ચર્ચમાં આત્મઘાતી હુમલોઃ ૨૦નાં મોત, 52 લોકો ઘાયલ

દમાસ્કસઃ સિરિયાની રાજધાની દમાસ્કસમાં આવેલા એક ચર્ચમાં પ્રાર્થના દરમિયાન આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મોત થયા છે અને ૫૨ લોકો ઘાયલ થયા છે. સિરિયાના ગૃહ મંત્રાલયે આ હુમલાનો આરોપ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) પર મૂક્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યાનુસાર ISIS સાથે સંકળાયેલો આત્મઘાતી હુમલાખોર દમાસ્કસના ડોવેઇલા વિસ્તારમાં આવેલા સેન્ટ એલિયાસ ચર્ચમાં ઘૂસી ગયો. ત્યાં તેણે પહેલા ગોળીબારી કરી અને પછી પોતાને વિસ્ફોટક બેલ્ટ વડે ઉડાવી દીધો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરે માર એલિયાસ ચર્ચની અંદર વિસ્ફોટક ઉપકરણ વડે આત્મઘાતી સ્ફોટ કર્યો હતો. સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ મૃત્યુ પામનારાઓમાં બાળકો હોવાની પણ શક્યતા છે. હુમલાની સાથે જ સુરક્ષા દળો અને તાત્કાલિક સેવાઓ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

સિરિયાના વિદેશ મંત્રાલયે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સિરિયન આરબ રિપબ્લિક દમાસ્કમાં આવેલા સેન્ટ એલિયાસ ચર્ચને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આતંકવાદી બોમ્બ વિસ્ફોટની તીવ્ર નિંદા કરે છે. શરૂઆતની તપાસ મુજબ, આ હુમલો ISIS સાથે જોડાયેલા આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં અનેક નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા છે.

આ પોસ્ટમાં જણાવ્યું હતું કે ખ્રિસ્તી સમુદાયના સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવેલું આ ગુનાહિત કૃત્ય રાષ્ટ્રીય સહઅસ્તિત્વને ખંડિત કરવાનો અને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ છે. વિદેશ મંત્રાલયે વધુમાં ઉમેર્યું છે કે આ હુમલો માત્ર કોઈ એક સમુદાય નહીં પણ આખી સિરિયાઈ ઓળખ પર હુમલો છે. સિરિયા આ ગુનાહિત કાર્ય માટે ISISને સહારો આપતી તમામ તત્ત્વોને જવાબદાર ઠેરવે છે.