લખનઉમાં ખાલી સ્ટેડિયમમાં ભારત-SA બીજી વન-ડે મેચ રમાશે

મુંબઈઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ આજે ધરમશાલામાં વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના પડતી મૂકી દેવી પડી હતી.

3-મેચોની સિરીઝની બાકીની બે મેચ લખનઉ અને કોલકાતામાં રમાશે.

15 માર્ચે લખનઉના વાજપેયી સ્ટેડિયમમાં રમાનાર બીજી વન-ડે મેચ કોરોના વાઈરસના ફેલાવાના જોખમને કારણે ખાલી સ્ટેડિયમમાં રમાશે. તે પછી 18 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાંની ત્રીજી અને શ્રેણીની આખરી મેચ પણ એ જ રીતે ખાલી સ્ટેડિયમમાં રમાય એવી ધારણા છે.

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે આપેલી સૂચનાને પગલે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધિકારીઓ સાથે ચર્ચા યોજી હતી અને તેમણે એવો નિર્ણય લીધો હતો કે 15મીની મેચ ખાલી સ્ટેડિયમમાં જ રમાડવી.

દરમિયાન, ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલના એક સૂત્રએ જણાવ્યું કે 18 માર્ચે ઈડન ગાર્ડન્સમાંની ત્રીજી વન-ડે મેચ પણ ખાલી સ્ટેડિયમમાં જ રમાડવામાં આવશે. અમારે કેન્દ્રીય મંત્રાલયની સૂચનાનું પાલન કરવાનું છે. હાલના સંજોગો અનિવાર્ય છે. અમારું એસોસિએશન આ વિશે સત્તાવાર નિવેદન બહાર પાડશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રાલયે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, તમામ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશનો અને બીસીસીઆઈને સૂચના આપી હતી કે એમણે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલી સૂચનાનું પાલન કરવાનું રહેશે.

કોરોના વાઈરસે ભારતમાં અત્યાર સુધીમાં 70 જણને ઝપટમાં લીધા છે અને એનો ફેલાવો વધે નહીં એટલા માટે કેન્દ્ર સરકારે રાજદ્વારી તથા રોજગારની કેટેગરીને બાદ કરતાં બીજી તમામ કેટેગરીઓ માટે વિઝા આપવાનું સસ્પેન્ડ કરી દીધું છે.