નવી દિલ્હીઃ અમેરિકાએ વૈશ્વિક ઊર્જા પુરવઠો અને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને ભારતીય રિફાઈનરીઓને રશિયન તેલ ખરીદવા માટે તાત્કાલિક 30 દિવસની છૂટ આપવાનો નિર્ણય લીધો છે, એમ અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણય વિચારવિમર્શ પછી લેવામાં આવ્યો છે અને તેનો હેતુ માત્ર સમુદ્રમાં પહેલેથી જ ફસાયેલા ક્રૂડના વ્યવહારોને મંજૂરી આપવાનો છે, જેથી રશિયન સરકારને મોટો નાણાકીય લાભ ન થાય.
બેસેન્ટે ‘X’ પર લખ્યું હતું કે ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને આશા છે કે નવી દિલ્હી અમેરિકન ઓઇલની ખરીદીમાં વધારો કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાત્કાલિક છૂટ ઇરાન દ્વારા વૈશ્વિક ઊર્જા પુરવઠાને અવરોધવા માટે કરાયેલા પ્રયાસોથી ઊભા થયેલા દબાણને ઘટાડવામાં મદદરૂપ થશે. તેમણે અમેરિકામાં ઊર્જા ઉત્પાદન સૌથી ઊંચા સ્તરે પહોંચ્યાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઊર્જા એજન્ડાનું પરિણામ ગણાવ્યું.
વિશેષજ્ઞોને મતે આ તાત્કાલિક છૂટથી માત્ર ભારતને ઓઇલની સપ્લાય સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક ઓઇલ બજારમાં સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. અમેરિકાનું આ પગલું વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર અને ઊર્જા સહકાર વધુ મજબૂત બની શકે છે.
President Trump’s energy agenda has resulted in oil and gas production reaching the highest levels ever recorded.
To enable oil to keep flowing into the global market, the Treasury Department is issuing a temporary 30-day waiver to allow Indian refiners to purchase Russian oil.…
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 6, 2026
ભારતની સરકારી રિફાઈનરીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રશિયાથી ક્રૂડ તાત્કાલિક મગાવવા માટે ટ્રેડર્સ સાથે ચર્ચા કરી રહી છે. આ રિફાઈનરીઓ અત્યાર સુધીમાં લગભગ બે કરોડ બેરલ રશિયન તેલ ખરીદી ચૂકી છે.
મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા અંગે સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રો મુજબ હાલ ભારત પાસે 25 દિવસનો કાચા તેલનો ભંડાર ઉપલબ્ધ છે. ઉપરાંત 25 દિવસ જેટલો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. કુલ મળીને દેશમાં લગભગ આઠ અઠવાડિયા જેટલા કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું માત્ર 40 ટકા ક્રૂડ જ હોર્મુઝ જળસંધિ મારફતે આવે છે, જ્યારે બાકીના 60 ટકા ક્રૂડની આયાત અન્ય સ્રોતોથી થાય છે.




