અયોધ્યાઃ અયોધ્યાના શ્રીરામ મંદિરમાં ચઢાવામાં ગેરરીતિના આરોપો સામે આવ્યા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડની તપાસ ચાલી રહી છે. ટ્રસ્ટનો દાવો છે કે 900 કિલોગ્રામથી વધુ ચાંદીની શુદ્ધતા તપાસવા માટે તેને હૈદરાબાદ સ્થિત સરકારી કંપની પાસે મોકલવામાં આવી હતી અને ત્યાર બાદ તેને પિગાળીને ચાંદીની ઈંટો બનાવવામાં આવી હતી.

ટ્રસ્ટના આ દાવા પર પોલીસ પણ નજર રાખી રહી છે. ચાંદીને હૈદરાબાદ મોકલવાની પ્રક્રિયામાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો. એક અધિકારીના જણાવ્યાનુસાર ચાંદીની શુદ્ધતા તપાસવા અને તેને ઈંટોના સ્વરૂપમાં તૈયાર કરવાની પ્રક્રિયામાં અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
દાન વિવાદ વચ્ચે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવેમ્બર 2024 અને માર્ચ 2025માં યોજાયેલી ટ્રસ્ટની બેઠકોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે મંદિર પરિસરમાં મળતા કીમતી દાગીનાઓના સંગ્રહ અને તેની રસીદ માગનારાઓની જવાબદારી નક્કી કરવા માટે સુવ્યવસ્થિત સિસ્ટમ વિકસાવવામાં આવે.
અધિકારીએ શું જણાવ્યું?
એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને એટલી માહિતી છે કે ગયા વર્ષે ટ્રસ્ટની એક બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે દાનમાં મળેલી લગભગ 1000 કિલોગ્રામ ચાંદીને પરીક્ષણ અને પિગાળવાની પ્રક્રિયા માટે હૈદરાબાદની સરકારી કંપનીમાં મોકલવામાં આવી હતી. ચાંદી પીગળાવ્યા બાદ અને તેમાંની અશુદ્ધિઓ દૂર કર્યા પછી લગભગ 900 કિલોગ્રામ શુદ્ધ ચાંદી પ્રાપ્ત થઈ હતી. નમૂનાઓની તપાસમાં ચાંદીની શુદ્ધતા અંદાજે 90 ટકા હોવાનું જાણવા મળ્યું હતું.

દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ: ગોવિંદ દેવ ગિરિ
આ દરમિયાન ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ ચઢાવામાં ગેરરીતિ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેમનાં નામ કે હોદ્દાની પરવા કર્યા વગર કડક સજા થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં દાનની ગણતરી કરવામાં આવે છે, તે પ્રક્રિયા સાથે તેમનો કોઈ સંબંધ નથી.




