સૌરાષ્ટ્રના 3 ડેમ હાઈએલર્ટ પર, સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક

ગાંધીનગર: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. આ અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં સૌરાષ્ટ્રના ત્રણ ડેમ વાગડિયા, વાંસલ અને સસોઇ-2 સંપૂર્ણપણે છલકાતા હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 54 ટકાને પાર થઈ ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 મિલિયન ક્યુબિક ફિટ જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 મિલિયન ક્યુબિક ફિટ જેટલો જળસંગ્રહ નોંધાયો છે.આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ પર મૂકાયા છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80થી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમનો સમાવેશ થાય છે.રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર (કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.