દિવ્યાંગ બાળકો સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં આવ્યા અવ્વલ

સુરત/હરિદ્વાર : પ્રતિભા કોઈની મોહતાજ નથી આ વાકયને ગુજરાતના 9 દિવ્યાંગ બાળકોએ ચરિતાર્થ કર્યું છે. હરિદ્વારના શાંતિકુંજ દ્વારા વિશ્વભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં દેશ-વિદેશથી ધોરણ 1 થી 12 સુધીના 50 લાખથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો પૈકી 3 રાજ્યના 125 પ્રવિણ બાળકોનું પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ. જેમાં દરેક રાજ્યોમાંથી આવેલા બાળકોનું તીર્થ નગરી હરિદ્વાર ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ વર્ષે પણ ગુજરાતના 70 બાળકોનું સન્માન ગાયત્રી વિદ્યાલયના ચેરમેન શેફાલી પંડ્યાએ કર્યું. આ બાળકોમાં 70 સામાન્ય બાળકો સાથે 9 દિવ્યાંગ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વિભાગના દિવ્યાંગ વિભાગના કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ આપીહતી.આ બાળકોમાં રાજ્યના 6 જિલ્લાના 9 બાળકોમાં અરવલ્લી જિલ્લાના મોડાસાનો મૂકબધિર બાળક રુદ્ર પ્રથમ ક્રમે રહ્યો હતો. આ નવ દિવ્યાંગ બાળકોમાં સુરતના વિદ્યાર્થી કરણ ભગત, સાક્ષી, વલસાડના નરેશ, સુરતની ધ્રુવી ઝાંઝવેરા, મૈત્રી, નીલ ગાંધીનો સમાવેશ થાય છે. ઉપરાંત ભાવનગરના હસમુખ સોજિત્રા, સુરતના બિપીન શર્માનો પણ સમાવેશ થાય છે.હેમાંગીનીબેન દેસાઈના જણાવ્યા અનુસાર, “સમગ્ર વિશ્વમાં ગુજરાત માત્ર રાજ્ય છે જ્યાંના દિવ્યાંગ બાળકો આ પરીક્ષામાં ભાગ લે છે. તેમજ 2010થી અત્યાર સુધીમાં 6000થી વધુ દિવ્યાંગ બાળકોએ આ પરીક્ષામાં ભાગ લીધો છે.” આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રમુખ શૈલ બાળા પંડ્યાએ આ બાળકોને આશીર્વાદ પાઠવ્યા છે.