સ્ત્રીઓ 70 થી વધુ ઉંમરની છે. અને દુઃખની વાત એ છે કે આજની યુવાન સ્ત્રીઓ સાચી સુંદરતાને સમજી શકતી નથી.

આ પહેલીવાર નથી જ્યારે કેટ સુંદરતાના ધોરણો વિશે ખુલ્લેઆમ બોલ્યો હોય. ટાઇટેનિકની રજૂઆત સમયે, એવોર્ડ સીઝન દરમિયાન તેણીના કપડાં અને વજન માટે તેણીની ટીકા થઈ હતી. 60 મિનિટ્સ સાથેની એક મુલાકાતમાં, તેણીએ કહ્યું, “તે એકદમ ભયાનક હતું. જે લોકો એક યુવાન અભિનેત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે, જે ફક્ત શીખવા અને સમજવાનો પ્રયાસ કરી રહી હતી, તેમના વિશે કેવા લોકો વિચારશે?”

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રાઉઝ એવેન્યુ કોર્ટની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ભારતીય નાગરિકતા મેળવ્યા વગર મતદાર યાદીમાં નામ સામેલ કરાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી રિવિઝન પિટિશન પર કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. આ રિવિઝન પિટિશન વકીલ વિકાસ ત્રિપાઠીની તરફથી દાખલ કરવામાં આવી છે.

યાચિકાકર્તા વિકાસ ત્રિપાઠીની તરફથી હાજર થયેલા સિનિયર એડવોકેટ પવન નારંગે દલીલ કરી હતી કે આ મામલે ફરી વિચારવાની જરૂર છે, કારણ કે રેકોર્ડમાં રહેલા દસ્તાવેજોમાંથી દેખાય છે કે સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા પહેલાં જ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાના મામલે ગંભીર અનિયમિતતાઓ હતી. સેશન જજ વિશાલ ગોગણે દલીલો સાંભળી સોનિયા ગાંધીને નોટિસ જારી કરી છે. રાજ્ય તરફથી પ્રોસિક્યુટર નોટિસ સ્વીકારી લીધી. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે રિવિઝનમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના સંપૂર્ણ મૂલ્યાંકન માટે ટ્રાયલ કોર્ટ રેકોર્ડ (TCR) મગાવવામાં આવે.

6 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

દિલ્હીના વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટના તે આદેશને પડકાર્યો છે. જેમાં સોનિયા ગાંધી સામે FIR નોંધવાની સ્પષ્ટ રીતે ના પાડી દેવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારતીય નાગરિકતા લેતાં પહેલા ત્રણ વર્ષ પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ જારી કરી છે અને TCR મગાવ્યો છે. હવે આગામી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ યોજાશે.

મામલો શું છે?

આરોપ છે કે 1980ની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ હતું, જ્યારે તેમણે 30 એપ્રિલ, 1983એ ભારતીય નાગરિકતા મેળવી હતી. યાચિકામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે નાગરિક ન હોય ત્યારે 1980માં મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરાયું? યાચિકામાં દાવો છે કે 1982માં તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી પણ નાખવામાં આવ્યું હતું. એ સાથે જ પૂછવામાં આવ્યું છે કે જ્યારે નાગરિકતા 1983માં મળી, ત્યારે 1980માં મતદાર યાદીમાં નામ ધરાવવા માટે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા? શું તેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો?

થાઈલેન્ડ ભાગેલા ગોવા નાઇટ ક્લબના માલિક વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર

નવી દિલ્હીઃ ગોવાની જે નાઇટ ક્લબમાં રવિવારે આગ લાગવાથી 25 લોકોનાં મોત થયાં હતાં, તે ક્લબના માલિક સૌરભ અને ગૌરવ લુથરા ભારત છોડી થાઈલેન્ડ જઈ ચૂક્યા છે, એવી આવી માહિતી ગોવા પોલીસે આપી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે FIR નોંધાતાં જ તરત જ પગલાં લેવામાં આવ્યાં અને આરોપી ગૌરવ અને સોરભ લુથરાના નિવાસસ્થાન પર દરોડા પાડવા માટે ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે લુથરાભાઈઓ તેમના મકાનમાં હાજર નહોતા, એટલા માટે તેમના ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી. રવિવાર સાંજ સુધીમાં ગોવા પોલીસની માગ પર ઇમિગ્રેશન બ્યુરો દ્વારા તેમના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર મધરાતે જ્યારે આ ઘટના બની ત્યારે બંને ભાઈ દિલ્હીમાં હતા. એક અધિકારીએ કહ્યું હતું કે જ્યારે મુંબઈ સ્થિત ઇમિગ્રેશન બ્યુરોનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું હતું કે બંને આરોપી સાત ડિસેમ્બરની સવાર ઘટના બાદના થોડા કલાકોમાં – ફુકેટ માટેની ફ્લાઇટમાં સવાર થઈ ચૂક્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ગોવા પોલીસે બંનેને પકડવા માટે CBIના ઇન્ટરપોલ વિભાગનો સંપર્ક કર્યો છે.ભારત અને થાઈલેન્ડ વચ્ચે 2015થી અમલમાં આવેલી પ્રત્યાર્પણ સંધિ છે. લુથરા પરિવારએ ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં ભારે સફળતા મેળવી છે. માત્ર દાયકાભરમાં તેમણે અનેક શહેરોમાં અને વિદેશોમાં દુકાનો શરૂ કરી છે.

પોલીસે નોંધ્યો ગુનો

આગના કેસમાં પોલીસે લુથરા પરિવાર, આઉટલેટના મેનેજર અને તે સાંજના ઇવેન્ટ આયોજક વિરુદ્ધ બિન ઇરાદતન હત્યાનો કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે અનુમાન છે કે લુથરા પરિવારનો ગોવા બિર્ચ નાઇટ ક્લબમાં સહ-માલિકી હિસ્સો હતો. એક અધિકારીએ કહ્યું છે  કે સંદેહ છે કે તે આ સમયે દિલ્હીમાં છે અને ટીમ તેની શોધમાં છે.

ચૂંટણી સુધારાઓ પર ચર્ચામાં આજે લોકસભામાં ઘમસાણની શક્યતા

નવી દિલ્હી: ‘વંદે માતરમ’ પર ઘમસાણભરી ચર્ચા બાદ મંગળવારે લોકસભામાંચૂંટણી સુધારા મુદ્દે ચર્ચા થવાની છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આ મુદ્દે તીવ્ર ટકરાર થવાની સંભાવના છે. ખાસ કરીને કોંગ્રેસ આ મુદ્દે આક્રમક વલણ ધારણ કરશે એવી ધારણા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી વોટ ચોરી, મતદાર યાદીમાં ગરબડી અને SIRમાં ગરબડી જેવા ગંભીર આરોપો લગાવીને સરકાર અને ચૂંટણી પંચને ઘેરી રહ્યા છે. મંગળવારે ચૂંટણી સુધારાઓ પર ચર્ચામાં રાહુલ ગાંધી પણ બોલશે. જોકે શરૂઆત કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી કરશે.

રાહુલે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. ચૂંટણીમાં ગરબડીનો ખુલાસો કરતાં તેમણે “હાઇડ્રોજન બોમ્બ અને એટમ બોમ્બ ફોડીશ” જેવા દાવા પણ કર્યા હતા. બિહારમાં તેમણે ‘વોટર અધિકાર યાત્રા’ કાઢીને પણ ચૂંટણીમાં અનિયમિતતાઓનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને ગરીબો, દલિતો અને પછાત વર્ગોના મત કાપવામાં આવે છે, એવો આરોપ મૂક્યો હતો.

શિયાળુ સત્રની શરૂઆતમાં જ વિપક્ષ મતદાર યાદીમાં ગેરરીતિ અને SIR પર ચર્ચા કરવાની માગ પર અડગ હતો, પરંતુ સરકારનું કહેવું છે કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે, એટલે SIRની જગ્યાએ ચૂંટણી સુધારાઓ પર વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે. ચર્ચા દરમ્યાન વિપક્ષ કેટલાંક રાજ્યોમાં BLOના મોતની ઘટનાઓ, SIR પ્રક્રિયામાં ઝડપ જેવા મુદ્દા પણ ઉઠાવી શકે છે.

ચૂંટણી સુધારો ચર્ચામાં ભાજપના વક્તાઓ

ભાજપ તરફથી સાંસદ નિશિકાંત દુબે, અભિજિત ગંગોપાધ્યાય, પી.પી. ચૌધરી અને સંજય જાયસ્વાલ સહિતના વરિષ્ઠ સાંસદો ભાગ લઈ શકે છે. બે દિવસની ચર્ચાના અંતે કોઈ વરિષ્ઠ મંત્રી જવાબ આપી શકે છે.

કોંગ્રેસ તરફથી કોણ બોલશે

કોંગ્રેસ સાંસદોમાં કે.સી. વેણુગોપાલ, મનીષ તિવારી, ઉજ્જ્વલ રમણ સિંહ, વર્ષા ગાયકવાડ, મોહમ્મદ જાવેદ, ઈસા ખાન, રવિ મલ્લુ, ઇમરાન મસૂદ, ગોવાલ પડવી સહિતના સાંસદોની ભાગીદારીની સંભાવના છે. સૌથી અંતે રાહુલ ગાંધી ભાષણ કરશે.

પુડુચેરી ક્રિકેટમાં મોટું કૌભાંડ: પૈસા આપો, ટીમમાં પ્રવેશો  

પુડુચેરીઃ ભારતીય ક્રિકેટ વિશ્વમાં સૌથી શક્તિશાળી કહેવાય છે, IPL જેવી લીગ અને કડક પસંદગી પ્રક્રિયા તેની ઓળખ છે. ખેલાડીઓનો વિશ્વાસ એમાં જ છે કે સિસ્ટમ નિષ્પક્ષ છે, પરંતુ પુડુચેરીમાં આ બધું ઊંધું થઈ ગયું છે. અહીં નકલી સરનામાં બનાવવામાં આવે છે, તે નકલી સરનામા પર ખેલાડીઓનાં આધાર કાર્ડ બને છે. એક સમાતંર પસંદગી સિસ્ટમ કાર્યરત છે અને આ બધું ક્રિકેટ એસોસિયેશન ઓફ પોંડિચેરી (CAP) અને BCCIના નાક નીચે થઈ રહ્યું છે.

તપાસમાં 2000થી વધુ ખેલાડીઓનાં ફોર્મ ચકાસવામાં આવ્યાં, અનેક ખેલાડીઓ સાથે વાતચીત થઈ અને સ્થળ પર જઈને ઘણાં સરનામાં તપાસવામાં આવ્યાં. જાણવા મળ્યું છે કે રૂ. 1.2 લાખ રૂપિયાની રકમ લઈને ખેલાડીઓને “સ્થાનિક ખેલાડી” બનાવી દેવામાં આવે છે. કોચ અને ખાનગી ક્રિકેટ અકાડમીઓ નકલી સરનામા , પાછલી તારીખથી કોલેજમાં એડમિશન અને નકલી નોકરીના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે. BCCIની જરૂરિયાત મુજબ એક વર્ષનું રહેઠાણનું પ્રમાણપત્ર કાગળોમાં પૂરું પાડવામાં આવે છે. એ પછી આ ખેલાડીઓને CAPની ટીમોમાં સીધો પ્રવેશ મળી જાય છે.

ફી આપો, સ્થાનિક બનો

બહારનાં રાજ્યોના ખેલાડીઓને BCCIની ફરજિયાત એક વર્ષનું સ્થાનિક સરનામાને અવગણીને અને ‘સ્થાનિક’ બનવા માટે રૂ. 1.2 લાખ અથવા વધુના પેકેજની ચુકવણી કરવી પડે છે.

  • ખાનગી અકાદમીના કોચની મદદથી સ્થાનિક સરનામાનાં સર્ટિફિકેટ વેચવામાં આવે છે
  • પૈસા ચૂકવનાર ખેલાડીઓને CAPની ટીમમાં તાત્કાલિક જગ્યા મળી જાય છે, જેથી તેને રણજી ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ રમવાની તક મળે છે.

એક જ ‘આધાર’ સરનામે 17 ખેલાડી

સ્કેમનો સૌથી મોટો પુરાવો — પુડુચેરીની વિવિધ ટીમોમાંના 17 ‘સ્થાનિક’ ખેલાડીઓએ એક જ સરનામું આધાર કાર્ડમાં દર્શાવ્યું હતું. ઘરના માલિકે પુષ્ટિ કરી હતી કે તેણે ભાડૂઆતને મહિનાઓ પહેલાં જ કાઢી મૂક્યા હતા — એટલે હાલ તો ત્યાં કોઈ રહેતું જ નથી. આ ખોટી સિસ્ટમની સીધી અસર— પુડુચેરીમાં જન્મેલા ખેલાડીઓને તકો સમાપ્ત થઈ રહી છે.

ટ્રમ્પે હવે ભારતીય ચોખાની આયાત પર નિશાન સાધ્યું

વોશિંગ્ટન: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અન્ય એશિયન સપ્લાયર્સથી થતી કૃષિ આયાત પર નિશાન સાધ્યું છે. વ્હાઇટ હાઉસ રાઉન્ડ ટેબલને તેમણે જણાવ્યું કે અમેરિકન ઉત્પાદકોને બચાવવા માટે ટેરિફનો આક્રમક ઉપયોગ કરવામાં આવશે.

ખેડૂતો, કાયદા ઘડનારાઓ અને ટોચના કેબિનેટ અધિકારીઓ સાથેના સત્રની શરૂઆત કરતા, ટ્રમ્પે સોમવારે કહ્યું કે વહીવટીતંત્ર “અમેરિકન ખેડૂતોને $12 બિલિયનની આર્થિક સહાય” મોકલશે, જે યુએસ વેપાર ભાગીદારો પાસેથી એકત્રિત કરી રહેલા ટેરિફ આવક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. “જો તમે તેના વિશે વિચારો છો, તો અમે ખરેખર ટ્રિલિયન ડોલર લઈ રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું કે બીજા દેશોએ “અમારો એવો લાભ લીધો જેવો કોઈએ ક્યારેય જોયો પણ નથી.”

રાષ્ટ્રપતિએ વારસાગત ફુગાવા અને ઘટેલા કોમોડિટીના ભાવ પછી કૃષિ અર્થતંત્રને સ્થિર કરવા માટે નવી સહાયને આવશ્યક ગણાવી. “ખેડૂતો એક અનિવાર્ય રાષ્ટ્રીય સંપત્તિ છે, અમેરિકાની કરોડરજ્જુનો ભાગ છે,” તેમણે દલીલ કરી કે ટેરિફ લીવરેજ યુએસ કૃષિને પુનર્જીવિત કરવા માટેની તેમની વ્યૂહરચનાનું કેન્દ્ર હતું.

ચોખાની આયાત પર લાંબી ચર્ચા દરમિયાન ભારત એક મુખ્ય ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું હતું, જેને લ્યુઇસિયાનાના એક ઉત્પાદકે દક્ષિણના ખેડૂતો માટે વિનાશક ગણાવ્યું હતું.

કેનેડી રાઇસ મિલના સી.ઈ.ઓ. મેરિલ કેનેડીએ રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે યુ.એસ. બજારમાં બીજા દેશો… આજે ચોખા ડમ્પ કરી રહ્યા છે” જેના પરિણામે સ્થાનિક ખેડૂતો પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે “ભારત, થાઇલેન્ડ અને ચીન પ્યુઅર્ટો રિકોમાં”ને સબસિડીવાળી આયાતના મુખ્ય સ્ત્રોત તરીકે સૂચિબદ્ધ કર્યા અને કહ્યું કે આ વલણ સ્થાનિક ઉત્પાદકોને નબળા પાડી રહ્યું છે. “અમે ક્યારેય આટલી મોટી આયાત જોઈ નથી,” તેમણે ભારત સામે WTO કેસ તરફ ઈશારો કરીને અને કડક પ્રતિબંધોની વિનંતી કરીને નોંધ્યું.

ટ્રમ્પે સ્પષ્ટતા માટે દબાણ કર્યું. “ભારતને આવું કરવાની મંજૂરી કેમ છે? તેમને ટેરિફ ચૂકવવા પડશે,” તેમણે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંડને સંભવિત પગલાંની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતીય કંપનીઓ યુએસ રિટેલ ચોખા બજારમાં “બે સૌથી મોટી બ્રાન્ડ” ધરાવે છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો: “ઠીક છે, અને અમે તેમનું ધ્યાન રાખીશું.”

સોયાબીન અને અન્ય પાકોને અસર કરતી વિરોધી વેપાર પ્રથાઓની વ્યાપક ચર્ચામાં ટેરિફનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી અને મોટી વધારાની ખરીદીની અપેક્ષા રાખી હતી. “ચીન… સોયાબીનનો મોટો જથ્થો ખરીદી રહ્યું છે,” તેમણે કહ્યું. “મને લાગે છે કે તેઓ તેમના વચન કરતાં પણ વધુ કરશે.”

રૂમમાં ઘણા લોકો માટે, ભારત-સંબંધિત વેપાર મુદ્દાઓ વૈશ્વિક સ્પર્ધા અને યુએસ કોમોડિટી બજારોના ભવિષ્ય વિશેની ચિંતાઓ સાથે જોડાયેલા હતા. કેનેડીએ વહીવટીતંત્રને ચોખાને “રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દો” તરીકે ઓળખવા વિનંતી કરી, તેને “આમાંના ઘણા દેશોમાં ચલણ” ગણાવ્યું. સબસિડીવાળા વિદેશી ચોખા વિદેશમાં અમેરિકન ઉત્પાદનોને વિસ્થાપિત કરી રહ્યા છે, જેમાં પ્યુઅર્ટો રિકોનો પણ સમાવેશ થાય છે, જે એક સમયે યુએસમાં ઉગાડવામાં આવતા અનાજનું મુખ્ય બજાર હતું.

છેલ્લા દાયકામાં ભારત-અમેરિકાના કૃષિ વેપારમાં વધારો થયો છે, ભારત બાસમતી, ચોખાના ઉત્પાદનો, મસાલા અને દરિયાઈ માલની નિકાસ કરે છે જ્યારે યુએસ બદામ, કપાસ અને કઠોળની આયાત કરે છે. સબસિડી, બજાર પ્રવેશ અને WTO ફરિયાદો – ખાસ કરીને ચોખા અને ખાંડને લગતા – પરના વિવાદો સમયાંતરે દ્વિપક્ષીય વાટાઘાટોને તણાવમાં મૂકે છે.