દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી દરગાહ શરીફ પટ્ટે શાહમાં શુક્રવારે એક દુ:ખદ ઘટના બની. દરગાહના એક રૂમની છત અચાનક તૂટી પડી, જેના કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા. મળતી માહિતી મુજબ, પાંચ વર્ષના બાળક સહિત છ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 11 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે કાટમાળમાં કોઈ નથી. અકસ્માત સમયે આ રૂમમાં લગભગ 15 લોકો આરામ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરગાહ 700 વર્ષ જૂની છે અને જે રૂમની છત તૂટી પડી હતી તે ૬૦ વર્ષ જૂનો હતો.
પોલીસે આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને સામાન્ય લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો આ ઘટનાથી આઘાતમાં છે અને વહીવટીતંત્રને વહેલી તકે પરિસ્થિતિને કાબુમાં લેવાની માંગ કરી રહ્યા છે.
રાહત અને બચાવ ટીમને મદદ કરવા માટે સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી અંદર ફસાયેલા કોઈપણ વ્યક્તિને શોધી શકાય. અકસ્માત પછી, દરગાહ બંધ કરી દેવામાં આવી છે અને હુમાયુના મકબરામાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.




