BCCIએ ICCને પત્ર લખી કરી આ માગ, પહલગામ હુમલાને લઈ પાકિસ્તાનને આપ્યો ઝટકો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ ઘટનાને પગલે ભારતે પાકિસ્તાનને રાજદ્વારી અને અન્ય ક્ષેત્રોમાં ઝટકા આપવાનું શરૂ કર્યું છે. આ શ્રેણીમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ પણ મોટું પગલું ભર્યું છે. અહેવાલો મુજબ, BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પત્ર લખીને માગ કરી છે કે ભારત હવે પાકિસ્તાન સાથે કોઈપણ આઇસીસી ટુર્નામેન્ટમાં એક જ ગ્રૂપમાં ન રાખવામાં આવે.

BCCIની આ માગનો હેતુ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજમાં ક્રિકેટ મેચો ન થાય. છેલ્લે બંને ટીમો વચ્ચે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં મુકાબલો થયો હતો, જેમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું હતું. જોકે, પહેલગામ હુમલા બાદ BCCIએ સ્પષ્ટ કર્યું છે કે તે આઇસીસી ઇવેન્ટ્સમાં પણ પાકિસ્તાન સાથે રમવા ઇચ્છતું નથી. આગામી મહિલા વન-ડે વર્લ્ડકપ, જે 26 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 દરમિયાન ભારતમાં યોજાશે, તેમાં પાકિસ્તાનની ટીમ રમશે, પરંતુ જૂની સમજૂતી મુજબ તેની મેચો ભારતમાં નહીં, તટસ્થ સ્થળે રમાશે. ન્યૂટ્રલ વેન્યૂનો નિર્ણય હજુ બાકી છે.

બીજી તરફ, પુરુષોની આગામી મોટી ICC ટુર્નામેન્ટ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાશે, જ્યાં T20 વર્લ્ડકપ ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. જોકે, BCCIની તાત્કાલિક ચિંતા સપ્ટેમ્બર 2025માં ભારતમાં યોજાનાર એશિયા કપ અંગે છે. આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે, જેમ કે દુબઈ કે શ્રીલંકા, રમાય તેવી શક્યતા છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે બોર્ડ ભારત સરકારના નિર્ણયોને અનુસરશે.