અમદાવાદ: સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્યમંત્રીનાં અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અવંતિકા સિંહના હસ્તે હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૭ બાળકોને, જ્યારે ધોરણ -૧માં ૬૬ બાળકોને શાળા-પ્રવેશ અપાયો હતો. આમ, કુલ ૧૨૩ જેટલાં ભૂલકાંઓએ શિક્ષણ જગતમાં પગરવ માંડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળા છોડીને ૯ વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે.
આ પ્રસંગે અવંતિકા સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે ઊજવાતો શાળા પ્રવેશોત્સવ બાળકો, શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, સાથે-સાથે આમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઊર્જા પૂરી પાડતો હોય છે. શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણનીય આનંદ મળતો હોય છે. આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે, જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે, તથા તેમનાં માતા-પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે.
પોતાની ફરજ ઉપરાંત અંગત યોગદાન આપનારા શિક્ષકોની નિષ્ઠાની અવંતિકા સિંહે પ્રશંસા કરી હતી. તેમજ પ્રવેશોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા વાલીઓનો પણ આભાર માન્યો હતો તથા શાળા પ્રવેશોત્સવનો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી, શાળા પરિસરની મુલાકાત કરવામાં આવી હતી. તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. બાળકો દેશનું ભવિષ્ય છે, તેમના વિકાસ માટે વાલીઓ સંપૂર્ણ સહયોગ આપે એવો અનુરોધ શ્રીમતી અવંતિકા સિંહ દ્વારા એસએમસીની બેઠકમાં કરાયો હતો.
શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જુદા-જુદા વિષયો પર વક્તવ્ય રજૂ કરાયાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
