બેંગલુરુઃ કર્ણાટકના નાયબ CM ડી.કે. શિવકુમારની ઇચ્છા રાજ્યના CM બનવાની છે, પરંતુ હવે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ તેમને પ્રદેશાધ્યક્ષ પદેથી પણ દૂર કરે એવી શક્યતા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યના પાર્ટી સંગઠનમાં ફેરફારની પ્રક્રિયા શરૂ કરી છે. ડી.કે. શિવકુમાર છેલ્લાં લગભગ પાંચ વર્ષથી પ્રદેશાધ્યક્ષ છે.
હાલમાં જ CM સિદ્ધારમૈયા દિલ્હી પ્રવાસે ગયા હતા અને એ દરમિયાન તેમની સાથે હાજર રહેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે હાઈકમાન સાથે કોંગ્રેસના સંગઠન સંબંધિત મામલાઓ અંગે ચર્ચા થઈ હતી. હાઈકમાન્ડે આ મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને પ્રદેશ કોંગ્રેસાધ્યક્ષને બદલવાના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે, એમ સૂત્રએ કહ્યું હતું.
રાજ્ય સરકારમાં મંત્રી સતીશ જરકિહોલી અને ઈશ્વર ખંડરેને પ્રદેશ અધ્યક્ષપદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો આ નેતાઓ મંત્રી પદ છોડવા માટે તૈયાર થાય તો તેમને પ્રદેશાધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકાય છે.
શિવકુમારને હટાવવાની અટકળો પહેલાથી
મે 2023માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી, ત્યારથી ડી.કે. શિવકુમારને પ્રદેશાધ્યક્ષ પદેથી હટાવવાની અટકળો ચાલી રહી હતી. જોકે તેઓ ન માત્ર પ્રદેશાધ્યક્ષ તરીકે યથાવત્ રહ્યા, પણ સિદ્ધારમૈયાની સરકારમાં બે મહત્વના વિભાગો – બેંગલુરુ વિકાસ અને જળસંસાધન – પણ સંભાળી રહ્યા છે.
જોકે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યના મંત્રી એચ.કે. પાટિલના પત્રને લઈને નારાજ છે. પાટિલે લખ્યું હતું કે નેતાઓ અને અધિકારીઓએ મળી રાજ્યના ખજાનાને લૂંટી લીધું છે અને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ સરકારે દોષીઓને સજા આપવા માટે કોઈ કાર્યવાહી કરી નથી.
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને CM સિદ્ધારમૈયા એ બાબતે નારાજ છે કે પાટિલે આ મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો, જ્યારે તેઓ આ મુદ્દો મંત્રીમંડળની બેઠકમાં ઉઠાવી શકતા હતા.
