Home Blog Page 1050

સુરતના ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીનો આરોપ, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

સુરતના લીંબાડા બેઠકના ભાજપ નેતા ભરત પટેલ મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે. આ મામલે પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને કાર્યવાહી કરી છે. ભરત પટેલ, જેઓ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે, તેમણે બેંકના નકલી લેટર પેડનો ઉપયોગ કરીને બોજા મુક્તિના ખોટા દાખલા રજૂ કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની વિગતો પ્રમાણે, ભરત પટેલે બેંક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી. જોકે, તેમણે બેંકનું નકલી લેટર પેડ બનાવીને 95 લાખ રૂપિયાનો બોજા મુક્તિનો દાખલો તૈયાર કર્યો હતો. આ ઉપરાંત, માંડવીની નેગામા સેવા સહકારી મંડળીના 16 લાખ રૂપિયાનો પણ ખોટો દાખલો રજૂ કર્યો હતો. માંગરોળના મામલતદારે આ દાખલાઓની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું બહાર આવ્યું. આના પગલે પ્રાંત અધિકારીએ પોતે ફરિયાદ નોંધાવી અને કાયદાકીય પગલાં લેવડાવ્યાં.

આ ઘટનાને પગલે ભાજપના જિલ્લા સંગઠન પ્રમુખે ભરત પટેલ સામે કડક પગલાં લીધાં છે. વિવાદાસ્પદ નેતા ભરત પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસે પણ તેમની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

મ્યાનમારમાં ભૂકંપની હાહાકાર, ભારત મદદ માટે આવ્યું આગળ

શુક્રવારે મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી, સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે રાત્રે 11:56 વાગ્યે (સ્થાનિક સમય) મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. NCS અનુસાર, તાજેતરનો ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સની શક્યતા છે. ત્યાં ભૂકંપને કારણે ભારે વિનાશ થયો છે. સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 1002 લોકો મૃત્યુ પામ્યા છે અને 1670 ઘાયલ થયા છે.

ભારતે મદદનો હાથ લંબાવ્યો

ભારતે મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારોને મદદનો હાથ લંબાવ્યો છે. PM મોદી મ્યાનમારના સિનિયર જનરલ એચ.ઈ. ને મળ્યા. મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો અને રાહત અને બચાવ કામગીરી માટે #OperationBrahma હેઠળ મદદ મોકલવા અંગે માહિતી આપી. ભારત તરફથી આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે.

ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા ભારત આગળ આવ્યું છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ રાહત સામગ્રી મોકલી છે. વાયુસેનાનું વિમાન C-130 J લગભગ 15 ટન રાહત સામગ્રી લઈને યાંગોન પહોંચ્યું છે. તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ, સ્વચ્છતા કીટ, જનરેટર અને આવશ્યક દવાઓ મોકલવામાં આવી છે. આ દરમિયાન, પીએમ મોદીએ મ્યાનમારના જનરલ સાથે વાત કરી છે.

શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો. ફક્ત મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. સેંકડો લોકો ગુમ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ભારતે પડોશી દેશ મ્યાનમારને પણ મદદની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારને શક્ય તમામ મદદ પૂરી પાડવાની વાત કરી હતી.

સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામે જામીન માંગ્યા

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. શરીફુલે પોતાના વકીલ દ્વારા દાવો કર્યો હતો કે તેણે કોઈ ગુનો કર્યો નથી અને તેની સામે નોંધાયેલો કેસ ખોટો છે. પોલીસે તેને 19 જાન્યુઆરીએ થાણેથી ધરપકડ કરી હતી.

હુમલામાં સૈફ ઘાયલ થયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, શરીફુલ 16 જાન્યુઆરીની સવારે સૈફના 12મા માળના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો અને તેના પર છ વાર છરીથી હુમલો કર્યો, પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસનું કહેવું છે કે શરીફુલ ચોરીના ઇરાદે સૈફના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન તેણે અભિનેતા અને તેના સ્ટાફ સભ્ય ગીતા પર લાકડાના હથિયાર અને હેક્સા બ્લેડથી હુમલો કર્યો. હુમલા પછી સૈફને પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. આ પછી તેમને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી

શરીફુલને પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજના આધારે પકડી લીધો હતો, જેમાં તે સીડી પર જોવા મળ્યો હતો. જોકે, શરીફુલે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધની એફઆઈઆર નકલી છે અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છે.શરીફુલે તેની જામીન અરજીમાં આ વાત કહી હતી.

શરીફુલની જામીન અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ પાસે બધા પુરાવા છે અને તેઓ કેસને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકતા નથી. હાલમાં, આ કેસ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ થયા પછી તેને મુંબઈ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી નથી. શરીફુલના વકીલે કોર્ટમાં તેમને જામીન આપવા માટે અપીલ કરી છે કારણ કે આ કેસ કથિત રીતે કોઈ નક્કર આધાર વિના નોંધવામાં આવ્યો છે.

આ ફિલ્મોમાં જોવા મળશે સૈફ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સૈફ ટૂંક સમયમાં ‘જ્વેલ થીફ’ નામની ફિલ્મમાં જોવા મળશે. આમાં તેમની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલ દ્વારા કરવામાં આવ્યું છે. તેમની પાસે રેસ 4 પણ છે. ચાહકો બંનેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

GSRTCને લાગ્યો મોંઘવારીનો માર, મુસાફરી ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો

ગુજરાત સરકારે રાજ્યમાં સંચાલિત એસટી બસોના ભાડામાં આજથી 10 ટકાનો વધારો કર્યો છે, જેની અમલવારી તાત્કાલિક અસરથી શરૂ થઈ ગઈ છે. આ નવા ભાડા દરો અનુસાર, 48 કિલોમીટરની મુસાફરી માટે રૂ. 1 થી રૂ. 4 સુધીનો વધારો થયો છે. આ નિર્ણયથી ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક બોજો આવ્યો છે, જ્યારે સરકારને આ ભાડા વધારાથી આવકમાં વૃદ્ધિ થવાની આશા છે. નિયમો અનુસાર, 68 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં 10 ટકાનો વધારો જ લાગુ કરવામાં આવ્યો છે.

અમદાવાદથી વિવિધ શહેરોના નવા ભાડા દરો નીચે મુજબ છે:

  • અમદાવાદથી મહેસાણા: રૂ. 95 થી વધીને રૂ. 105
  • અમદાવાદથી વડોદરા: રૂ. 114 થી વધીને રૂ. 125
  • અમદાવાદથી સુરત: રૂ. 194 થી વધીને રૂ. 213
  • અમદાવાદથી રાજકોટ: રૂ. 171 થી વધીને રૂ. 188
  • અમદાવાદથી જામનગર: રૂ. 216 થી વધીને રૂ. 238
  • અમદાવાદથી ભાવનગર: રૂ. 154 થી વધીને રૂ. 169
  • અમદાવાદથી દાહોદ: રૂ. 165 થી વધીને રૂ. 182
  • અમદાવાદથી ગોધરા: રૂ. 121 થી વધીને રૂ. 133

આ ભાડા વધારાની સાથે, ગુજરાત એસટી નિગમે પ્રવાસીઓ માટે એક નવી યોજના “મન ફાવે ત્યાં ફરો” શરૂ કરી છે. આ યોજના અંબાજીથી ઉમરગામ અને કચ્છથી કાઠિયાવાડ સુધીના સમગ્ર ગુજરાતમાં લાગુ થશે. આ યોજના ગુજરાતના તમામ એસટી ડેપો, ગુર્જર નગરી, અન્ય એક્સપ્રેસ બસો તેમજ નોન-એસી સ્લીપર કોચમાં પણ અમલી બનશે.

આ યોજના હેઠળ, મુસાફરો એક જ પાસથી સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. રૂ. 1450માં સાત દિવસ સુધી ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે, જ્યારે રૂ. 850માં ચાર દિવસ સુધી ગુજરાતભરમાં ફરવાની સુવિધા મળશે. પરિવાર સાથે મુસાફરી કરવા માટે રૂ. 450ની અડધી ટિકિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ યોજના મુસાફરો માટે સસ્તી અને સલામત સવારીનો અનુભવ આપશે તે નિશ્ચિત છે.

ગુજરાતીઓ દેશભરમાં સૌથી વધુ પ્રવાસ કરવા માટે જાણીતા છે, ત્યારે આ યોજના તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, આગામી સમયમાં “મન ફાવે ત્યાં ફરો” યોજના ગુજરાતની જનતા માટે કેટલી સફળ બને છે, તે જોવું રસપ્રદ રહેશે.

ફિમેલ સોલો ટ્રાવેલિંગ : મહિલાઓએ પોતાની જાતને જાણવાનો એક અનોખો અવસર

ના કોઈ અહીંયા રોકે ટોકે,
ના કોઇ,સહિયારું…
સાથી મારો થેલો
એમાં ભરોસાનું ભાથું….

એક સમય હતો, જયારે ,અને હજુ પણ એવા ઘરો છે જ્યાંની મહિલાઓ કામ વગર તો ઠીક પણ કામથી પણ ઘરનો ઉંબરો ઓળંગતી નથી.એમને ઘરના ડેલે પણ ઊભવાની વિશિષ્ટ પરવાનગી હોતી નથી, કેમકે હલકી માનસિકતા કહો કે રૂઢિગત પરંપરા,જ્યાં ઘરની વધુઓના જીવન કાયમ જ ઘૂંઘટ નીચે કે ચાર દીવાલો વચ્ચે પીસાતા રહ્યા છે. એ મુંજારામાં એમના મૂંગા નિસાસાઓએ કેટલી પેઢીઓની આબરૂઓ સાચવી છે.વિદેશીઓએ અવકાશમાં પોતાનું સ્થાન મેળવી લીધું ત્યાં આપણી ધરાની ઘણી મહિલાઓ આજે પણ ઘરની ચાર દીવાલોમાં, અસ્તિત્વ માટે ફાંફા મારી રહી છે. યુગ બદલાઈ ગયાં, ગાડીઓ અને ફોનના વર્જન અપડેટ થઈ ચુક્યા, પણ એ માનસિકતાના મૂળ કેટલા ગૂઢ હશે, જે પેઢીઓ બદલાયા પછી પણ દરેક માનસમાં અડીખમ ઉભા છે.

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’માં સોલો ટ્રાવેલિંગ દ્વારા દરેક સ્ત્રીઓની લાગણીઓને પાંખો આપવાનો નિખાલસ પ્રયત્ન હતો. પણ તે બદલાવ હજુ ઘણો જ સિમિત છે. મેટ્રોસમાં મહિલાઓના સોલો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ આવ્યો છે. પણ ઘણા ઘરો માં આ માત્ર એક સ્વપ્ન જ છે. જ્યાં માત્ર થોડા સમય માટે મહિલાઓ ઘરની બહાર નીકળે છે, અને પોતાની રીતે દુનિયા નિહાળે છે.

કોઈ પણની મદદ વગર અજાણ્યા સ્થળ પર, અજાણ્યા લોકો સાથે અનુભવો લેવા અત્યંત રસપ્રદ હોય છે. આજકાલ સ્ત્રીઓ માટે સોલો ટ્રાવેલિંગ એક નવો ટ્રેન્ડ બની ચુક્યો છે. 2023ના એક એરલાઇન્સના સર્વે મુજબ 30 ટકા મહિલાઓએ સોલો ટ્રાવેલીંગ વધુ પસંદ કર્યું હતું. અને દિવસે દિવસે આ સંખ્યા વધી રહી છે. સોલો ટ્રાવેલિંગ, એ માત્ર સફર જ નથી હોતી, એ એક આંતરિક ખોજ પણ છે, પોતાને જાણવાની… પોતાની સાથે સમય વિતાવવાની.

કહેવાય છે કે દુનિયામાં સૌથી લાબું અંતર, ચેતનાઓથી પોતાના આંતરમન સુધીનું હોય છે. અને ભાગ્યે જ કોઈ ત્યાં પહોંચી શકે છે. સાધુઓ પણ આના માટે એકાંત શોધતા. ઘણી વખત ધ્યાન માટે નહીં પણ આંતરિક વજુદની સ્થિરતા માટે પણ એકલતા અને નીરવતા જરૂરી બની જાય છે. જ્યાં બાળકોના ટિફિન અને કામવાળીની ચિંતાઓ પજવતી નથી. જ્યાં થોડી વાર માટે પણ ઘરના લોકોના સ્કીડ્યુલ સાચવવાની જવાબદારીથી મુક્ત થવાય છે.

મહિલાઓના સોલો ટ્રાવેલિંગ માટે હવે ઘણી જ ટ્રાવેલ એજન્સીઓ ટુર બહાર પાડે છે. જે મોટા ભાગે હોટેલ બુકીંગ અને ટિકિટ બુકીંગ જેવી જવાબદારીઓ લઇ લે છે, ઉપરાંત એમાં સેફટી ફીચર્સ પણ સારા હોય છે. એમ તો ઇન્ડિયામાં રાજસ્થાન, દાર્જિલિંગ, હિમાચલ પ્રદેશ મહિલાઓ માટે ઘણા સુરક્ષિત રહ્યા છે. વિદેશમાં પણ જાપાન, આઈસ લેન્ડિંગ, ન્યુઝીલેન્ડ જેવા દેશો ખૂબ સુરક્ષિત છે. સુરક્ષા માટે થોડી સાવચેતી અને આયોજનથી પ્રવાસને આનંદ દાયક બનાવી શકાય છે. એના માટે ટ્રાવેલ પ્લાનિંગ, લોકલ પરિવહન અને હોટલોની જાણકારી ખૂબ ઉપયોગી બની રહે છે.

હાઉસ વાઈફ માટે તો આવાં ટ્રાવેલિંગ અત્યંત રોચક બને જ છે, પણ બિઝનેસ વુમન કે વર્કિંગ વુમન પણ અલગ જગ્યાએ, પોતાના રસ મુજબ નવી દુનિયામાં એક્સપલોર થઇ શકે છે, પોતાના કામ માટે નવા આઈડિયા અને માર્કેટ શોધી શકે છે. તો બહેનો, પોતાની જાતને માણવાનો અને જાણવાનો આનાથી સારો અવસર બીજો કોઈ નહીં મળે, આત્મવિશ્વાસ જ્યાં ચર્મસીમાંએ હશે અને દુનિયા સમક્ષ એક તમારું અલગ જ આભામંડળ સર્જાશે. તો બેગ પેક કરો અને નીકળી જાઓ તમારી એક અલગ જ દુનિયામા…

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

શ્રેયસ તલપડેએ છેતરપિંડી કેસમાં પોતાનું મૌન તોડ્યું, ચિટ ફંડ કૌભાંડનું સત્ય જાહેર કર્યું

શ્રેયસ તલપડે પર ગુરુવાર, 27 માર્ચે ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયાના ચિટ ફંડ કૌભાંડમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે 28 માર્ચે તેમની ટીમે અભિનેતાનું સત્તાવાર નિવેદન બહાર પાડીને આ અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમનો આ છેતરપિંડી સાથે કોઈ સંબંધ નથી. આ કેસમાં શ્રેયસ ઉપરાંત અન્ય 14 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિટ ફંડ કેસ પહેલા પણ, અભિનેતા પર છેતરપિંડીનો આરોપ લાગી ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં શ્રેયસ તલપડે અને આલોક નાથ પર લખનૌના રોકાણકારો સાથે 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

શ્રેયસ તલપડે કૌભાંડમાં સંડોવણીનો ઇનકાર કરે છે

શ્રેયસ તલપડેએ પોતાના સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે આ બધા સમાચારોમાં કોઈ સત્ય નથી. તેમની ટીમે કહ્યું, ‘આપણા માટે નિરાશાજનક સમાચાર છે કે આજના વિશ્વમાં, કોઈ પણ વ્યક્તિની મહેનત અને ગૌરવને એક જ ઝાટકે નષ્ટ કરી શકે છે.’ આ અભિનેતાનો ચિટ ફંડ કૌભાંડ સાથે કોઈ સંબંધ નથી… શ્રેયસ તલપડે સામે છેતરપિંડીના આરોપો સંપૂર્ણપણે ખોટા છે, તે આ કેસ સાથે કોઈપણ રીતે જોડાયેલા નથી. નિવેદનમાં આગળ લખ્યું છે કે, ‘એક સેલિબ્રિટી અને ખાસ મહેમાન તરીકે, તલપડેને, અન્ય ઘણી સેલિબ્રિટીઓની જેમ, ઘણીવાર કોર્પોરેટ ઇવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે જેમાં તેઓ હાજરી આપે છે પરંતુ આમાં તેમની કોઈ ભૂમિકા નથી. હવે કહેવાની જરૂર નથી કે તલપડેનો કોઈ છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. આ અફવાઓ પર ધ્યાન ન આપો.

શ્રેયસ તલપડેની આગામી ફિલ્મો

ફિલ્મોની વાત કરીએ તો, શ્રેયસ ટૂંક સમયમાં ‘કોમેડી ઓફ એરર્સ’, ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, તુષાર કપૂર, સંજય દત્ત, પરેશ રાવલ, અરશદ વારસી, બોબી દેઓલ, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, મીકા સિંહ, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.

અમિતાભ બચ્ચનની ‘ફરાર’ ના બે અંત બન્યા હતા

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ફરાર’ (1975) માં બાળ કલાકાર રાજુ શ્રેષ્ઠ એ સમયમાં મોટો કલાકાર હતો. શુટિંગમાં અમિતાભે એની રાહ જોવી પડતી હતી. ‘ફરાર’ કામ કરનાર રાજુ શ્રેષ્ઠાએ ૨૦૨૫ માં એના 50 વર્ષ પૂરા થતાં ફિલ્મ સાથે સંકળાયેલી એના અંત સહિતની કેટલીક રસપ્રદ વાતોને એક મુલાકાતમાં યાદ કરી છે. રાજુ 1970 ના દાયકામાં સૌથી વ્યસ્ત બાળ કલાકાર હતો. એની એકસાથે ત્રણ- ચાર ફિલ્મોનું શુટિંગ ચાલતું હતું. ‘ફરાર’ માં અમિતાભ દ્વારા રાજુનું અપહરણ કરી એક રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યાં બંનેના એકસાથે ઘણા દ્રશ્યો હતા.

એમાંથી ઘણા દ્રશ્યો અલગ- અલગ ફિલ્માવવામાં આવ્યા હતા. કેમકે રાજુની પાસે સમય ઓછો રહેતો હતો. એ આવીને પોતાના ભાગનું શુટિંગ કરી જતો રહેતો હતો અને અમિતાભ અલગથી આવીને પોતાના ભાગના દ્રશ્યોનું શુટિંગ કરીને જતા રહેતા હતા. જ્યારે બંનેના સાથે દ્રશ્યો હોય ત્યારે પહેલાં એનું શુટિંગ કરીને રાજુને જવા દેવામાં આવતો હતો અને પછી અમિતાભના દ્રશ્યોનું શુટિંગ થતું હતું. રાજુએ એ પણ યાદ કર્યું કે ફિલ્મમાં સંજીવકુમાર હતા અને એ સેટ પર બહુ મોડા આવતા હતા.

ઘણી વખત એવું થતું હતું કે અમિતાભ સવારથી સાંજ સુધી સેટ પર રહેતા હતા અને રાજુ કે સંજીવકુમાર એમના સમય પર આવીને શુટિંગ કરીને નીકળી જતાં હતા. રાજુને આજે એ બાબતે શરમ આવી રહી છે કે અમિતાભને એના કારણે રાહ જોવી પડતી હતી. પરંતુ એ એટલા દયાળુ હતા કે માસ્ટર રાજુનું શુટિંગ પહેલું થવા દેતા હતા. રાજુએ અગાઉ અમિતાભ સાથે ‘અભિમાન’ માં કામ કર્યું હતું. ‘ફરાર’ માં અમિતાભ, સંજીવકુમાર, શર્મિલા ટાગોર વગેરે જાણીતા કલાકારો હોવા છતાં ફિલ્મ ચાલી ન હતી એની પાછળ અનેક કારણ હોવાનું રાજુનું માનવું છે. પહેલું મુખ્ય કારણ એ હતું કે નિર્દેશક શંકરના ઝોનરની આ ફિલ્મ ન હતી. એમણે અગાઉ દેવ આનંદની ‘બનારસી બાબૂ’ (1973) વગેરે એક્શન અને મસાલા ફિલ્મો બનાવી હતી. જ્યારે ‘ફરાર’ માં સંવેદનશીલ મુદ્દો હતો. ફિલ્મ પ્રત્યે એમને શંકા હતી એટલે એ એવું કહેતા રહેતા હતા કે હવે પછી ફરી દેવઆનંદ સાથે ફિલ્મ બનાવશે.

બીજું મોટું કારણ એ હતું કે ‘શોલે’ અને ‘દીવાર’ પછી રજૂ થઈ હતી. એ બંનેની રજૂઆત પછી અમિતાભની ઇમેજ એક અલગ સ્તર પર પહોંચી ગઈ હતી. અને એની જ ચર્ચા હતી. કદાચ ‘ફરાર’ માં લોકો અમિતાભને પોલીસથી ડરેલા અને ભાગતા માણસની ભૂમિકામાં જોવા માગતા ન હતા. તે ન્યાય માટે બિચારા માણસની ભૂમિકામાં હતા. મુખ્ય હીરો પણ ન હતા. ‘ફરાર’ ને પસંદ કરવામાં આવી ન હતી એનું અન્ય એક કારણ એની વાર્તા રાજેશ ખન્નાની ‘ઇત્તફાક’ જેવી હતી. વાર્તા ગુલઝાર અને બીજા ત્રણ લેખકોએ સાથે મળીને લખી હતી પણ નિર્દેશક શંકર મુખર્જી ફિલ્મના અંત બાબતે સ્પષ્ટ ન હતા. તે મૂંઝવણમાં હતા એટલે બે પ્રકારના અંતનું શુટિંગ કર્યું હતું. એક અંતમાં એવું હતું કે અમિતાભને ગોળી વાગે છે પણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને એ બચી જાય છે. બીજા અંતમાં અમિતાભને પોલીસની ગોળી લાગે છે અને ત્યાં જ મૃત્યુ થાય છે. નિર્દેશકે ફિલ્મમાં બીજો અંત રાખ્યો હતો.

અનંત અબાણી જન્મદિવસ નિમિત્તે દ્વારકાના દર્શન કરશે, પદયાત્રા કરી પહોંચશે દેવભૂમિ

દેશના અગ્રણી ઉદ્યોગપતિ રિલાયન્સના મુકેશ અંબાણીના નાના પુત્ર અને પ્રાણી પ્રેમી અનંત અંબાણી ધાર્મિક હોવાનું જગ જાહેર છે. અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રાનો આજે બીજો દિવસ છે. તેમણે ગઇકાલે (તારીખ 28/03/2025)ના રોજ મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. અનંત અંબાણી 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.

Z પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પુરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. બીજા દિવસે ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને મિત્રો જોડાયા છે. અનંત પદયાત્રામાં સામાન્ય નાગરિકોની જેમ લોકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને ‘જય દ્વારકાધીશ’નો જયઘોષ કરી રહ્યા છે.

જામનગર સહિત વિવિધ સ્થળોએથી લોકો તેમની એક ઝલક જોવા માટે રાતભર રાહ જોઈ રહ્યા છે. દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારજને આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે. અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવે છે.

મીઠા પૌઆનો પ્રસાદ

ગુડી પડવાના શુભ દિવસે ભગવાનને ધરાવવા માટે પ્રસાદ ઘરમાં જ ઉપલબ્ધ પૌઆ વડે બનાવી શકાય છે. આ મીઠા પૌઆનો પ્રસાદ તો બાળકોને પણ બહુ ભાવે તેવો છે!

સામગ્રીઃ

  • પૌઆ 100 ગ્રામ
  • કાજુ તેમજ બદામના ટુકડા 2 ટે.સ્પૂન
  • કિસમિસ 8-10
  • તાજા નાળિયેરની છીણ ½ કપ
  • ઘી 2 ટે.સ્પૂન
  • 2 એલચી પાઉડર 1 ટી.સ્પૂન
  • સૂંઠ પાઉડર 2 ચપટી
  • ગોળ 1 કપ
  • પાણી ½ કપ

રીતઃ પૌઆને ધોઈને પાણી નિતારીને એક વાસણમાં કાઢી લો. 10 મિનિટ રહેવા દો. જેથી કોરા થઈ જાય.

પેનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ, બદામના ટુકડા તળી લીધા બાદ કિસમિસ તળીને કાઢી લો. ત્યારબાદ કોપરાની છીણ સાંતળીને કાઢી લો.

ગોળને બારીક સમારી લો. એક પેનમા ગોળ ડૂબે એટલું પાણી ગરમ કરી ગોળ ઓગળે એટલે સ્ટીલની બારીક ચાળણીમાં ચાળીને ફરીથી એ જ ગોળવાળું પાણી પેનમાં ગેસની ધીમી-મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. ચાસણી ઘટ્ટ થવા માંડે તેમજ એક તારની થાય એટલે ગેસ બંધ કરી દો. આ ચાસણીમાં એલચી પાઉડર તેમજ સૂંઠ પાઉડર મેળવી, તળેલા કાજુ-બદામ-કિસમિસ મેળવો. ત્યારબાદ તેમાં નાળિયેરની છીણ પણ મેળવી લો અને પૌઆ મિક્સ કરી દો.

પૌઆનું આ મિશ્રણ અડધો કલાક ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ ભગવાનને પ્રસાદ ધરાવો.

૨૯ માર્ચ ૨૦૨૫