ગાંધીનગર: ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના છ સભ્યોનું પ્રતિનિધિ મંડળે શનિવારે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્રનો સમાવેશ થાય છે. આ મુલાકાત સમયે ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતા અને નાયબ સચિવ દિનેશ ચૌધરી સહિતના અધિકારી-કર્મચારીઓએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરીને તેમને ગુજરાત વિધાનાભાની કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી.
પ્રતિનિધિ મંડળના સભ્યોને ગુજરાતમાં કાર્યરત PMJAY યોજના, નલ સે જલ યોજના તથા PM સૂર્ય ઘર જેવી વિવિધ યોજનાઓના અમલીકરણ, હાલ રાજ્યમાં તેની સ્થિતિ અને આ યોજનામાં ગુજરાતે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓની ભૂમિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરુ કરેલા ફ્લેગશીપ અને પ્રજાલક્ષી કાર્યક્રમો જેવાં કે “મુખ્યમંત્રી જન ફરિયાદ નિવારણ – રાજ્ય સ્વાગત કાર્યક્રમ” તથા તેના પોર્ટલ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ સ્વાગત કાર્યક્રમના વિચાર અને તેની કાર્યપદ્ધતિ જાણીને ખૂબ જ પ્રભાવિત થયું હતું.
વધુમાં, આ પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપતી NeVA સેવા કેન્દ્રની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. તેમણે વિધાનસભા ગૃહની મુલાકાત કરીને રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા ઉપરાંત પત્રકારો માટે, VVIP મહેમાનો માટે, અધિકારીઓ માટેની અલાયદી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો પણ ગૃહની કામગીરી નિહાળી શકે તે માટે બનાવવામાં આવેલી પ્રેક્ષક ગેલેરી સહિતની સુવિધાઓ નિહાળી હતી.


