અભિનેતા રાજપાલ યાદવ શા માટે છે જેલમાં? અહીં જાણો આખો મામલો

અભિનેતા રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. ફિલ્મોમાં પોતાની કૉમેડીથી બધાને પેટપકડીને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ હાલમાં કઠોર સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ મામલે દિલ્હી હાઈ કોર્ટથી રાહત ન મળ્યા બાદ અભિનેતાએ તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યુ. સરેન્ડર કર્યા પહેલા રાજપાલ યાદવે લાગણીશીલ નિવેદન આપ્યુ, જે સાંભળ્યા બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજનીતિ જગતમાંથી કેટલાક લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો છે.

કોણે-કોણે મદદ માટે હાથ લંબાવ્યો?

1. રાવ ઈંદરજીત સિંહે જેમ ટ્યુન્સ પરિવાર તરફથી 1.11 કરોડ રૂપિયાની લીગલ મદદ કરવાની જાહેરાત કરી છે.

2. જનશક્તિ જનતા દળ (JJD)ના ચીફ તેજ પ્રતાપ યાદવે જાહેરાત કરી છે કે તે રાજપાલ યાદવને 11 લાખ રૂપિયાની મદદ કરશે.

3. કેઆરકેએ પણ જાહેરાત કરી છે કે તે પણ રાજપાલ યાદવને 10 લાખ રૂપિયાની મદદ કરશે.

4. ગુરમીત ચૌધરી, સલમાન ખાન, વરુણ ધવન, અજય દેવગણ, ગુરુ રંધાવા અને સોનુ સૂદે પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. જોકે, તે લોકો કેટલી રકમની મદદ કરશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

અત્યાર સુધીમાં કેટલા કરોડની મદદ મળી?

રાજપાલ યાદવની મદદ માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા છે. કેટલાકે રકમનો ખુલાસો કર્યો છે તો કેટલાકે મદદ કરશે એવી જ જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં તેમને મળેલી મદદના રકમની વાત કરીએ તો એ રકમ 1.32 કરોડ રૂપિયાની છે.

જેલમાંથી બહાર ક્યારે આવશે અભિનેતા?

પહેલા રાવ ઈંદરજીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું કે તેમણે રાજપાલ યાદવના નાના ભાઈ સાથે વાત કરી છે. તેમણે એ પણ કહ્યું કે જો 14 ફેબ્રુઆરી સુધીમાં આવશ્યક રકમ એકત્ર નહીં થાય તો તે પોતે જ બાકીની રકમ કોર્ટમાં જમા કરી આપશે જેથી મહાશિવરાત્રી પહેલા રાજપાલ યાદવ જેલમાંથી મુક્ત થઈ શકે. તો બીજી બાજુ રાજપાલ યાદવના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે કે આવતી કાલે એટલે કે 12 ફેબ્રુઆરીએ અભિનેતાના જામીન પર સુનાવણી થશે.

રાજપાલ યાદવ પર કેટલું દેવું છે?

PTIના અહેવાલ અનુસાર કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ઓક્ટોબર 2025માં રજિસ્ટ્રાર જનરલ પાસે 75 લાખ રૂપિયાના બે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવામાં આવ્યાં હતાં અને 9 કરોડ રૂપિયાની રકમ બાકી હતી. મતલબ કે હજી રામપાલ યાદવે 9 કરોડ રૂપિયા ચૂકવવાના છે.

શું છે સમગ્ર મામલો?

અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી 2010માં શરૂ થઈ. તેમણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહીં. આવી સ્થિતિમાં તે ઉધારી ચૂક્વી શક્યા નહીં અને કેટલાક ચેક બાઉન્સ થયા. જેને કારણે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થઈ.

વર્ષ 2018માં એક મેજિસ્ટ્રિયલ કોર્ટે એપ્રિલ મહિનામાં રાજપાલ યાદવ અને તેમની પત્નીને ચેક બાઉન્સના કેસમાં દોષી ઠેરવ્યા હતાં. અને બંનેને છ મહિનાની જેલની સજા પણ સંભળાવી હતી.

વર્ષ 2019માં સેશન કોર્ટે મેજિસ્ટ્રિયલ કોર્ટનો આદેશ યથાવત રાખ્યો. બાદમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાએ સેશન કોર્ટના આદેશને પડકાર આપી દિલ્હી હાઈકોર્ટમાં રિવીજન પિટીશન ફાઈલ કરી હતી.

2024માં દિલ્હી હાઈકોર્ટે તેઓ મોટા ક્રિમિનલ નથી એવું કહીને અભિનેતા અને તેની પત્નીને મળેલી છ મહિનાની સજાને સસ્પેન્ડ કરી હતી. ત્યારથી સસ્પેન્શને સમયાંતરે વધારવામાં આવતું ગયું.

વર્ષ 2025, ડિસેમ્બરમાં રાજપાલ યાદવના વકીલે કોર્ટને ભરોસો અપાવ્યો કે 40 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને બાકી 2.10 કરોડની રકમ 19 જાન્યુઆરી, 2026 સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

4 ફ્રેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે જેલ સરેન્ડરના સસ્પેંશનને વધારે લંબાવવાનો ઈન્કાર કર્યો.રાજપાલ યાદવને લઈ કોર્ટે એ જ દિવસે આત્મસમર્પણનો આદેશ આપ્યો.

રાજપાલ યાદવની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પુવૈયાના વતની છે. તેમણે લખનૌની ભારતેન્દુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં અભિનયનો અભ્યાસ કર્યો છે. “ભૂલ ભુલૈયા,” “ફિર હેરા ફેરી,” “ચુપ ચૂપ કે,” અને “હંગામા” જેવી ફિલ્મોમાં તેમના યાદગાર પાત્રો માટે જાણીતા છે.