સ્મશાનમાં જાનને ઉતારો, વર-કન્યાએ ફર્યા ઊંધા ફેરા!

રાજકોટ: સામાન્ય રીતે લગ્નના દિવસે તો વરરાજા અને વર પક્ષના લોકોને કન્યા પક્ષના લોકો હાથમાંને હાથમાં રાખે છે. જાન અને વરરાજા માટે પૂરી સુવિધાવાળી વાડી કે હોલમાં ઉતારો આપતો હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં કંઇક વિચિત્ર જ દૃશ્ય જોવા મળ્યું હતું. જાનને ગામના સ્મશાનમાં ઉતારો અપાયો હતો.

કુરિવાજો, અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવાના હેતુથી મનસુખભાઇ રાઠોડના પરિવારમાં દીકરી પાયલનો અલગ અંદાજમાં અનોખો લગ્ન સમારોહ યોજાયો હતો. સ્મશાનથી કાળી સાડી, કાળા કપડાં પહેરી જાનૈયાઓનું સ્વાગત થયું. ભૂત-પ્રેતના વેશમાં સ્મશાનથી સમૈયામાં કેટલાક લોકો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી રામોદમાં રામનવમીના દિવસે યોજાયેલા આ અનોખા લગ્નમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ પણ હાજર રહી હતી. જૂની માન્યતા-પરંપરાનું ખંડન કરી, કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા લેવાયા હતા. બંધારણના શપથ સાથે લગ્ન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. ફુલેકુ, કાળી સાડીમાં કન્યા, ભૂત-પ્રેતના વેશમાં કાર્યકરોને જોવા ગામ ઉમટી પડયું હતું.

વરરાજા જયેશની જાન મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા ઉંમરકોટડાથી નીકળી સ્મશાનના ઉતારામાં પહોંચી હતી. જયાં કન્યા-માતા, કાળા વસ્ત્રમાં પરિધાન સગા-સંબંધીઓએ સ્વાગત કર્યું હતું.  ભૂત-પ્રેતના વેશમાં આવેલાને મંડપમાં સ્થાન આપ્યું હતું. ઉમટી પડયા હતા. ફુલેકામાં મશાલ, સરઘસ, સપ્તપદીને બદલે બંધારણના સોગંદ, કાળ ચોઘડીયામાં ઊંધા ફેરા ફર્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે આ અનોખા લગ્ન સંપન્ન થયા હતા. વિજ્ઞાન જાથાએ સમાજમાં નવો રાહ બતાવ્યો છે. વર અને કન્યા પક્ષે પણ અંધશ્રધ્ધા દૂર કરવા અલગ રીતે લગ્ન કરી સમાજને એક નવી દિશા આપી હતી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)