જમ્મુ અને કાશ્મીરમાં આજથી લાગુ થયા બે નવા કાયદા

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, 2023 અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) અધિનિયમ, 2023 ની જોગવાઈઓ મંગળવારથી અમલમાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આ અંગે એક સૂચના બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે, સંસદના તાજેતરમાં પૂરા થયેલા શિયાળુ સત્ર દરમિયાન બંને બિલોને મંજૂરી આપવામાં આવી હતી.

સુધારા અધિનિયમ 2023 માં શું જોગવાઈઓ છે?

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો), અધિનિયમ 2023 ની જોગવાઈઓ લાગુ થયા પછી, રાજ્ય વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 114 થઈ જશે. પ્રથમ વખત વિધાનસભામાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માટે અનુક્રમે બે અને એક બેઠક અનામત રાખવામાં આવશે. તેમને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. નામાંકન કરતી વખતે મહિલા વર્ગમાંથી એક પ્રતિનિધિની ખાતરી કરવી ફરજિયાત રહેશે. અનુસૂચિત જનજાતિ માટે નવ બેઠકો અનામત રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવી છે.

આરક્ષણ સુધારા અધિનિયમ, 2023 માં શું ફેરફારો છે ?

વધુમાં અનામત કાયદા દ્વારા રાજ્યની અનામત નીતિમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. અનામત કાયદાની જોગવાઈઓ હેઠળ દેશના અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ OBC, SC, ST અને સામાન્ય વર્ગના ગરીબો માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, મુસ્લિમ ગુર્જરોના વિરોધને સંપૂર્ણપણે ફગાવીને પહાડી સમુદાય સાથે જોડાયેલી અનેક જ્ઞાતિઓને પણ એસટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાજિક રીતે પછાત વર્ગમાં કેન્દ્રશાસિત પ્રદેશો, વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારો બંનેમાં પછાત જાહેર કરાયેલા ગામડાઓમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે.