Home Blog Page 1215

ઘોડાસર બ્રિજ પર ભયાનક અકસ્માત, AMTSના બે ફોરમેનના મોત

અમદાવાદ: ગુજરાતમાં રોડ અકસ્માતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં ઘોડાસર વિસ્તારમાં બ્રિજ પર રૂવાડા ઊભા કરે તેવો અકસ્માત સર્જાયો છે. આ બ્રિજ પર બંધ પડેલી એ.એમ.ટી.એસ. બસને પાછળથી ટ્રકે ટક્કર મારતાં બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોલીસે એક તરફનો બ્રિજ બંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે શહેરના ઘોડાસર બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. ઘોડાસર બ્રિજ પર બંધ પડેલી AMTS બસને ટોઈંગ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. ટોઈંગ કરવા જતાં પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં બે ફોરમેન બસની વચ્ચે કચડાઈ ગયા હતા. બસની વચ્ચે આવી જતા બે ફોરમેનના મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જાતા એક તરફનો બ્રિજ બંધ કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે.  પોલીસે મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે અને પરિવારજનો સંપર્ક કરી રહી છે.

ગુજરાતના સમુદ્રી ટાપુઓ પર પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

પ્રજાસત્તાક દિન પર્વે રાજ્યના વિવિધ ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયા. ગુજરાત પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા આન, બાન અને શાનથી વિવિધ ટાપુઓ પર રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇ.

તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ દેશભરમાં ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત રાજ્યે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ પ્રજાસત્તાક પર્વે ગુજરાતના ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

પિરોટન, પીપાવાવ, કંડલા, આલિયા બેટ, નરારા બેટ અને જાફરાબાદ સહિતના ૩૬ મોટા ટાપુઓ અને ૭૦ અન્ય ટાપુઓ મળી કુલ ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ગુજરાત પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

આ પ્રથમ વખત છે જ્યારે ગુજરાતે આટલી મોટી સંખ્યામાં સમુદ્રી ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે. આ કાર્યક્રમો થકી ગુજરાત રાજ્યે દેશની એકતા અને અખંડિતતા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

ફૂડ વિભાગે 4500થી વધુ કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ

રાજકોટઃ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં આશરે 2773 જગ્યા ઉપર ફૂડ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન કુલ 40 પેઢીમાંથી અંદાજે 4500થી વધુ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. એ સાથે 40 જણની ધરપકડ કરી હતી. આ સાથે SVM વિભાગના વાહન દ્વારા તેનો નાશ કરવામાં પણ આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા વિવિધ પેઢીઓ પાસેથી છેલ્લા છ મહિનામાં ઘણા ખરા નમૂના પણ લેવામાં આવ્યા હતા જેની સંખ્યા અંગે જો વાત કરવામાં આવે તો તે આંકડો 170 એ પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં કુલ 4500 કિલો અખાદ્ય જથ્થો પકડવામાં આવ્યો જેની બજાર કિંમત 14,85,000 થી વધુની છે. હવે આવનારા દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવે એવી વકી છે.

બાળકોની તપાસ

આ સાથે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં બાળકોના આરોગ્યને લઈને ચોંકાવનારી અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. કોર્પોરેશન  સંચાલિત શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી સમીક્ષા અનુસાર 63 જેટલાં બાળકો હાર્ટના દર્દી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. જ્યારે 19 જેટલાં માસૂમ બાળકો કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ વિગતો સામે આવતાં હવે આગામી સમયમાં બાળકોની સરકારી યોજના હેઠળ સારવાર કરાશે.

ફેબ્રુઆરીના પ્રારંભે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના

અમદાવાદઃ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે, જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્ય પર માવઠાનું સંકટ છે, એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.  રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીને દિવસે અલગ-અલગ વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે આ  માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં  બનાસકાંઠા, મહેસાણા, થરાદ અને સાબરકાંઠામાં માવઠાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ 3, 4 ફેબ્રુઆરીએ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરામાં પણ ચોથી ફેબ્રુઆરીએ  ઝાપટું પડે એવી શક્યતા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ મધ્યમથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતા  છે. જ્યારે અરવલ્લી, મહિસાગર અને દાહોદ જેવા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એ સાથે જ  દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડમાં પાંચ ફેબ્રુઆરીએ હળવાથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે 28 જાન્યુઆરીથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે.

T-20 મેચ માટે ઈંગ્લેન્ડ-ભારતની ટીમ પહોંચી રાજકોટ, પ્રેક્ટિસ કરી

રાજકોટ: ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમની ભારત સાથેની ત્રીજો ટ્વેન્ટી 20 મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાજકોટમાં આ મેચને લઇને ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે.

રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે સવારે 10 વાગ્યા થી બંને ટીમે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. પહેલા ઇંગ્લેન્ડની ટીમે પ્રેક્ટિસ કરી હતી. બાદમાં ભારતીય ટીમે બેટિંગ પીચ ઉપર પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમના સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇંગ્લેન્ડ સામે ટક્કર લેશે. આ ટીમના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રની ટીમના પૂર્વ કેપ્ટન સિતાંશુ કોટકની BCCI એ નિમણુક કરી છે. રાજકોટમાં રવિવારે ટીમનું આગમન થયું ત્યારે હોટલ ઉપર ગરબાથી ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહની આગેવાની હેઠળ ટીમ દ્વારા મેચ માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો રાજકોટ આવી રહ્યા છે. તા. 28 મી એ સાંજે 7 વાગ્યે મેચનો આરંભ થશે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

( તસવીરો – નીશુ કાચા )

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી સાત મહિનાની નીચે

અમદાવાદઃ બજેટ 2025 રજૂ થાય એ પહેલાં ઘરેલુ શેરબજારોમાં સપ્તાહના પ્રારંભે 800થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી 50એ 23,000ના બધા સપોર્ટ તોડ્યા હતા. સેન્સેક્સ 76,000ની નીચે ચાલી ગયો હતો. બજારમાં શેરોની જાતેજાતમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ ડૂબ્યા હતા.

ઘરેલુ શેરબજારોમાં ચાઇનીઝ સ્ટાર્ટઅપ ડીપસેકે ઊથલપાથલ મચાવી હતી. ચીનના એક સ્ટાર્ટઅપ ડીપસેકે એક મફત અને ઓપન સોર્સ AI મોડલ લોન્ચ કરીને ટેક્નોલોજીના વિશ્વમાં તહેલકો મચાવ્યો હતો. આ AI મોડલ, અમેરિકી કંપની ઓપન AEના ચેટજીપીટીને ટક્કર આપશે એવી શક્યતા છે. એને પગલે અમેરિકી સ્કોટ ફ્યુચર્સ અને મોટા ભાગના એશિયાનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. નેસ્ડેક કોમ્પોઝિટ ફ્યુચર્સ અને એસ એન્ડ પી 500 ફ્યુચર્સમાં ક્રમશઃ આશરે બે ટકા અને એક ટકાનો ઘટાડો થયો હતો. જે રોકાણકારો માટે ચિંતાનું કારણ હતું.

ઘરેલુ શેરબજારો હાલમાં ઘટવાનાં અનેક કારણો છે- જેમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, કંપનીઓનાં નબળાં ત્રિમાસિક પરિણામો, અર્થતંત્રમાં સુસ્તી અને ડોલરની તુલનાએ સતત ઘસાતો રૂપિયો છે. આ સાથે વિદેશી રોકાણકારોએ ગયા વર્ષના ઓક્ટોબરથી આશરે રૂ. 2.5 લાખ કરોડના શેરો વેચ્યા હતા. FIIએ 24 જાન્યુઆરી સુધી ભારતીય ઇક્વિટીમાં રૂ. 69,000 કરોડની વેચવાલી કરી છે.

સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 824 પોઇન્ટ તૂટીને 75,366 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 275 પોઇન્ટ તૂટીને 22,817.30ના મથાળે બંધ થયો હતો. ગયા વર્ષે સાત જૂન, 2024 પછી નિફ્ટી સૌપ્રથમ વાર 22,800ની નીચે સરક્યો હતો.

આ સાથે US ફેડરલની 2829 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં બેન્ક દરઘટાડાનું ચક્ર પૂરુ કરે એવી શક્યતા છે, એમ નિષ્ણાતોનું માનવું છે. આ ઉપરાંત વિશ્વના બજારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર બાજ નજર રાખી રહ્યા છે, કેમ કે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવ્યા પછી ટ્રમ્પે કોલંબિયા પર 25 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે.

BSE એક્સચેન્જ પર કુલ 4234 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 601 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3512 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 93 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 494 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતી કાલે રજૂ થશે

વડોદરા: 1લી ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થશે. તેની સાથે સાથે તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકાના ડ્રાફ બજેટ રજૂ થવાના શરૂ થઈ ચૂક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતી કાલે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૂત્રોની જાણકારી પ્રમાણે આ વર્ષનું વડોદરાનું ડ્રાફ્ટ બજેટ 6 હજાર કરોડનું હશે. ગત વર્ષે બજેટ સમગ્ર સભાએ 5558.86 કરોડનું મંજુર કર્યું હતું. ગયા વર્ષે બજેટ પર વિરોધપક્ષે 454 દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી એક પાછી ખેંચી લીધી હતી. 453 દરખાસ્ત મતદાન કરીને બહુમતીના જોરે ફગાવી દીધી હતી.

વડોદરા શહેરમાં ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પાણી, ડ્રેનેજ, બ્રિજ, રોડ, વરસાદી પાણીનો નિકાલ, ઇ-બસ, ઇ-ચાર્જિંગ સ્ટેશનો, રિંગરોડ સહિતના કામો મૂકવામાં આવશે. નોંધનિય બાબત એ છે ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં વેરાને લઈ કોઈ મોટા ફેરફર જોવા મળવાની શક્યતા નથી અને આ વર્ષે બજેટને ચૂંટણી લક્ષી બનાવી દેશે. આ વખતે પ્રથમ વખત બજેટ પૂર્વે લોકોના સૂચનો મગાવવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં આશરે 600 લોકોએ 1,600 જેટલા સૂચનો કોર્પોરેશનને આપ્યા છે. જેમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, વિશ્વામિત્રી, રોડની પહોળાઈ, દબાણ, સફાઈ, આકારણી, મકાન, આરોગ્ય સુવિધા વગેરેને લગતા સૂચનો કર્યા છે. સૂચનોનો આંકડો હજી વધે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બજેટમાં તમામ વર્ગને આવરી લે તે મુજબ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં ટૂંકા અને લાંબાગાળાના આયોજન રજૂ કરવામાં આવશે. શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે. સ્વચ્છતા અને સફાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે. ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2024-25 નું રિવાઇઝડ બજેટ પણ રજૂ થશે.

જસપ્રીત બુમરાહ ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો

27 જાન્યુઆરીના રોજ ICC એ મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરી. જસપ્રીત બુમરાહએ આ એવોર્ડ જીત્યો છે. તેમને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ ઉપરાંત, તેણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આ ખેલાડીએ ICC એવોર્ડ્સમાં પોતાની છાપ છોડી દીધી છે.

13 મેચમાં 71 વિકેટ લીધી

બુમરાહ 2024 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 71 વિકેટ લઈને વિશ્વના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે. તેમના પછી ઇંગ્લેન્ડના બોલર ગુસ એટકિન્સનનો નંબર આવે છે, જેમણે 52 વિકેટ લીધી છે. બુમરાહે 2024 માં 357 ઓવર ફેંકી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 2.96 ની પ્રભાવશાળી સરેરાશથી રન આપ્યા. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ચોથો ભારતીય બોલર પણ બની ગયો છે. તે કપિલ દેવ, અનિલ કુંબલે અને આર. અશ્વિનના પગલે ચાલે છે, જેમણે એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી, વિશ્વના 17 બોલરોએ એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લીધી છે. પરંતુ બુમરાહ આ 17 બોલરોમાં સૌથી ઓછી સરેરાશ ધરાવતો બોલર બની ગયો છે.

જસપ્રીત બુમરાહે 2024 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. બુમરાહે આ મેચની બંને ઇનિંગ્સમાં 8 વિકેટ લીધી અને વર્ષની શરૂઆત શાનદાર રહી. આ પછી, બુમરાહે ઇંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 19 વિકેટ લીધી. તેમના જોરદાર પ્રદર્શનને કારણે ભારતે ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી.  ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન પણ બુમરાહનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. આ શ્રેણીમાં, આ ઘાતક બોલરે ટેસ્ટ ફોર્મેટમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી.

એક અદ્ભુત કારકિર્દી પર એક નજર

જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ભારત માટે 45 ટેસ્ટ મેચોમાં 205 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે 89 ODI મેચોમાં 149 વિકેટ લીધી છે. જ્યારે 70 ટી-20 મેચોમાં તેણે 89 વિકેટ લીધી છે.

ISPL 2: પ્રથમ મેચથી જ માઝી મુંબઈની વિજયી શરૂઆત

મુંબઈ: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની બીજી સીઝનની શરૂઆત રોમાંચક ઉદ્ઘાટન સમારોહ સાથે ભવ્ય રીતે થઈ. ત્યારબાદ રમાયેલી પ્રથમ રમતમાં માઝી મુંબઈએ રવિવારે દાદોજી કોંડાદેવ સ્ટેડિયમ ખાતે ટાઈગર્સ ઓફ કોલકાતા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ સીઝનના ફાઇનલિસ્ટ્સ વચ્ચેની રિ-મેચમાં, માઝી મુંબઈએ શિસ્તબદ્ધ બોલિંગ પ્રદર્શન કરીને ટાઈગર્સ ઓફ કોલકાતાને 68/8 સુધી મર્યાદિત રાખ્યા અને બે ઓવર બાકી હતી ત્યાં તો ટાર્ગેટને પૂરો કરી દીધો.

ટૉસ જીતીને માઝી મુંબઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલરોએ શરૂઆતથી જ પ્રભાવિત કર્યા. અંકુર સિંહે ફરદીન કાઝી, થોમસ ડાયસ અને નવાઝ ખાનને આઉટ કરીને ટોપ-ઓર્ડરને ફટાફટ પેવેલિયન ભેગા કરી દીધા હતા. પરિણામે કોલકાતા 22/3એ સંઘર્ષ કરી રહ્યું હતું. ત્યારબાદ રાજેન્દ્ર સિંહે બે વિકેટ સાથે કોલકતાની ઇનિંગ્સને વધુ ખરાબ કરી.મુંબઈએ ટેપ બોલ ઓવર (3જી અને 5મી)નો લાભ લીધો હતો. જેમાં રજત મુંધેએ તેની બે ઓવરમાં ફક્ત પાંચ રન આપ્યા હતા. વધતા દબાણ હેઠળ, કોલકાતાએ 7મી ઓવરમાં 50-50નો સ્કોર પસંદ કર્યો, પરંતુ આ નિર્ણય ઉલટો પડ્યો કારણ કે તેઓએ કેપ્ટન મોયદ્દીન અલીમુદ્દીન શેખ (15) સહિત બે વિકેટ ગુમાવી દીધી. સરફરાઝ ખાન (11) અને ભાવેશ પવાર (16) ની જોડીએ અંતમાં થોડી ફટકેબાજી કરતા કોલકાતાને 68 રન સુધી પહોંચાડી દીધી.

સ્કોરનો પીછો કરતા સમયે, માઝી મુંબઈએ ઓપનર મોહમ્મદ નદીમને વહેલા ગુમાવી દીધો હતો. પરંતુ રજત મુંધે અને કરણ મોરે (26 અણનમ) દ્વારા વિકેટ જાળવી રાખવામાં આવી. આ જોડીએ વિવેક મોહન દ્વારા ફેંકવામાં આવેલી ટેપ બોલ ઓવર (3જી) ને નેવિગેટ કરી, જેનાથી મુંબઈ ટ્રેક પર રહી શક્યું. વ્યૂહાત્મક સમયસમાપ્તિ સમયે, મુંબઈએ 31/1 પર 50-50 ના પડકાર માટે 8મી ઓવર પસંદ કરી.

ટાઇમ સમાપ્તિ પછી શિવમ કુમારની બોલ પર રજતે બાઉન્ડ્રી ફટકારી. પરંતુ બીજા બોલ પર તે આઉટ થયો. ત્યારબાદ કરણ અને અમિત નાઈક (અણનમ 21) એ જવાબદારી સંભાળી, કરણે 50-50 ઓવરમાં ઈમરોઝ ખાનની બોલ પર બે બાઉન્ડ્રી ફટકારી. ત્યાર બાદ અમિતે સતત બે મોટી હિટ ફટકારી અને ટીમે આઠ વિકેટથી વિજય મેળવ્યો.

આ પહેલા, ISPL સીઝન-2ના ઉદઘાટન સમારોહમાં ટુર્નામેન્ટ માટે લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમેડી સ્ટાર્સ કૃષ્ણા અને કીકુ, પુષ્પા અને શ્રીવલ્લીના પાત્રો બનીને પ્રેક્ષકોને ખૂબ જ હસાવ્યા હતા. જ્યારે જેકલીન ફર્નાન્ડીઝે ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સથી લોકોને આનંદિત કર્યા હતા.

જો કે, સૌથી મોટા ઉત્સાહ ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના આવવવાથી દર્શકોમાં ફેલાયો હતો. તેમણે સ્ટેડિયમમાં જેવો પ્રવેશ કર્યો કે સમગ્ર સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું. ખેલાડીઓને સંબોધતા, તેંડુલકરે સલાહ આપી, “નિર્ભય બનો પણ બેદરકાર ન બનો.”

NEET UG 2025 પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર

NEET UG 2025 પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. પેપર ઉકેલવા માટે આપવામાં આવતો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. પરીક્ષા ગયા વખતની જેમ એક જ શિફ્ટમાં પેન-પેપર મોડમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ સંદર્ભમાં એક સૂચના જારી કરી છે.

NTA દ્વારા જારી કરાયેલા સત્તાવાર સૂચના અનુસાર, આ વખતે NEET UG પરીક્ષામાં 200 ને બદલે 180 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય ૩ કલાક ૨૦ મિનિટથી ઘટાડીને ૩ કલાક કરવામાં આવ્યો છે. NEET UG 2025 ની પરીક્ષામાં, બાયોલોજીમાંથી 90 પ્રશ્નો, ભૌતિકશાસ્ત્રમાંથી 45 પ્રશ્નો અને રસાયણશાસ્ત્ર વિષયમાંથી 45 પ્રશ્નો પૂછવામાં આવશે.

NEET UG 2025 વૈકલ્પિક પ્રશ્નો: વૈકલ્પિક પ્રશ્નો દૂર કરવામાં આવ્યા

કોવિડ-૧૯ દરમિયાન, પરીક્ષામાં એક વધારાનો વિભાગ (વિભાગ B) ઉમેરવામાં આવ્યો હતો, જેમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જેને દૂર કરવામાં આવ્યો છે. NEET UG 2025 ની પરીક્ષામાં આ વૈકલ્પિક પ્રશ્નો હશે નહીં. આનો અર્થ એ થયો કે પરીક્ષામાં ફક્ત એક જ મુખ્ય વિભાગ હશે, જેમાં બધા પ્રશ્નો ફરજિયાત હશે.

NEET UG 2025 પરીક્ષા પેટર્ન: પેન-પેપર મોડમાં પરીક્ષા

NEET UG 2025 ની પરીક્ષા પેન-પેપર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા OMR શીટ પર લેવામાં આવશે. પરીક્ષા એ જ દિવસે અને એ જ શિફ્ટમાં લેવામાં આવશે. અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પરીક્ષા બે સત્રોમાં CTB મોડમાં લેવામાં આવી શકે છે.

NEET UG 2025 નોંધણી: આધાર ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે

NEET UG 2025 માટે નોંધણી કરાવનારા ઉમેદવારોએ આધાર ચકાસણી કરાવવી પડશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાના આધાર કાર્ડને પોતાના મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું રહેશે. આધાર વેરિફિકેશન વગર અરજીઓ કરી શકાતી નથી. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે NTA દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.