Home Blog Page 1104

Women’s Day :પૈતૃક મિલકતમાં અંગે મહિલાઓને કયા અધિકારો છે? જાણો

દેશ અને દુનિયાની દરેક મહિલાએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. પોતાના અધિકારો વિશે જાણકારીના અભાવે મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને વારસાની સંપત્તિ અંગે મહિલાઓના અધિકારો વિશે જણાવીશું. આ સાથે તમારે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા વિશે પણ જાણકાર હોવું જોઈએ.

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ શું કહે છે?
હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ પુરુષ અને સ્ત્રી બંનેને પૂર્વજોની મિલકત પર સમાન અધિકાર છે. તમને જણાવી દઈએ કે ભારતમાં મહિલાને મિલકત મેળવવા, રાખવા અને નિકાલ કરવાનો સમાન અધિકાર છે. મિલકત વારસાગત હોય કે સ્વ-ખરીદીની હોય. જો આપણે આને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ, તો તેનો સીધો અર્થ એ થાય કે દીકરીનો પણ પૈતૃક મિલકત પર એટલો જ અધિકાર છે જેટલો દીકરાનો છે.

તે 2005 માં સુધારવામાં આવ્યું હતું
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956માં વર્ષ 2005 માં સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદામાં સુધારા પછી દીકરીઓને પણ પૈતૃક મિલકતમાં પુત્રો જેટલો સમાન અધિકાર છે. 2005 માં થયેલા આ સુધારાએ મહિલાઓની સ્થિતિને મજબૂત બનાવવાનું કામ કર્યું.

સમાનતાનો અર્થ સમજવો મહત્વપૂર્ણ છે

આવા અધિકારોને કારણે જ સ્ત્રીઓ નિર્ભયતાથી પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદાએ મહિલાઓના મિલકત અધિકારોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૂર્વજોની મિલકત પર સમાન અધિકાર મળવાથી, સમાજમાં રહેતા લોકો પણ સમાનતાનો અર્થ સમજી ગયા છે. જોકે, આવા અધિકારો વિશે જાગૃતિનો અભાવ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

સુરક્ષિત દેશની નાગરિકતા લેતાં લલિત મોદીને પરત લાવવો મુશ્કેલ?

નવી દિલ્હીઃ IPLના પૂર્વ ચેરમેન અને ભારતથી ભાગીને યુકેમાં શરણ લેનારા લલિત મોદીએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે લંડનમાં ઈન્ડિયન હાઈ કમિશનમાં અરજી કરી છે. લલિત મોદીએ પ્રશાંત મહાસાગરમાં આવેલા એક ટાપુ દેશ વનુઆતુની નાગરિકતા લઈ લીધી છે. ભારતીય તપાસ એજન્સીઓએ લલિત મોદીને આર્થિક અપરાધી જાહેર કર્યો છે અને બ્રિટનથી તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. જોકે હવે તેણે સૌથી સુરક્ષિત દેશ વનુઆતુની નાગરિકતા લઈ લેતાં તેને ભારત પાછા લાવવાનું લગભગ અશક્ય જેવું થઈ ગયું છે.

લલિત મોદીએ જે દેશની નાગરિકતા લીધી છે તે વાનુઅતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં આવેલો માત્ર ત્રણ લાખની વસ્તી ધરાવતો દેશ છે. વાનુઆતુ એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પોતાની નાગરિકતા વેચે છે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ઈમિગ્રેશન પ્લાન મુજબ 1.55 લાખ યુએસ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરીને વાનુઆતુની નાગરિકતા મેળવી શકાય છે. આ ઉપરાંત આ દેશ ડ્યુઅલ સિટિઝનશિપ પણ આપે છે.

ભારતમાં આર્થિક અપરાધ કરી વિદેશ ભાગી જનારા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા અન્ય ઉદ્યોગપતિઓને પણ પાછા લાવવાના પ્રયાસોનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે હવે લલિત મોદીએ વાનુઅતુની નાગરિકતા લઈ લેતાં તેને પાછા લાવવામાં સફળતા મળવાની હવે શક્યતા દેખાતી નથી.

લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના વાઈસ પ્રેસિડન્ટ પદે રહેવા દરમિયાન થયેલા બિડિંગમાં ગરબડ અને મની લોન્ડ્રિંગની સાથે-સાથે ફોરેન કરન્સી એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999ની જોગવાઈઓનો ઉલ્લંઘન કરવાના આરોપ લાગ્યા હતા. તે પછી તે માત્ર એક વખત મુંબઈમાં ઈન્કમટેક્સ અને ઈડી સમક્ષ હાજર રહ્યો હતો. મે 2010માં તે દેશ છોડીને યુકે ભાગી ગયો હતો.

થોરિયમનો ખજાનો! ચીનના નવા સંશોધનથી ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ કે વૈશ્વિક ચિંતાનો વિષય?

ચીનમાં એક એવા ખનીજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા આપી શકે છે. ચીનમાં જે બહુમૂલ્ય ખનીજનો અધધધ ખજાનો મળી આવ્યો છે એનું નામ છે થોરિયમ. ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ (આંતરિક મોંગોલિયા) પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે. હકીકતમાં ત્યાં લોખંડ મેળવવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. આ ક્ષેત્ર આમ પણ દુર્લભ ખનીજો ધરાવતો દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ગણાતું આવ્યું છે, એમાં હવે થોરિયમનો ‘થપ્પો’ થતાં એનું મહત્વ ઔર વધી ગયું છે.

થોરિયમ શું છે? કેમ છે ખાસ?

  • થોરિયમ (Thorium) એક કિરણોત્સર્ગી ધાતુ છે, જે ચાંદીની જેમ સફેદ અને ચળકતું હોય છે.
  • યુરેનિયમ કરતાં 200 ગણું વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.
  • સામાન્ય પરમાણુ રિએક્ટર કરતા **‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR)**માં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે.
  • પરંપરાગત ઊર્જા સ્ત્રોતના વિકલ્પ રૂપે ઉभरતું સ્વચ્છ અને શક્તિશાળી ઊર્જા સ્ત્રોત બની શકે છે.

યુરેનિયમમાંથી ઊર્જા મેળવવા માટે પરંપરાગત પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ થોરિયમમાંથી ઊર્જા મેળવવા માટે ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ (MSR) ની જરૂર પડે છે. એની અંદર થોરિયમને લિથિયમ ફ્લોરાઈડ સાથે મિશ્રિત કરીને 1400 ડીગ્રી સેન્ટિગ્રેડના તાપમાને ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા થોરિયમને યુરેનિયમ-233માં પરિવર્તિત કરે છે, જે પછી વિભાજનમાંથી પસાર થઈને ઊર્જા મુક્ત કરે છે. પરંપરાગત પરમાણુ રિએક્ટરની સરખામણીમાં MSR દ્વારા થતી પ્રક્રિયામાં ઓછો કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન થાય છે.  હાલ ચીનમાં વિશ્વનું પહેલું ‘મોલ્ટેન-સોલ્ટ રિએક્ટર’ બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં તેનું નિર્માણકાર્ય પૂરું થઈ જવાની ધારણા છે.

એક અંદાજ મુજબ ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી 10 લાખ ટન થોરિયમ કાઢવામાં આવી શકે છે. ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના પશ્ચિમમાં શિનજિયાંગથી દક્ષિણમાં ગુઆંગડોંગ સુધીના વિસ્તારમાં થોરિયમનો સમૃદ્ધ ભંડાર ધરાવતા કુલ 233 સ્થળો છે. અલબત્ત, આ દાવામાં કેટલું સત્ય છે એ કહી ન શકાય. દરેક સારી વસ્તુ પોતાની સાથે અમુક પડકાર પણ લઈને આવે છે, એ હકીકત થોરિયમને પણ લાગુ પડે છે. થોરિયમને જમીનમાંથી કાઢવા માટે એસિડ અને ઊર્જાના મિશ્રણની જરૂર પડે છે. આ પ્રક્રિયા કેટલી ખર્ચાળ સાબિત થશે, એ બાબતે અત્યારે કોઈ માહિતી નથી. વૈશ્વિક ઊર્જા-સંકટનો રામબાણ ઉકેલ બની શકે એવું થોરિયમ જોખમી પણ બની શકે એમ છે. થોરિયમનો પરમાણુ શસ્ત્રો બનાવવા માટે સીધો ઉપયોગ કરી શકાતો નથી, પણ તેની બાય-પ્રૉડક્ટ્સ (પેટા-ઉત્પાદનો)નો આ બાબતે દુરુપયોગ થઈ શકે છે. આમ થાય તો વૈશ્વિક સુરક્ષાની ચિંતા ઊભી થશે. થોરિયમ થકી અમર્યાદિત ઊર્જા તો મળશે, પણ એના ભેગું એના દુરુપયોગની તલવાર પણ માનવજાતને માથે લટકતી રહેશે.

પ.બંગાળમાં વાયુસેનાનું એએન-32 વિમાન ક્રેશ, તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત

પ. બંગાળના બાગડોરા એરબેસ નજીક ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયુ. સદનસીબે, તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઘટના બનતાની સાથે જ વાયુસેના અને બચાવ ટીમોએ ત્વરિત કામગીરી શરૂ કરી.

આ દુર્ઘટનાથી પહેલા હરિયાણામાં એરફોર્સનું જેગુઆર ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું. પાઇલટે પેરાશૂટ દ્વારા ઈજેક્ટ થઈને સુરક્ષા મેળવી, અને વિમાન સુનસાન વિસ્તારમાં લેન્ડ થવાને કારણે મોટી જાનહાનિ ટળી. એક જ દિવસે બે વિમાન દુર્ઘટનાઓ થતા વાયુસેનાની ચિંતાઓ વધી ગઈ છે. બંને ઘટનાઓના કારણો જાણવા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરાઈ છે.

મહિલા દિને દિલ્હી સરકાર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજનાની ભેટ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાજપે દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ રેખા ગુપ્તા અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, બૈજયંત પાંડા, મહિલા મોરચા પ્રમુખ વનથી શ્રીનિવાસન અને સાંસદ કમલજીત સેહરાવત હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજના અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારની કેબિનેટે મહિલા દિને મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. મહિલા સમૃદ્ધિ યોજના અંગે દિલ્હીનાં CM રેખા ગુપ્તાએ કહ્યું હતું કે માપદંડ અને પોર્ટલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેને આધારે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે મંત્રીમંડળની બેઠકમાં બધા સાથીઓ હાજર હતા. અમે અમારી જાહેરાતોને પૂર્ણ કરવા માટે કામ કર્યું છે. આજે અમે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. મંત્રીમંડળે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હી મંત્રીમંડળે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 5100 કરોડ રૂપિયા આપ્યા છે. અમે મહિલા સમૃદ્ધિ યોજના માટે એક સમિતિની રચના કરી છે, જેની અધ્યક્ષતા હું પોતે કરીશ. આ અંતર્ગત BPL પરિવારોની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.

જેએલએન સ્ટેડિયમમાં આવેલી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ દેખાઈ. તેમણે કહ્યું કે દિલ્હીની મહિલાઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. તે ખૂબ જ આનંદની વાત છે. રેખાજીએ અમને અપાર ખુશી આપી છે. જ્યારથી એક મહિલા મુખ્યમંત્રી બની છે ત્યારથી અમે ખૂબ ખુશ છીએ.

ઇઝરાયેલી પર્યટક સહિત બે મહિલા સાથે ગેન્ગરેપ, આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ઈઝરાયલની એક 27 વર્ષીય પર્યટક સહિત બે મહિલાઓની ગેન્ગરેપ થયો છે. આ ઘટના ગુરૂવારે રાત્રે ત્રણ લોકોએ બે મહિલાઓની સાથે ગેન્ગરેપ કર્યો હતો. આ ઘટના બંને મહિલાઓ સાનાપુર તળાવના કિનારે બેસીને તારાઓનો રમણીય નજારો જોઈ રહી હતી, ત્યારે બની હતી.  

પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલાઓ ત્રણ અન્ય પુરુષ પર્યટકો સાથે હતી,  જેમાંથી એક અમેરિકન નાગરિક અને બે ભારતીય નાગરિક (મહારાષ્ટ્ર અને ઓડિશાના) હતા. આ તમામ તુંગભદ્રા તળાવ પાસે સંગીત સાંભળતા હતા અને રાતનો આનંદ લઈ રહ્યા હતા. એ દરમિયાન ત્રણ અજાણ્યા લોકો મોટરસાઇકલ પર ત્યાં આવી પહોંચ્યા. પહેલાં આરોપીઓએ પેટ્રોલ માટે પૂછપરછ કરી અને બાદમાં ઈઝરાયલની પર્યટક પાસે 100 રૂપિયા માગ્યા. જ્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો તો બંને વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો.

આ અજાણ્યા શખસોએ પુરુષ પર્યટકો પર હુમલો કરી દીધો અને તેમને તળાવમાં ધક્કો મારી દીધો. બંનેને તળાવમાં ફેંકી તેમણે મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પુરૂષ પર્યટક અમેરિકન નાગરિક ડેનિયલ અને મહારાષ્ટ્રનો પંકજ તળાવમાંથી બહાર આવી ગયા છે.  ઓડિશાના બિબાશને બીજા દિવસે મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો.

હોમ સ્ટે ચલાવનારી મહિલાની ફરિયાદને આધારે  ગંગાવતી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની ધારા 309(6) (ચોરી અથવા ખંડણી), 64 (દુષ્કર્મ), 70(1) (સામૂહિક દુષ્કર્મ), 311 (લૂંટ અથવા ગંભીર ઈજા અથવા હત્યાનો ઈરાદો) અને 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે છ વિશેષ ટીમ ગોઠવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. બંને પીડિત મહિલાઓએ વર્તમાનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે શંકાસ્પદોની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

 

પંખા જેવી પૂંછડીવાળા આ પક્ષી વિશે તમે જાણો છો?

મધ્યભારત કે ગીરના જંગલોમાં ફેબ્રુઆરી-માર્ચથી ઉનાળાના અંત સુધી ફરવા જાવ તો પંખા જેવી પૂંછડીવાળુ એક પક્ષી સતત ઉડાઉડ કરતું જોવા મળે. આ વ્હાઇટ-બ્રાઉડ ફેન્ટેઇલને ગુજરાતીમાં “નાચણ” પણ કહે છે.

સફારી દરમ્યાન જંગલમાં આ નાચણ માખીઓ અને અન્ય જીવજંતુ પકડવા સતત એક જગ્યાએ થી બીજી જગ્યાએ ઉડાઉડ કરતું જોવા મળે. વૃક્ષની ડાળી પર થોડી સેકન્ડ બેસેને પૂંછડીના પીંછા, પંખાની જેમ ફેલાવે. હજી ફોટો ક્લિક કરવા જાવ તો ઉડીને બીજી ડાળીએ જતું રહે. મચ્છર, માખી, જીવાત તથા જમીન પરની જીવાત તેનો મુખ્ય ખોરાક છે.

જાણે નૃત્ય કરતુ હોય તેમ એક થી બીજી જગ્યાએ ઉડીને પૂંછડી ખોલ બંધ કરે. આ કારણે જ કદાચ તેનું ગુજરાતી નામ “નાચણ” પડયું હશે.

એક નાનકડા કપ જેવો માળો બનાવીને તેમાં એક કે બે ઈંડા મુકે છે. નર-માદા બંને સાથે રહીને ઈંડા અને બચ્ચાની માવજત કરે છે. માળા પાસે “નાચણ” (White-browed fantail) નો ફોટો 2024માં મે મહિનામાં ગીરના જંગલમાં ક્લિક કરવા મળ્યો હતો.

થલાપતિ વિજયે ચેન્નાઈમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું

થલાપતિ વિજય તેના ચાહકો માટે માત્ર રીલ જ નહીં પણ વાસ્તવિક જીવનનો હીરો પણ છે. તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના કામથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયે 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ તમિલગા વેત્રી કઝગમ (તમિલનાડુ વિજય એસોસિએશન) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો અને અભિનયની દુનિયાને અલવિદા કહ્યું. 2025ના પવિત્ર રમઝાન મહિના દરમિયાન હવે વિજયનો નમાઝ અદા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિજયે શુક્રવારે સાંજે (૭ માર્ચ) ચેન્નાઈમાં એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયને ચેન્નાઈના રોયાપેટ્ટાહમાં YMCA મેદાનમાં હજારો મુસ્લિમ ભાઈઓ સાથે ઇફ્તાર પાર્ટીમાં દેખાયા અને પોતાનો ઉપવાસ તોડતા જોવા મળ્યા હતા. આ પાર્ટી તેમના રાજકીય પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. અભિનેતા વિજયે આખો દિવસ ઉપવાસ રાખ્યો અને સાંજે નમાજ અદા કર્યા પછી, તેણે સ્વાદિષ્ટ વાનગીઓથી ઉપવાસ તોડ્યો. ઇફ્તાર પાર્ટી દરમિયાન અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય ટોપી પહેરીને સાંજની નમાઝમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. અભિનેતાના ફોટા અને વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

વિજયની છેલ્લી ફિલ્મ
થલાપતિ વિજય હાલમાં 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. અભિનેતા વિશે વાત કરીએ તો વિજય ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘જાન નાયકન’ રિલીઝ થવા જઈ રહ્યા છે અને આ તેની છેલ્લી ફિલ્મ પણ હશે. આ ફિલ્મમાં વિજય સાથે બોબી દેઓલ, પૂજા હેગડે, મમિતા બૈજુ, પ્રિયામણી, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ અને નારાયણ પણ છે. ઓક્ટોબરમાં ટીવીકે માટે પોતાની પહેલી રેલી દરમિયાન વિજયે કહ્યું હતું કે,’મારી કારકિર્દીના શિખર પર, હું અભિનયને અલવિદા કહી રહ્યો છું, મને મળતો પગાર ફેંકી રહ્યો છું અને હું તમારા વિજય તરીકે તમારી પાસે આવી રહ્યો છું. મને તારા પર પૂરો વિશ્વાસ છે.”

હોળી-ધુળેટી માટે ગુજરાત STનું વિશેષ આયોજન, 1200 વધારાની બસો દોડાવાશે

અમદાવાદ: હોળી અને ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે ઘરથી દૂર રહેતા લોકોને પર્વ પોતના પરિવાર સાથે ઉજવી શકે તે માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે.

રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ 10 માર્ચ થી 16 માર્ચ દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે

અડધા કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથે મિલીભગત છેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસ છે. ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. તેમણે પક્ષન જ આડે હાથ લીધો હતો. તેમણે પક્ષના શકુનીઓને હાંકી કાઢવાની વાત કરી છે. કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે તો અમે 30થી 40 લોકોને કાઢી મૂકીશું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. ૩૦ વર્ષ થઈ ગયાં, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા 2017, 2022, 2027 ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં ચૂંટણી આપણે નહીં જીતી શકીએ. આપણે ગુજરાત જનતા પાસે સત્તા માગવાની જરૂર નથી. જ્યારે આપણે જવાબદારી સ્વીકારીશું  એટલે જનતા તમને મદદ કરશે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત કાંગ્રેસના નેતાઓમાં બે પ્રકારના નેતા છે. એક નેતા જનતા સાથે ઊભા છે, જનતા માટે લડે છે, જનતાની ઈજ્જત કરે છે, જેના દિલમાં કોંગ્રેસ છે. બીજા નેતા એ છે કે જે જનતાની ઈજ્જત નથી કરતા, તેમને મળતા નથી તેમનાથી દૂર છે. તેમાંથી કેટલાક ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એમને ક્લિયરલી અલગ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતની જનતા વેપારી પ્રજા વિપક્ષ ઇચ્છે છે, બી ટીમ નહીં. મારી જવાબદારી છે કે આ લોકોને જુદા કરવા. ગુજરાત કોંગ્રેસે પાસે બ્લોક જિલ્લા કે પ્રદેશ સ્તરે નેતાઓની ઊણપ નથી. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું.


તેમણે કહ્યું હતું કે વિપક્ષ પાસે ગુજરાતમાં ૪૦ ટકા મત છે. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ૪૦ ટકા મત કોંગ્રેસના છે. જો કોંગ્રેસના મત પાંચ ટકા વધે એટલે વાર્તા પૂર્ણ. હું આ વાત તમને કરવા આવ્યો છું. તમે કહેશો ત્યાં આવીશ અને ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માગુ છું. હું ગુજરાત કોગ્રેસના બબ્બર શેરના આત્મવિશ્વાસને જગાડવા આવ્યો છું.