Home Blog Page 1051

પંચાંગ 29/03/2025

કાઠમંડુમાં રાજાશાહીની માગ કરતા લોકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ

નેપાળ: ‘રાજાશાહી’ સ્થાપવા મુદ્દે અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માગ મુદ્દે કાઠમાંડુમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે આ અથડાણ હિંસક થઈ છે. અહીં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઉપરાંત પથ્થમારો અને આગ ચાંપવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી રાજાશાહીની માગ તીવ્ર બની છે. ઘણા લોકો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરીને જ્ઞાનેન્દ્ર શાહને રાજગાદી પર બેસાડવાની માગ કરી રહ્યા છે. એવામાં શુક્રવારે નેપાળમાં ઠેર-ઠેર હિંસા જોવા મળી. બેકાબૂ ભીડે અનેક ઈમારતો અને વાહનોને આગના હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. જે બાદ અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે તથા સંવેદનશીલ વિસ્તારોમાં સેનાને પણ તહેનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નેપાળમાં 2008માં સત્તાવાર રીતે રાજાશાહીનો અંત થયો હતો.

દેખાવકારોનો સુરક્ષા કર્મચારીઓનો પથ્થમારો

વાયરલ થયેલા વીડિયોમાં દેખાવકારો સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પથ્થરબાજોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધીમાં થયેલી હિંસક અથડામણોમાં મોતના અહેવાલો સામે આવ્યા નથી.કાઠમંડુમાં અનેક સ્થળે દેખાવો

નેપાળમાં ચાર પક્ષના ગઠબંધન સોશિયલિસ્ટ ફોરમ પણ રાજાશાહી થોપવાના વિરોધમાં છે અને તેઓ સમર્થકોનો મુકાબલો કરવાના પ્રયાસના ભાગરૂપે કાઠમંડુના પ્રજાસત્તાક વ્યવસ્થાના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે. સી.પી.એન.-માઓવાદી સેન્ટર, સી.પી.એન.-યુનિફાઈડ સોશિયલિસ્ટ સહિત અન્ય પક્ષો દેશમાં ગણતંત્ર વ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી દેખાવોમાં જોડાઈ રહ્યા છે. કાઠમંડુમાં બે જુદા-જુદા સંગઠનોએ દેખાવો શરૂ કરી દેતા નેપાળ પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

નેપાળમાં રાજાશાહી અસંભવ : ઓલી

આ મુદ્દે વડાપ્રધાન કે.પી.ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદૂર દેઊબાએ તાજેતરમાં જ કહ્યું છે કે, નેપાળમાં ફરી રાજાશાહી સ્થાપવી સંભવિત લાગતું નથી. સી.પી.એન માઓવાદી સેન્ટરના ચેરમેન પુષ્પ કમલા દહલ પ્રચંડ પણ માને છે કે, જ્ઞાાનેન્દ્રસિંહે લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દેવું જોઇએ. જો પૂર્વ રાજાને લાગે કે તેઓ બહુ ફેમસ છે તો પોતાની એક પાર્ટી બનાવી શકે. જો જનતા તક આપશે તો, તેઓ ફરી દેશની સેવા કરી શકશે. આર.પી.પી.ના સમર્થકોનું કહેવું છે કે નેપાળ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. તેથી લોકતંત્ર હટાવી ફરી રાજા શાહી લાવવી જોઇએ.

નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી

નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. જો કે તે દૂર થયા પછી કાઠમંડુ સ્થિત નારાયણી મહાલય (રોયલ પેલેસ)ને મ્યુઝિયમમાં ફેરવી નખાયો છે. દરમિયાન 6 માર્ચે પોખરામાં જ્ઞાાનેન્દ્ર શાહે પૂર્વ રાજા વીર વીરેન્દ્ર શાહની પ્રતિમાનું વિમોચન કર્યું તે સમયે અસંખ્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા. તેઓએ રાજાશાહી સમયનું રાષ્ટ્રગીત પણ ગાયું. આશ્ચર્યની વાત તે છે કે રાજાશાહીની માગણી કરનારાઓમાં સૌથી વધુ યુવાનો છે.

લેકમે ફેશન વીકમાં રેમ્પ પર કરિશ્મા કપૂરનો સુંદર અવતાર જુઓ

મુંબઈ: લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર કરિશ્મા કપૂરનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ડિઝાઇનર સત્યા પોલના કલેક્શન માટે શોસ્ટોપર બનેલી કરિશ્મા કપૂરનો ખૂબસૂરત લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

50 વર્ષની ઉંમરે કરિશ્માની સુંદરતા જોઈને ચાહકો તેને સદાબહાર સુંદરતા કહી રહ્યા છે.

 

(તમામ તસવીરો: દીપક ધૂરી)

ટ્રમ્પના ઓટો ટેરિફની જાહેરાતથી વૈશ્વિક બજારમાં તેજી, સોનું-ચાંદી રેકોર્ડ હાઈ પર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો આયાત પર 25 ટકા ટેરિફ અને આગામી સપ્તાહથી લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાતથી વૈશ્વિક અને સ્થાનિક કિંમતી ધાતુ બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સોનું $3086.21 પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જ્યારે અમદાવાદમાં સોનું રૂ. 500ના ઉછાળા સાથે રૂ. 92,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું. ચાંદી પણ રૂ. 1,000 વધીને રૂ. 1,01,000 પ્રતિ કિલો પર ક્વોટ થઈ, જે લાખની સપાટીને વટાવી ગઈ છે.

ટ્રમ્પના ટેરિફ નિર્ણયથી ટ્રેડવોરની ભીતિ વધી છે, જેના કારણે ઈક્વિટી અને ફોરેક્સ બજારોમાં અફરાતફરીનો માહોલ છે. આની સામે, સેફહેવન રોકાણ તરીકે સોના-ચાંદીમાં ખરીદી વધી છે. છેલ્લા ત્રણ મહિનામાં વૈશ્વિક સોનું 16.90 ટકા અને ચાંદી 16.76 ટકા વધ્યા છે, જ્યારે સેન્સેક્સમાં 724.08 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ આર્થિક અનિશ્ચિતતાઓએ કિંમતી ધાતુઓને રોકાણકારોની પસંદગી બનાવી છે.

MCX પર તેજીનો માહોલ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના વાયદામાં રૂ. 10,284.33 કરોડનું ટ્રેડિંગ થયું. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો રૂ. 358 વધી રૂ. 88,742 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો, જે રૂ. 88,605થી રૂ. 89,060ની રેન્જમાં રહ્યો. ગોલ્ડ-ગિની રૂ. 211 વધી રૂ. 71,915 (8 ગ્રામ), ગોલ્ડ-પેટલ રૂ. 32 વધી રૂ. 9,056 (1 ગ્રામ), અને સોનું-મિની રૂ. 423 વધી રૂ. 88,636 પર પહોંચ્યો. ચાંદી મે વાયદો રૂ. 302 વધી રૂ. 1,01,615 પ્રતિ કિલો પર ટ્રેડ થયો, જે રૂ. 1,01,280થી રૂ. 1,02,040ની રેન્જમાં રહ્યો. ચાંદી-મિની રૂ. 337 વધી રૂ. 1,01,508 અને ચાંદી-માઇક્રો રૂ. 333 વધી રૂ. 1,01,494 પર પહોંચી.

યુએસ કોન્સ્યુલેટ દ્વારા આયોજિત સેશનમાં યુએસ-ભારત સેમિકન્ડક્ટરમાં પુણેની ભૂમિકા વિશે ચર્ચા

યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ પુણેમાં મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રતિનિધિઓ, નેતાઓ, શિક્ષણવિદો, રોકાણકારો અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના હિસ્સેદારો પૂણેમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને નોલેજ પાર્ટનર શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપનીના સહયોગથી એક રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યુ હતું. સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં યુએસ-ભારત સહયોગને આગળ વધારવાની પહેલના ભાગરૂપે- યુએસ કોન્સ્યુલેટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ચાર ભાગની શ્રેણીનો આ ત્રીજો ભાગ હતો.

પૂણે, એક નવીનતા અને શિક્ષણ કેન્દ્રએ યુ.એસ. ઈન્ડિયા TRUST (Transforming the Relationship Utilizing Strategic Technology-વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધમાં પરિવર્તન) પહેલને આગળ વધારવા માટે સંપૂર્ણ સેટિંગ પૂરું પાડ્યું હતું,જેની જાહેરાત ફેબ્રુઆરીમાં વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. સેમિકન્ડક્ટર સંવાદમાં પુણેના અત્યાધુનિક સંશોધન, કુશળ ઇજનેરો અને શૈક્ષણિક શ્રેષ્ઠતાના ઇકોસિસ્ટમ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક ટેક્નોક્રેટ્સ, શિક્ષણવિદોના સભ્યો અને ખાનગી ક્ષેત્ર ઉદ્યોગસાહસિકો સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ટેકનોલોજીકલ નવીનતાને મજબૂત બનાવવાના હેતુથી ઉભરતા વલણો, ઉદ્યોગ પડકારો,તકો અને નીતિ ભલામણો પર ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.

15 જાન્યુઆરીથી મુંબઈમાં પહેલા સત્ર સાથે આ સંવાદની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી રાઉન્ડટેબલ ચર્ચા 28 ફેબ્રુઆરીએ નાગપુરમાં થઈ હતી. જ્યાં ઉદ્યોગ અને મહારાષ્ટ્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે પુણેમાં આયોજીત ત્રીજા રાઉન્ડ ટેબલમાં સરકાર, શિક્ષણવિદો અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવાના મહત્વ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. ચર્ચા દરમિયાન વૈશ્વિક સેમિકન્ડક્ટર બજારમાં ભારતનુંનેતૃત્વ સુનિશ્ચિત કરવા માટે સહાયક નીતિઓ અને માળખાગત વિકાસની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો.

યુએસ કોન્સ્યુલેટના પ્રવક્તા ગ્રેગ પાર્ડોએ જણાવ્યું હતું કે,”સેમિકન્ડક્ટર ઉદ્યોગ આધુનિક નવીનતાનો આધાર છે, અને પુણે એક એવા શહેર તરીકે અલગ છે જ્યાં ઉદ્યોગ, શિક્ષણવિદો અને નીતિનિર્માતાઓએ લાંબા સમયથી સંવેદનશીલ પરંતુ અવર્ગીકૃત પ્રગતિને આગળ ધપાવવા માટે સહયોગ કર્યો છે. ડિજિટલ અર્થતંત્ર પર મુખ્ય G20 ચર્ચાઓનું આયોજન કરવાથી લઈને સાયબર સિક્યુરિટી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના સુધી, પુણે સતત ઉચ્ચ ટેક સહયોગમાં મોખરે રહ્યું છે. તેના ઊંડા પ્રતિભા પૂલ અને મજબૂત વૈશ્વિક ઉદ્યોગ સંબંધો સાથે, શહેર આ મહત્વપૂર્ણ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવા માટે આદર્શ રીતે સ્થિત છે. આ રાઉન્ડ ટેબલ ટ્રસ્ટ પહેલ હેઠળ ટેકનોલોજીકલ ચાતુર્યને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક, સુરક્ષિત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા માટે યુએસ અને ભારતની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”

રાઉન્ડ ટેબલ ચર્ચાની આ શ્રેણી આ જૂનમાં મુંબઈમાં ગ્રાન્ડ ફિનાલે સાથે સમાપ્ત થશે, જ્યાં વધુ ચર્ચાઓ સેમિકન્ડક્ટર નવીનતાને વેગ આપવા અને આ મુખ્ય ઉદ્યોગમાં યુએસ-ભારત સહયોગને વિસ્તૃત કરવા માટેના આગામી પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાને

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ઉનાળામાં લીંબુની માગ વધે છે, પરંતુ આ વખતે પુરવઠાની અછતને કારણે રિટેલ બજારમાં લીંબુનો ભાવ રૂ. 100થી વધીને રૂ. 150-200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના ઘરખર્ચ પર પડી રહી છે, કારણ કે શાકભાજીથી લઈને શરબત અને શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ વધે છે. લીંબુ શિકંજી અને શરબત જેવાં પીણા હવે લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યાં છે, કારણ કે ભાવમાં લગભગ 90 ટકાનો વધારો નોંધાયો છે.

તબીબો ઉનાળામાં ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા લીંબુ પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ માર્ચ 2025ની શરૂઆતથી જ રિટેલ બજારમાં લીંબુના ભાવ રૂ. 180-200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. રમજાન મહિનામાં પણ લીંબુનું સેવન વધતું હોવા છતાં, અમદાવાદના APMC માર્કેટના હોલસેલ વેપારી ધવલભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ, આ વર્ષે હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં મંદી છે. ગત વર્ષોમાં માર્ચમાં હોલસેલ ભાવ રૂ. 140-150 હતો, પરંતુ આ વખતે સ્ટોરેજ વધવાને કારણે ભાવ રૂ. 80-110ની આસપાસ રહ્યો છે. જોકે, ટ્રાન્સપોર્ટેશનમાં બે-ત્રણ દિવસ લાગવા અને 20 કિલોમાંથી 3-4 કિલો લીંબુ બગડી જવાને કારણે રિટેલમાં ભાવ વધી રહ્યા છે.

અમદાવાદ APMC માર્કેટમાં શિયાળા અને ચોમાસામાં દરરોજ 40-50 ટન લીંબુની આવક થાય છે, જ્યારે ઉનાળામાં માગ 120-140 ટન સુધી પહોંચે છે. આ વર્ષે સ્ટોરેજ વધુ હોવાથી હોલસેલ ભાવ નીચા છે, અને આગામી 7-8 દિવસમાં ભાવ વધવાની શક્યતા ઓછી લાગે છે. વડોદરામાં પણ લીંબુ રૂ. 160-200 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, જે ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યું છે. રાજકોટમાં એક મહિનામાં ભાવ 90 ટકા વધ્યા છે, જ્યાં હોલસેલમાં 20 કિલોનો ભાવ રૂ. 1200-2700 સુધી પહોંચ્યો છે, જે ગત મહિને રૂ. 200-800 હતો.

કેન્દ્રીય કર્મચારીઓને મળી રાહત, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર

શુક્રવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો. આ વધારા સાથે મોંઘવારી ભથ્થું હાલના 53 ટકાથી વધીને 55 ટકા થશે, જે 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. અગાઉ જુલાઈ 2024માં સરકારે આ ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો, અને હવે આ નવો વધારો કરોડો કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ આપશે.

આ વધારાની અસર પગાર પર સીધી જોવા મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 50,000 હોય, તો તેને અત્યાર સુધી 53 ટકા એટલે રૂ. 26,500 મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. હવે 55 ટકા દરે તેમને રૂ. 27,500 મળશે, એટલે કે મહિને રૂ. 1,000નો વધારો થશે. એ જ રીતે, રૂ. 70,000ના મૂળ પગાર પર ભથ્થું રૂ. 1,400 વધશે, જ્યારે રૂ. 1,00,000ના મૂળ પગાર પર મહિને રૂ. 2,000નો વધારો થશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.

બ્લાઇન્ડ માટે ફૂટબોલની ઝોનલ ટુર્નામેન્ટનું આયોજન

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન 29 થી 31 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતમાં પ્રથમ વખત બ્લાઇન્ડ માટે ફૂટબોલની પશ્ચિમ અને દક્ષિણ ઝોનલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટનું આયોજન ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન (IBFF) દ્વારા કરવામાં આવ્યું છે અને ફેડોરા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત છે. આ મહત્વપૂર્ણ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન 29 માર્ચ, 2025 સવારે 8 વાગ્યે ગુજરાતના શ્રેષ્ઠ મહિલા ફૂટબોલ ખેલાડી શ્રીમતી શિલ્પાબેન ઠાકોર દ્વારા BAOUના કુલપતિ પ્રો.અમીબેન ઉપાધ્યાયની હાજરીમાં કરવામાં આવશે. આ આયોજનનું સ્થળ કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકેડેમી, ઝાયડસ હોસ્પિટલની સામે, થલતેજ, અમદાવાદ રાખવામાં આવ્યું છે.

બ્લાઇન્ડ ફૂટબોલ એ 5-એ-સાઇડ ગેમ છે જે 4 દૃષ્ટિહીન ખેલાડીઓ અને એક દૃષ્ટિહીન ગોલકીપર દ્વારા રમાય છે, જેમાં એક બોલનો ઉપયોગ થાય છે જે અવાજ કરે છે. આ મેચ 40 મીટર X 20 મીટરના ટર્ફ ગ્રાઉન્ડમાં રમાય છે, જેમાં બોલને સતત રમતમાં રાખવા માટે બંને બાજુ 1 મીટર ઊંચા સાઇડ બોર્ડ હોય છે. કોચ અને ગોલ ગાઇડ બંને રમતના મેદાનની બહારના ખેલાડીઓને અવાજ આદેશો આપીને મદદ કરે છે. મેચો 15 મિનિટના બે ભાગમાં રમાય છે.

ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન (IBFF), જે ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન સાથે જોડાયેલ છે, તે ગર્વથી જાહેરાત કરે છે કે તે 4થી પુરુષો અને 3જી મહિલા IBFF સાઉથ-વેસ્ટ ઝોનલ બ્લાઇન્ડ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ફક્ત IBFF-સંલગ્ન સંસ્થાઓ જ અરજી કરવા પાત્ર છે. દક્ષિણ અને પશ્ચિમ ઝોનની ટીમો ટુર્નામેન્ટ માટે નોંધણી કરાવી શકે છે. ગુજરાત ટીમનું માર્ગદર્શન વિષ્ણુ વાઘેલા દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમને ૧૮-૨૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન મોસ્કોમાં યોજાયેલી બ્રિક્સ બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

જ્યારે ભારત બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ સેમિફાઇનલમાં બ્રાઝિલ સામે હારી ગઈ હતી, ત્યારે વિષ્ણુ પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરીને ગોલ કરી શક્યા હતા. તેમણે “રક્ષણાત્મક ખેલાડી” તરીકે પણ ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું હતું. તેમણે ભારતીય ટીમનું નેતૃત્વ પણ તેના કેપ્ટન તરીકે કર્યું હતું. તેમના સર્વાંગી ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રભાવિત થઈને, તેમને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાંથી 5 પુરુષ ટીમ અને 4 મહિલા ટીમ ભાગ લેશે. આ ચેમ્પિયનશિપના વિજેતાઓ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પાત્ર બનશે.

સલમાન ખાનની આ બાબતથી પ્રભાવિત છે આમિર ખાન

મુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું જેમાં સલમાન અન્યાય સામે લડતા જોવા મળે છે. સલમાન સાથે સિકંદર ફિલ્મના દિગ્દર્શક એઆર મુરુગદાસ અને અભિનેતા આમિર ખાન પણ વાતચીતમાં જોડાયા હતા. જ્યાં તેમણે ફિલ્મ વિશે વાત કરી. આમિરે સલમાનની એક અભિનેતા તરીકે પ્રશંસા કરી, ખાસ કરીને તે ભાવનાત્મક દ્રશ્યોને ખૂબ સારી રીતે સંભાળે છે તે નોંધ્યું.

વાતચીત દરમિયાન આમિર અને સલમાને મજાકમાં મુરુગદાસને પૂછ્યું કે તેમના બંનેમાંથી કોણ સારો અભિનેતા છે. આમિરે અગાઉ મુરુગદાસ સાથે ગજનીમાં કામ કર્યું છે. સલમાને એઆર મુરુગાદોસને પૂછ્યું, ‘સૌથી સારો અભિનેતા કોણ છે?’ કોણ વધુ મહેનતુ છે? કોણ વધુ પ્રમાણિક છે? આમિરે વચ્ચે પડીને કહ્યું, ‘બધી કંટાળાજનક વાતો.’ મુરુગાદોસ ખડખડાટ હસી પડ્યો, જ્યારે આમિરે કહ્યું,’સર, એ અભિનેતા પણ, એ વધુ સારા છે.’ તમે દબંગ જોઈ છે?

ગ્લિસરીન વગર પણ સલમાન ખાન આંસુ લાવે છે
મુરુગાદોસે કહ્યું કે સલમાને ભાવનાત્મક દ્રશ્યો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. ઘણીવાર ગ્લિસરીનનો ઉપયોગ કર્યા વિના રડવા લાગે છે. આમિર સંમત થયો અને કહ્યું,’ મેં પણ જોયું છે, તેના ભાવનાત્મક દ્રશ્યો ઉત્તમ છે.’ દિગ્દર્શકે કહ્યું કે જ્યારે કેમેરા ફક્ત ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હોય અને આસપાસ કોઈ બીજો અભિનેતા ન હોય ત્યારે ભાવનાત્મક દ્રશ્યો કરવા ખૂબ મુશ્કેલ હોય છે, અને સલમાને ફિલ્મમાં આ દ્રશ્યો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. સિકંદરમાં રશ્મિકા મંદાન્ના પણ છે. સલમાને તેના સમર્પણ અને મહેનતની પ્રશંસા કરી અને ખુલાસો કર્યો કે કેવી રીતે રશ્મિકા આખો દિવસ શૂટિંગ કરતી હતી અને સિકંદર અને પુષ્પા 2 વચ્ચેનું શેડ્યૂલ મેનેજ કરતી હતી, જેના કારણે તેને આરામ કરવાનો સમય મળતો ન હતો. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. એઆર મુરુગાદોસ ગજની, થુપ્પક્કી, હોલીડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી અને સરકાર જેવી તમિલ અને હિન્દી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે.

ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ સિકંદર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ચાહકોની રાહનો અંત આવી રહ્યો છે. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ જોવા મળશે. તે જ સમયે સલમાન ખાન તેની ઓનસ્ક્રીન હિરોઈન રશ્મિકા મંદાન્ના સાથે પણ રોમાન્સ કરતો જોવા મળશે.

અમદાવાદની વટવા GIDCમાં શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ

અમદાવાદના વટવા GIDC ફેઝ-1માં સ્થિત શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની તેલ ફેક્ટરીમાં શુક્રવારે વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી. આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા હતા, જેણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો. ઘટનાની માહિતી મળતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા.

જાણવા મળ્યું છે કે આગ ફેક્ટરીના સ્ટોરેજ વિભાગમાં ભભૂકી, જેના કારણે તે ઝડપથી ફેલાઈ. ફાયર વિભાગે ત્રણ ફાયર ટેન્ડર સહિતની ટીમ મોકલી, જે આગને નજીકના ઔદ્યોગિક એકમોમાં ફેલાતી રોકવા માટે સતત કામે લાગી છે. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે, જોકે તેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી. ફેક્ટરીના કર્મચારીઓ અને નજીકના વેપારીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ હાલ કૂલિંગ પ્રક્રિયા અને તપાસમાં વ્યસ્ત છે.