હિન્દુ ધર્મમાં ભગવાન જગન્નાથના રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. દર વર્ષે, આ ભવ્ય રથયાત્રા અષાઢી બીજે દિવસે કાઢવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂન, શુક્રવારે આયોજિત થશે. આ યાત્રામાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથ પર સવાર થઈને શહેરનું ભ્રમણ કરશે. આ પવિત્ર પ્રસંગે, લાખો ભક્તો ભગવાનના દર્શનાર્થે આવે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેવાથી અને રથ ખેંચવાથી, જીવનના બધા પાપોનો નાશ થાય છે.
આ યાત્રા સાથે જોડાયેલા કેટલાંક અનોખા રીતિ-રિવાજો સદીઓથી ચાલી આવે છે, જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો એ સૌથી ખાસ રિવાજોમાંનો એક છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોનો રથ જે રસ્તાઓ પરથી પસાર થાય છે તે રસ્તાઓને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે. આમ કરીને, ભક્તો ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પ્રત્યે આભાર અને ભક્તિ વ્યક્ત કરે છે.
કેમ સોનાના ઝાડુંથી કરવામાં આવે છે સફાઈ?
પૌરાણિક માન્યતા અનુસાર, સોનું એક પવિત્ર ધાતુ છે, જે દેવી-દેવતાઓની પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે. યાત્રા શરૂ કરતા પહેલા, ત્રણ રથોના માર્ગને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ માત્ર આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક નથી, પરંતુ તે એવી ભાવના પણ દર્શાવે છે કે ભગવાનના સ્વાગતમાં કંઈ કમી ન રહેવી જોઈએ. આ પરંપરા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનાના ઝાડૂથી રસ્તો સાફ કરવાનો હેતુ ભગવાનના માર્ગને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે.
