નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દર 67 મહિનામાં એટલે કે ઓગસ્ટ, 2019 પછી સૌથી નીચા સ્તરે જોવા મળ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ભારતનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે ઘટીને 3.34 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં ફુગાવો વાર્ષિક ધોરણે 3.61 ટકાની સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં નરમાઈ હતી.
જો કે 3થી 8 એપ્રિલ દરમિયાન 40 અર્થશાસ્ત્રીઓ વચ્ચે હાથ ધરવામાં આવેલા રોઇટર્સ પોલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે માર્ચમાં ફુગાવો 3.60 ટકા આસપાસ રહેશે. રિટેલ ફુગાવો માત્ર ભારતીય રિઝર્વ બેંકના 2-6 ટકાના ટોલરેન્સ બેન્ડની અંદર જ નથી, પરંતુ તે 4 ટકાથી નીચે પણ રહ્યો છે.
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ બુધવારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની ઘોષણા કરતાં કહ્યું હતું કે ફુગાવો ઘટી રહ્યો છે, જેને ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાથી ટેકો મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 26માં ફુગાવો વધુ હળવો થવાની ધારણા છે. જોકે મધ્યસ્થ બેંકે ચેતવણી આપી હતી કે તે વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે તેમની “રેસિપ્રોકલ ટેરિફ” ટેરિફ યોજના અમલમાં મૂકી, ઘણા દેશો પર ટેરિફ લગાવ્યો હતો. ભારતે તેના તમામ માલસામાન પર 26 ટકા આયાત જકાતનો સામનો કરવો પડ્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ અટકાવ્યો છે.
તેમણે કહ્યું હતું કે ફુગાવાના મોરચે જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવમાં અપેક્ષા કરતાં મોટા ઘટાડાથી અમને રાહત મળી છે, ત્યારે અમે વૈશ્વિક અનિશ્ચિતતા અને હવામાન સંબંધિત વિક્ષેપોના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીએ છીએ.
